Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના દરબારમાં: ખાસ હિમાચલી વસ્ત્રોમાં કર્યો રુદ્રાભિષેક, ઉત્તરાખંડને...

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના દરબારમાં: ખાસ હિમાચલી વસ્ત્રોમાં કર્યો રુદ્રાભિષેક, ઉત્તરાખંડને આપી 3400 કરોડ રૂપિયાથી વધારેના વિકાસકામોની ભેટ

    વડાપ્રધાન બન્યા બાદ છઠ્ઠી વખત કેદારનાથ ધામના દર્શને ગયા પીએમ મોદી, વિકાસકાર્યોની સમીક્ષા પણ કરી.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા કેદારનાથના દરબારમાં દર્શન કરવા પહોંચ્યા હતા. હાલ પીએમ આજથી ઉત્તરાખંડના બે દિવસીય પ્રવાસ પર છે. પોતાની આ યાત્રા દરમિયાન તેઓ શુક્રવારે સવારે 8.20 વાગ્યે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા, ત્યારબાદ પવિત્ર રુદ્રાભિષેક અનુષ્ઠાનમાં જોડાયા હતા. આ દરમિયાન તેમની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા હતા. તેઓ અહીં ઉત્તરાખંડના આ તીર્થસ્થળોને 3400 કરોડ રૂપિયાથી વધારેના અલગ-અલગ વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો હતો.

    અહેવાલો અનુસાર વડાપ્રધાન મોદીએ શુક્રવારે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા, તેમણે ગર્ભ ગૃહમાં લગભગ 20 મિનીટ સુધી બાબા કેદારનાથની પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ તેઓ પહેલીવાર 3 મે 2017ના રોજ કેદારનાથ ગયા હતા. બાબાના દર્શન બાદ પીએમ મોદી આદિ શંકરાચાર્યની સમાધિના દર્શન કરવા ગયા હતા. આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી આ પ્રતિમાનું વજન 28 ટન છે. તે મૈસુરમાંથી પસંદ કરાયેલા ગ્રેનાઈટ પત્થરોમાંથી બનાવવામાં આવી છે.

    બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ પીએમ બદ્રીનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે બદ્રીનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદી અહીં 3400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પાંચ વખત કેદારનાથની મુલાકાત લીધી હતી.

    - Advertisement -

    મોદી હિમાચલી ટોપી અને ખાસ સફેદ પહેરવેશે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું

    કેદારનાથના દર્શનાર્થે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ સ્ટાઇલની ચર્ચા થઇ રહી છે. પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો, તેમાં તેમનો પારંપરિક હિમાચલી લુક જોવા મળ્યો હતો. કેદારનાથમાં પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો છે, તેનો સંબંધ હિમાચલના ચંબા વિસ્તાર સાથે છે. આ ડ્રેસ તેમને ચંબા જિલ્લાની એક મહિલાએ ભેટ આપ્યો હતો.

    ચંબાની મહિલાને આપેલું વચન કર્યુ પૂર્ણ

    પીએમ મોદીએ મહિલાને વચન આપ્યું હતું કે જ્યારે તે ઠંડી જગ્યાએ જશે તો આ ડ્રેસ પહેરશે. હવે પીએમ મોદીએ ચંબાની મહિલાને આપેલું આ વચન પૂરું કર્યું છે. પીએમ મોદીએ જે ખાસ ડ્રેસ પહેર્યો છે તેને ‘ચોલા ડોરા’ (Chola Dora) કહેવામાં આવે છે. આ સાથે પીએમે માથા પર હિમાચલી ટોપી પણ પહેરી હતી.

    કેદારનાથમાં રોપ-વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

    પીએમ મોદીએ કેદારનાથમાં લગભગ 946 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર સોનપ્રયાગ-કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રાષ્ટ્રીય હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડના એન્જિનિયરે જણાવ્યું કે, વડાપ્રધાનને વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા પ્રોજેક્ટ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ રોપવે 9.7 કિલોમીટર લાંબો હશે, જે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. હાલમાં આ અંતર કાપવામાં લગભગ છ કલાકનો સમય લાગે છે, રોપ-વેના નિર્માણ બાદ આ યાત્રા 30 મિનિટમાં પૂર્ણ થશે.

    રોપ-વેનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિનાં દર્શન કર્યા. આ મુલાકાત દરમિયાન તેઓ મંદાકિની અને સરસ્વતી નદીના કિનારે ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. કેદારનાથ ધામના દરવાજા 27 ઓક્ટોબરે, જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 19 નવેમ્બરે બંધ થઈ રહ્યા છે.

    શ્રમિકોની ચિંતા, હાલચાલ પૂછ્યા

    PM મોદીએ ભગવાન શિવની પૂજા કરી અને ગૌરીકુંડથી કેદારનાથ સુધીના રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન PM મોદીએ કેદારનાથમાં વિકાસ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા કામદારો સાથે વાતચીત કરી અને તેમની સ્થિતિ જાણી હતી. તેમણે કામદારોને તેઑના મૂળ વતન રાજ્યોના લાભો, સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે પૂછ્યું અને તેમના કોવિડ રસીકરણની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી.

    કામદારો સાથે વાતચીત અને મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમના મૂળ રાજ્ય અને પરિવાર વિશે પૂછ્યું હતું. પીએમ મોદીએ કામદારોને પણ પૂછ્યું કે શું તેઓને સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. તેના પર કેટલાક કામદારોએ તેમને કહ્યું કે તેઓ ખેડૂત છે અને તેમના માટે પીએમ કિસાન યોજના ખૂબ મહત્વ ધરાવે છે. કેટલાકે એમ પણ કહ્યું કે તેમને પીએમ આવાસ યોજના હેઠળ ઘર પણ મળ્યું છે.

    વડાપ્રધાનનો કેદારનાથનો છઠ્ઠો પ્રવાસ

    પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીની કેદારનાથની આ છઠ્ઠી મુલાકાત છે. પહેલીવાર તેઓ 3 મે 2017ના રોજ કેદારનાથ ધામ ગયા હતા. એ પછી 19 ઓક્ટોબર 2017માં તેમણે કેદારનાથ ધામમાં દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી, સાથે સાથે અનેક નિર્માણકાર્યોનો શિલાન્યાસ પણ કર્યો હતો. 7 નવેમ્બર 2018માં દિવાળીના અવસર પર પીએમ મોદી કેદારનાથ ધામમાં દર્શન કરવા પહોંચ્યા હતા.આ પછી 18 મે, 2019ના રોજ લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરો થયા પછી બીજા દિવસે તેઓ કેદારનાથ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો એક ગુફામાં ધ્યાનમુદ્રાનો ફોટો ખૂબ વાયરલ થયો હતો. 5 નવેમ્બર, 2021ના રોજ તેમણે કેદારનાથમાં અનેક વિકાસ પરિયોજનાઓ શરૂ કર ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ છઠ્ઠી વાર છે જયારે વડાપ્રધાન બાબા કેદારનાથના દરબારમાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં