Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતતકરાર બાદ સમાધાન કરવા બોલાવી એઝાઝ, મોઇન સહિત 4એ છરાના ઘા ઝીંક્યા:...

    તકરાર બાદ સમાધાન કરવા બોલાવી એઝાઝ, મોઇન સહિત 4એ છરાના ઘા ઝીંક્યા: વડોદરાના સયાજીપુરાના પીડિત હિંદુ યુવકોના પરિવાર સુધી પહોંચ્યું ઑપઇન્ડિયા, થયા ચોંકાવનારા ખુલાસા

    ઑપઇન્ડિયાએ પીડિત યુવકો પૈકી એક યુવકના પરિવારનો સંપર્ક કર્યો હતો. હુમલાખોરોના ડરથી તેમણે નામ ન આપવાની શરતે તેમણે અનેક ચોંકાવનારા દાવા કર્યા હતા. કઈ રીતે ગામની ડેમોગ્રાફી બદલાઈ રહી છે તે ભયજનક.

    - Advertisement -

    ગત રવિવારે (3 માર્ચ 2024)ની મોડી રાત્રે વડોદરાના સયાજીપુરામાં હિંદુ યુવકો પર જીવલેણ હુમલો થયો. ક્રિકેટ રમતા વખતે થયેલી સામાન્ય રકઝક રક્તરંજીત બની. ઘટનામાં કેટલાક હિંદુ યુવાનોને ગામના જ એઝાઝ પઠાણ, મોઈન પઠાણ, સોહિલ દિવાન અને ઉર્વિશ પઠાણ નામના આરોપીઓએ આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા. હુમલામાં ઘાયલ યુવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જયારે ચારેય આરોપીઓને કપુરાઈ પોલીસે ગુનો દાખલ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે.

    મળતી માહિતી અનુસાર વડોદરાનાં સયાજીપુરામાં ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે પીડિત યુવકોને આરોપીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઝઘડા બાદ રાત્રે આરોપી પક્ષે પીડિત પક્ષને સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. જેવા હિંદુ યુવકો સમાધાન માટે પહોંચ્યા, આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે તેમની પર હુમલો કરી દીધો. આ હુમલામાં પીડિત હિંદુ યુવકો લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર જણાવાઈ રહી છે.

    મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે, ઝઘડો પૂરો થયા બાદ ઉર્વેશ પઠાણ, સોહિલ દિવાન, એજાઝ પઠાણ અને મોઇન પઠાણે પૂર્વ આયોજન કરીને સાંજે થયેલા ઝઘડાનું સમાધાન કરવા માટે હિંદુ યુવકોને સમાધાન માટેની વાતચીત શરૂ થતાં જ હુમલાનું પૂર્વ આયોજન કરી ઘાતક હથિયારો સાથે આવી પહોંચેલા ઉર્વેશ પઠાણ, સોહિલ દિવાન, એજાઝ પઠાણ અને મોઇન પઠાણે સમાધાન માટે આવેલા યુવાનો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સમાધાન માટે આવેલા તમામને ઈજા પહોંચી હતી.

    - Advertisement -

    ગામના સરપંચે કરી ઘટનાની પુષ્ટિ

    સયાજીપુરામાં હિંદુ યુવકો પર જીવલેણ હુમલો થયો તે ઘટનાની વાસ્તવિકતા જાણવા ઑપઇન્ડિયાએ ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો. તેમણે અમારી ટીમને ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, “ઘટના સાચી છે, વિષયમાં એવું હતું કે તેઓ (પીડિત યુવકો) ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન મુસ્લિમ પક્ષે કોઈ બાબતે બોલાચાલી થઇ. આરોપીઓએ આ યુવકોને જાતિ સૂચક શબ્દો કહીને અભદ્ર ગાળો ભાંડી હતી. આ કારણે બોલાચાલી ઉગ્ર બની હતી. ત્યાર બાદ મુસ્લિમ છોકરાઓએ સમાધાનના નામે આમને બોલાવ્યા અને તેમની ઉપર હુમલો કરી દીધો. આ તે લોકોનું પ્રિ-પ્લાનિંગ હતું. આ હુમલો કરવામાં મુખ્ય ચાર હતા. એક પીડિતને વધુ વાગી ગયું હતું પણ હાલ તેમની સ્થિતિ સ્ટેબલ છે.”

