સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગણેશજીના આઠેક મંડપમાં ચોરી થવાની ઘટના પોલીસના ચોપડે નોંધાયા બાદ આ મામલે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. ચાંદીની મૂર્તિઓ, દીવા અને રોકડ રકમ સહિતનો સામાન ચોરી કરવા મામલે બંનેની ધરપકડ કરીને સુરત પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના મહિધરપુરાના દારૂખાના રોડ પર આવેલા ગણેશ મંડપોમાં બની હતી. 2 સપ્ટેમ્બરની રાત્રે તસ્કરોએ મંડપમાં ઘૂસીને ચાંદી અને પિત્તળની ગણેશની મૂર્તિઓ, પૂજા માટે વપરાતા દીવા અને દાનપેટીમાં રાખેલી રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો. અહેવાલો અનુસાર, પચાસ-પચાસ મીટરના અંતરે આવેલા આઠ મંડપોમાં આ રીતે ચોરો ઘૂસ્યા હતા.
કહેવાઈ રહ્યું છે કે આ ઘટના રાત્રિના 2 વાગ્યા પછી બની હતી, કારણ કે 2 વાગ્યા સુધી આયોજકો અને સ્થાનિકો પંડાલમાં હાજર હતા. ઘટનામાં શ્રીજીની મૂર્તિ ખંડિત થઈ હોવાનું પણ સામે આવ્યું હતું. આ બધું CCTV કેમેરામાં કેદ થઈ ગયું, જેના આધારે પછીથી પોલીસે તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજમાં 2 ચોરો પંડાલમાંથી કીમતી ચીજવસ્તુઓની ચોરી કરતા જોવા મળે છે.
આ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓ, આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણીની ધરપકડ કરી લીધી છે.
બંને ચોરો પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો જે પોલીસે જપ્ત કરી લીધો છે. ડીસીપી રાઘવ જૈને સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના માત્ર ચોરીનો પ્રયાસ છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવે. પોલીસે પછીથી આયોજકો, સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો સાથે પણ મુલાકાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
સ્થાનિકોએ પોલીસે સમક્ષ રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે જેથી ફરીથી આવી ઘટના ન બને. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આવી ઘટનાઓથી તહેવારનો ઉત્સાહ ઓછો થાય છે અને લોકોમાં ડરનો માહોલ ઊભો થાય છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


