Thursday, September 19, 2024
More
    Home Blog Page 1101

    જોધપુરમાં ભગવા ઝંડાની જગ્યાએ ઇસ્લામિક ઝંડાઓ લગાવાતા વિવાદ : ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા સાથે હિંસા, મુસ્લિમ ભીડ દ્વારા વાહનોમાં તોડફોડ

    રાજસ્થાનના જોધપુરમાં સોમવારે (2 મે 2022) કોમી હિંસા ફાટી નીકળી હતી. ઇદની નમાઝ બાદ જોધપુર પોલીસ અને મુસ્લિમ ભીડ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઈ હતી. ભીડે માર્કેટ અને રહેણાંક વિસ્તારોમાં પાર્ક કરવામાં આવેલ વાહનોમાં તોડફોડ કરી હતી. તેમજ પોલીસનાં કેટલાંક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

    આ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, ઇદની નમાઝ બાદ કેટલાક યુવાનોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને વિખેરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઇદની નમાઝમાંથી પરત ફર્યા બાદ કેટલાક લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. તેમણે રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. જે બાદ પોલીસે ભીડ વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

    આ ઘટના જાલોરી ગેટની છે, જ્યાં આખા જોધપુરની સૌથી મોટી મસ્જિદ આવેલી છે. જાણકારી અનુસાર, અહીં મોડી રાત્રે કેટલાક મુસ્લિમ યુવકો ચાર રસ્તા પર પોતાનો ઝંડો લગાવી રહ્યા હતા ત્યારે અન્ય પક્ષ તરફથી વિરોધ કરવામાં આવ્યા બાદ મારપીટ શરૂ થઇ ગઈ અને પથ્થરમારો પણ થયો હતો. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને લાઠીચાર્જ કરીને બંને પક્ષોને છૂટા પાડ્યા હતા.

    શું છે આખી ઘટના?

    રિપોર્ટ અનુસાર, બીજી મેના દિવસે જોધપુરમાં જાલોરી ગેટ નજીક સ્વતંત્રતા સેનાની બાલમુકુંદ બિસ્સાની પ્રતિમા પર ભગવા ધ્વજની જગ્યાએ ઇસ્લામિક ઝંડો લગાવવામાં આવ્યા બાદ જોધપુરમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. મુસ્લિમોના ટોળાએ પ્રતિમાના ચહેરા પર ટેપ પણ ચોંટાડી દીધી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયરગેસનો સહારો લીધો હતો. હાલ આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

    વધુ જાણકારી અનુસાર, પરશુરામ જયંતીના તહેવાર નિમિત્તે જાલોરી ગેટ સ્ક્વેર પર હિંદુ સંગઠનોએ ભગવા ઝંડા લગાવ્યા હતા. જે બાદ મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ વહીવટીતંત્રે હિંદુ સમુદાયને ઝંડા હટાવવાની વિનંતી કરી હતી. જે બાદ હિંદુઓએ એક ધ્વજ રહેવા દઈને બાકીના તમામ દૂર કરી દીધા હતા.

    જે બાદ રાત્રે લગભગ 11 વાગ્યે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો સ્વતંત્રતા સેનાની બાલમુકુંદ બિસ્સાની પ્રતિમા પર ચડી ગયા હતા અને ભગવો ધ્વજ હટાવી દીધો હતો. તેમજ તેમણે પ્રતિમાનો ચહેરો પણ ટેપથી ઢાંકી દીધો હતો અને ઇસ્લામિક ઝંડો ફરકાવી દીધો હતો. જે બાદ સ્વતંત્ર સેનાનીના સબંધીઓ સહિતના લોકોએ જઈને તેમને ઝંડા હટાવી લેવા માટે વિનંતી કરતાં ઉશ્કેરાયેલા ઇસ્લામિક ટોળાએ કથિત રીતે હિંદુ સમુદાયના સભ્યો પર હુમલો કરી દીધો હતો.

    બે સમુદાયો વચ્ચે તોફાન બાદ નજીકના પોલીસ મથકમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કન્ટ્રોલ રૂમને જાણ કરી વધારાનું પોલીસબળ માંગ્યું હતું. ત્યાર બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં કોમી તોફાનો અંગેની જાણ આખા શહેરને થઇ ગઈ હતી અને બંને સમુદાયના લોકો ઘટનાસ્થળે પહોંચી જતા પોલીસે તેમને રોકવા માટે બેરિકેડનો ઉપયોગ કર્યો હતો.

    જોધપુર મેયરનો આરોપ

    જોધપુરમાં થયેલ કોમી હિંસા મામલે ઓપઇન્ડિયા સાથે વાતચીત કરતા જોધપુર પશ્ચિમની મેયર વનિતા શેઠે જણાવ્યું હતું કે, જાલોરી ગેટ પર 11:30 થી 12:00 વચ્ચે મુસ્લિમો ઇદના કારણે પોતાના ઝંડા લગાવી રહ્યા હતા. પરશુરામ જયંતીના કારણે ત્યાં પહેલેથી જ ઝંડા લાગ્યા હતા. પોલીસે આવીને તેમનો તહેવાર હોવાનું જણાવતા કેટલાક પત્રકારો અને ત્યાંના લોકોએ જાતે જ (ભગવા) ઝંડાઓ હટાવી દીધા હતા. માત્ર એક ઝંડો રહેવા દીધો હતો, જે સ્વાતંત્ર્ય સેનાની બિસ્સાજીની ઉપર લગાવવામાં આવેલ હતો.

    તેમણે ઉમેર્યું, “રાત્રે મુસ્લિમ યુવકો આવ્યા તો તેમણે બિસ્સાજીની મૂર્તિ પર ટેપ ચોંટાડી દીધી અને પોતાનો ઇસ્લામી ઝંડો લગાવવા માંડ્યા ત્યારે બીજા પક્ષના લોકોએ તેમને અટકાવ્યા હતા. જે બાદ તેમણે એ લોકો પર પાકિસ્તાનના અને અલ્લાહ-હું-અકબરના નારા લગાવ્યા પછી પથ્થરમારો થવા કર્યો. બીજા પક્ષના લોકો પણ આવ્યા પરંતુ ત્યાં સુધીમાં મુસ્લિમ વસ્તીમાંથી 200 થી 300 લોકો આવી ગયા. પોલીસે તેમને હટાવવાની જગ્યાએ લાઠીચાર્જ કર્યો. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.”

    મેયરનો આરોપ છે કે તેમની ઉપર પણ લાઠી ચલાવવામાં આવી હતી. જ્યારે તેમણે આ મામલે સવાલ કર્યા ત્યારે કહેવામાં આવ્યું કે તેમને જયપુરથી ઓર્ડર છે. બીજી તરફ, એસીપીએ પણ તેમને અવળો જવાબ આપ્યો હતો. મેયરના જણાવ્યા પ્રમાણે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ થઇ નથી કારણ કે બંને સમુદાયોના તહેવારો છે.

    મુસ્લિમોએ પથ્થરમારો કર્યો, છતાં જવાબદાર હિંદુઓને ઠેરવાયા

    તેમણે એમ પણ જણાવ્યું કે, પથ્થરમારો મુસ્લિમો દ્વારા શરૂ કરવામાં આવ્યો હોવા છતાં પોલીસે આ માટે હિંદુઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે ઇદગાહ વિસ્તારમાંથી 150 થી 200 લોકોની મોટી ભીડ આવી હતી. તેમની સામે કાર્યવાહી કરવાને બદલે ઇન્સ્પેકટર અમિત સિહાગે કેટલાક પત્રકારો સહિત હિંદુ સમુદાયના સભ્યો પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો. જેમાંથી સાતેક જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    ‘શું શાંતિ જાળવવાની જવાબદારી માત્ર અમારી જ છે?’

    તેમણે આ ઘટના માટે કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ સલીમ ખાનને પણ જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું, તેઓ હોસ્પિટલ પાસે 200 લોકો સાથે ઉભા હતા. તેમની પૂછપરછ કરવાને બદલે અમને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેઓ અમને શાંતિ જાળવવા માટે સૂચન કરી રહ્યા હતા પરંતુ શાંતિ જાળવવા માટે શું માત્ર અમે જ જવાબદાર છીએ? શા માટે કોઈ કોંગ્રેસને પ્રશ્ન નથી કરી રહ્યું? તેઓ સ્થળ પર આવ્યા બાદ જ પથ્થરમારો શરૂ થયો હતો.

    કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા અશ્વિન કોટવાલ વાજતે ગાજતે 12:39ના વિજય મુહુર્તમાં ભાજપામાં જોડાયા.

    છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપાનું શાસન છે. કોંગ્રેસના આ સત્તા વનવાસ 2022 વિધાનસભા ચૂંટણી પણ પૂરો થાય તેવા અણસાર ઓછા દેખાય છે. 2017 વિધાનસભા વખતે થોડા માટે કોંગ્રેસ સત્તા પર આવતાં રહી ગઈ હતી. 2017 વિધાનસભાના પરિણામો બાદ પણ કોંગ્રેસ પાઠ શીખી નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. કેટલાક દિવસથી પાર્ટી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે પડતાં પર પાટુ જેવા સમાચાર છે કે કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા અને ખેડબ્રહ્માથી ત્રણ વાર ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે વિધિવત રીતે વિજય મુહુર્ત એટલેકે 12:39 એ ભાજપામાં જોડાયા છે.

    તેઓ પોતાના ઘરથી આદિવાસીઓના પરંપરાગત વાજિંત્રો ઢોલ નગારા સાથે ગાંધીનગર પહોચ્યા હતા. તેઓને આવકારવા માટે ભાજપાના દિગ્ગજ નેતાઓ હજાર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે ભાજપાનો ખેસ પહેરાવી ભાજપાની ટોપી પહેરાવી અશ્વિન કોટવાલને વિધિવત રીતે ભાજપા પ્રવેશ કરાવ્યો હતો. સામે અશ્વિન કોટવાલે પણ સી.આર.પાટિલને આદિવાસીની પાઘડી પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. તેમની સાથે તેમના 2000થી વધુ સમર્થકોએ પણ આજે કેસરિયો ધારણ કર્યો છે. ભાજપામાં જોડાવા પહેલા તેમણે સવારે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યને મળીને પોતાના ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું.

    ફોટો સાભાર – બીજેપી ગુજરાત

    ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારો પર પ્રભુત્વ ધરાવે છે અશ્વિન કોતવાલ

    અશ્વિન કોટવાલ યુવા વયથી જ રાજકારણમાં છે અને કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા રહ્યા છે. તેઓ કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ પર પણ રહી ચૂક્યા છે. જ્યારે ખેડબ્રહ્માથી સતત ત્રણવાર ધારાસભ્ય રહ્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે. તેઓના ભાજપામાં આવવાથી કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. એવું પણ મનાઈ રહ્યું છે કે તેઓ એ કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે વિપક્ષ નેતાનું પદ માંગ્યું હતું તે ન મળતા તેઓ ઘણા સમયથી નારાજ ચાલતા હતા.

    ભાજપામાં જોડાવા પહેલા તેમણે આપેલા ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. કોંગ્રેસ બાબતે તેમણે કહ્યું હતું કે “પાર્ટીમાં હવે કોણ જીતી શકે તેને નહીં પરંતુ કોણ નેતાને વહાલું છે તેને ટિકિટ અને હોદ્દાઓ અપાય છે.” સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે “નરેન્દ્ર ભાઈ હમેશા આદિવાસીઓની ચિંતા કરે છે, તેમણે મુખ્યમંત્રી હતા ત્યારે અને હાલમાં વડા પ્રધાન છે ત્યારે પણ સતત આદિવાસીઓના હિતની જ વાત કરી છે.” તેમની પ્રધાનમંત્રી સાથે ઍક બેઠક પણ થઈ ત્યાર બાદ તેમણે આ નિર્ણય લીધો છે.

    આ સિવાય તેમણે ગુજરાત ભાજપા અને સરકારો બાબતે પણ કહ્યું હતું કે ” કોઈ પણ મુખ્યમંત્રી હોય હું જેટલી પણ વાર તેઓ પાસે આદિવાસીઓની સમસ્યા લઈ ને ગયો છું તેટલી વાર મને પૂરતો સહયોગ મળ્યો છે.” વધુમાં પોતાની વાતો ઉમેરતા કહ્યું હતું કે “મે આખી જિંદગી આદિવાસીની ચિંતા જ કરી છે અગાઉ મારાથી જેટલું પણ થયું છે તેટલું કર્યું છે અને ભાજપામાં જોડાઇને પણ આદિવાસીઓ માટેના વધુને વધુ કામો કરીશ.”

    ભાજપાનો ખેસ પહેર્યા બાદ તેમણે કહ્યું હતું કે “હું ભલે ત્રણ વખતથી કોંગ્રેસ માથી ધારાસભ્ય છું પરંતુ મારા મનમાં તો મોદીજી જ હતા, મોદીજી જ્યારે રાજકારણમાં નહોતા ત્યારે દરેક આદિવાસી વિસ્તારમાં ઘરે ઘરે ફર્યા છે. ગુજરાતના આદિવાસીઓ માટે સૌથી વધુ કામ મોદીજી એ કર્યું છે. હું તેમના આ કાર્યમાં સહયોગી બનીશ.”

    તેમણે કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રી પર પ્રહારો કરતાં કહ્યું હતું કે “તેઓ હવે એક એનજીઓના માલિક જેવા છે તેમનું કોઈ જ રાજકીય વજૂદ નથી.એનજીઓ મારફતે તેઓ આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે.” એક સમયે કોંગ્રેસ આદિવાસી સમાજમાં સંપૂર્ણ પ્રભાવ ધરાવતો હતો પરંતુ છેલ્લા 10 વર્ષમાં ભાજપાએ પણ આદિવાસી સમાજમાં પોતાની પકડ બનાવી છે.

    નેપાળમાં રાહુલ ગાંધીના નાઈટક્લબમાં પાર્ટીના 2 વિડીયો થયા વાઈરલ: ‘ચાઈનીઝ ગર્લ’ વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા

    રાહુલ ગાંધીના એક નહીં પણ બે વિડીયો વાયરલ થઈ રહ્યા છે. નેપાળના કાઠમંડુમાં રહેતા ભૂપેન કુંવરે 2-3 મે 2022ની રાત્રે રાહુલ ગાંધીના બે વિડીયો ફેસબુક પર પોસ્ટ કર્યા હતા. એક વિડીયોમાં રાહુલ ગાંધી દારૂની બોટલો સામે બેસીને ફોન તરફ જોતા જોવા મળે છે. બીજા વિડિયોમાં તે એક યુવતી સાથે ઉભા છે અને તેની સાથે ગુપચૂપ વાત પણ કરી રહ્યા હોય એમ નજરે પડે છે.

    ભૂપેન કુંવરના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધીના બે વિડીયો કાઠમંડુના LOD નામના પબના છે જેનો અર્થ થાય છે લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ. પોતાના ફેસબુક પેજ પર તેમણે લખ્યું છે – The biggest and the best Night club in Nepal – જેનો અર્થ નેપાળની સૌથી મોટી અને શ્રેષ્ઠ નાઈટ ક્લબ છે.

    સોશિયલ મીડિયા પર આ બંને વિડીયોને લઈને ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે. કેટલાક રાહુલ ગાંધીની જૂની તસવીર લઈને તેમની બાજુમાં બેઠેલી યુવતીની તુલના કાઠમંડુની લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ પબવાળી યુવતી સાથે કરી રહ્યા છે.

    કેટલાક નેટીઝન્સ એક ડગલું આગળ જઈને રાહુલ ગાંધી નેપાળમાં ચીનના રાજદૂત હોઉ યાન્કી સાથે પાર્ટી કરી રહ્યા હોય એની સંભાવના પર લખી રહ્યા છે.

    રિપબ્લિક ટીવી સાથે વાત કરતા ભાજપના નેતા તજિન્દર બગ્ગાએ ટિપ્પણી કરી, “સૌપ્રથમ, હું કોંગ્રેસની પ્રામાણિકતા માટે તાળીઓ પાડવા માંગુ છું. હું તેમને સલામ કરું છું. જ્યારે રાહુલ ગાંધી રાત્રે 10 વાગ્યે પાર્ટી કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીનું હેન્ડલ ટ્વિટ કરી રહ્યું હતું કે દેશમાં સંકટ છે અને સાહબને વિદેશમાં રહેવું ગમે છે.મને નથી લાગતું કે દેશના ઈતિહાસમાં કોઈ પણ પક્ષ આટલો ઈમાનદાર નથી જેનો નેતા વિદેશમાં પાર્ટી કરતો હોય અને તે પોતાના જ નેતા પર ટીપ્પણી કરતો હોય કે દેશમાં કટોકટી છે અને સાહબને વિદેશમાં રહેવું ગમે છે.તેથી હું ઈચ્છું છું. રાહુલ ગાંધી વિરુદ્ધ ટ્વિટ કરવાની હિંમત દાખવવા બદલ કોંગ્રેસને અભિનંદન. જ્યારે સંકટ હોય ત્યારે રાહુલ ગાંધી વિદેશ જાય છે અને પાર્ટીઓ કરે છે.”

    આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી પર હમેશા પોતાની પાર્ટીને તકલીફમાં અધવચ્ચે છોડીને વિદેશ જતાં રહેવાના આરોપ લગાવવામાં આવે છે.

    નોંધનીય છે કે 1 મે, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોતાનો ગુજરાત પ્રવાસ રાહુલ ગાંધીએ છેલ્લી ઘડીએ રદ્દ કર્યો હતો જ્યારે હાલ વાઇરલ થયેલ વિડીયો મુજબ તેઓ કાઠમંડુમાં પાર્ટી કરી રહેલ દેખાય છે.

    અમદાવાદના વાસણામાં પરશુરામચોકમાં મહાઆરતી પહેલા હુમલો, ચાર તોફાનીઓએ પરશુરામ ભગવાનની તકતી, છબી તથા બેનરોને લાકડીઓ વડે તોડ્યા

    અમદાવાદના વાસણામાં પરશુરામ ચોક ખાતે આજે એટલે કે 3 મે 2022ના દિવસે પરશુરામજી જન્મોત્સવ નિમિત્તે પરશુરામ ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એની પહેલા જ વહેલી સવારે 3 થી 3:30 ના અરસામાં અમુક અસામાજિક તત્વો દ્વારા બાઇક પર આવીને ચોક ખાતે આવેલ મ્યુનિસિપાલિટીની પરશુરામ ચોક લખેલી તક્તી તોડી પડાઈ હતી. આ તત્વોએ તક્તી પર લગાવેલ ભગવાન પરશુરામની છબીને લાકડીઓના ઘા મારીને તોડીને કાઢી નાખી હતી તથા આજુ બાજુ લાગેલ 4 જેટલા બેનરોને પણ લાકડીઓ વડે ફાડી કઢાયા હતા. આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે આયોજકોએ અજ્ઞાત તોફાનીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સવારે 9 વાગ્યા આસપાસ પોલીસ દ્વારા એ ચારેય તોફાનીઓની ઓળખ કરીને એમની અટક કરાઇ હતી.

    ઑપઇન્ડિયાએ આ ઘટના અંતર્ગત આ મહાઆરતીના આયોજક અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ શહેરના પ્રમુખ હિતેશ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો. ત્રિવેદીએ આ ઘટનાની દરેક સૂક્ષ્મ જાણકારી ઑપઇન્ડિયા સાથેની આ ખાસ વાતચીતમાં આપી હતી. આ સમગ્ર ઘટના પર હિતેશ ત્રિવેદીએ જ પોલીસ ફરિયાદ કરી હતી એ પણ તેમણે જણાવ્યુ.

    આયોજક દ્વારા પોલીસને અપાયેલ અરજી જેના આધારે FIR નોંધાઈ (ફોટો : ઑપઇન્ડિયા ગુજરાતી)

    ત્રિવેદીએ જણાવ્યુ “આજરોજ તા.૦૩/૦૫/૨૦૨૨ ના રોજ ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવ નિમીત્તે વાસણા જીવરાજપાર્ક અંબાજી મંદિર પાસે પરશુરામ ચોક ખાતે મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો જેથી અમે તથા અમારા વિભાગના કાર્યકરો તૈયારી કરતા હતા અને આજુબાજુ ભગવાન પરશુરામજીના પોસ્ટરો તથા બેનરો લગાવતા હતા. આશરે કલાક-૦૨:૩૦ વાગ્યે અમો બધા અમારૂ કામ પતાવી પોત પોતાના ઘરે ગયા હતા.”

    આગળ એમણે જણાવ્યુ “આશરે સાડા ત્રણેક વાગ્યે મારા મોબાઇલ ફોન ઉપર અમારા બ્રહ્મસમાજના યુવા મહામંત્રી રક્ષીતભાઇ શુક્લનો ફોન આવેલ અને મને જણાવેલ કે તમો તાત્કાલીક પરશુરામ ચોક ખાતે આવી જાઓ ત્યાં તોડફોડ થયેલી છે. તેમ જણાવતા હું તરતજ પરશુરામ ચોક ખાતે આવેલ અને ત્યાં આવીને જોતા પરશુરામ ચોક ખાતે રોડ ઉપર આવેલ ડીવાઇડરના વચ્ચેના ભાગે લગાવેલ ભગવાન શ્રી પરશુરામ ચોક લખેલી લોખંડની તખ્તી તુટીને નીચે રોડ ઉપર પડેલી હતી અને તખ્તી ની ઉપર લોખંડની ફ્રેમમાં આગળ પાછળ લગાવેલ ભગવાનશ્રી પરશુરામજી પુંઠાના ના બે ફોટા તુટેલી હાલતમાં નીચે પડેલી હતા અને આજુબાજુમાં ભગવાન શ્રી પરશુરામજીના લગાવેલ બેનરો ફાટેલા પડ્યા હતા.”

    અસમાજીક તત્વો દ્વારા તોડી પડાયેલ તક્તી (ફોટો : ઑપઇન્ડિયા ગુજરાતી)

    ત્રિવેદીએ આગળ જણાવતા કહ્યું “હું પહોચ્યો ત્યાં સુધી ત્યાં આજુબાજુ માણસો ભેગા થઇ ગયેલા હતા. જેમાંથી પોલીસ કંટ્રોલમાં ફોન કરનાર ધ્રુવ અશોકભાઇ ગઢીયાએ મને જણાવેલ કે આશરે સવા ત્રણેક વાગ્યે તે પોતાનું એક્ટીવા લઇને મલાવ તળાવથી જીવરાજ ચા૨ રસ્તા તરફ જતાં હતા તે વખતે પરશુરામ ચોક ખાતે પહોંચતા ચાર માણસો તેમના હાથમાં લાકડીઓ લઇ ભગવાન શ્રી પરશુરામની લોખંડની તખ્તી ઉપર ફ્રેમમાં રાખેલ પરશુરામ ભગવાનના ફોટા ઉપર લાકડી મારી ફોટા તોડી લોખંડની તક્તીની ફ્રેમ ડીવાઇડર ઉપરથી તોડી નીચે પાડી દીધી હતી. તેઓ ત્યાં ઉભા રહેતા તોફાનીઓએ એમને કહ્યું કે અંહીયા કેમ ઉભો ૨હ્યો જેથી એ ડરી ગયા અને ત્યાંથી જતો રહ્યા અને બાદમાં તેમણે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. ગઢીયાએ એમ પણ જણાવ્યુ હતું કે એ આ તોફાનીઓને જોઈને ઓળખી શકશે.”

    આ તમામ માહિતી સાથે ત્રિવેદીએ પોલીસ સ્ટેશનમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોચવા બાબત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લઈને તુરંત તપાસ આદરી હતી. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં તોફાનીઓ દ્વારા થયેલ આ હુમલો કેદ થયો હતો. પોલીસ દ્વારા સવારે 9 વાગ્યા સુધીમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાથી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે.

    હિતેશ ત્રિવેદીએ ઑપઇન્ડિયાને જણાવ્યુ કે, સમગ્ર બ્રહ્મસમાજ તરફથી એમની માંગણી છે કે જન્મોત્સવ બાદ આ આરોપીઓને પરશુરામ ચોક ખાતે લાવવામાં આવે અને ત્યાં એમની પાસે જાહેર માફી મંગાવાય જ્યાં પરશુરામજી જન્મોત્સવ મહાઆરતીનું આયોજન કરાયું હતું.

    અમદાવાદના વાસણા ખાતે આવેલા પરશુરામ મંદિરમાં તોડફોડ કરનારા તોફાનીઓને વાસણા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા

    આ પહેલા પણ ગુજરાત સહિત દેશભરમાં હિન્દુ ધાર્મિક તહેવારોના દિવસે આ રીતના હુમલા થતાં જ આવ્યા છે. નજીકના જ ભૂતકાલમાં ગુજરાતનાં હિંમતનગર, ખંભાત તથા માણસામાં આ રીતના હુમલા થઈ ચૂક્યા છે.

    બર્લિનમાં બાળકએ ગાયું ‘ભારત હમ તેરી વંદના કરેંગે’, તેની સાથે PM ઝૂમી ઉઠ્યા: જર્મનીમાં ભારતીયો સાથે મુલાકાત, નાની બાળકીએ ભેટ આપી તસવીર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (2 મે 2022) ત્રણ દિવસના વિદેશ પ્રવાસના ભાગરૂપે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. ભારતીય લોકોએ બર્લિનમાં PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વડા પ્રધાન બર્લિન પછી હોટેલ એડલોન કેમ્પિન્સકી તરફ આગળ વધ્યા, જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો તેમની એક ઝલક જોવા માટે ઉત્સાહિત હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જર્મનીના બર્લિનનો છે. વાયરલ વીડિયોમાં ભારતીય મૂળનો એક બાળક દેશભક્તિ ગીત ‘ભારત હમ તેરી આરાધના કરેંગે, તેરી અર્ચના કરેંગે, ભારત હમ તેરી વંદના કરેંગે’ ગાતો જોવા મળે છે અને PM મોદી પણ ગીત ગાતા જણાય છે.

    તે જ સમયે PM મોદી પણ બાળક સાથે ગીત ગાઈ રહ્યા હતા. આ ગીત માટે તે બાળકના વખાણ પણ કરે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીના વખાણ કરતા એક યુઝરે લખ્યું, “મોદીજી ન્યુ ઈન્ડિયાના નવા લલિતાદિત્ય મુક્તપીડા છે. મને ખાતરી છે કે તેઓ ટૂંક સમયમાં અખંડ ભારત બનાવશે, કારણ કે ભારતમાં થોડા મુલ્લાઓ સિવાય દરેક દેશ મોદીજીને તેમના વડા પ્રધાન બનાવવા માંગે છે, ચિંતા કરશો નહીં કે તેઓ ટૂંક સમયમાં હિન્દુ રાષ્ટ્ર પણ બનાવશે.

    અન્ય એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે, અમારા વડાપ્રધાનને બાળકો અને સંગીત પ્રત્યે ઘણો પ્રેમ છે.

    બર્લિનમાં PM મોદીનું સ્વાગત કરવા પહોંચેલી છોકરી અનન્યા મિશ્રાએ કહ્યું, “મોદીજીને મળીને ખૂબ આનંદ થયો. મેં તેમને કહ્યું કે મને ગર્વ છે કે તમે આપણા દેશના વડાપ્રધાન છો. મેં તેમને મારું પેઇન્ટિંગ બતાવ્યું, તેમણે તેના પર તેની સહી પણ કરી દીધી.”

    આ નાની બાળકીએ PMને પોતાની તસવીર પણ રજૂ કરી છે. આ અંગે પીએમ મોદી એ નાની છોકરીને પૂછે છે કે તેં મારો ફોટો કેમ બનાવ્યો, જેના જવાબમાં છોકરી કહે છે કે તમે મારા ફેવરિટ આઈકન છો. આ પછી પીએમ પૂછે છે કે આ તસવીર કેટલો સમય લાગી તો છોકરી કહે છે એક કલાકમાં.

    જણાવી દઈએ કે પીએમ મોદી ત્રણ દિવસીય યુરોપીયન પ્રવાસના ભાગરૂપે આજે જર્મની પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદી પ્રત્યે ભારતીય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા ભારતીયોએ પીએમ મોદીના પગ સ્પર્શ કરીને, હાથ જોડીને તેમના આશીર્વાદ લીધા હતા.

    બંગાળમાં મુસ્લિમોનો પોલિટીકલ વીટો, કોણ શાસન કરશે, કેવી રીતે કરશે એ તેઓ જ નક્કી કરે છે : સ્વપન દાસગુપ્તા

    પશ્ચિમ બંગાળ. વર્ષ 2021, તારીખ 2 મે. કેટલાક લોકો સત્તાની ખુરશી જીતી રહ્યા હતા, તો બીજી તરફ કેટલાક જિંદગી સામેનો જંગ હારી રહ્યા હતા. ક્યાંક લીલો ગુલાલ ઉડી રહ્યો હતો તો ક્યાંક અનેકનું લોહી વહી રહ્યું હતું. કેટલાક માનનીય જીતી રહ્યા હતા તો કેટલાયની ઈજ્જત-આબરૂ લૂંટાઈ રહી હતી.

    2 મે 2021. આ દિવસ અનેક લોકો માટે જાણે થોભી ગયો છે. અને આ ‘અનેક લોકો’ પશ્ચિમ બંગાળ નામના રાજ્યના છે. આ રાજ્ય વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં જ સ્થિત છે. આ એ રાજ્ય છે, જેના લોકોએ જીવ બચાવીને બીજા રાજ્યમાં ભાગવું પડ્યું હતું. એ દિવસે જ્યારે લોકતંત્રના સત્તાધારીઓ જીતી રહ્યા હતા ત્યારે બીજી તરફ સ્વયં લોકતંત્ર હારી રહ્યું હતું. લોકતંત્રના સાચા સિપાઈઓને કચડી નાંખવામાં આવી રહ્યા હતા.

    કટોકટી વખતે નાગરિકોની, નેતાઓની અને સત્તા-તંત્રની શું સ્થિતિ હતી? ચાળીસ વર્ષથી ઓછી ઉંમરના લોકો તેની કથા કે વાતો માત્ર વાંચી કે સાંભળી શકે છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં બીજી મેના દિવસે જે થયું એ 21મી સદીના ભારતની કટોકટી જ હતી. મમતા બેનર્જીની સરકાર ભલે તેને લઈને લાખ સ્પષ્ટતાઓ કરે, પરંતુ તે દિવસે થયેલ દરેક દમન, હત્યા, બળજબરી, લૂંટ.. બધું જ આંખ સામે છે. મમતા બેનર્જીને આ બધું સરળતાથી ભૂલવા દેવામાં નહીં આવે.

    રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસગુપ્તા સાથે આ જ મુદ્દાને લઈને બંગાળની રાજનીતિ, સમાજ વગેરે વિષયો પર ઑપઇન્ડિયાની લાંબી વાતચીત થઇ હતી.

    પ્રશ્ન: ટ્વીટર અને ફેસબુક પર ભાજપના જ સમર્થકો આરોપ લગાવે છે કે બીજેપીએ બંગાળના કાર્યકર્તાઓ માટે કંઈ નહતું કર્યું કે જેટલું કરવું જોઈતું હતું એટલું ન કર્યું. આ મુદ્દે આપની પ્રતિક્રિયા.

    જવાબ: આ સત્ય છે. આ હિંસા અનપેક્ષિત હતી. કોઈને અનુમાન ન હતું. ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે, પરંતુ ગણતરીના સ્થળેથી જ જે રીતે હિંસા શરૂ થઇ, એવું ક્યારેય જોવા મળ્યું ન હતું. આજ સુધી ભારતમાં ક્યાંય આવું જોવા મળ્યું ન હતું. આ સ્તરની હિંસા માટે ભાજપના કાર્યકર્તા કે સંગઠન તૈયાર ન હતાં. આ આરોપ બિલકુલ સાચો છે.

    અમારા કાર્યકર્તાઓ ઉપર હુમલાઓ થયા છે. લગભગ પચાસ હજાર કાર્યકરોએ ઘરો છોડવા પડ્યાં. લગભગ 20 લોકોની હત્યા કરી નાંખવામાં આવી. તેમ છતાં અમારું સંગઠન પોતાના કાર્યકર્તાઓની થોડીઘણી પણ મદદ ન કરી શક્યું. ઘણા પ્રયત્નો પછી પણ હજુ સુધી ઘણી જગ્યાએ પાંચ-દસ હજાર રૂપિયા પણ અમે કાર્યકર્તાઓ સુધી નથી પહોંચાડી શક્યા. રાજનીતિક રીતે અમે આ બાબતે નિષ્ફળ રહ્યા છીએ- એ બાબત હું સ્વીકારું છું.

    પ્રશ્ન: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ હિંસા- આનો રાજનીતિક અર્થ કે સંદેશ આપ શું સમજો છો?

    જવાબ: 2 મે 2021ની બપોર પછી જે હિંસા શરૂ થઇ તેનો એક જ હેતુ હતો- ભાજપનું જે સંગઠન છે, તેને તોડી નાંખવામાં આવે. 38 ટકા મતો ભાજપને મળ્યા. બહુમતી હિંદુઓના મતો ભાજપના પક્ષમાં રહ્યા. તેનો અર્થ એ કે એક નિર્ણાયક મતનું સમર્થન અમારી સાથે હતું. જેથી તેમનો ઉદ્દેશ્ય એ હતો કે હિંસાથી એવો માહોલ પેદા કરવામાં આવે જેનાથી ભવિષ્યમાં ભાજપના સમર્થકોને ખતમ કરી નાંખવામાં આવે, સંગઠનનું મૂળ તોડી નાંખવામાં આવે. ડર એવો હોય કે ભાજપનો સમર્થક ઘરમાંથી નીકળે જ નહીં, અને એવું થયું પણ.

    પશ્ચિમ બંગાળમાં 2021 વિધાનસભા ચૂંટણી બાદ થયેલ પેટાચૂંટણી અને નગરપાલિકા ચૂંટણીમાં આ ડર દેખાય આવે છે. આ ચૂંટણીમાં અનેક સ્થળોએ ભાજપના લોકો ઉમેદવારી પણ કરવા નહતા ગયા. જે તમે એક ઉદાહરણ દ્વારા સમજી શકો છો. બોલપુર શાંતિનિકેતનની બાજુમાં આવેલ એક નાનું શહેર છે. વિધાનસભા ચૂંટણીમાં અહીંના નગરપાલિકાવાળા વિસ્તારમાં ભાજપને બહુમત મળ્યો હતો. હવે આ વખતે નગરપાલિકા ચૂંટણી થઇ તો અમારા કોઈ ઉમેદવારે નામાંકન સુદ્ધા ન કર્યું.

    આ બધાં નાનાં-નાનાં ઉદાહરણો છે. પરંતુ સત્ય એ છે કે ઘણી જગ્યાએ જ્યાં ભાજપને જીત મળી હતી ત્યાં હવે બૂથનું સંચાલન કરવાની પણ સ્થિતિ નથી. ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ તૂટી રહ્યું છે. ઘણા એવું પણ કહે છે કે કેન્દ્ર સરકાર શું કરી રહી છે? અમારી તો કેન્દ્રમાં પણ સરકાર છે. પરંતુ કાયદો-વ્યવસ્થા રાજ્યનો વિષય છે. તેમાં કેન્દ્ર સરકાર ઇચ્છીને પણ કશું કરી શકતી નથી. જો હાઈકોર્ટે નોંધ ન લીધી હોત તો કંઈ થયું ન હોત, કોઈ પગલાં ન લેવાયાં હોત.

    પશ્ચિમ બંગાળમાં સંગઠનની રીતે ભાજપ પર મોટી અસર થઇ છે. પરંતુ સત્ય એ પણ છે કે આજે હિંસાનો જે માહોલ બનાવવામાં આવ્યો છે, તેની પ્રતિક્રિયા નક્કી છે. ભાજપે હમણાંથી ધીમે-ધીમે સંગઠન સ્તરે કામ કરવું પડશે. ભાજપ માટે સૌથી મોટું કામ કાર્યકર્તાઓનું મનોબળ વધારવાનું હશે. હમણાં તેમનું મનોબળ તૂટ્યું છે. આ કાર્યકર્તાઓને એક સક્ષમ નેતા અને રાજનીતિક ઈચ્છાશક્તિની જરૂર છે.

    પ્રશ્ન: દેશની રાજધાની અને વ્યાપારવાળા બંગાળ, સાહિત્ય અને ક્રાંતિવાળા બંગાળથી લઈને હમણાં સુધીનું બંગાળ- આ બહુઆયામી પતનને કેટલું રાજનીતિક અને કેટલું સામાજિક માનો છો?

    જવાબ: આ પતન રાજનીતિક પણ છે અને સામાજિક પણ. આ પતનની શરૂઆત 60 ના દાયકાથી થાય છે. નક્સલ આંદોલન, સીપીએમવાળી રાજનીતિ…50-60 વર્ષોમાં જે-જે થયું એ જ હવે ફરીથી જોવા મળી રહ્યું છે. તેની અસરો સ્પષ્ટ દેખાઈ રહી છે. બંગાળમાં થઇ રહેલું આર્થિક પલાયન સ્પષ્ટ છે. બંગાળ પહેલાં ઉદ્યોગ-વ્યવસાયનું નેતૃત્વ કરતું હતું, ત્યારે કોલકત્તા મુંબઈ સમાન ગણાતું હતું. હવે ક્યાંથી ક્યાં પહોંચી ગયું. દુર્ગા પૂજા, રજાઓ, તહેવારો…બંગાળના દરેક શહેરને તમે ‘સિટી ઓફ ફેસ્ટિવલ’ કહી શકો છો પરંતુ અહીંના કોઈ પણ શહેરને ‘સીટી ઓફ પ્રોડક્શન’ નહીં કહી શકાય.

    બંગાળમાં ઉદ્યોગના ઘટાડાની અસર ત્યાંની સંસ્કૃતિ પર પડશે, આના કારણે લોકોની સર્જનાત્મક ક્ષમતાને અસર થશે. એવું નથી કે બંગાળમાં રહેતા લોકોની સર્જનાત્મક ક્ષમતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. પરંતુ એ પણ સાચું છે કે આવા વાતાવરણમાં લોકો તેમની ક્ષમતાનો પચાસ ટકા પણ ઉપયોગ કરી શકતા નથી. રાજ્યમાં શાંતિનું વાતાવરણ હોય ત્યારે જ કળા અને સંસ્કૃતિનો વિકાસ અને વિસ્તરણ શક્ય છે, અને બંગાળમાં વહીવટની આ બધી સારી બાબતોનો અભાવ છે.

    60ના દાયકાથી પશ્ચિમ બંગાળમાં રાજકીય સ્તરે જે શરૂઆત થઈ હતી, હવે તેની સંપૂર્ણ અસર અહીંના સામાજિક જીવન પર પડી છે. દુ:ખની વાત એ છે કે જો આ પ્રકારનું રાજકારણ હજુ થોડા દિવસ ચાલતું રહેશે તો સમાજનું બાકી રહેલું માળખું પણ નાશ પામશે.

    પ્રશ્ન: બંગાળમાં વસ્તીવિષયક પરિવર્તનના કારણે હિંદુ-મુસ્લિમ સમીકરણ કે કેટલાક વિસ્તારોમાં હિંદુઓ પ્રત્યેની નફરતને તમે કઈ રીતે જુઓ છો?

    જવાબ: આ બાબત નકારી શકાય નહીં. બંગાળમાં આવું થઈ રહ્યું છે. ત્યાંની કુલ વસ્તીના 30% મુસ્લિમો છે (કેટલાક 23% કહે છે, કેટલાક 25%…પરંતુ મતદાનના આંકડા પ્રમાણે 30%) બાંગ્લાદેશને અડીને આવેલા સરહદી જિલ્લાઓ- નાદિયાનો મોટો ભાગ, દિનાજપુર, મુર્શિદાબાદ, માલદા, દક્ષિણ 24 પરગણાનો મોટો ભાગ, વગેરે સંપૂર્ણપણે મુસ્લિમ બહુલ બની ગયા છે.

    તેની પાછળ 2 કારણો છે: પહેલું કારણ- CPMની રાજનીતિને કારણે 1990 અને 2000 ના દાયકામાં બાંગ્લાદેશમાંથી નોંધપાત્ર સંખ્યામાં થયેલી ગેરકાયદેસર ઘૂસણખોરી. બીજું કારણ- સારા કામ, સારી સુવિધાઓ જેવી બાબતોની શોધમાં ઘણા બંગાળીઓએ પશ્ચિમ બંગાળ છોડીને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કર્યું છે. આજે બેંગ્લોરમાં 12 લાખ બંગાળીઓ છે. દિલ્હી પણ બંગાળીઓથી ભરેલું છે. આ એક નાનું ઉદાહરણ છે. આનું કારણ શું છે? શું કારણ છે કે મોટાભાગના બંગાળી હિંદુઓએ જ પશ્ચિમ બંગાળમાંથી પલાયન કર્યું છે?

    આ બે કારણો સિવાય ત્રીજી સમસ્યા પણ છે – રોહિંગ્યા. મોટી સંખ્યામાં રોહિંગ્યા ઘૂસણખોરો પણ અહીં આવીને વસવાટ કરી રહ્યા છે. આ બાબતોને કારણે પશ્ચિમ બંગાળની ડેમોગ્રાફી ઘણી બદલાઈ ચૂકી છે, બગડી ચૂકી છે.

    પશ્ચિમ બંગાળની રચના શા માટે થઈ? પ્રથમ સંયુક્ત બંગાળ હતું. તો પછી વિભાજન કેમ થયું? એ વિચારો. જે પૂર્વ બંગાળ હતું, ત્યાં હિન્દુઓની વસ્તી 30% હતી, આજે આપણે ત્યાં 10% પણ નથી. તો આ 20% હિંદુ વસ્તી ક્યાં ગઈ? તેમાંથી મોટાભાગના પશ્ચિમ બંગાળ આવ્યા હતા. કેમ આવ્યા હતા? કારણ કે એ લોકોને લાગ્યું કે આ તેમની માતૃભૂમિ છે. બંગાળી હિંદુઓને રહેવા માટે જમીન મળવી જોઈએ, આ જ કારણ હતું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ બંગાળના વિભાજનની માંગ કરી હતી. આ વિચારના આધારે જ પશ્ચિમ બંગાળ તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ અફસોસ, ‘પશ્ચિમ બંગાળ, બંગાળી હિન્દુઓનું ઘર’નો આ મૂળ વિચાર આજે નાશ પામી રહ્યો છે. આ માત્ર વસ્તી વિષયક પરિવર્તનને કારણે થઈ રહ્યું છે. વસ્તીવિષયક પરિવર્તન કેટલી મોટી સમસ્યા છે, તે આસામમાંથી પણ સમજી શકાય છે. 80-90ના દાયકામાં આ બાબતને લઈને મોટું આંદોલન પણ થયું હતું.

    જો આપણે પશ્ચિમ બંગાળમાં વસ્તીવિષયક પરિવર્તનના રાજકીય પાસાંને જોઈએ તો આજે મુસ્લિમ સમુદાયનો રાજકીય વીટો છે. આનો અર્થ એ થયો કે મુસ્લિમ સમુદાય નક્કી કરે છે કે કોણ શાસન કરશે, અને કેવી રીતે કરશે. આનો અર્થ એ પણ છે કે સત્તા પર નામ મમતા બેનર્જીનું હોઇ શકે છે, 10 વધુ બંગાળી હિન્દુ નેતાઓ-મંત્રીઓ હોય શકે છે, પરંતુ જે તેમની પાછળ જેનો વીટો હશે એ મુસ્લિમ સમુદાયનો રહેશે. આને એક નાનકડા ઉદાહરણથી એવી રીતે સમજો કે કોલકાતામાં તમે મુસ્લિમ છોકરાઓને હેલ્મેટ વિના બાઇક ચલાવતા જોઈ શકો છો, પોલીસ હાથ બાંધીને ઉભી થઇ રહે છે. આ રાજકારણે પશ્ચિમ બંગાળમાં પણ આવું જ વાતાવરણ ઊભું કર્યું છે.

    પ્રશ્ન: તમે પોતે મીડિયા સાથે જોડાયેલા રહ્યા છો. આવી સ્થિતિમાં બળાત્કાર-હત્યા જેવી ઘટનાઓ ઓછી તીવ્રતા સાથે બતાવનારા કે એકદમ છુપાવનારા મીડિયા સંસ્થાનોને લઈને સરકારની પહેલ શું હોવી જોઈએ?  બંગાળ હિંસા દરમિયાન કેટલાક મીડિયા સંસ્થાનોએ જે રીતે કવરેજ કર્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પર કોલકત્તા હાઈકોર્ટના એડિશનલ સોલિસિટર જનરલે તો મીડિયા હાઉસને માફી માંગવા પણ કહ્યું હતું.

    જવાબ: બંગાળમાં આજે મીડિયા મુક્ત નથી. ત્યાંના મીડિયા પર કોઈ બંદૂક તાંકીને ઉભું રહેતું નથી. આ લોકો બંદૂકના ડરથી સત્ય કે સમાચાર છુપાવતા નથી, પરંતુ પૈસાના કારણે છુપાવે છે. સરકાર પૈસા આપે છે, સરકારના કહેવા મુજબ સમાચારોનું રિપોર્ટીંગ થાય છે. પરંતુ તેના પરિણામો દૂરગામી હોય છે. ધારો કે ભવિષ્યમાં કોઈ ઈતિહાસકાર બંગાળની હિંસા વિશે માહિતી એકઠી કરી રહ્યો હશે તો તેને શું મળશે? જ્યારે તે વર્તમાન સમાચારો અને અખબારો પર નજર ફેરવશે ત્યારે તે ‘કંઈ થયું નથી અને ઘટના નાની છે’ એમ વિચારીને બેસી જશે.