    પીડિત હિંદુ યુવકના ભાઈ સાથે ખાસ વાતચીત, કર્યા ચોંકાવનારા દાવા

    સરપંચ સાથે ઘટનાની પુષ્ટિન થયા બાદ ઑપઇન્ડિયાએ પીડિત યુવકો પૈકી એક યુવકના પરિવારનો સંપર્ક કર્યો હતો. હુમલાખોરોના ડરથી તેમણે નામ ન આપવાની શરતે તેમણે અનેક ચોંકાવનારા દાવા કર્યા હતા. તેમણે માહિતી આપતા કહ્યું કે, “આ હુમલામાં મારા નાના ભાઈને ઈજા પહોંચી છે. મારો ભાઈ સમાધાન માટે ગયો હતો ત્યારે છરા/ખંજરના ઘા માર્યા છે. તેને પીઠમાં બે-ત્રણ ઇંચ ઊંડો ઘા મારવામાં આવ્યો છે અને મુંઢ માર પણ માર્યો છે. અત્યારે તેનો સીટીસ્કેન કરીને આવ્યા છીએ, હજુ રીપોર્ટ આવવાના બાકી છે.”

    તેમણે આગળ જણાવ્યું કે, “આ લોકો પહેલાથી જ હેરાનગતી છે. તેઓ ગમેત્યારે ગમે તેને મારી લે છે. આ બધા બહુ માથાભારે છે, તેઓ પોતાનો દબદબો જમાવવા સીધા લોકો સાથે ઝઘડો કરીને મારી લેવાનો, બહેન દીકરીઓના નામ લેવાના, ગેંગ બનાવવાની અને મારામારી કરવાની. આ લોકોના અનેક ગુનાહિત કૃત્યો છે. પહેલા યુપી બિહારમાં આવું થતું હતું પણ હવે ત્યાં સુધરી ગયું છે અને ગુજરાત બગડી ગયું છે.”

    છરી-ચપ્પા રાખે છે, જૂમ્માના દિવસે બાળકો ડરના માર્યા ભણવા પણ નથી જતા

    ગામના હિંદુઓને પડતી તકલીફ વિષે તેમણે જણાવ્યું હતું કે, “દર શુક્રવારે ગામના તો ઠીક, બહારના લોકો પણ નમાજ પઢવા આવે છે, આખો રોડ બ્લોક કરી દે છે. આ લોકો બધી બાજુથી ગામને ઘેરવાનો પ્રયત્ન કરે છે. મસ્જિદની બિલકુલ સામે આંગણવાડી છે. ત્રાસ એટલો છે કે શુક્રવારે બાળકો ત્યાં નથી જતા. તે લોકોના છરી-ચપ્પા જોઇને બાળકો ડરે છે એટલે ત્યાં નથી જતા. અમારા ગામમાં આરસીસી રોડ બનાવ્યો. છેક રોડ સુધી ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામો ઉભા કરી દીધા છે. આખા રોડ પર દબાણ કરીને રાખે છે અમને આવવા જવામાં પણ તકલીફ પડે છે.”

    ગામની મસ્જિદ ગેરકાયદેસર હોવાનો દાવો

    આ વાતચીત દરમિયાન પીડિત યુવકના ભાઈએ દાવો કર્યો હતો કે ગામમાં જે મસ્જિદ છે તે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. તેમણે ગામના પૂર્વ સરપંચ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, “તમે ગામમાં આવશો તો તમને ખબર પડી જશે કે કેટલું ગેરકાયદેસર બાંધકામ ખબર પડી જશે. જુના રેકોર્ડ જોશો તો ખ્યાલ આવશે કે મસ્જિદ પણ ગેરકાયદેસર છે. પણ કોઈ રમખાણ ન થાય એટલે તેમને બાંધકામ કરવા દીધું હતું. જે તે સમયે ગામના સરપંચ અબ્દુલ વજીર હતા તે સમયે ખોટા કાગળિયાં કરીને મસ્જિદ ઉભી કરી દેવામાં આવી છે. તમે આજે રોડ પર આવીને ગમે તેને પૂછશો તો તમને કહેશે કે આ ઘર મુસ્લિમનું છે એ હદે દબાણ કર્યું છે. આ લોકો ચારો તરફથી ગામને ઘેરી રહ્યા છે.”

