તીર્થરાજ પ્રયાગરાજમાં (Prayagraj) દર 12 વર્ષે કુંભ મેળો (Kumbh) ભરાય છે. ત્યારે હમણાં પ્રયાગરાજ મહાકુંભ 2025 વિશે (Mahakumbh 2025) ઘણું બધું લખવામાં અને વાંચવામાં આવી રહ્યું છે, પરંતુ આજે અમે આઝાદી પછી યોજાયેલા પહેલા કુંભ મેળા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં વડાપ્રધાન જવાહરલાલ (Jawaharlal Nehru) નહેરુ અને તે સમયના રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ (President Dr. Rajendra Prasad) પણ પહોંચ્યા હતા. પરંતુ તેમનું આવવું એટલું દુર્ભાગ્યપૂર્ણ હતું કે 1954ના તે કુંભ મેળામાં ભાગદોડથી 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને 2000થી વધુ લોકો ઘાયલ થયા.
રાજકારણીઓના કારણે ઉભી થયેલી અવ્યસ્થા અને તેના કારણે થયેલી ભાગદોડમાં 1000 જેટલા લોકોના મોત નીપજ્યા. અલગ અલગ જગ્યાએ અલગ-અલગ દાવા કરવામાં આવે છે. જોકે, અમે સૌથી વિશ્વસનીય અને નજરે જોનારા પત્રકારના અનુભવને પ્રકાશિત કરી રહ્યા છીએ, જેને કોંગ્રેસ સરકારે હંમેશાં છુપાવવાનો પ્રયાસ કર્યો છે.
કુંભ 1954માં થયેલી ભાગદોડ અને હજારો મોતનું નહેરુ કનેક્શન
ભારતને 1947માં આઝાદી મળી હતી. 1954માં પ્રથમ વખત સ્વતંત્ર ભારતમાં પ્રયાગરાજમાં (તત્કાલીન અલ્હાબાદ) કુંભ મેળો યોજાવાનો હતો. જો કે 1948માં અર્ધ કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કુંભ મેળો 1954 વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પોતાના શહેર અલ્હાબાદમાં (હવે પ્રયાગરાજ) યોજાઇ રહ્યો હતો, આથી નહેરુને તેમાં વ્યક્તિગત રસ હતો. પરંતુ નેહરુએ દ્વિતીય શાહી સ્નાનમાં (મૌની અમાવસ્યા) હાજરી આપવાના નિર્ણયથી પ્રયાગમાં લાશોના ઢગલા ખડકાઈ ગયા હતા.
કોંગ્રેસની સરકારોએ આ ઘટનાઓને દબાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. આટલું જ નહીં, 1954ના કુંભ મેળામાં ભાગદોડથી 1000થી વધુ લોકોના મોતને પણ કેટલાક ‘ભિખારીઓ’નાં મોત તરીકે પ્રચાર કર્યો અને વાસ્તવિકતાને દબાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આનંદ બિહાર પત્રિકાના એક પત્રકારના કારણે આ ઘટના ઉજાગર થઈ શકી. પુરાવા તરીકે ફોટોગ્રાફ પણ છપાઈ ગયા. આમ છતાં કોંગ્રેસીઓએ પૂરી તાકાતથી આ ઘટના પર પડદો પાડવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘટના ઉજાગર થવાના કારણે અને અકસ્માતના કારણે નિરાશામાં સરી પડેલા તત્કાલિન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત ખૂબ જ ગુસ્સે થયા હતા અને તેમણે પત્રકાર માટે ‘હારા#$%d’ જેવા નિમ્ન શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
કેવી રીતે 1954ના કુંભમાં હજારથી વધુ લોકો મોતને ભેટ્યા?
એ ગોઝારો દિવસ હતો 3 ફેબ્રુઆરી 1954 અને પ્રસંગ હતો કુંભનું બીજું શાહી સ્નાન એટલે કે મૌની અમાવસ્યા. જવાહરલાલ નહેરુ પોતે પ્રયાગ પહોંચ્યા હતા અને તેમની સાથે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ પણ હતા. સમય સવારે લગભગ 10:20 વાગ્યાનો હતો, જ્યારે નહેરુ અને રાજેન્દ્ર બાબુની કાર ત્રિવેણી રોડથી આવી અને બેરિયર પાર કરીને કિલા ઘાટ તરફ આગળ વધી રહી હતી. તેવામાં નહેરુને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ, અચાનક મેળામાં આવતી ભીડ અને મેળામાંથી બહાર જતી ભીડ આમને સામને આવી ગઈ હતી. જોતજોતામાં નાસભાગ મચી ગઈ હતી. લોકો પડવા-આખડવ અને કચડાવા લાગ્યા. દ્રશ્ય એટલું ભયાવહ હતું કે નજીકનો મોટો કૂવો લાશોથી ભરાઈ ગયો હતો.
આનંદ બજાર પત્રિકા માટે મેળાનું કવરેજ કરી રહેલા ફોટો જર્નાલિસ્ટ એન.એન.મુખર્જીએ 1989માં ‘છાયાકૃતિ’ મેગેઝિનમાં પ્રકાશિત પોતાના સંસ્મરણોમાં આ વાતોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. વાસ્તવમાં, આ મેળામાં થયેલા અકસ્માતની તીવ્રતા તેમની લીધેલી તસવીરો દ્વારા જ ઉજાગર થઈ હતી. અકસ્માત સમયે તેઓ સંગમ પોસ્ટ પાસેના ટાવર પર ઉભા હતા.
તેમણે પોતાના સંસ્મરણોમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ એક જ દિવસે સંગમ સ્નાન માટે આવવાના હતા. જેથી તમામ પોલીસ અને વહીવટી અધિકારીઓ હજારો લોકોની વ્યવસ્થા પડતી મુકીને તેમના આગમનની તૈયારીમાં લાગી ગયા હતા. પરંતુ સવારે 10:20 વાગ્યે જ્યારે બંને કાર દ્વારા કિલા ઘાટ તરફ આગળ વધ્યા તો ભીડ બેકાબુ થઇ ગઇ. ઠેક-ઠેકાણે માત્ર મૃતદેહો જ નજરે પડી રહ્યા હતા. તેઓ પોતે પણ ઘણા મૃતદેહો ઉપર ચઢીને બહાર આવ્યા અને ઘટનાના ફોટા પાડ્યા.
ઘટનાની સાંજે અધિકારીઓ ચા-નાસ્તામાં વ્યસ્ત હતા
તેમણે લખ્યું કે 1954ના કુંભ મેળામાં ભાગદોડથી થયેલી આ મોટી ઘટના છતાં અકસ્માતના સ્થળથી દૂર રહેલા ઉચ્ચ અધિકારીઓ સરકારી નિવાસ સ્થાને સાંજે 4 વાગ્યા સુધી ચા-નાસ્તામાં વ્યસ્ત હતા અને તેમને અકસ્માતની માહિતી પણ મળી ન હતી. તે જ સમયે જ્યારે પત્રકાર એન.એન. મુખર્જી લગભગ 1 વાગ્યે તેમની ઓફિસ પહોંચ્યા, તો તેમના સંપાદક સહિત તમામ પત્રકાર સાથીઓએ તેમના જીવતા બચવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને તેમના આગમન પર ખુશી વ્યક્ત કરી હતી.
આ ઘટના આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સ ન બને તે માટે, તે સમયની કોંગ્રેસ સરકારે તેને ‘કેટલાક ભિખારીઓનું મૃત્યુ’ તરીકે નકારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એન.એન. મુખરજીએ આ તસવીરો અધિકારીઓ સમક્ષ મૂકી હતી, જેમાં ઘણી મહિલાઓએ મોંઘાદાટ કપડાં અને દાગીના પહેર્યા હતા, જેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે મૃતકો ભિખારી નહોતા, પરંતુ તેઓ સમૃદ્ધ પરિવારોમાંથી હતા અને તેઓ સરકારી ગેરવહીવટનો ભોગ બને છે.
પત્રકારે છાપેલા ફોટા જોઈ મુખ્યમંત્રીએ આપી ગાળ
આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની લાશ કોઇને પણ આપવામાં આવી ન હતી. તંત્રએ ઢગલો કરીને મૃતદેહોને સામૂહિક રીતે સળગાવી દીધા હતા. એન.એન. મુખર્જીએ જણાવ્યું હતું કે તેઓ કોઈક રીતે તે મૃતદેહોના ઢગલા પાસે પહોંચી ગયા હતા. તેઓએ પોલીસકર્મચારીના પગ પકડીને કહ્યું કે તે “છેલ્લી વાર તેની મૃત દાદીને જોવા માંગે છે”, જે પછી તેમને મૃતદેહોની નજીક જવાની મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન એન.એન.મુખર્જીએ ગુપ્ત રીતે નાના કેમેરાથી સામૂહિક રીતે મૃતદેહોને સળગાવવામાં આવી રહ્યા હોવાની તસવીર કેદ કરી હતી.

આનંદ બજાર પત્રિકાએ હોનારતના સમાચાર તસવીર સાથે પ્રકાશિત કર્યા હતા. અન્યત્ર બહુ ઓછા સમાચાર પ્રકાશિત થતા હોવાથી કોંગ્રેસ તંત્ર મૂંઝવણમાં મૂકાયું હતું કે આખરે આ ઘટનાના ફોટા છપાયા કાઈ રીતે. એ તસવીરો જોઈને મંત્રી ગોવિંદ વલ્લભ પંતે બૂમ પાડી કહ્યું હતું કે, ‘આ હરામ%^#@ ફોટોગ્રાફર ક્યાં છે.’ એન.એન.મુખર્જીએ કહ્યું કે આ મોટા અકસ્માતથી બોધપાઠ લઈને સરકારે મહિનાઓ અને વર્ષો પહેલા ભાવિ તમામ કુંભ મેળાઓની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, આ ઘટના દરમિયાન જવાહરલાલ નહેરુની હાજરીને છુપાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે.
વડાપ્રધાન મોદીએ મંચ પરથી કર્યો ઉલ્લેખ, તેમને ખોટા સાબિત કરવા લાગી પડી મીડિયા ગેંગ
આ સમગ્ર ઘટનાને હંમેશા છુપાવવાનો પ્રયાસ થતો રહ્યો છે. તથ્યોને પણ મારી-તોડી અને મચોડીને રજૂ કરવામાં આવે છે. વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૌશાંબીમાં એક જનસભામાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પ્રયાગરાજ કુંભ 1954ની અત્યંત સંવેદનશીલ ઘટનાને છુપાવવા અને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પછી જાણે કે પાલતું મીડિયાની ગેંગને કોઈ ટાર્ગેટ મળી ગયો હોય. તરત જ એવા સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા જેમને આ સ્થળ સાથે ખાસ કોઈ લેવાદેવા નહોતી.
પાલતું મીડિયાએ જવાહરલાલ નહેરુનું નામ છુપાવવા માટે ‘કહેલી-સાંભળેલી’ વાતો છાપવામાં આવી. ભાસ્કરે 12 વર્ષ પહેલા આ મામલે એક રિપોર્ટ પણ પ્રકાશિત કર્યો હતો, પરંતુ તેમાં નહેરુની સંડોવણી પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. આ અકસ્માત બાદ ઇન્ડિયા એક્સપ્રેસે સરકારી અધિકારીઓને ટાંકીને આ ઘટનામાં માત્ર 300 લોકોના મોત થયા હોવાના અહેવાલ આપ્યા હતા. જો કે ટાઈમ મેગેઝીને કહ્યું હતું કે આ દુર્ઘટનામાં 500 લોકોના મોત થયા છે, પરંતુ નેહરુની હાજરીને ચારે બાજુથી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આવો જ એક કિસ્સો બીબીસી હિન્દીએ પણ પ્રકાશિત કર્યો હતો, જેમાં એ જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે એ સમયનું મીડિયા ખૂબ જ મુક્ત હતું. પરંતુ તેઓ એન.એન. મુખર્જીને ભૂલી ગયા અને જવાહરલાલ નહેરુ તે અકસ્માતનું કારણ ન હતા તે સાબિત કરવા માટે તેમના તમામ પ્રયત્નો કર્યા. એટલું જ નહીં, બીબીસીએ એ જુઠ્ઠાણું પણ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે ઘટના સમયે જવાહરલાલ નહેરુ પ્રયાગરાજમાં નહોતા. જો કે તેમણે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને તેમાં તાણી લાવીને તેમની સામે ઘટના ઘટી હોવાનું કહ્યું હતું.
(એન.એન. મુખર્જીનું આ સંસ્મરણ 4 ફેબ્રુઆરી, 2019ના રોજ ધ સ્ટેટ્સમેન દ્વારા અંગ્રેજીમાં પ્રકાશિત થયું હતું. મૂળ અહેવાલ સ્ક્રોલની હિન્દી વેબસાઇટ સત્યાગ્રહ પર પ્રકાશિત થયો હતો. સત્યાગ્રહની વેબસાઈટ બંધ થઈ ગઈ હોવાથી આ અહેવાલ માત્ર ધ સ્ટેટ્સમેન પર જ ઉપલબ્ધ છે.)