    આજે બંગાળના મીડિયામાં તમે જોશો કે મમતા બેનર્જીને લઈને એક હરીફાઈ ચાલી રહી છે, કે કોણ કેટલી વખત તેમની તસવીર પહેલા પાને છાપશે. એનાથી પણ મોટું ઉદાહરણ જુઓ. ઈન્ડિયા ગેટની સામે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંગાળીઓની ભાવના માટે આ બહુ મોટી વાત છે. પરંતુ પશ્ચિમ બંગાળના સૌથી મોટા અંગ્રેજી અખબારના પહેલા પાનાની વાત છોડો, અંદરના 10મા પાનાં પર પણ આ સમાચારને સ્થાન મળ્યું નહતું. કારણ કે આ મોદી સરકારનો નિર્ણય હતો. આ ત્યાંના મીડિયાની માનસિક સ્થિતિ છે. આ ફ્રી પ્રેસ નથી. તે મીડિયા પણ નથી. તેઓ માત્ર ટાઈપિસ્ટ છે.

    પ્રશ્ન: આ પ્રશ્ન મીડિયા, સત્ય, ઇતિહાસ, લેખન વગેરે સાથે સંબંધિત છે. જ્યારે વિક્રમ સંપથ પર લિબરલ લોબી તૂટી પડી ત્યારે તમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક લેખ લખ્યો હતો. બંગાળ હિંસાનો જ્યારે ઈતિહાસ લખવામાં આવશે ત્યાં સુધીમાં શું ઈતિહાસકારોની રાષ્ટ્રવાદી ફૌજ તૈયાર હશે કે એકલ-દોકલ હોવાના કારણે ત્યારે પણ આ લોકો વોક લોકોના હુમલાઓ સહન કરતા રહેશે?

    જવાબ: જો આપણે રાજકીય લેન્સથી જોઈએ તો આજે રાષ્ટ્રવાદી શક્તિ ઘણી આગળ વધી ગઈ છે. જોકે, એ સાચું છે કે રાષ્ટ્રવાદી વિચારસરણીથી પ્રેરિત બૌદ્ધિક ચેતના અથવા પ્રભાવનો હજુ પણ અભાવ છે. આ ચિંતાનો વિષય છે અને આપણે વિચારવું જોઈએ કે આવું કેમ થયું? આજે પણ કહેવાતી બૌદ્ધિક સંસ્થાઓ પર લિબરલ/લેફ્ટ/વોક વગેરેનું નિયંત્રણ છે. આવી સ્થિતિમાં આપણી ખામીઓને ઓળખવી, આપણા લોકોને તૈયાર કરવા આપણી ફરજ બની જાય છે.

    લિબરલોએ વિક્રમ સંપત પર શા માટે હુમલો કર્યો? આવું એટલા માટે થયું કારણ કે તેમણે રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણથી એવો ઇતિહાસ લખ્યો હતો જેને નકારી શકાય તેમ નથી. જ્યારે ઉદારવાદીઓ/ડાબેરીઓની વિચારસરણી એવી છે કે તે તો રાષ્ટ્રવાદી છે, જમણેરી છે… તે શું લખશે! પણ વિક્રમ સંપતે એવું લખ્યું કે તે પછી લિબરલ લોબીનો હુમલો પણ ખૂબ તેજ અને લાંબા સમય સુધી ચાલ્યો હતો. જો ખરાબ લખાયું હોત તો નિશ્ચિતપણે તેમણે વધુ ધ્યાન ન આપ્યું હોત અને મજાક પણ ઉડાવી હોત.

    રાષ્ટ્રવાદી વિચારસરણી અને તેની સાથે સંકળાયેલા લોકો અંગે લિબરલો/ડાબેરીઓની આ માનસિકતા છે. વિક્રમ સંપતે તેની માનસિકતાને ઠેસ પહોંચાડી. કેવી રીતે? તેણે શાનદાર રીતે લખ્યું, શુદ્ધ લખ્યું, અકાટ્ય રીતે લખ્યું. તેથી તેમની ઉપર આ કહેવાતા બૌદ્ધિકો (ઉદારવાદી/ડાબેરીઓ) દ્વારા હુમલો કરવામાં આવ્યો.

    આપણે આ પ્રકરણમાંથી શીખવું જોઈએ. જો આપણે ખરેખર લિબરલો/ડાબેરીઓના સૌથી મજબૂત ભાગ પર પ્રહાર કરવો હશે તો પહેલાં પોતાને બૌદ્ધિક સ્તરે મજબૂત બનાવવા પડશે, તથાકથિત બુદ્ધિજીવી સંસ્થાનો પર પોતાનું નિયંત્રણ લાવવું પડશે.

    પ્રશ્ન: તમે પશ્ચિમ બંગાળમાં હિંસાની રાજનીતિ અને તેના કારણે ઉદ્ભવતા વાતાવરણની પ્રતિક્રિયા વિશે વાત કરી. બંગાળના લોકો પરિવર્તન ઈચ્છે છે, આ વાત RSSના પ્રતિનિધિ પાસેથી પણ સાંભળવામાં મળી હતી. ભાજપના નેતા કે સાંસદ તરીકે આ પરિવર્તનનો રોડમેપ શું હશે, ભાજપ સત્તામાં કેવી રીતે આવશે?

    જવાબ: સૌપ્રથમ તો જાણી લો કે બંગાળમાં ભાજપ એક નવો પક્ષ છે. ભારતભરમાં ભાજપની યાત્રાને તમે જનસંઘ સુધી જોઈ શકો છો, પરંતુ બંગાળમાં તેને 3-4 વર્ષ જૂની પાર્ટી પણ કહી શકાય નહીં. ખરા અર્થમાં, એક પક્ષની જે અસર થવી જોઈએ, જે નેતૃત્વ જોવું જોઈએ, બંગાળમાં ભાજપ હજુ તે સ્તરે પહોંચ્યું નથી. અમારે બંગાળમાં નેતૃત્વ ઊભું કરવાનું છે.

    2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં જબરદસ્ત સમર્થન મળ્યું હતું. પરંતુ શહેરી વિસ્તારોમાં, જેને બંગાળીઓ ભદ્રલોક કહે છે, આ સમર્થનનો અભાવ હતો… બિલકુલ શૂન્ય. કોલકાતા અને આસપાસના વિસ્તારો, જેમ કે કોલકાતા, હાવડા વગેરે… ત્યાં 109 બેઠકો છે, જેને જૂનો પ્રેસિડેન્સી ડિવિઝન કહેવામાં આવતો હતો. અહીં ભાજપને માત્ર 1-2 બેઠકો મળી શકી. આનો અર્થ એ થયો કે તથાકથિત બુદ્ધિજીવી વર્ગ પર કે એવા લોકો જેઓ ઓપિનિયન મેકર છે, તેમની ઉપર આપણો પ્રભાવ નહીંવત છે. ટૂંકમાં, પ્રભાવશાળી બંગાળીઓને પોતાની તરફ ભાજપ કરી શક્યો નથી.

    પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે આ એક મોટો પ્રોજેક્ટ છે. સંગઠન સ્તરની વાત કરીએ તો, અમને OBC બંગાળી, SC-ST વગેરે જેવા વર્ગોનું ઘણું સમર્થન છે. પરંતુ શહેરી વિસ્તારોમાં નહીંવત સમર્થન છે. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો 30% વોટિંગ વીટોથી શરૂઆત કરે છે, આવી સ્થિતિમાં ભાજપે બધાને સાથે લઈને ચાલવું પડશે. તેથી બંગાળના શહેરી વિસ્તારો, પ્રભાવશાળી બંગાળી, તથાકથિત બુદ્ધિજીવી વર્ગોને પોતાની સાથે જોડવા માટેનો પ્રોજેક્ટ ભાજપ માટે સૌથી મહત્વનો છે.

    (ગુજરાતીમાં અનુવાદિત થયેલ આ ઇન્ટરવ્યૂ મૂળ હિંદીમાં ચંદન કુમાર દ્વારા લેવામાં આવ્યો છે. જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    સીએમ હેમંત સોરેન પર પોતાને ખનન લીઝ ફાળવવાનો આરોપ, ચૂંટણી પંચે નોટિસ મોકલીને પૂછ્યું- કેમ ન લેવા પગલાં?

    ચૂંટણી પંચે સોમવારે (2 મે 2022) ઝારખંડના સીએમ હેમંત સોરેનને નોટીસ મોકલી છે અને તેમનો જવાબ માંગ્યો છે. કમિશને તેમને ખુલાસો કરવા કહ્યું છે કે ખાણકામની લીઝ પોતાને આપવા બદલ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? જે આરપી એક્ટની કલમ 9Aનું ઉલ્લંઘન કરે છે. કલમ 9A સરકારી કરારો માટે કોઈપણ ગૃહમાંથી ગેરલાયક ઠરે છે.

    ચૂંટણી પંચ પહેલાથી જ તપાસ કરી રહ્યું છે કે શું મુખ્યમંત્રીએ તેમના કાર્યાલયનો લાભ માટે ઉપયોગ કર્યો છે. ભૂતકાળમાં, ચૂંટણી પંચે ઝારખંડના મુખ્ય સચિવ સુખદેવ સિંહને પત્ર લખીને ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ પર જવાબ માંગ્યો હતો. અરજદાર શિવશંકર વર્માએ મુખ્યમંત્રી સોરેન પર પોતાના પદનો દુરુપયોગ કરીને ખાણની ફાળવણી કરવાનો આરોપ લગાવ્યો હતો.

    હાઇકોર્ટની ટિપ્પણી

    શિવશંકર શર્મા નામના વ્યક્તિએ સોરેનના નામે માઈનિંગ લીઝ લેવા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડૉ. રવિ રંજન અને જસ્ટિસ સુજીત નારાયણ પ્રસાદની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે બંધારણીય પદ ધરાવતી વ્યક્તિએ પોતાની સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ.

    અરજીમાં કહેવામાં આવ્યું છે કે સોરેન રાજ્યના મુખ્યમંત્રી અને વન અને પર્યાવરણ વિભાગના વિભાગીય મંત્રી છે. તેમની પાસે ખાણ વિભાગ પણ છે. આવી સ્થિતિમાં, તેમણે પોતે પર્યાવરણીય મંજૂરી માટે અરજી કરી હતી અને મંજૂરી લીધા પછી પોતે જ ખાણકામની લીઝ મેળવી હતી. આમ કરવું એ પદનો દુરુપયોગ છે અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન છે.

    આખો વિષય આમ છે

    મુખ્યમંત્રી હેમંત સોરેનને નોટીસ તેમના પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ બદલ ફટકારવામાં આવી છે અને પોતાના નામે પથ્થરની ખાણ લીઝ પર લીધી છે. આ ખાણ રાંચી જિલ્લાના અનગડા મૌજા, પોલીસ સ્ટેશન નંબર-26, ખાટા નંબર-187, પ્લોટ નંબર-482 ખાતે આવેલી છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે સોરેન આ લીઝની મંજૂરી માટે 2008થી પ્રયાસો કરી રહ્યા હતા.

    મુખ્યમંત્રી બન્યા પછી, પત્ર નંબર 615/M, તારીખ 16-06-2021 દ્વારા, વિભાગ દ્વારા લીઝની મંજૂરી માટેનો હેતુ પત્ર (LOI) જારી કરવામાં આવ્યો છે. આ વિભાગ માત્ર મુખ્યમંત્રી પાસે છે. સ્ટેટ લેબલ એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (SEIAA) એ 14-18 સપ્ટેમ્બર 2021ના રોજ તેની 90મી મીટિંગમાં પણ પર્યાવરણીય મંજૂરીની ભલામણ કરી હતી.

    કોણ કોનો ત્યાગ કરશે?: હાર્દિકે ટ્વીટર પરથી ‘કોંગ્રેસ’ શબ્દ હટાવ્યો, પાર્ટીએ પોસ્ટરમાં જગ્યા ન આપી

    ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા થોડા સમયથી પાર્ટીથી નારાજ છે. જોકે, ઘણા સમયથી એક કે બીજી રીતે પાર્ટી અને સ્થાનિક નેતૃત્વ સાથે પોતે નારાજ હોવાના સંકેતો આપતા હોવા છતાં હજુ સુધી હાર્દિકે પાર્ટી છોડવા મામલે કોઈ તૈયારી બતાવી નથી. પરંતુ હવે હાર્દિક પટેલે પાર્ટી છોડવાનું અને કોંગ્રેસે તેમને વિદાય આપવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. આજે હાર્દિક પટેલે પોતાની ટ્વીટર પ્રોફાઈલ પરથી ગુજરાત કોંગ્રેસનો ઉલ્લેખ હટાવી દીધો છે. પહેલાં હાર્દિકની પ્રોફાઈલ ઉપર ‘ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ’ લખ્યું હતું, પરંતુ હવે હાર્દિકે તે હટાવી દીધું છે. જેના કારણે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી શકે છે તેવી અટકળોને વેગ મળ્યો છે. જોકે, હાર્દિક પટેલ દ્વારા ટ્વીટર મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

    બીજી તરફ, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા અને ફરજ પર હાજર મહિલા પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન કરવાના આરોપ બદલ જેલમાં ગયેલા વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ તેમના સ્વાગત માટે ગુજરાત કોંગ્રેસે એક સભાનું આયોજન કર્યું છે. જેની જાહેરાત પાર્ટીના ટ્વીટર અકાઉન્ટ પરથી કરવામાં આવી હતી.

    કોંગ્રેસે ટ્વીટર અકાઉન્ટ પર શેર કરેલા પોસ્ટરમાંથી હાર્દિક પટેલનો ફોટો ગાયબ થઇ ગયો હતો. પોસ્ટરમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાની તસવીરો જોવા મળી રહી છે પરંતુ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિક પટેલની તસવીર હટાવી દેવાતા હાલમાં ચાલી રહેલી અટકળોને બળ મળ્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગત 21 એપ્રિલના રોજ આસામ પોલીસે ધરપકડ કરી લીધી હતી. જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કહેવાતી વિવાદિત ટિપ્પણી કરતાં ટ્વીટ કર્યાં હતાં, જે બાદ તેમની વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાતા આસામ પોલીસે પાલનપુર ગેસ્ટ હાઉસમાંથી જીગ્નેશ મેવાણીને પકડી લીધા હતા.

    જોકે, આ કેસમાં જીગ્નેશને જામીન મળ્યા બાદ વધુ એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. બારપેટા પોલીસ મથકના એક મહિલા પોલીસે ફરિયાદમાં મેવાણી વિરુદ્ધ અભદ્ર વર્તનનો આરોપ લગાવ્યો હતો. જોકે, તે મામલે પણ જીગ્નેશ મેવાણીને જામીન મળી ગયા છે.

    વધુમાં, હાર્દિક પટેલ આ પહેલાં પણ ગુજરાત કોંગ્રેસ અને સ્થાનિક નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. અગાઉ તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, તેમની સ્થિતિ લગ્ન બાદ નસબંદી કરવામાં આવેલ હોય તેવા વ્યક્તિ જેવી થઇ ગઈ છે. ઉપરાંત, અખબાર દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે ભાજપના વખાણ કર્યાં હતાં તેમજ ગુજરાત કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

    તદુપરાંત, હાર્દિક પટેલે એક ટ્વીટ કરીને કોંગ્રેસ હાઈકમાન્ડને અલ્ટીમેટમ આપી વિવાદનો ઉકેલ લાવવા માટે કહ્યું હતું. હાર્દિક પટેલે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, “હું હાલ કોંગ્રેસમાં છું. આશા રાખું છું કે કોંગ્રેસ નેતાઓ કોઈ રસ્તો શોધે જેથી હું પાર્ટીમાં રહીને કામ કરી શકું. કેટલાક લોકો ઈચ્છી રહ્યા છે કે હાર્દિક કોંગ્રેસ છોડી દે. તેઓ મારો આત્મવિશ્વાસ તોડવા માંગે છે.”

    આમ તો હાર્દિક પટેલે થોડા દિવસો પહેલાં ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરતાં કોંગ્રેસ છોડવાની વાતને અફવા ગણાવી હતી પરંતુ હવે વધુ એક સંકેત આપીને અટકળોને વેગ આપી દીધો છે.

    શું પ્રશાંત કિશોર નવો રાજકીય પક્ષ સ્થાપશે! કોંગ્રેસ સાથે મેળ ના પડતાં ટ્વિટ કરી આપ્યા સંકેત

    પ્રશાંત કિશોર ભારતીય રાજકારણમાં અજાણ્યો ચેહરો નથી. 2014ના લોકસભા ઈલેકશન બાદ ચર્ચામાં આવેલા પ્રશાંત કિશોર હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. થોડા દિવસ પહેલા તેઓએ કોંગ્રેસ કઈ રીતે પાછી ઊભી થઈ શકે તેના માટે એક 600 સ્લાઇડનું પ્રેઝેંટેશન રજૂ કરી કોંગ્રેસમાં જોડાવા માટે ઉત્સુકતા બતાવી હતી. પરંતુ કોંગ્રેસ તરફથી યોગ્ય ઓફર ના મળતા તેમણે કોંગ્રેસ સાથે જોડાવાનું માંડી વળ્યું હતું. તો હવે પ્રશાંત કિશોર નવો રાજકીય પક્ષ સ્થાપશે? એવી ચર્ચા થઈ રહી છે. કેમ તે સમજીએ.

    આજે પ્રશાંત કિશોર ટ્વિટર પર સૂચક ટ્વિટ કરી કહ્યું હતું કે “જન સુરાજ” નામની મુવમેંટ શરૂ કરવા જઇ રહ્યા છે. જો કે તે કોઈ રાજનૈતિક પાર્ટી છે કે કોઈ કાર્યક્રમ છે તે જાણી શકાયું નથી. કારણ કે અગાઉ પણ બિહાર કી બાત નામનો કાર્યક્રમ કરી ચૂક્યા છે. તેઓ એ ટ્વિટમાં ગૂડ ગવર્નન્સની વાત કરી છે. આ કાર્યક્રમ તેઓ બિહાર થી શરૂ કરવા જઇ રહ્યા છે.

    2014 લોકસભામાં નરેન્દ્ર મોદી માટે કામ કરી ચૂક્યા છે.

