બે દિવસ પહેલાં એક અરજી પર સુનાવણી કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી. આર ગવઈએ ભગવાન વિષ્ણુ જે ઘૃણાસ્પદ ટિપ્પણીઓ કરી તેની ઠીકઠાક ચર્ચાઓ થઈ છે. થવી પણ જોઈએ. સોશિયલ મીડિયા પર લોકોએ ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ની ચિંતા કર્યા વગર જજ સાહેબને ખરીખોટી સંભળાવ્યા પછી તેમણે ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક સુનાવણી દરમિયાન એવું કહ્યું કે આ બધું સોશિયલ મીડિયા પર ચાલતું રહે છે, પણ પોતે તમામ ધર્મોનું સન્માન કરે છે. માફી માંગવાની કે નિવેદન પરત લેવાની વાત ન કરી. તેઓ મિલૉર્ડ છે, કરે પણ નહીં. આપણે આશા રાખીને બેઠા હોઈએ તો વધુ પડતી કહેવાય!
વિષય એવો હતો કે સી.જે.આઈની કોર્ટમાં એક કેસ પહોંચ્યો હતો. માગણી કરવામાં આવી કે મધ્ય પ્રદેશના ખજુરાહોનાં શિલ્પોમાં ભગવાન વિષ્ણુની એક 7 ફિટની મૂર્તિ છે, જે ખંડિત સ્થિતિમાં છે. મુઘલ આક્રમણ સમયે હજારો મંદિરો ધ્વસ્ત કરવામાં આવ્યાં, મૂર્તિઓ તોડવામાં આવી, તેમાં આ પ્રતિમાને પણ નુકસાન થયું હતું. એક અરજદારે સુપ્રીમ કોર્ટ સમક્ષ માગ કરતાં કહ્યું કે આ મૂર્તિ પુનઃસ્થાપિત કરવામાં આવે તેવા નિર્દેશો આપવામાં આવે કારણ કે પોતે ઘણા વખતથી પ્રશાસનને રજૂઆત કરતા હોવા છતાં કોઈ નિવેડો આવતો નથી કે સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી.
સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશોએ એમ કહીને અરજી ફગાવી દીધી કે આ વાસ્તવમાં ASIનું, ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણનું (ASI) કામ છે. તેમાં સુપ્રીમ કોર્ટ કશું કરી શકે તેમ નથી. ત્યાં સુધી ઠીક છે. કોર્ટનું આ અવલોકન હતું. તેઓ અરજી ન ફગાવી શકે એમ પણ આપણાથી ન કહેવાય. પણ આ અરજી ફગાવતી વખતે CJI ગવઈ બોલ્યા: ‘તમે તો ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત છો. જઈને તેમને જ કહો કે કશુંક કરે.’
આ ટિપ્પણીઓ બિનજરૂરી હતી. વાહિયાત હતી. સ્પષ્ટપણે આ દેશના એક બહુમતી સમુદાયનું અપમાન હતું. ગમે ત્યાંથી નહીં દેશના મુખ્ય ન્યાયાધીશ જેવા પદેથી આવી હતી. જે ન્યાયાલય પાસે, જે જજ પાસે ન્યાયની અપેક્ષાએ વ્યક્તિ જાય છે, તેને આવી ટિપ્પણીઓ સાંભળવા મળે તો વિશ્વાસ ડગુમગુ થવાનો એ સ્વાભાવિક છે. આવા અનેક કિસ્સાઓ બન્યા છતાં હિંદુઓનો ન્યાયતંત્ર પ્રત્યેનો વિશ્વાસ અકબંધ છે એ વાસ્તવિકતા આ બહુ મોટા સમુદાય વિશે, તેની સહિષ્ણુતા વિશે, તેના ચારિત્ર્ય વિશે ઘણું બધું કહી જાય છે.
ઉદાહરણ તરીકે લઈએ કે આ અરજી કોઈ ઇસ્લામિક માળખાના સંબંધમાં કરવામાં આવી હોત અને જજ સાહેબે એમ કહ્યું હોત કે જઈને અલ્લાહને કહો કે બનાવી આપે, તો અત્યારે દેશની સ્થિતિ શું હોત? સુજ્ઞ વાચક જાણે છે. સંભવતઃ જજો પણ જાણે છે અને દેશની અદાલતો પણ. ભૂતકાળમાં મુસ્લિમ સમુદાયે ‘સ્ટ્રીટ વિટો’ વાપરીને દેશનાં અનેક શહેરોમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા, ઠેરઠેર હિંસક પ્રદર્શનો કર્યાં અને પછી જ્યારે FIR ક્લબ કરવાની માગ લઈને નૂપુર શર્મા સુપ્રીમ કોર્ટમાં ગયાં તો જજ સાહેબે શું કહ્યું? આ મહિલાના કારણે આ બધું થયું. તેમણે જીભ પર કાબૂ ન રાખ્યો એટલે દેશ સળગ્યો!
બીજી બાજુ હિંદુઓ પોતાના આરાધ્યની એક મૂર્તિ પુનઃસ્થાપિત કરવા માટે કોર્ટ જાય છે. ન્યાયાલય સમક્ષ કાયદાને અનુરૂપ રહીને માગણી કરે છે તો તેમને શું કહેવામાં આવે છે? જાઓ જઈને તમારા આરાધ્યને જ કહો કે કશુંક કરે.
અહીં પ્રશ્ન એ છે કે જો ભગવાનને પ્રાર્થના કરીને જ બધું કરાવવાનું હોય, સમસ્યાઓનાં સમાધાનો મેળવવાનાં હોય તો પછી ન્યાયાલયોની શું જરૂર છે? અરજીઓ કેમ થાય છે, સુનાવણી કેમ થાય છે, આદેશો કેમ પસાર કરવામાં આવે છે? દરેક વિવાદનું સમાધાન એ જ રીતે કરવામાં આવે જે રસ્તો સી.જે.આઈએ બતાવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશે આ ટિપ્પણીઓ કરીને હિંદુઘૃણાને મેઇનસ્ટ્રીમ કરવાનું કામ જાણ્યે-અજાણ્યે કરી નાખ્યું છે. દેશની સર્વોચ્ચ ન્યાયાલયના સર્વોચ્ચ પદેથી આવી ટિપ્પણીઓ આવે તો જે ઇકોસિસ્ટમ હિંદુઓને, તેમની સંસ્કૃતિને, તેમના આરાધ્યોને બદનામ કરવાના આશય સાથે તૈયાર બેઠી હોય તેને આપોઆપ આત્મવિશ્વાસ આવવાનો. તેઓ હિંદુ ભાવનાઓને, તેમની પરંપરાઓની વધુ મજાક ઉડાવવાના.
અહીં સી. જે. આઈ કે તેમની બેન્ચને લાગ્યું હોત કે આ વિષય તેમનો નથી કે કોર્ટના હસ્તક્ષેપની આમાં જરૂર નથી તો તેઓ માત્ર ‘ડિસમિસ્ડ’ કહીને મામલો પતાવી શક્યા હોત. બાકીની ટિપ્પણીઓની કોઈ જરૂર ન હતી. છતાં તેમણે કરી. કારણ? એક ટ્વિટર યુઝરે હમણાં સરસ લખ્યું: ‘હિંદુઓ રસ્તા પર નથી ઉતરતા કારણ કે તેઓ સુપ્રીમ કોર્ટનું સન્માન કરે છે. સુપ્રીમ કોર્ટ હિંદુઓનું સન્માન નથી કરતી કારણ કે તેઓ રસ્તા પર નથી ઉતરતા.’


