હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિશ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-2, 3, 4: મહિષાસુર સહિતના દૈત્યોના સંહાર માટે દેવતાઓના...

શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-2, 3, 4: મહિષાસુર સહિતના દૈત્યોના સંહાર માટે દેવતાઓના શક્તિપૂંજમાંથી ઉત્પન્ન થયાં દેવી ચંડિકા

દુર્ગા સપ્તશતીના બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયો દેવી ચંડિકાના દિવ્ય સ્વરૂપ, અજેય શક્તિ અને અધર્મ પર ધર્મની વિજયની કથા રજૂ કરે છે. મહિષાસુરનો વધ અને દેવતાઓની સ્તુતિ દર્શાવે છે કે દેવીની કૃપા અને ભક્તિ દ્વારા જ દુઃખ, ભય અને અજ્ઞાનનો નાશ થાય છે.

- Advertisement -

નવરાત્રિના પાવન પર્વ પર આપણે પવિત્ર દુર્ગા સપ્તશતીના (ચંડીપાઠ, દેવી માહાત્મ્ય) વિવિધ અધ્યાયોને રસાળ અને કથાનક લેખનશૈલીમાં ઢાળીને તેની લેખન માળા શરૂ કરી છે. લેખન માળાનો પ્રથમ અંક એટલે કે દુર્ગા સપ્તશતીનો પ્રથમ અધ્યાય 22 સપ્ટેમ્બરના રોજ નવરાત્રિના પ્રથમ દિવસે જ પ્રકાશિત થઈ ચૂક્યો છે, તે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

આજે, નવરાત્રિના બીજા દિવસે આપણે શ્રી દુર્ગા સપ્તશતીના અધ્યાય- 2, 3 અને 4ની વાત કરવા જઈ રહ્યા છીએ. આ અધ્યાયોમાં મહિષાસુર નામના દૈત્યના દેવો પરના અત્યાચારો અને તેના વધની કથાઓનો સમાવેશ થાય છે. સાથે મા ભગવતીના રૌદ્રરૂપનું વર્ણન પણ ખૂબ રસાળ શૈલીમાં કરવામાં આવ્યું છે. અહીંથી શરૂ થાય છે, અધ્યાય- 2, 3 અને 4. 

શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 2 (મહિષાસુરની સેનાનો સંહાર) 

દુર્ગા સપ્તશતીનો બીજો અધ્યાય એક એવા સમયની વાત લઈને આવે છે, જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સો વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું હતું. આ યુદ્ધમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો, જ્યારે દેવતાઓના નેતા ઇન્દ્ર હતા. યુદ્ધમાં અસુરોએ દેવતાઓની સેનાને પરાસ્ત કરી દીધી. સમગ્ર દેવતાઓને હરાવીને મહિષાસુરે ઇન્દ્રનું સ્થાન ઝડપી લીધું અને સ્વર્ગનો અધિપતિ બની બેઠો.

- Advertisement -

પરાજિત દેવતાઓએ, પ્રજાપતિ બ્રહ્માજીના નેતૃત્વમાં ભગવાન શંકર અને વિષ્ણુનું શરણ લીધું. તેમણે મહિષાસુરની ક્રૂરતા અને પોતાની હારનો સંપૂર્ણ વૃત્તાંત બંને દેવેશ્વરોને વિસ્તારથી જણાવ્યો. દેવતાઓએ કહ્યું, “ભગવન, મહિષાસુરે સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્ર, યમ, વરુણ અને અન્ય દેવતાઓના અધિકારો છીનવી લીધા છે અને પોતે જ બધાનો અધિષ્ઠાતા બની ગયો છે. આ દુરાત્મા મહિષે (મહિષાસુર) દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અને હવે અમે મનુષ્યોની જેમ પૃથ્વી પર ભટકીએ છીએ. આ દૈત્યની કરતૂતો અમે તમને જણાવી છે. હવે અમે તમારા શરણમાં આવ્યા છીએ. તેના વધનો કોઈ ઉપાય કરો.”

દેવતાઓના તેજ સ્વરૂપથી દેવીનું પ્રાગટ્ય

દેવતાઓની આ વાત સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવ અત્યંત ક્રોધિત થયા. તેમની ભ્રૂકુટી તણાઈ આવી. તે જ ક્ષણે ક્રોધથી ભરાયેલા ચક્રપાણિ વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું. તેવી જ રીતે બ્રહ્મા, શંકર, ઇન્દ્ર અને અન્ય દેવતાઓના શરીરમાંથી પણ ભવ્ય તેજ નીકળ્યું. આ બધું તેજ એકઠું થઈને એક શક્તિપુંજ બન્યું, જે જાજ્વલ્યમાન પર્વત જેવું દેખાતું હતું. તેની જ્વાળાઓથી સમગ્ર દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી.

આ અનુપમ તેજનું પુંજ એક નારીના સ્વરૂપમાં પરિણત થયું, જેનો પ્રકાશ ત્રણે લોકોમાં વ્યાપી ગયો. ભગવાન શંકરના તેજથી દેવીનું મુખ, યમરાજના તેજથી વાળ, વિષ્ણુના તેજથી ભુજાઓ, ચંદ્રમાના તેજથી સ્તનો, ઇન્દ્રના તેજથી કટિપ્રદેશ, વરુણના તેજથી જંઘા અને પિંડલી, પૃથ્વીના તેજથી નિતંબ, બ્રહ્માના તેજથી ચરણો, સૂર્યના તેજથી આંગળીઓ, વસુઓના તેજથી હાથની આંગળીઓ, કુબેરના તેજથી નાસિકા, પ્રજાપતિના તેજથી દાંત, અગ્નિના તેજથી ત્રણ નેત્રો, સંધ્યાના તેજથી ભ્રૂકુટી અને વાયુના તેજથી કાન પ્રગટ થયા. 

દેવીનું દિવ્ય સ્વરૂપ

મહિષાસુરથી પીડાયેલા દેવતાઓ આ દેવીના દિવ્ય સ્વરૂપને જોઈને અત્યંત પ્રસન્ન થયા. દેવતાઓએ દેવીને વિવિધ શસ્ત્રો અને આભૂષણો અર્પણ કર્યા. ભગવાન શંકરે પોતાના ત્રિશૂળમાંથી એક શૂળ, વિષ્ણુએ પોતાના ચક્રમાંથી ચક્ર, વરુણે શંખ, અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષ અને બાણોથી ભરેલા બે તરકસ અર્પણ કર્યા. 

અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને શસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું. આ પછી, દેવીએ ઊંચા સ્વરે ભયંકર અટ્ટહાસ્ય સાથે ગર્જના કરી, જેનાથી આકાશ ગૂંજી ઉઠ્યું. આ ગર્જનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ, સમુદ્રો કાંપવા લાગ્યા, પૃથ્વી ડોલવા લાગી અને પર્વતો હલી ગયા. દેવતાઓએ પ્રસન્નતાથી સિંહવાહિની ભવાનીને કહ્યું, “દેવી, તમારી જય હો!”

મહિષાસુરની સેના સામે યુદ્ધ

આ ભયંકર ગર્જનાથી ત્રણે લોકોમાં ખળભળાટ મચી ગયો. મહિષાસુરે ક્રોધથી ભરાઈને પૂછ્યું, “આ શું થઈ રહ્યું છે?” તે પોતાની સમગ્ર અસુર સેના સાથે દેવીના સિંહનાદની દિશામાં દોડી ગયો. ત્યાં જઈને તેણે દેવીને જોયા, જે પોતાની પ્રભાથી ત્રણે લોકોને પ્રકાશિત કરી રહ્યા હતા. દેવીની હજારો ભુજાઓ સમગ્ર દિશાઓને આવરી લેતી હતી અને તેમના ધનુષની ટંકારથી સાતે પાતાળ કાંપી રહ્યા હતા.

દેવી અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ છેડાયું. ચિક્ષુર નામનો મહિષાસુરનો સેનાનાયક, ચામર, ઉદગ્ર, મહાહનુ, અસિલોમા, બાષ્કલ, પરિવારિત અને બિડાલ જેવા મહાદૈત્યો કરોડો રથીઓ, હાથીઓ અને ઘોડેસવારો સાથે યુદ્ધમાં ઉતર્યા. મહિષાસુર પોતે કોટિ-કોટિ રથ, હાથી અને ઘોડાઓની સેના સાથે રણભૂમિમાં ઊભો હતો. અસુરોએ તોમર, ભિંદિપાલ, શક્તિ, મૂસળ, ખડ્ગ, પરશુ અને પટ્ટીશ જેવા શસ્ત્રોનો ઉપયોગ કર્યો, પરંતુ દેવીએ ક્રોધમાં ભરાઈને રમત-રમતમાં તેમના શસ્ત્રોને ચીરી નાખ્યા.

દેવીના ગણો અને સિંહનો પરાક્રમ

દેવીનું વાહન સિંહ પણ ક્રોધથી ગર્જના કરતો હતો અને અસુરોની સેનામાં દાવાનળની જેમ ફેલાઈ ગયો હતો. દેવીએ યુદ્ધ દરમિયાન જેટલા નિશ્વાસ છોડ્યા, તે બધા સેંકડો-હજારો ગણોના રૂપમાં પ્રગટ થયા અને પરશુ, ભિંદિપાલ, ખડ્ગ અને પટ્ટીશ જેવા શસ્ત્રો દ્વારા અસુરોનો સામનો કરવા લાગ્યા. આ ગણોએ નગારા, શંખ અને મૃદંગ વગાડીને યુદ્ધને એક મહોત્સવનું સ્વરૂપ આપ્યું.

દેવીએ ત્રિશૂળ, ગદા, શક્તિ અને ખડ્ગ વડે સેંકડો મહાદૈત્યોનો સંહાર કર્યો. ઘણાને ઘંટના ભયંકર નાદથી મૂર્છિત કરીને મારી નાખ્યા, ઘણાંને પાશથી બાંધીને ધરતી પર ઘસડ્યા અને ઘણાં તેમની તીક્ષ્ણ તલવારથી કપાયા. કેટલાય દૈત્યો ગદાથી ઘાયલ થઈને ધરતી પર ઢળી પડ્યા, જ્યારે કેટલાય મારથી રક્તવમન કરવા લાગ્યા. શૂળથી છાતી ફાટવાથી ઘણા દૈત્યો ધરતી પર ઢળી ગયા અને બાણોની વર્ષાથી કેટલાયની કમર તૂટી ગઈ.

યુદ્ધનું ભયંકર દૃશ્ય

યુદ્ધનું દૃશ્ય અત્યંત ભયાનક હતું. દેવીના હાથે દૈત્યોની બાહો, ગરદનો અને મસ્તકો કપાઈ ગયા. કેટલાય દૈત્યોના શરીર મધ્યભાગમાં વિદીર્ણ થઈ ગયા અને કેટલાય જાંઘો કપાઈ જવાથી ધરતી પર ઢળી પડ્યા. દેવીએ કેટલાય દૈત્યોને એક બાહુ, એક પગ અને એક નેત્રવાળા કરીને ચીરી નાખ્યા. આશ્ચર્યની વાત એ હતી કે કેટલાય દૈત્યો મસ્તક કપાઈ જવા છતાં ફરી ઊભા થઈ જતા હતા અને માત્ર ધડના રૂપમાં શસ્ત્રો લઈને દેવી સાથે યુદ્ધ કરતા હતા. કેટલાય ધડો યુદ્ધના લય પર નાચતા હતા અને અન્ય દૈત્યો ‘ઠહેરો! ઠહેરો!’ કહીને દેવીને લલકારતા હતા.

રણભૂમિ રથો, હાથીઓ, ઘોડાઓ અને અસુરોની લાશોથી ભરાઈ ગઈ, જેથી ત્યાં ચાલવું અશક્ય બની ગયું. હાથીઓ, ઘોડાઓ અને અસુરોના શરીરોના રક્તની નદીઓ વહેવા લાગી. જગદંબા દેવીએ અસુરોની વિશાળ સેનાને ક્ષણભરમાં નષ્ટ કરી દીધી, જેમ આગ ઘાસ અને લાકડાના ઢગલાને ભસ્મ કરી દે છે. દેવીનો સિંહ પણ ગર્જના કરતો હતો અને અસુરોના પ્રાણો ખેંચી લેતો હતો. દેવીના ગણોએ પણ મહાદૈત્યો સાથે એવું યુદ્ધ કર્યું કે આકાશમાં ઊભેલા દેવતાઓ પ્રસન્ન થઈને ફૂલોની વર્ષા કરવા લાગ્યા.

આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો દ્વિતીય (બીજો) અધ્યાય પૂર્ણ થાય છે.

શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 3 (મહિષાસુરનો વધ) 

દુર્ગા સપ્તશતીનો તૃતીય અધ્યાય મહિષાસુરની સેનાના વિનાશથી શરૂ થાય છે. જ્યારે અસુરોની સેના દેવીના હાથે નાશ પામી રહી હતી, ત્યારે મહિષાસુરનો સેનાપતિ ચિક્ષુર ક્રોધથી ભરાઈને અંબિકા દેવી સામે યુદ્ધ માટે આગળ વધ્યો. તેણે રણભૂમિમાં દેવી પર એવી રીતે બાણોની વર્ષા કરી, જેમ મેરુગિરિના શિખર પર વાદળો વરસાદની ધાર રેડે છે. પરંતુ દેવીએ સરળતાથી તેના બાણોને કાપી નાખ્યા અને તેના ઘોડાઓ તેમજ સારથિને મારી નાખ્યા. તેમણે ચિક્ષુરનું ધનુષ અને ઊંચી ધ્વજા પણ ક્ષણભરમાં કાપી નાખી. ધનુષ નષ્ટ થતાં ચિક્ષુરના અંગોને પણ દેવીએ બાણોથી વીંધી નાખ્યા.

ધનુષ, રથ, ઘોડાઓ અને સારથિનો નાશ થયા પછી ચિક્ષુર ઢાલ અને તલવાર લઈને દેવી તરફ દોડ્યો. તેણે તીક્ષ્ણ તલવારથી દેવીના સિંહના મસ્તક પર અને દેવીની ડાબી ભુજા પર પ્રહાર કર્યો. પરંતુ દેવીની ભુજા પર પહોંચતાં જ તે તલવાર તૂટી ગઈ. ક્રોધથી લાલ થયેલા ચિક્ષુરે શૂળ હાથમાં લીધું અને તેને ભગવતી ભદ્રકાલી પર ફેંક્યું. દેવીએ તેના શૂળનો જવાબ પોતાના શૂળથી આપ્યો, જેનાથી ચિક્ષુરનું શૂળ સેંકડો ટુકડાઓમાં વિખેરાઈ ગયું અને તે મહાદૈત્યનો પણ વિનાશ થયો.

અન્ય અસુરોનો સંહાર

ચિક્ષુરના વધ પછી મહિષાસુરનો બીજો સેનાનાયક ચામર હાથી પર ચઢીને આવ્યો. તેણે દેવી પર શક્તિનો પ્રહાર કર્યો, પરંતુ જગદંબાએ પોતાના હુંકારથી તે શક્તિને નિર્બળ કરીને ધરતી પર પછાડી દીધી. શક્તિ નષ્ટ થતાં ચામરે ક્રોધથી શૂળ ફેંક્યું, પરંતુ દેવીએ તેને પણ બાણોથી કાપી નાખ્યું. તે જ ક્ષણે દેવીનો સિંહ ઉછળીને હાથીના મસ્તક પર ચઢી ગયો અને ચામર સાથે બાહુયુદ્ધ કરવા લાગ્યો. બંને હાથી પરથી ધરતી પર પડ્યા અને ભયંકર પ્રહારો કરતા લડવા લાગ્યા. આખરે, સિંહે આકાશમાં ઉછળીને ચામરનું માથું ધડથી અલગ કરી દીધું.

દેવીએ ઉદગ્રને શિલા અને વૃક્ષોના મારથી, કરાલને દાંત, મુક્કા અને થપ્પડથી, ઉદ્ધતને ગદાથી, વાષ્કલને ભિંદિપાલથી, તામ્ર અને અંધકને બાણોથી, ઉગ્રાસ્ય, ઉગ્રવીર્ય અને મહાહનુને ત્રિશૂળથી, વિડાલનું મસ્તક તલવારથી અને દુર્ધર તેમજ દુર્મુખને બાણોથી યમલોક પહોંચાડી દીધા. આ રીતે, દેવીએ એક પછી એક મહિષાસુરના મહાદૈત્યોનો સંહાર કર્યો.

મહિષાસુર સામે યુદ્ધ

પોતાની સેનાનો વિનાશ જોઈને મહિષાસુરે ભેંસનું રૂપ ધારણ કર્યું અને દેવીના ગણોને ત્રાસ આપવા લાગ્યો. તેણે કેટલાક ગણોને ધરાશાયી કર્યા. ગણોની સેનાને નષ્ટ કરીને તે દેવીના સિંહ પર હુમલો કરવા આગળ વધ્યો, જેથી જગદંબા અત્યંત ક્રોધિત થઈ ઉઠ્યા.

ક્રોધથી ભરાયેલા મહિષાસુરને પોતાની તરફ આવતો જોઈને ચંડિકા દેવી કોપાયમાન થયા. તેમણે પાશ ફેંકીને મહિષાસુરને બાંધી દીધો. બંધાયા પછી મહિષાસુરે ભેંસનું રૂપ છોડીને સિંહનું રૂપ ધારણ કર્યું. દેવી જેવા તેનું માથું વાઢવા સાબદા થયા, ત્યાં તે ખડ્ગધારી પુરુષના રૂપમાં પ્રગટ થયો. દેવીએ તુરંત બાણોની વર્ષા કરીને તેને વીંધી નાખ્યો. તે પછી મહિષાસુરે હાથીનું રૂપ ધારણ કર્યું અને પોતાની સૂંઢથી દેવીના સિંહને ખેંચવા લાગ્યો. દેવીએ તલવારથી તેની સૂંઢ કાપી નાખી. આખરે, મહિષાસુરે ફરી ભેંસનું રૂપ ધારણ કર્યું અને ત્રણે લોકોને વ્યાકુળ કરવા લાગ્યો.

ક્રોધથી ભરાયેલા જગન્માતા ચંડિકા વિકરાળરૂપ અને લાલ આંખો સાથે હસવા લાગ્યા અને મહિષાસુરને લલકાર્યો. તેમણે કહ્યું, “ઓ મૂઢ! હવે મારા હાથે તારું મૃત્યુ થશે અને દેવતાઓ ગર્જના કરશે.” આમ કહીને દેવીએ મહિષાસુરની છાતી પર પગ મૂકીને તેને જમીન પર ઢાળી દીધો અને ગળામાં શૂળનો પ્રહાર કર્યો. મહિષાસુર અડધા શરીરે બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો, પરંતુ દેવીએ પોતાની શક્તિથી તેને રોકી દીધો. આખરે, દેવીએ તેનું મસ્તક કાપી નાખ્યું અને મહિષાસુરનો વધ થયો.

મહિષાસુરના વધ સાથે અસુરોની સેના હાહાકાર કરતી ભાગી ગઈ અને દેવતાઓ અત્યંત પ્રસન્ન થયા. તેમણે દિવ્ય મહર્ષિઓ સાથે દેવી દુર્ગાની સ્તુતિ કરી. ગંધર્વરાજે ગીતો ગાયા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આ રીતે, દેવીના પરાક્રમથી ત્રણે લોકોમાં ધર્મની પુનઃસ્થાપના થઈ.

આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો તૃતીય (ત્રીજો) અધ્યાય પૂર્ણ થાય છે. 

શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 4 (શક્રાદય સ્તુતિ)

દુર્ગા સપ્તશતીનો ચોથો અધ્યાય મહિષાસુર અને તેની દૈત્યસેનાના દેવીના હાથે સંહાર પછી શરૂ થાય છે. ઇન્દ્ર આદિ દેવતાઓ ભગવતી દુર્ગાને નમન કરવા માટે મસ્તક ઝુકાવીને ઉત્તમ વચનો દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું:

“જે દેવી સમગ્ર દેવતાઓની શક્તિનો સમુદાય છે અને જેમણે પોતાની શક્તિથી આખું જગત વ્યાપી રાખ્યું છે, તે સમસ્ત દેવતાઓ અને મહર્ષિઓ દ્વારા પૂજનીય જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. તેઓ અમારું કલ્યાણ કરે. જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન ભગવાન શેષનાગ, બ્રહ્માજી અને મહાદેવજી પણ નથી કરી શકતા, તે ભગવતી ચંડિકા આખા જગતનું પાલન કરે અને અશુભ, ભયનો નાશ કરે.”

દેવતાઓએ આગળ કહ્યું, “જે પુણ્યાત્માઓના ઘરોમાં લક્ષ્મીરૂપે, પાપીઓના ઘરોમાં દરિદ્રતારૂપે, શુદ્ધ હૃદયવાળા પુરુષોના હૃદયમાં બુદ્ધિરૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધારૂપે અને કુલીન મનુષ્યોમાં લજ્જારૂપે નિવાસ કરે છે, તે ભગવતી દુર્ગાને અમે નમસ્કાર કરીએ છીએ. દેવી, આપ સમગ્ર વિશ્વનું પાલન કરો. આપના અચિંત્ય સ્વરૂપનું, અસુરોનો નાશ કરનારા પરાક્રમનું અને યુદ્ધમાં પ્રગટ થયેલા આપના અદ્ભુત ચરિત્રોનું અમે કેવી રીતે વર્ણન કરીએ?”

દેવીનું સ્વરૂપ અને શક્તિ

દેવતાઓએ દેવીના મહિમાનું વર્ણન કરતાં કહ્યું, “આપ સમગ્ર જગતની ઉત્પત્તિનું કારણ છો. આપમાં સત્ત્વ, રજો અને તમો એ ત્રણેય ગુણો હોવા છતાં, આપ દોષોથી મુક્ત છો. ભગવાન વિષ્ણુ, શિવજી અને અન્ય દેવતાઓ પણ આપનો પાર પામી શકતા નથી. આપ જ સર્વનું આશ્રય છો. આ સમગ્ર જગત આપનો અંશ છે, કારણ કે આપ અવ્યાકૃત પરા પ્રકૃતિ છો. યજ્ઞોમાં ‘સ્વાહા’ના ઉચ્ચારણથી દેવતાઓ અને ‘સ્વધા’થી પિતૃઓને તૃપ્તિ આપનાર આપ જ છો. આપ જ પરા વિદ્યા છો, જે મોક્ષનું સાધન છે અને જેનો અભ્યાસ મુનિઓ કરે છે.”

દેવતાઓએ આગળ કહ્યું, “આપ શબ્દસ્વરૂપા, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના મનોહર ઉદ્ગીથનો આધાર છો. આપ ત્રણ વેદોના દેવી અને છ ઐશ્વર્યોથી યુક્ત ભગવતી છો. આપ જગતની ઉત્પત્તિ અને પાલન માટે વાર્તારૂપે (ખેતી અને આજીવિકા) પ્રગટ થયા છો અને ઘોર પીડાનો નાશ કરો છો. આપ મેધાશક્તિ, ભવસાગરથી પાર ઉતારનારી નૌકારૂપ દુર્ગા, વિષ્ણુના વક્ષઃસ્થળમાં નિવાસ કરનારા લક્ષ્મી અને ચંદ્રશેખર દ્વારા સન્માનિત ગૌરી છો.”

દેવીના રૂપનો મહિમા

દેવતાઓએ દેવીના રૂપની સ્તુતિ કરતાં કહ્યું, “આપનું મુખ મંદ હાસ્યથી શોભિત, નિર્મળ, પૂર્ણ ચંદ્રના બિંબની જેમ અને સુવર્ણની મનોહર કાંતિથી કમનીય છે. તેમ છતાં, મહિષાસુરે તેના પર પ્રહાર કર્યો, જે આશ્ચર્યજનક છે. જ્યારે આપનું મુખ ક્રોધથી લાલ થઈને ઉદયકાળના ચંદ્રની જેમ વિકરાળ બન્યું, ત્યારે મહિષાસુરના પ્રાણ નીકળી ન ગયા, એ વધુ આશ્ચર્યની વાત છે. આપની પ્રસન્નતાથી જગતનો ઉદય થાય છે અને ક્રોધથી આખા કુળોનો નાશ થાય છે, જેમ મહિષાસુરની સેના ક્ષણભરમાં નષ્ટ થઈ.”

દેવતાઓએ આગળ કહ્યું, “જેમના પર આપ પ્રસન્ન રહો છો, તે જ દેશમાં સન્માનિત હોય છે, તેમને ધન, યશ અને ધર્મની પ્રાપ્તિ થાય છે અને તેમના સ્ત્રી, પુત્રો અને ભૃત્યો હૃષ્ટ-પુષ્ટ રહે છે. આપની કૃપાથી જ પુણ્યાત્મા પુરુષ દરરોજ શ્રદ્ધાપૂર્વક ધર્મકર્મો કરે છે અને સ્વર્ગલોક પામે છે. આપ ત્રણે લોકોમાં મનોવાંછિત ફળ આપનાર છો. આપ સ્મરણ કરવાથી ભય હરો છો, ચિંતન કરવાથી કલ્યાણમયી બુદ્ધિ આપો છો અને દુઃખ, દરિદ્રતા અને ભયનો નાશ કરો છો. આપનું હૃદય સદા ઉપકાર માટે દયાથી ભરેલું રહે છે.”

દેવીની દયા અને શક્તિ

દેવતાઓએ દેવીની દયાનું વર્ણન કરતાં કહ્યું, “આપ અસુરોનો વધ કરીને સંસારને સુખ આપો છો. આ અસુરો ભલે પાપ કરીને નર્કમાં જાય, પરંતુ આપના શસ્ત્રો દ્વારા પવિત્ર થઈને તેઓ સ્વર્ગલોક પામે છે. આપની દૃષ્ટિ માત્રથી જ અસુરો ભસ્મ થઈ શકે, છતાં આપ શસ્ત્રોનો પ્રહાર કરો છો, જેથી તેઓ પવિત્ર થઈને ઉત્તમ લોકોમાં જાય. આપનું શીલ દુરાચારીઓના દુષ્ટ વર્તનને દૂર કરે છે, આપનું રૂપ અચિંત્ય છે અને આપનું બળ દેવતાઓના પરાક્રમને નષ્ટ કરનારા દૈત્યોનો પણ નાશ કરે છે. આપની દયા શત્રુઓ પર પણ પ્રગટ થાય છે.”

દેવતાઓએ દેવીના પરાક્રમની સ્તુતિ કરતાં કહ્યું, “આપના પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે? આપનું રૂપ શત્રુઓને ભય આપે છે, છતાં મનોહર છે. હૃદયમાં કૃપા અને યુદ્ધમાં નિષ્ઠુરતા એ બંને ગુણો ત્રણે લોકોમાં ફક્ત આપમાં જ દેખાય છે. આપે શત્રુઓનો નાશ કરીને ત્રણે લોકોની રક્ષા કરી, તેમને સ્વર્ગલોક પહોંચાડ્યા અને અમારો ભય દૂર કર્યો. આપ શૂળ, ખડ્ગ, ઘંટની ધ્વનિ અને ધનુષની ટંકારથી અમારી રક્ષા કરો. ચંડિકે, આપ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશામાં અમારી રક્ષા કરો. આપના સુંદર અને ભયંકર રૂપો ત્રણે લોકોમાં વિચરે છે, તેનાથી આપ ભૂલોકની રક્ષા કરો. આપના હાથોમાં શોભતા ખડ્ગ, શૂળ, ગદા અને અન્ય શસ્ત્રોથી આપ સર્વ દિશાઓમાં અમારી રક્ષા કરો.”

દેવીની પ્રસન્નતા અને વરદાન

દેવતાઓએ નંદનવનના દિવ્ય પુષ્પો, ગંધ, ચંદન અને ધૂપથી દેવીનું પૂજન કર્યું અને ભક્તિપૂર્વક સ્તુતિ કરી. આથી પ્રસન્ન થઈને દેવીએ દેવતાઓને કહ્યું, “દેવતાઓ, તમે જે ઈચ્છો તે માગો.” દેવતાઓએ જવાબ આપ્યો, “ભગવતી, આપે અમારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી દીધી છે, કારણ કે અમારો શત્રુ મહિષાસુર માર્યો ગયો છે. પરંતુ જો આપ અમને વધુ વર આપવા ઈચ્છો તો જ્યારે-જ્યારે અમે આપનું સ્મરણ કરીએ, ત્યારે-ત્યારે આપ દર્શન આપીને અમારા મહાન સંકટો દૂર કરો. જે મનુષ્ય આ સ્તોત્રો (શક્રાદય સ્તુતિ) દ્વારા આપની સ્તુતિ કરે, તેને ધન, સમૃદ્ધિ, વૈભવ અને સ્ત્રી આદિ સંપત્તિની વૃદ્ધિ આપો અને સદા પ્રસન્ન રાખો.”

દેવી ‘તથાસ્તુ’ કહીને ત્યાંથી અંતર્ધાન થઈ ગયાં. ઋષિએ રાજાને કહ્યું, “ભૂપાલ, આ રીતે પૂર્વકાળમાં ત્રણે લોકોનું હિત ઇચ્છનારા દેવી દેવતાઓના શરીરોમાંથી પ્રગટ થયા હતા. હવે હું તમને તે કથા કહીશ કે કઈ રીતે દેવતાઓ પર ઉપકાર કરનારા દેવી શુંભ-નિશુંભના વધ અને સર્વ લોકોની રક્ષા માટે  મહાદેવી ગૌરીના શરીરમાંથી પ્રગટ થયા હતા. (આ કથા પાંચમા અધ્યાયમાં એટલે કે આવતા અંકમાં વાંચવા મળશે.)

આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો ચતુર્થ (ચોથો) અધ્યાય પૂર્ણ થાય છે. 

દુર્ગા સપ્તશતીના બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયો દેવી ચંડિકાના દિવ્ય સ્વરૂપ, અજેય શક્તિ અને અધર્મ પર ધર્મની વિજયની કથા રજૂ કરે છે. મહિષાસુરનો વધ અને દેવતાઓની સ્તુતિ દર્શાવે છે કે દેવીની કૃપા અને ભક્તિ દ્વારા જ દુઃખ, ભય અને અજ્ઞાનનો નાશ થાય છે. આ કથા આપણને શીખવે છે કે આંતરિક દુર્ગુણો પર વિજય મેળવવા અને ધર્મના માર્ગે ચાલવા માટે દેવીની શરણાગતિ અનિવાર્ય છે. આવનારા લેખમાં આપણે અધ્યાય- 5 (ચંડ-મુંડ દ્વારા દેવીના રૂપની પ્રશંસા અને શુંભનો દુત મોકલવાનો પ્રયાસ) વિશે વાત કરીશું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં