‘સંપૂર્ણ ‘વંદે માતરમ્’ ગવાતાં અકળાયાં સોનિયા ગાંધી, વચ્ચેથી અટકાવવા કહ્યું’: કોંગ્રેસના ધ્વજવંદન કાર્યક્રમના વિડીયોથી વિવાદ

સ્વતંત્રતા દિવસે કોંગ્રેસના નવી દિલ્હી સ્થિત મુખ્યમથકે સૌપ્રથમ વખત ‘વંદે માતરમ્’ વગાડવામાં આવ્યું પરંતુ આ દરમ્યાન સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી વાતચીત કરતા, ઈશારા કરતા જોવા મળ્યા હતા, જે દ્રશ્યો સામે આવ્યા બાદ ‘વંદે માતરમ્’નું અપમાન કરવા બદલ તેમની ટીકા થઈ રહી છે. બીજી તરફ ભાજપનું કહેવું છે કે સોનિયા અને રાહુલ ગાંધીએ પૂર્ણ વંદે માતરમ્ વગાડવાની ના પાડીને અટકાવવા માટે કહ્યું હતું.

સામે આવેલા વિડીયોમાં કોંગ્રેસ મુખ્યમથકે ધ્વજવંદન બાદ વંદે માતરમ્ વાગતું સાંભળી શકાય છે. શરૂઆતમાં તમામ નેતાઓ સાવધાનની સ્થિતિમાં ઉભેલા જોવા મળે છે. પરંતુ પરંપરાગત રીતે ગવાતા ગીત બાદ આગળની પંક્તિઓ શરૂ થાય ત્યારબાદ સોનિયા ગાંધી કાર્યકરોને હાથથી ઈશારો કરીને અટકાવતાં જોવા મળે છે. ત્યારબાદ તેઓ કોંગ્રેસના નેતાઓ તરફ ઈશારો કરતાં જોવા મળે છે. એક નેતા રાહુલ ગાંધી સાથે વાતચીત કરવા માટે જાય છે, મલ્લિકાર્જુન ખડગે પણ સોનિયા ગાંધીને કશુંક કહેતા જોવા મળે છે. ત્યારબાદ નેતા સોનિયા ગાંધીને જઈને કશુંક કહે છે.

આ બધું ચાલી રહ્યું હતું ત્યારે વંદે માતરમ્ ચાલુ હતું. નિયમો પ્રમાણે જન-ગણ-મન અને વંદે માતરમ્ ચાલતાં હોય ત્યારે સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવાનું હોય છે, પણ કોંગ્રેસ નેતાઓ સતત અપમાન કરતા રહ્યા.

સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યા બાદ લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા કે ‘વંદે માતરમ્’ સંપૂર્ણ ગવાતું સાંભળીને સોનિયા ગાંધી ગુસ્સે કેમ થઈ ગયાં અને અટકાવવા માટે કેમ કહ્યું હતું?

ભાજપ આઈટી સેલ હેડ અમિત માલવિયાએ લખ્યું કે જાણીજોઈને વ્યવધાન પેદા કરવા પર કે અપમાન કરવા પર ગંભીર પરિણામો ભોગવવાં પડશે એ જાણીને વંદે માતરમ્ પૂરેપૂરું ગાવામાં આવ્યું હતું પણ આનાથી દાયકાઓથી ગાંધી પરિવાર અને કોંગ્રેસની સાંસ્કૃતિક ચેતના અને સભ્યતાગત મૂલ્યો પ્રત્યેની અસહજતા ફરી એક વખત ઉજાગર થઈ ગઈ.

ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ લખ્યું કે, ‘આ ‘વંદે માતરમ્’નું અપમાન છે અને દર્શાવે છેકે કોંગ્રેસ પાર્ટી હજુ પણ વંદે માતરમ્ સંપૂર્ણ રૂપે સ્વીકારી શકી નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દેશે માફી માગવી જોઈએ અને સ્પષ્ટીકરણ આપવું જોઈએ કે આવું આચરણ કેમ કરવામાં આવ્યું હતું.

ખડગે માટે ખુરશી લાવવા કહ્યું હતું: જયરામ

કોંગ્રેસ તરફથી સાંસદ જયરામ રમેશે પછીથી એમ કહીને છટકબારી શોધવાનો પ્રયાસ કર્યો હતો કે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે માટે ખુરશી લાવવા માટે કહી રહ્યાં હતાં.

જયરામે કહ્યું, “ઈન્દિરા ભવન (કોંગ્રેસ મુખ્યમથક) ખાતે વંદે માતરમ્ સંપૂર્ણરૂપે ગાવામાં આવ્યું હતું અને તેમાં કોઈ વિવાદ નથી. તેને અટકાવવાનો પણ પ્રયાસ નથી થયો. કોંગ્રેસ અધ્યક્ષ (ખડગે) ઘણા સમયથી ઊભા હતા એટલે તેમના માટે ખુરશી લઈ આવવા માટે સોનિયા ગાંધીએ કહ્યું હતું.”

આમાં જોકે એ જવાબ નથી કે તો ગીત અટકાવવા માટે કહેવાની શું જરૂર હતી અને ખુરશી મગાવવી જ હોય તો એ ગીતની વચ્ચે જ કેમ યાદ આવી હતી?