Thursday, May 2, 2024
More
    હોમપેજદુનિયાલૉરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવાઈ સુખદૂલ સિંઘની હત્યાની જવાબદારી, ફેસબુક પોસ્ટમાં કહ્યું-...

    લૉરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવાઈ સુખદૂલ સિંઘની હત્યાની જવાબદારી, ફેસબુક પોસ્ટમાં કહ્યું- પાપોની સજા મળવી જરૂરી હતી; કેનેડામાં માર્યો ગયો હતો ખાલિસ્તાની આતંકી

    લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કહેવામાં આવ્યું કે, તેમના દુશ્મનો ક્યાંય પણ સુરક્ષિત રહી શકશે નહીં, પછી તે ભારતમાં સંતાયા હોય કે વિદેશમાં શરણ લઈને બેઠા હોય. અંતે કહ્યું કે, સમય જરૂર લાગશે પણ સજા જરૂરથી મળશે.

    - Advertisement -

    કેનેડામાં ખાલિસ્તાની આતંકી સુખદૂલ સિંઘની હત્યા કરી નાખવામાં આવ્યા બાદ આ હત્યાની જવાબદારી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈએ લીધી છે. એક ફેસબુક પોસ્ટમાં લૉરેન્સ ગેંગ તરફથી કહેવામાં આવ્યું કે, આતંકવાદીની હત્યા પાછળ તેમનો હાથ છે. સાથે અન્ય ગેંગસ્ટરોને ધમકી પણ આપવામાં આવી છે. 

    કેનેડામાં થયેલી ખાલિસ્તાની આતંકવાદીની હત્યાની જવાબદારી લેતાં લૉરેન્સ ગેંગ તરફથી કહેવામાં આવ્યું કે, સુખદૂલ સિંઘ ગેંગસ્ટરો ગુરલાલ બરાડ અને વિકી મિડ્ડુખેડાની હત્યામાં સામેલ હતો. તે વિદેશમાં હોવા છતાં આ બંનેની હત્યા માટે તેણે જ કાવતરું ઘડ્યું હોવાનો લૉરેન્સ ગેંગે દાવો કર્યો અને કહ્યું કે એ જ કારણોસર તેમણે તેની હત્યા કરી છે. સાથે એમ પણ કહ્યું કે, સુખદૂલ નશેડી હતો અને તેણે અનેક લોકોનાં જીવન બરબાદ કર્યાં હતાં, જેથી પાપોની સજા મળવી જરૂરી હતી. 

    આ સાથે લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કહેવામાં આવ્યું કે, તેમના દુશ્મનો ક્યાંય પણ સુરક્ષિત રહી શકશે નહીં, પછી તે ભારતમાં સંતાયા હોય કે વિદેશમાં શરણ લઈને બેઠા હોય. અંતે કહ્યું કે, સમય જરૂર લાગશે પણ સજા જરૂરથી મળશે. આ બધી વાતો એક ફેસબુક પોસ્ટમાં કહેવાઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    લૉરેન્સ બિશ્નોઈ હાલ ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તેની વિરુદ્ધ અનેક કેસ ચાલી રહ્યા છે. ડ્રગ્સ કેસની તપાસ હાલ NIA કરી રહી છે. પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં પણ લૉરેન્સ ગેંગનો હાથ હતો. 

    થોડા કલાકો પહેલાં NIAએ યાદી બહાર પાડી હતી, જેમાં હતું સુખદૂલનું નામ

    સુખદૂલ સિંઘ ભારતમાં વૉન્ટેડ આતંકવાદી હતો. મૂળ પંજાબના મોગાનો રહેવાસી હતો અને 2017માં બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે પાસપોર્ટ અને પોલીસ ક્લિયરન્સ મેળવીને કેનેડા ભાગી ગયો હતો. તે સમયે પણ તેની સામે અનેક કેસ ચાલતા હતા. તે ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંઘનો સાથી હતો. 

    ભારતીય સમય પ્રમાણે બુધ-ગુરૂવારની મધ્ય રાત્રિએ કેનેડાના વિનીપેગ શહેરમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને તેની હત્યા કરી નાખી. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે તેની હત્યા ગેંગવૉરના કારણે થઈ છે. બીજી તરફ, તે માર્યો ગયો તેના થોડા જ કલાકો પહેલાં ભારતીય એજન્સી NIAએ વૉન્ટેડ આતંકવાદીઓ અને ગેંગસ્ટરોની એક યાદી બહાર પાડી હતી, જેમાં સુખદૂલનું નામ પણ સામેલ હતું. 

    આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ સર્જાયો છે.  થોડા મહિના પહેલાં આ જ રીતે અજાણ્યા બંદૂકધારીઓએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરને ગોળીએ દીધો હતો. તાજેતરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ત્યાંની સંસદમાં સંબોધન કરતી વખતે નિજ્જરની હત્યાનો આરોપ ભારતના એજન્ટો પર લગાવ્યો. ત્યારબાદ ભારતના વરિષ્ઠ રાજદ્વારીને નિષ્કાસિત કરી દીધા. બીજી તરફ, ભારતે પણ ગણતરીના કલાકોમાં એક્શન લઈને ટ્રૂડોના આરોપોને ફગાવી દીધા હતા અને ભારતમાં કેનેડાના ડિપ્લોમેટને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં