કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકોને કહ્યા ‘અભણ’, કેરળની સભામાં કરેલી ટિપ્પણીનો વિડીયો વાયરલ

હાલ કેરળ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આવી જ એક સભા કરવા માટે દક્ષિણના રાજ્યમાં પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રાંતવાદી ટિપ્પણી કરી નાખી હતી. તેમણે કહ્યું કે મોદી ગુજરાત અને અન્ય વિસ્તારના લોકોને મૂરખ બનાવી શકે, કારણ કે તેઓ અભણ છે, પરંતુ કેરળના લોકો શિક્ષિત અને હોંશિયાર છે, તેઓ મૂર્ખ બનશે નહીં.

કેરળના ઇડુક્કીમાં એક સભાને સંબોધિત કરતી વખતે ખડગેએ આ ટિપ્પણીઓ કરી હતી.

તેમણે કહ્યું, “કેરળના લોકો બહુ હોંશિયાર છે. તેઓ બહુ શિક્ષિત છે.  મોદીજી… વિજય (કેરળ સીએમ) તમે બંને ગુજરાત અને અન્ય ઠેકાણે અભણ લોકોને મૂરખ બનાવી શકો, પરંતુ કેરળના લોકોને મૂર્ખ ન બનાવી શકો.”

હવે આ ટિપ્પણીઓની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે કોંગ્રેસ એક રાજ્યમાં ચૂંટણી જીતવા માટે બીજા રાજ્યને નીચું કેમ દેખાડે છે. ઉપરાંત ગુજરાત પ્રત્યે કોંગ્રેસ ઇકોસિસ્ટમનો દ્વેષ બહુ જૂનો અને જાણીતો છે. હવે ફરીથી છલકાયો છે.

આ પહેલાં બંગાળમાં પણ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ ગુજરાતીઓ પર ટિપ્પણી કરી હતી, જેનો પણ બહુ વિરોધ થયો હતો. બંગાળમાં પણ હાલ વિધાનસભા ચૂંટણી છે.