    પ્રશાંત કિશોર સૌપ્રથમ 2014 લોકસભા ઈલેકસનમાં ચર્ચામાં આવ્યા હતા તેમણે ત્યારે નરેન્દ્ર મોદી માટે રણનીતિ નક્કી કરી હતી. મણિશંકર ઐયરના કોંગ્રેસ કાર્યાલય પર આવી ચા વેચવાના બયાન બાદ ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમ પણ પ્રશાંત કિશોર જ ઘડ્યો હોવાનું મનાય છે. પરંતુ પ્રશાંત કિશોરની મહત્વકાંક્ષા વધુ હોવાના કારણે તેને ભાજપા સાથે કામ કરવાનું છોડી દીધું હતું. ઘણા લોકોનું માનીએ તો અમિત શાહએ તેમનો કાર્યકાળ આગળ વધારવાની ના પડી દીધી હતી.

    બિહારમાં લાલુ અને નિતિશ ગઠબંધન માટે કામ કરી ચૂક્યા છે.

    નિતિશ કુમારે ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ લાલુ પ્રસાદ યાદવ સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે પણ રણનીતિ પ્રશાંત કિશોરએ ઘડી હતી. આખો મુદ્દો બિહારની અસ્મિતા સાથે જોડીને લાલુ નિતિશની જોડીને વિજય આપવામાં મહત્વનો રોલ નિભવ્યો હતો. ત્યાર બાદ JDU પાર્ટીમાં જોડાયા પણ હતા. જો કે ત્યાર બાદ પાર્ટી માથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

    2017 ઉતરપ્રદેશ ચુટણીમાં મોટી હાર મળી હતી.

    2017 ઉતરપ્રદેશ વિધાનસભા ચુટણીમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ત્રણેયના ગઠબંધન માટે કામ કર્યું હતું પરંતુ ભાજપા 325 સીટ મેળવીને ઇતિહાસ રચી દીધો હતો. આ મામલે પ્રશાંત કિશોરની મોટી હાર થઈ હતી.

    AAP માટે પણ કામ કરી ચૂક્યા છે.

    2020 દિલ્લી વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી માટે પણ રણનીતિકાર તરીકે કામ કરી ચૂક્યા છે. જેમાં AAPને ભવ્ય જીત મળી હતી. તે જીતમાં રણનીતિ ઘડવાનો શ્રેય પણ પ્રશાંત કિશોરને જાય છે. જો કે 2015 દિલ્લી વિધાનસભા વખતે પ્રશાંત કિશોરે AAP સાથે કામ ન કર્યું હોવા છ્તાં પણ મોટી જીત મેળવી હતી.

    પંજાબમાં કેપ્ટન અમરિન્દ્રસિંહ માટે કામ કરી ચૂક્યા છે.

    અગાઉના પંજાબ વિધાનસભા વખતે કોંગ્રેસની જીત બાબતે લોકો શંકા કરતાં હતા પરંતુ પરિણામો ચોકાવનારા આવ્યા હતા અને કેપ્ટનની જીત થઈ હતી. પ્રશાંત કિશોર પણ સ્વીકારે છે કે આ જીત ખૂબ જ કપરી હતી. આ જીત મળવાનો તેમણે ખૂબ આનંદ હતો.

    મમતા બેનર્જીને જીત અપાવી ઇતિહાસ રચ્યો.

    બંગાળ વિધાનસભા ચુટણીમાં રણનીતિકાર તરીકે કામ કરીને મોટી જીત આપવી હતી. પરિણામ પહેલા જ તેમણે કહ્યું હતું કે ભાજપા 100 સીટો પણ નહીં મેળવે, પરિણામ બાદ તે વાત સાચી પણ પડી હતી. મમતા બેનર્જીને સૌથી મોટી જીત મળી હતી.

    આ સિવાય પણ દક્ષિણ ભારતમાં YSRCF અને DMK માટે કામ કયું હતું. હવે પ્રશાંત કિશોર પોતાનો પક્ષ બનાવી રહ્યા છે કે બીજી કોઈ નવા જૂની કરવા પર છે તે ચર્ચાનો મુદ્દો બન્યો છે કે પ્રશાંત કિશોર નવો રાજકીય પક્ષ સ્થાપશે?

    ઉન્નાવમાં મોહમ્મદ નૂર અને ચાંદ આલમ સંચાલિત હોસ્પીટલમાં નોકરીના પહેલા જ દિવસે 18 વર્ષની નર્સ પર સામુહિક બળાત્કાર કરી ગળેફાંસો અપાયાનો આરોપ

    ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમાઉથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ નવી ખુલેલી પ્રાઈવેટ હોસ્પિટલના નર્સિંગ હોમમાં નર્સની નોકરી કરવા આવેલી યુવતીનો નોકરીના પહેલા જ દિવસે મૃતદેહ નર્સિંગ હોમની છત પર દુપટ્ટાની મદદથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. યુવતીના પરિવારે પોલીસ સ્ટેશન ખાતે હોસ્પીટલમાં સામુહિક બળાત્કાર અને હત્યા બદલ સંચાલકો મોહમ્મદ નૂર અને ચાંદ આલમ સમેત 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    પોલીસે જણાવ્યું કે હોસ્પિટલ થોડા દિવસો પહેલા જ (25 એપ્રિલ) ખોલવામાં આવી હતી, જ્યાં મહિલાને નર્સ તરીકે નોકરી મળી હતી. તેઓએ કહ્યું કે યુવતીએ નજીકમાં ભાડે રૂમ લીધો હતો. આ ઘટના શનિવારે દુલ્લાપુરવા ગામની નવી જીવન હોસ્પિટલમાં નોંધાઈ હતી. મૃતકની ઓળખ ટીકાના ગામની રહેવાસી 19 વર્ષીય યુવતી તરીકે થઈ છે. તે શુક્રવારે સહાયક તરીકે કામ કરવા માટે હોસ્પિટલમાં પહોંચી હતી.

    તેના પરિવારજનોના જણાવ્યા મુજબ, દિવસ દરમિયાન હોસ્પિટલમાં કોઈ દર્દી ન હોવાથી નર્સ તેના રૂમમાં પાછી આવી ગઈ હતી. તેઓએ કહ્યું: “રાત્રે લગભગ 10 વાગ્યે, તેને (નર્સ) કથિત રીતે હોસ્પિટલના માલિકનો ફોન આવ્યો, જેણે તેને નાઇટ શિફ્ટ કરવા કહ્યું.”

    એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એસપી) શશિ શેખર સિંહે કહ્યું કે જ્યારે મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના ચહેરા પર માસ્ક હતો અને તે તેના હાથમાં કપડાનો ટુકડો પકડેલો હતો. “અમે એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેના ચહેરા પર કોણે માસ્ક લગાવ્યો છે અને કાપડના ટુકડા વિશે પણ વિગતો આપી છે. હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને અમે ઓટોપ્સી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ,” તેમણે કહ્યું.

    નર્સની માતાએ કહ્યું કે તેને હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. માતાએ વધુમાં કહ્યું કે જ્યારે તે સ્થળ પર પહોંચી તો સ્પષ્ટ થયું કે તેની પુત્રીની હોસ્પીટલમાં સામુહિક બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. “મેં એફઆઈઆરમાં હોસ્પિટલના માલિક નૂર આલમ, ચાંદ આલમ અને એક વ્યક્તિ સહિત ત્રણ સ્ટાફ સભ્યોના નામ આપ્યા છે,” માતાએ કહ્યું.

    ઉન્નાવના ડીએમ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે મૃતક યુવતીના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. તેને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 5 લાખ રૂપિયાની મદદ કરી છે. આ સાથે પીડિત પરિવારને નિષ્પક્ષ મદદની ખાતરી આપવામાં આવી છે.

    પોલીસ આત્મહત્યાના એંગલથી પણ કરી રહી છે તપાસ

    કાલ મોડી રાતે આટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો કે યુવતીનું મૃત્યુ ગળે ફાંસો ખાવાથી જ થયું હતું. આથી પોલસે પોતાની તપાસનો દાયરો વધાર્યો હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર, પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હોય એમ જણાય છે. એસપી અને એએસપીએ મૃતકના પ્રેમીની ધરપકડ કરીને તેની પૂછપરછ પણ કરી હતી અને નર્સિંગ હોમનું પણ નિરીક્ષણ કર્યું હતું. એવું જણાવવામાં આવ્યું હતું કે મૃતકના મોબાઈલની કોલ ડિટેઈલથી જાણવા મળ્યું હતું કે યુવતીને મુસ્તફાબાદ, બાંગરમાળના રહેવાસી સંદીપ રાજપૂત સાથે પ્રેમ સંબંધ હતો. સંદીપને પોલીસ સ્ટેશનમાં લાવીને પૂછપરછ કરવામાં આવી હતી.

    સંદીપે જણાવ્યું કે તે એમ્બ્યુલન્સ ચલાવે છે. તેનું દોઢ વર્ષથી નર્સ સાથે અફેર હતું. 28 એપ્રિલે તેણે યુવતીને દુલ્લાપુરવા સ્થિત ન્યુ જીવન નર્સિંગ હોમમાં નર્સ તરીકે નોકરી પર રખાવી હતી. યુવતી અન્ય સંપ્રદાયની હતી અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. ઘટનાની રાત્રે યુવતીએ સંદીપને અનેકવાર ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન રિસીવ કર્યો ન હતો. આથી યુવતીને દુખ થયું હતું. એવું માનવામાં આવે છે કે તેણે લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ આત્મહત્યા કરી હતી.