
વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને એરબસના સહયોગથી ભારતમાં નિર્મિત પ્રથમ C-295 લશ્કરી પરિવહન વિમાનનું બુધવારે સફળ પરીક્ષણ ઉડાન (ટ્રાયલ ફ્લાઇટ) કરવામાં આવ્યું હતું. આ વિમાન વડોદરાના હરણી સ્થિત ટાટા-એરબસ ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. પરીક્ષણ ઉડાન સફળ રહેતા ભારતના સંરક્ષણ અને વિમાન ઉત્પાદન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે.
આ વિમાનનું રોલઆઉટ 11 મે, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમાં વિવિધ ગ્રાઉન્ડ અને ટેકનિકલ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં હતાં. તમામ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તેની પ્રથમ ઉડાન લેવામાં આવી હતી. આ સફળ ટ્રાયલ બાદ ભારતીય વાયુસેનાને વર્ષ 2026 દરમિયાન પ્રથમ સ્વદેશી C-295 વિમાન સોંપવામાં આવે તેવી શક્યતા છે.
ભારત અને સ્પેન વચ્ચે આશરે ₹21,935 કરોડના કરાર હેઠળ કુલ 56 C-295 વિમાનો ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. તેમાંના 16 વિમાનો સ્પેનમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે બાકીના 40 વિમાનોનું ઉત્પાદન વડોદરાની ફેક્ટરીમાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ખાનગી ક્ષેત્ર દ્વારા ભારતમાં લશ્કરી વિમાનનું ઉત્પાદન થઈ રહ્યું છે.
The first 'Made in India' Airbus C295 military transport aircraft has conducted its first test flight from the Final Assembly Line in Vadodara 🇮🇳, marking a milestone for Indian aviation and defence. This maiden test flight is a crucial step in the aircraft's post production… pic.twitter.com/nPkjpIENkD
— Airbus Defence (@AirbusDefence) June 10, 2026
C-295 એક આધુનિક અને બહુમુખી લશ્કરી પરિવહન વિમાન છે. તેનો ઉપયોગ સૈન્ય સામગ્રી અને સૈનિકોના પરિવહન, સર્વેલન્સ, માનવતાવાદી રાહત કામગીરી અને અન્ય વ્યૂહાત્મક મિશનો માટે થઈ શકે છે. વિશ્વના અનેક દેશોની સેનાઓ હાલમાં આ વિમાનનો ઉપયોગ કરી રહી છે.
આ વિમાનો ભારતીય વાયુસેનાના જૂના Avro-748 વિમાનોનું સ્થાન લેશે. વડોદરામાં આવેલી આ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન ઓક્ટોબર 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝે કર્યું હતું. C-295ની સફળ ટ્રાયલ ફ્લાઇટ સાથે વડોદરા હવે ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