    ગામમાં મુસ્લિમોનો કેટલો ખોફ છે તે વિષે જણાવતા તેમણે કહ્યું હતું કે, “આ બાબતે કોઈ વાંધો ઉઠાવે એટલે તેમની સાથે આવા ઝઘડા કરે એટલે એમનો અત્યાચાર લોકો સહન કરી રહ્યા છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે પણ પછી વડીલોને વચ્ચે રાખીને સમાધાન કરી લે છે. આ બધા ષડ્યંત્ર રચીને ચાલે છે. પહેલા એમના ગણ્યાગાંઠ્યા ઘર હતા. હવે બહારથી લોકોને લાવીને વસાવવામાં આવી રહ્યા છે. ગામની બહેનો-દીકરીઓ-મહિલાઓ પણ આ લોકોથી ત્રસ્ત છે. કોઈ વિરોધ કરવાવાળું નથી, કોઈ માણસ વિરોધ કરે તો બીજા દિવસે તેને એકલા નોકરી ધંધે જવાનું હોય. બધાને બીક છે કે કાલે સવારે હુમલો કરશે તો? મારી લેશે તો?”

    દર વર્ષે વધી રહ્યા છે તેમના ઘર, સ્થાનિક મુસ્લિમો બહારથી આવતા લોકોને કરી રહ્યા છે મદદ

    ગામમાં ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી હોવાના દાવા સાથે પીડિતના ભાઈએ જણાવ્યું હતું કે, “ગામમાં પહેલા મુસ્લીમોના ઘર ઓછા હતા, હવે દર વર્ષે તેમના આઠથી દસ ઘર વધી રહ્યા છે. અહીના લોકલ મુસ્લિમો તેમને અહીં વસવા માટે મદદ કરી રહ્યા છે. બહારથી આવતા લોકોનો ત્રાસ ખૂબ જ વધારે છે. ગામના મુસ્લિમો તેમને પુરેપુરો સાથ આપે છે. ગામમાં નાનામોટા છમકલા થયા કરે છે. ગામના નાના છોકરાઓ, સગીર વયની છોકરીઓ હોય કે વિધવા બહેનો હોય, બધાને ડર રહે છે કે આ લોકો ગમે ત્યારે ગમે તે કરી દેશે.” (બોલતા બોલતા અટકે છે) તમને કોઈ ડર છે તે પ્રશ્ન પર તેઓ જણાવે છે કે, “હવે અત્યારે અમે અહીં બેઠા છીએ, કોઈ આવીને તેમને કહી દેશે કે મે આવું કહ્યું તો મારી પર પણ હુમલો થઇ શકે છે. પણ મે જે કહ્યું છે તે એક એક શબ્દ સાચો છે. કોઈ પણ વ્યક્તિ તેની પુષ્ટિ કરવા માંગતું હોય તો અહીં આવે હું મારી કહેલી વાત સાબિત કરવા સક્ષમ છું.”

    આ દરમિયાન તેમણે અમને કહ્યું હતું કે તેમને પણ ડર સતાવી રહ્યો છે કે જો તેઓ વિરોધ કરશે તો તેમના ભાઈની જેમ તેમની પર પણ હુમલો કરી દેવામાં આવશે. ઑપઇન્ડિયા સાથે વાત કરતા તેમણે પોલીસ પ્રશાસન અને સરકાર પાસે માંગ કરી હતી કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. ભવિષ્યમાં તેમના ગામ કે પરિવારના કોઈ સભ્ય સાથે આ પ્રકારની ઘટના ન બને તેવા પગલા લેવામાં આવે.

    પોલીસે કાર્યવાહી શરૂ કરી

    ઉલ્લેખનીય છે કે સયાજીપુરામાં હિંદુ યુવકો પર જીવલેણ હુમલો કરવાના મામલે ઉર્વેશ પઠાણ, સોહિલ દિવાન, એજાઝ પઠાણ અને મોઇન પઠાણ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટની કલમ તેમજ IPCની કલમ 307, 326 અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તમામ આરોપીઓને વડોદરાની કપુરાઈ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ ગામમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં