મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય ઉમંગ સિંઘારે તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આદિવાસીઓ હિંદુ નથી. આ નિવેદનથી મોટો વિવાદ ઊભો થયો છે અને ભાજપે તેમની ટીકા કરી છે.
ઉમંગ સિંઘારે ANI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ભાજપ હંમેશા વાસ્તવિક મુદ્દાઓથી ભટકે છે. આદિવાસી સમુદાયની પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિ છે. એક આદિવાસી કાર્યક્રમમાં મેં કહ્યું, ‘ગર્વ સે કહો હમ આદિવાસી હૈ’. જેમ શીખ સમુદાયના પોતાના રિવાજો છે, બૌદ્ધ સમુદાયના પોતાના રિવાજો છે, જૈન સમુદાયના પોતાના છે, દરેક ધર્મની પોતાની માન્યતાઓ છે. છેલ્લાં 16 વર્ષથી હું પોતે મારા વિસ્તારમાં ગણેશ વિસર્જન વિધિઓ કરી રહ્યો છું. તો પછી ભાજપ આદિવાસીઓને નિશાન બનાવવા અને તેમને હિંદુ ધર્મમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કેમ કરી રહ્યો છે?”
તેમણે કહ્યું, “ભાજપ અસ્તિત્વમાં આવ્યો તે પહેલાં પણ આદિવાસીઓ હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે, તેથી જ સંયુક્ત રાષ્ટ્રએ 9 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો છે.” તેમણે કહ્યું કે, “મારું માનવું છે કે ભાજપ પાછળ RSSની વિચારધારા છે અને RSS ક્યારેય તેની ‘મનુવાદી’ માનસિકતાથી ઉપર ઉઠ્યું નથી. જો તેઓ ખરેખર આદિવાસીઓની કાળજી રાખતા હોય તો તેઓ શા માટે કોઈ આદિવાસી વ્યક્તિને તેમના સરસંઘચાલક તરીકે નિયુક્ત નથી કરતા? આટલા વર્ષોમાં તેમની ક્યારેય નિમણૂક કેમ કરવામાં આવી નથી? ભાજપે ખુલાસો કરવો જોઈએ.”
#WATCH | Bhopal, Madhya Pradesh: On tribal identity, Madhya Pradesh Assembly LoP Umang Singhar says, "The original inhabitants of this country are tribals… Why do the BJP or RSS want to stop us from worshipping nature?… We are not disrespecting any religion. I, too, respect… pic.twitter.com/I2EF69mhJi
— ANI (@ANI) September 5, 2025
નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં આદિવાસીઓની વસ્તી ઘણી વધારે છે, જે રાજ્યની કુલ વસ્તીના લગભગ 21% છે. આદિવાસીઓની ઓળખ અને તેમની સંસ્કૃતિ રાજકીય ચર્ચામાં મહત્વનો ભાગ ભજવે છે. ઉમંગ સિંઘારના નિવેદનથી આ મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. તેમના આ નિવેદનની ભાજપે ટીકા પણ કરી છે.
ભાજપની પ્રતિક્રિયા
ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ આ નિવેદનનો વિરોધ કરતાં કહ્યું કે, “વિપક્ષના નેતા ઉમંગ સિંઘાર સોનિયા ગાંધીને ખુશ કરવા માટે આદિવાસીઓને ક્રોસ પહેરાવવાનું કાવતરું ન કરે. તમે સોનિયાને ખુશ કરી શકો છો, પરંતુ દેશના લોકો તમારાથી નારાજ થઈ જશે. એ યાદ રાખો કે ભારતની સંસ્કૃતિ અને સભ્યતા આદિવાસી સમુદાયના ગર્ભમાં જ ખીલી છે.”
सोनिया गांधी जी को खुश करने के लिए आदिवासी भाई-बहनों के गले में क्रॉस लटकाने का षडयंत्र मत करो उमंग सिंघार जी…#RameshwarSharma#RsSpeaks pic.twitter.com/e3a4Zc0Mot
— Rameshwar Sharma (@rameshwar4111) September 4, 2025
તેમણે કહ્યું, “આ જ ભૂમિ પર ભગવાન રામે પોતે શબરીના હાથમાંથી બોર ખાધાં હતાં અને તેમને માતા તરીકે સંબોધ્યાં હતાં. આ ભારતની શાશ્વત પરંપરાઓ અને સભ્યતાનો સાર છે, જેને આદિવાસીઓએ ગર્વથી અપનાવી છે અને આજ સુધી તેનું પાલન કર્યું છે. સેંકડો આદિવાસીઓએ સ્વતંત્રતા ચળવળમાં જોડાયા અને દેશને સ્વતંત્ર કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવીને દુનિયાને બતાવ્યું છે કે બિરસા મુંડા ભારતીય સંસ્કૃતિ અને સનાતન સભ્યતાના નાયક છે અને આદિવાસીઓ આવા બિરસા મુંડાના ભક્ત છે.”
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓ આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં ફેરવવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમણે આગળ કહ્યું, “સોનિયા ગાંધીને ખુશ કરવા માટે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરો. ઉમંગજી, આ પાપ ન કરો. આદિવાસીઓ સનાતન સંસ્કૃતિના અનુયાયી છે, તેઓ વૃક્ષોની પૂજા કરે છે, તેઓ નદીઓના પાણીની પૂજા કરે છે અને આ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો સાર છે. તમે ગમે તેટલી કોશિશ કરો, ભારતના આદિવાસીઓ ક્યારેય તેમના ગળામાં ક્રોસ પહેરશે નહીં; તેઓ હંમેશા સનાતન, બિરસા મુંડાનો જપ કરશે, તેઓ ખ્રિસ્તી બનશે નહીં.”


