મંગળવારે (22 એપ્રિલ 2025) જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલ આતંકી હુમલો (Pahalgam Terrorist Attack) ધર્મના (Religious Base) આધારે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. હુમલામાં માર્યા ગયેલાઓમાં ભારત ભૂષણ, સુશીલ નથાનિયલ, નીરજ ઉધવાણી અને દિનેશ મિરાનિયા પણ સામેલ છે, જેમને આતંકવાદીઓએ ધર્મ પૂછ્યો, કલમા પઢવા કહ્યું અને પછી ગોળી મારી દીધી.
બેંગલુરુના 35 વર્ષીય ‘ભારત ભૂષણ’ને આતંકવાદીઓએ ફક્ત ‘નામ’ સાંભળીને ગોળી મારી દીધી. તેઓ તેમના પરિવાર સાથે રજાઓ માણવા માટે કાશ્મીર ગયા હતા. ત્યાં આતંકવાદીઓએ તેમને અને તેમના પરિવારને ઘેરી લીધા અને નામ પૂછ્યું. ભારત ભૂષણનો એક 3 વર્ષનો દીકરો છે, જે હુમલા સમયે તેમના ખોળામાં હતો. તેમણે આતંકવાદીઓને કહ્યું, “મારું નામ ભારત છે.”
પછી પૂછ્યું કે તેઓ હિંદુ છે કે મુસ્લિમ. આના જવાબમાં ભારત ભૂષણે કહ્યું કે તેઓ હિંદુ છે. ત્યારબાદ આતંકવાદીઓએ ખોળામાં રહેલા બાળકને નજીક ઉભેલી પત્નીને સોંપવા કહ્યું અને પછી તેમને ગોળી મારી દીધી. ભારત ભૂષણની હત્યા તેમની પત્ની ડોક્ટર સુજાતા અને ત્રણ વર્ષના નાના દીકરાની સામે કરવામાં આવી. ડોક્ટર સુજાતા એક હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત છે.
“My name is Bharat”
— Smita Prakash (@smitaprakash) April 24, 2025
They shot him in the head pic.twitter.com/GFaTYGCmUB
પહલગામ આતંકવાદી હુમલામાં ઈન્દોરના રહેવાસી ખ્રિસ્તી પરિવારના 58 વર્ષીય સુશીલ નથાનિયલને પણ બિન-મુસ્લિમ હોવાને કારણે ગોળી મારી દેવામાં આવી. સુશીલ નથાનિયલ LICમાં કામ કરતા હતા. તેઓ તેમની પત્ની જેનિફર, દીકરી આકાંક્ષા અને દીકરા ઓસ્ટિન સાથે બૈસરનમાં હતા.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પહેલા તેમને ઘૂંટણીયે બેસાડ્યા અને પછી કલમા પઢવા કહ્યું. જોકે, સુશીલ કલમા પઢી શક્યા નહીં. ત્યારબાદ આતંકવાદીઓએ તેમનો ધર્મ પૂછ્યો તો તેમણે ખ્રિસ્તી હોવાનું જણાવ્યું. આ પછી આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી. આ દરમિયાન, નજીક ઉભેલી તેમની દીકરી આકાંક્ષાના પગમાં પણ ગોળી વાગી. આ દરમિયાન સુશીલની પત્ની જેનિફર ભાગવાનો પ્રયાસ કર્યો અને આમાં તે ઘાયલ થઈ ગઈ. દીકરો ઓસ્ટિન હાલ સુરક્ષિત છે.
રાજસ્થાનના જયપુરના રહેવાસી નીરજ ઉધવાણીએ પહલગામમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો. માલવીય નગરના મોડલ ટાઉનના રહેવાસી નીરજ દુબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. તેઓ તેમની પત્ની આયુષી સાથે લગ્નમાં ભાગ લેવા માટે શિમલા આવ્યા હતા. શિમલામાં લગ્નમાં હાજરી આપ્યા બાદ બંને કાશ્મીર ફરવા ગયા હતા.
ઈસ્લામિક આતંકવાદીઓએ હુમલા દરમિયાન નીરજ ઉધવાણીને તેમનું ઓળખપત્ર (આઈ કાર્ડ) બતાવવા કહ્યું હતું. ત્યારબાદ તેમનો ધર્મ પૂછવામાં આવ્યો. તેમને પણ બિન-મુસ્લિમ હોવાને કારણે આતંકવાદીઓએ નિશાન બનાવ્યા. માહિતી અનુસાર, હુમલા દરમિયાન નીરજની પત્ની આયુષી હોટેલમાં હતી. બંનેના લગ્નને બે વર્ષ જ થયા હતા.
છત્તીસગઢની રાજધાની રાયપુરના વેપારી દિનેશ મિરાનિયાને પણ આ હુમલામાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ઘટનાના દિવસે દિનેશ પોતાના પરિવાર સાથે બૈસરન ખીણ પહોંચ્યા હતા. તેઓ પોતાના બાળકો સાથે ફરી રહ્યા હતા. એટલામાં આતંકવાદીઓએ ત્યાં આવીને લોકોની ઘેરાબંધી કરી લીધી. આતંકવાદીઓએ નામ જાણ્યા બાદ તેમને પૂછ્યું કે ‘તારો ધર્મ શું છે.’
જેવું તેમણે જણાવ્યું કે તેમનો ધર્મ હિંદુ છે, આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી. જે દિવસે આતંકવાદીઓએ દિનેશની ગોળી મારીને હત્યા કરી, તે દિવસે તેમની લગ્નની વર્ષગાંઠ હતી. દિનેશના પિતરાઈ ભાઈ મનીષ સિંઘાનિયાએ જણાવ્યું કે હુમલા બાદ તેમણે ફોન કર્યો તો બાળકોએ જણાવ્યું કે આતંકવાદીઓએ તેમનો ધર્મ પૂછ્યો અને હિંદુ સાંભળીને ગોળી મારી દીધી.