‘ગુનેગારો કસાઈ બની ચૂક્યા હતા, અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી’: અંકિત શર્મા કેસમાં તાહિર હુસૈન સહિતના દોષિતો માટે ફાંસીની સજાની માંગ

દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો દરમ્યાન આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા મામલે દોષી ઠેરવવામાં આવેલા તાહિર હુસૈન અને અન્ય ગુનેગારો માટે દિલ્હી પોલીસે ફાંસીની સજાની માંગ કરી છે.

13 જુલાઈએ તાહિર અને અન્ય ચારને દોષી ઠેરવ્યા બાદ કડકડડૂમા કોર્ટે સોમવારે (27 જુલાઈ) સજા પર સુનાવણી હાથ ધરી હતી.

સજા પર સુનાવણી દરમ્યાન સરકાર વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ રજૂ કરતાં કહ્યું કે તાહિર હુસૈન સહિતના ગુનેગારોને ફાંસીની સજા આપવી જોઈએ. કારણ કે આ તમામ કસાઈ બની ચૂક્યા છે અને હવે તેમના સુધારવાની કોઈ શક્યતા નથી. તેમને માણસ પણ કહી શકાય એમ નથી. પ્રોસિક્યુટરે કહ્યું કે આ તમામ જીવનભર જેલના સળિયા પાછળ રહેવા જોઈએ એટલું જ નહીં પરંતુ મૃત્યુદંડ આપવો જોઈએ.

કોર્ટને જણાવવામાં આવ્યું કે ગુનેગારોએ ઠંડા કલેજે હત્યા કરી હતી અને એવું પણ ન હતું કે આ ઉશ્કેરાટનું પરિણામ હતું. આ હત્યાકાંડ અત્યંત બર્બર હતો અને અંકિત શર્માને મારી નાખ્યા પછી પણ હુમલા કરવામાં આવ્યા હતા. શરીર પર અનેક ઘાનાં નિશાન મળી આવ્યાં હતાં. સાથે અંકિત શર્મા પર કેવી યાતનાઓ ગુજારવામાં આવી હતી તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું.

પ્રોસિક્યુશને કોર્ટને જણાવ્યું કે ગુનેગારોએ જે રીતે હત્યાકાંડને અંજામ આપ્યો હતો તેને જોતાં તેમને કોઈ કાળે માફ ન કરી શકાય અને તેમને મૃત્યુદંડ જ મળવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે કોર્ટે તાહિર હુસૈન અને અન્યોને IPC કલમ 302 (હત્યા), 365 (અપહરણ), 147 (રમખાણો), 148 (ઘાતક હથિયારો સાથે રમખાણ), 153A (કોમી વૈમનસ્ય ફેલાવવું), 188 (જાહેર સેવકની ફરજમાં રૂકાવટ પેદા કરવી) અને 149 (ગેરકાયદેસર મંડળી) હેઠળ દોષી ઠેરવ્યા હતા. કોર્ટે સજા પર સુનાવણી બાકી રાખી હતી.

મામલો ફેબ્રુઆરી 2020નો છે. જ્યારે દિલ્હીમાં કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં ચાલતાં પ્રદર્શનોની આડમાં રમખાણો કરવામાં આવ્યાં હતાં અને તેમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

દરમ્યાન આઈબી ઑફિસર અંકિત શર્મા ઘરની બહાર નીકળ્યા ત્યારે તાહિર હુસૈનના ઘર નજીક એક ટોળાએ તેમની ઉપર હુમલો કરી દીધો હતો અને હત્યા કરી નાખી હતી. ત્યારથી ચાલતા કેસમાં આખરે 13 જુલાઈના રોજ ચુકાદો આવ્યો હતો.

આ કેસમાં સજા પર કોર્ટ 31 જુલાઈના રોજ ચુકાદો સંભળાવશે.