Wednesday, May 22, 2024
More
    હોમપેજગુજરાતજામસાહેબે ગેસ્ટ હાઉસ માટે માંગી હતી વાડી, બદલામાં ખેડૂતને મકાન, કૂવા અને...

    જામસાહેબે ગેસ્ટ હાઉસ માટે માંગી હતી વાડી, બદલામાં ખેડૂતને મકાન, કૂવા અને ઊભેલા પાક સાથે સોંપી બમણી જમીન: રાજાઓ જમીન પચાવી પાડતા હોવાના પ્રોપગેન્ડાની પોલ ખોલે છે જામનગરનો આ કિસ્સો

    આ કિસ્સાની પુષ્ટિ સ્વયં હાલના જામનગરના મહારાજ જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાએ કરી છે. તેમણે જણાવ્યું કે તેમને જે-તે ખેડૂતના પરિવાર પાસેથી જ આ વિશે જાણવા મળ્યું હતું.

    - Advertisement -

    તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક સભામાં સંબોધન કરતી વખતે કહ્યું કે, પહેલાંના વખતમાં જ્યારે રાજા-મહારાજાઓનું શાસન હતું ત્યારે તેઓ ઇચ્છે તેની જમીન પચાવી પાડતા હતા. ભાજપે આ નિવેદનનો ખૂબ વિરોધ કર્યો, રાજા-મહારાજાઓનું અપમાન ગણાવ્યું. જોકે, પરષોત્તમ રૂપાલાના રાજા-મહારાજાઓ પરના જ નિવેદનનો વિરોધ કરતી ક્ષત્રિય સંકલન સમિતિ આ બાબતે થોડી નરમ રહી. દરમ્યાન દેશભરમાંથી અનેક લોકોએ રાહુલને પ્રજાવત્સલ રાજવીઓનાં ઉદાહરણો ટાંકીને યાદ કરાવ્યું કે રાજા-મહારાજાઓ કેટલા ઉદાર હૃદયના હતા. 

    આવો જ એક કિસ્સો જામનગરના જામસાહેબનો પણ છે. વર્ષો પહેલાંની વાત છે, ત્યારે મહારાજા જામસાહેબ રણજીતસિંહ જાડેજા નવાનગર સ્ટેટ માટે એક નવું ગેસ્ટ હાઉસ બનાવી રહ્યા હતા. એક દિવસ તેઓ નવા ગેસ્ટ હાઉસની નજીકમાં જ આવેલી એક વાડીની મુલાકાતે ગયા. તેમણે વાડીના માલિકને કહ્યું કે, ગેસ્ટહાઉસ માટે તેમને એક બગીચો બનાવવો છે અને તેના માટે વાડીની જમીનની જરૂર પડી શકે તેમ છે, તો શું તેઓ આપવા તૈયાર છે? જોકે, ખેડૂતે નમ્રતાપૂર્વક રાજાને કહ્યું કે આ વાડી પર જ તેમના પરિવારનું ગુજરાન ચાલે છે અને જો તે પોતે રાજ્યને સોંપી દેશે તો જીવનનિર્વાહ કઈ રીતે કરશે?

    જવાબમાં જામસાહેબે કહ્યું કે, તેઓ જો વાડી સોંપી દે તો તેના બદલામાં તેઓ એટલી જ ખેતીની જમીન આપશે. પરંતુ ખેડૂતે નમ્રતાથી તેમને જવાબ આપ્યો કે તેની જે વાડી છે કે ઉત્તમ ખેતીવાળી છે અને તેના બદલામાં મહારાજા તરફથી જે જમીન મળશે તે પડતર હશે. ત્યારબાદ રાજાએ તેમને કહ્યું કે, તેઓ એક વર્ષ સુધી રાજ્યમાં ફરીને જુએ અને જે જમીન તેમને માફક આવે અને ખેતીલાયક હોય તેના વિશે જાણકારી આપે. તે જમીન જામસાહેબ તેમને સોંપી દેશે. 

    - Advertisement -

    થોડા સમય બાદ ખેડૂતે પોતાને ખેતીલાયક જમીન દેખાતાં જામસાહેબને જાણ કરી અને કહ્યું કે તેણે જમીનની પસંદગી કરી લીધી છે. ત્યારબાદ રાજ્યનો એક અમલદાર ખેડૂતને લઈને જમીન દેખાડવા પણ ગયો અને ત્યારબાદ તેને ઘરે પરત પહોંચાડીને કહ્યું કે હવે તેમણે રાહ જોવાની રહેશે, કારણ કે અમુક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં સમય લાગશે. જે પૂર્ણ થયે તેમને જાણ કરી દેવામાં આવશે. 

    પછીથી ઘણા દિવસો વીતી ગયા, પરંતુ ખેડૂત પરિવારને કોઇ જવાબ ન મળ્યો. તેમના પરિવારમાં એવો ગણગણાટ પણ શરૂ થઈ ગયો કે મહારાજા વાત તો બહુ સારી રીતે કરી ગયા, પણ પછી ભૂલી ગયા લાગે છે. પરંતુ એક દિવસ અમલદાર ફરી ખેડૂત પાસે આવ્યા અને પોતાની સાથે જમીન જોવા માટે લઇ ગયા. ત્યાં જઈને જમીન જોતાં જ ખેડૂત આશ્ચર્યમાં પડી ગયા. 

    કારણ એ હતું કે તેમણે તો નાનકડી અને ઉજ્જળ જમીન પસંદ કરીને જામસાહેબને જણાવ્યું હતું પણ આ જમીન તો તેનાથી બમણી હતી. એટલું જ નહીં જમીન પર મોટો સરસ પાણીથી ભરેલો કૂવો બાંધેલો તૈયાર હતો, એક મકાન પણ બનાવીને તૈયાર રાખવામાં આવ્યું હતું અને જમીનમાં બાજરાનો પાકેલો મોલ પણ ઉભો હતો. 

    જ્યારે આશ્ચર્ય પામેલા ખેડૂતે પૂછ્યું કે શું આ તેણે બતાવેલી જમીન જ છે? ત્યારે અમલદારે જણાવ્યું કે જામસાહેબે નિર્ણય લીધો હતો કે ખેડૂતને તેમની વાડી કરતાં બમણી જમીન આપવી અને ત્યાં એક કૂવો પણ ગાળવો. એટલું જ નહીં, તેમને રહેવા માટે એક સારું મકાન બાંધી આપીને બાજરાનો પાક પણ ઉભો કરી આપવો. આ તમામ કામકાજ રાજ્યના ખર્ચે કરવામાં આવ્યું હતું. 

    આ કિસ્સાની પુષ્ટિ સ્વયં હાલના જામનગરના મહારાજ જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાએ કરી છે. તેમણે જણાવ્યું કે તેમને જે-તે ખેડૂતના પરિવાર પાસેથી જ આ વિશે જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું કે રાજાશાહી વખતે રાજા-મહારાજાઓ આ રીતે કામ કરતા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં