ભગવાન કાર્તિકેયની મૂર્તિ, ત્રિશૂળ, નંદી… ઑસ્ટ્રેલિયા પરત કરશે ભારતની ત્રણ પ્રાચીન કલાકૃતિઓ: પીએમ મોદીની યાત્રા દરમ્યાન બંને દેશો વચ્ચે સમજૂતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઑસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન ભારતની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરને પરત લાવવાની દિશામાં એક મોટી સફળતા મળી છે. ઑસ્ટ્રેલિયાની નેશનલ ગેલેરીમાં રાખવામાં આવેલી ચોલ સામ્રાજ્ય સમયની ભગવાન કાર્તિકેયની મૂર્તિ, 14મી સદીની નંદીની શિલ્પકૃતિ અને ચોલ કાળનું પવિત્ર ત્રિશૂળ હવે ભારત પરત આવી રહ્યાં છે. વર્ષો સુધી વિદેશમાં રહ્યા બાદ તમિલનાડુની આ પવિત્ર કલાકૃતિઓ ટૂંક સમયમાં ભારતના સંગ્રહાલયોમાં સ્થાપિત કરવામાં આવશે.

આ ત્રણેય અમૂલ્ય પ્રાચીન વસ્તુઓને ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ‘મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી’ (MLAT) હેઠળ પરત લાવવામાં આવી રહી છે. તમિલનાડુની આઇડોલ વિંગ સીઆઈડીની તપાસમાં સાબિત થયું હતું કે આ પવિત્ર વસ્તુઓ તમિલનાડુના મંદિરોમાંથી ચોરી કરીને ગેરકાયદેસર રીતે દરિયાપાર મોકલવામાં આવી હતી. દક્ષિણ ભારતના મંદિરોની આ વસ્તુઓ ક્યારેય કાચની પેટીઓ પાછળ રાખવા માટે નહોતી બની, પરંતુ તે મધ્યકાલીન યુગમાં મંદિરના જીવંત ધાર્મિક જીવનનો એક ભાગ હતી.

છ મુખવાળા ભગવાન કાર્તિકેયની ભવ્ય મૂર્તિ

આ કલાકૃતિઓમાં 12મી સદીની ભગવાન કાર્તિકેયની આશરે 130 સેન્ટીમીટર ઊંચી પથ્થરની મૂર્તિ સામેલ છે, જે ચોલ કાળની પરિપક્વ શિલ્પકળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મૂર્તિમાં કાર્તિકેયના છ મુખ (ષડમુખ) દર્શાવવામાં આવ્યાં છે, જેને સદીઓથી વિવિધ રીતે અર્થઘટન કરવામાં આવે છે. એક માન્યતા મુજબ તે છ દિશાઓનું પ્રતીક છે, જ્યારે અન્ય માન્યતા અનુસાર તે જ્ઞાન, શક્તિ, કીર્તિ, સમૃદ્ધિ, વૈરાગ્ય અને વિદ્યા જેવા છ ગુણો દર્શાવે છે. તમિલનાડુમાં ભગવાન કાર્તિકેય ‘ભગવાન મુરુગન’ તરીકે પૂજાય છે અને તેમને તમિલ ભૂમિના રક્ષક માનવામાં આવે છે.

ભગવાન શિવના વાહન નંદીનું શિલ્પ

બીજી કલાકૃતિ ભગવાન શિવના વાહન નંદીની પથ્થરની શિલ્પકૃતિ છે. આ શિલ્પ વર્તમાન તિરુવારુર જિલ્લાના કડુવનકુડીમાં આવેલા કૈલાસનાથર મંદિરનું છે, જે 13મીથી 16મી સદી વચ્ચેનું હોવાનું માનવામાં આવે છે. આઇડોલ વિંગે આ શિલ્પની બજાર કિંમત આશરે ₹4 કરોડ અંદાજી છે, પરંતુ તેનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ અમૂલ્ય છે. આ નંદીએ સદીઓ સુધી બદલાતા શાસનો, સંસ્થાનવાદી શાસન અને આધુનિક ભારતની સવાર જોઈ છે.

શ્રી કાસીવિશ્વનાથસ્વામી મંદિરનું દુર્લભ ધાર્મિક ત્રિશૂળ

પરત આવી રહેલી વસ્તુઓમાં તમિલનાડુના શ્રી કાસીવિશ્વનાથસ્વામી મંદિરનું એક ધાતુનું પરંપરાગત ત્રિશૂળ સૌથી અનોખું છે, જે ચોલ કાળના ઉત્તરાર્ધનું છે. આશરે 46 સેન્ટીમીટર ઊંચું અને એક મીટરથી વધુ પહોળું આ ત્રિશૂળ માત્ર પ્રદર્શન માટે નહોતું, પરંતુ ઉત્સવો અને ધાર્મિક સરઘસો દરમિયાન વિધિઓનો હિસ્સો બનતું હતું. આ ત્રિશૂળની ટોચ પર દેવી ભદ્રકાલીની ઉગ્ર મૂર્તિ બિરાજમાન છે, જે માત્ર વિનાશનું નહીં પરંતુ શક્તિ, ન્યાય અને ભક્તોના રક્ષણનું પ્રતીક છે.

ચોરાયેલી પ્રાચીન વસ્તુઓને પાછી મેળવવી એ કોઈ ઝડપી પ્રક્રિયા નથી, પરંતુ વર્ષોની લાંબી કાનૂની અને રાજદ્વારી લડતનું પરિણામ છે. 2016માં તમિલનાડુ આઇડોલ વિંગ સીઆઈડીએ FIR નોંધ્યા બાદ આ મામલાની તપાસ શરૂ થઈ હતી. તપાસ દરમિયાન મંદિરના જૂના રેકોર્ડ્સ, પ્રાચીન ફોટોગ્રાફ્સ, સરકારી દસ્તાવેજો અને મ્યુઝિયમના કેટલોગની બારીકાઈથી તપાસ કરવામાં આવી, જેથી સામે આવી શકે કે આ વસ્તુઓ ક્યાંથી અને કેવી રીતે દેશની બહાર ગઈ હતી. પુરાવાઓની કડી પૂર્ણ થયા બાદ જ ઑસ્ટ્રેલિયા સરકારે તેને પરત કરવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરનાં વર્ષોમાં વૈશ્વિક સ્તરે કલાકૃતિઓના દસ્તાવેજી ઇતિહાસની (‘પ્રોવેનન્સ’) ચકાસણી વધતાં ચોરી થયેલી કે ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલી પ્રાચીન વસ્તુઓને મૂળ દેશને પરત કરવાનો સકારાત્મક બદલાવ આવ્યો છે. જેના ભાગરૂપે ઑસ્ટ્રેલિયાએ ભારતની આ દુર્લભ કલાકૃતિઓ પરત કરવાની આ નૈતિક પહેલ કરી છે. જેના બદલામાં ભારતે પણ ઑસ્ટ્રેલિયાના મૂળ નિવાસીના પૂર્વજોના અસ્થિ અવશેષો પરત કરવાનો પરસ્પર નિર્ણય લીધો છે.