બેંગલુરુમાં કોંગ્રેસની રેલીના કારણે અટવાયા NEET પરીક્ષાર્થીઓ, ટ્રાફિક થતાં અમુક પરીક્ષા કેન્દ્રો પર સમયસર ન પહોંચી શક્યા: પીએમ મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા

સાંકેતિક તસવીર: PTI

દેશભરમાં રવિવારે (21 જૂન) NEET UGની પરીક્ષા યોજાઈ રહી છે. જેના માટે જે શહેરોમાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં ટ્રાફિક વગેરે બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં શાસક પક્ષ કોંગ્રેસને આજે રેલી કાઢવાનું સૂઝ્યું હતું. જેના કારણે ટ્રાફિક થવાથી પરીક્ષાર્થીઓને અડચણ આવી અને એક ઠેકાણે અમુક વિદ્યાર્થીઓ મોડા પણ પહોંચ્યા હોવાનો બનાવ બન્યો.

બેંગલુરુની આરસી ગવર્નમેન્ટ કોલેજમાં નિયમાનુસાર બરાબર 1:30 વાગ્યે મેઈન ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ વિદ્યાર્થિનીઓ 1:32એ પહોંચી હતી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસની રેલીના કારણે ટ્રાફિક જામ થઈ જવાથી વિદ્યાર્થીઓને પહોંચવામાં સમસ્યા આવી હતી. ગેટ બંધ થઈ જવાથી ત્રણેય વિદ્યાર્થિનીએ ગેટની રેલિંગ પાર કરીને કેમ્પસમાં પ્રવેશ કરવો પડ્યો હતો. ત્યારબાદ પરીક્ષા હોલમાં પ્રવેશમાં પણ સમસ્યા આવી હતી, કારણ કે ત્યાં પણ એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી.

અન્ય એક વાલીએ ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ જ્યાં રહે છે ત્યાંથી પરીક્ષા કેન્દ્ર લગભગ સાત-આઠ કિલોમીટર દૂર છે અને બહુ ટ્રાફિક હોય ત્યારે પણ અડધા કલાકમાં તેઓ પહોંચી જાય છે. પરંતુ આજે તેમને બે કલાક નીકળી ગયા. આગળ તેમણે કહ્યું, ” રસ્તે અમને થઈ ગયું હતું કે અમે સમય પર પહોંચી શકીશું કે નહીં. મને સમજાતું નથી કે આ રાજકારણીઓ આવા સમયે રેલીઓ કેમ કરે છે અને લોકોને તકલીફ પહોંચાડવાનું કામ શા માટે કરે છે. આ કાયમનું થઈ ગયું છે.”

બેંગલુરુના સાંસદ અને ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ આ મામલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ પાર્ટી રેલી માટે કોઈ બીજો દિવસ પણ પસંદ કરી શકી હોત, પણ તેમણે એ જ દિવસ પસંદ કર્યો જ્યારે હજારો વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપી રહ્યા છે. રેલીના કારણે ટ્રાફિક થયો અને અનેક વિદ્યાર્થીઓ કેન્દ્ર પર મોડા પહોંચ્યા, અમુકે વિલંબ થતાં પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવા માટે રીતસર આજીજી કરવી પડી. જોકે પરીક્ષા કેન્દ્રો પર પછીથી વિદ્યાર્થીઓને વ્યવસ્થા કરી આપવામાં આવી.”

NEET વિદ્યાર્થીઓના મુદ્દે રાજકારણ કર્યા કરતા કોંગ્રેસી રાહુલ ગાંધીને લઈને તેજસ્વી સૂર્યાએ લખ્યું કે, “રાહુલ ગાંધી ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને પરીક્ષાઓના મુદ્દે મગરનાં આંસુ સારતા રહે છે. પણ જો તેમને ખરેખર વિદ્યાર્થીઓની ચિંતા હોત તો તેમની પાર્ટીએ શહેરમાં વચ્ચે આવી રેલી યોજવાનું ટાળ્યું હોત, ખાસ કરીને એવા સમયે જ્યારે દેશની એક મહત્ત્વની પરીક્ષા યોજાઈ રહી છે.”

વડા પ્રધાન દિલ્હી એરપોર્ટ પર રોકાયા, જેથી વિદ્યાર્થીઓને પહોંચવામાં સમસ્યા ન આવે

બીજી તરફ, એક સમાચાર દિલ્હીથી આવ્યા છે. અહીં વડા પ્રધાન મોદી એરપોર્ટ પર પરત ફર્યા ત્યારે 1:15 થઈ હતી. તેમણે નિવાસસ્થાને જવાનું હતું પરંતુ તેઓ એરપોર્ટ પર જ રોકાયા. NEET પરીક્ષા 2 વાગ્યે શરૂ થઈ ગઈ, વિદ્યાર્થીઓ કેન્દ્ર પર પહોંચી ગયા ત્યારબાદ તેઓ નિવાસસ્થાને જવા રવાના થયા. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં કોઈ સમસ્યા ન નડે અને ટ્રાફિકમાં અડચણ ન આવે તે માટે વડા પ્રધાન એરપોર્ટ પર રોકાયા હતા.

સોશિયલ મીડિયા પર હવે આ ઘટનાઓની ચર્ચા થઈ રહી છે.