Friday, February 14, 2025
More
    હોમપેજદેશકૃષિથી લઈને શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી…બજેટ-2025માં મોદી સરકારે મુખ્ય 10 ક્ષેત્રો...

    કૃષિથી લઈને શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી…બજેટ-2025માં મોદી સરકારે મુખ્ય 10 ક્ષેત્રો માટે શું કરી જાહેરાતો- વાંચો વિગતે

    મોદી સરકારે રજૂ કરેલું બજેટ દેશને દરેક ક્ષેત્રોમાં આગળ લઈ જવા માટેના સરકારના દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે. કેન્દ્ર સરકારે દરેક ક્ષેત્રમાં યોજનાઓ અને વિકાસની જાહેરાતો કરી છે.

    - Advertisement -

    શનિવારે (1 ફેબ્રુઆરી) કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું છે. મોદી સરકારે મધ્યમવર્ગના લાભ માટે તૈયાર કરેલ આ બજેટમાં અનેક ક્ષેત્રોના વિકાસ માટે ઘણી યોજનાઓનો ઉલ્લેખ છે. જેમાં કૃષિ, આરોગ્ય, શિક્ષણ, કાયદો અને વ્યવસ્થા, નાણાં, વેપાર, માળખાગત સુવિધાઓ અને ઘણું બધું સામેલ છે.

    કૃષિ

    1. મોદી સરકારે ‘ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી છે, જેનો અમલ રાજ્યો સાથે ભાગીદારીમાં કરવામાં આવશે. આ યોજનાનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળશે.
    2. મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગ વધારવા માટે બિહારમાં ‘મખાના બોર્ડ’ના ગઠનની પણ જાહેરાત કરવામાં આવી છે.
    3. ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ લોન મર્યાદા હાલના ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે.
    4. ખેડૂતોને લાભ આપવા માટે, આસામમાં 12.7 લાખ મેટ્રિક ટન યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.
    5. મોદી સરકારે ઉત્પાદનમાં આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે કઠોળ માટે ‘આત્મનિર્ભર મિશન’ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.
    6. ‘રાષ્ટ્રીય ખાદ્ય તેલીબિયાં મિશન’ના માધ્યમથી ભારતના ખાદ્ય તેલ બજારને પણ મજબૂત બનાવવામાં આવશે.
    7. ખેડૂતોની આવક વધારવા માટે બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેકની સ્થાપના કરવામાં આવશે.

    આરોગ્ય

    1. મોદી સરકારે ભારતમાં હેલ્થકેર સિસ્ટમમાં સુધારો કરવા માટે નાણાકીય વર્ષ 2025-2026ના બજેટમાં ₹98,311 કરોડ ફાળવ્યા છે.
    2. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટીવ (PLI) યોજના માટે ₹2,445 કરોડ ફાળવ્યા છે.
    3. સરકારે જાહેરાત કરી છે કે, દેશમાં 200 કેન્સર સેન્ટર સ્થાપિત કરવામાં આવશે.
    4. 36 જીવનરક્ષક દવાઓ પર બેઝિક કસ્ટમ ડ્યુટીથી (BCD) પણ મુક્તિ આપી છે.

    ટેક્સેશન

    1. મોદી સરકારે ₹12લાખ સુધીની આવક પર ચૂકવવાપાત્ર ટેક્સ ‘શૂન્ય’ કરીને મધ્યમ વર્ગને નોંધપાત્ર રાહત આપી છે.
    2. હવેથી ટેક્સપેયરો બે ઘરોને સેલ્ફ ઓક્યુપાઈડ તરીકે દર્શાવીને ટેક્સમાં રાહત મેળવી શકશે. પહેલાં આ સુવિધા માત્ર એક જ ઘર માટે ઉપલબ્ધ હતી.
    3. સ્ત્રોત પર કર કપાત (TDS) અને સ્ત્રોત પર કર વસૂલાત (TCS) બંનેને તર્કસંગત બનાવવા માટે એક નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે.

    કાયદો અને વ્યવસ્થા

    1. મોદી સરકારે હાલના કાયદાઓની 100થી વધુ જોગવાઈઓને ગુનાહિત શ્રેણીમાંથી મુક્ત કરવા માટે જન વિશ્વાસ 2.0 બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે.

    નાણાકીય વ્યવસ્થા

    1. બેંકોને સ્વ-સહાય જૂથો માટે ‘ગ્રામીણ ક્રેડિટ સ્કોર’ જાળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી નાણાકીય સુલભતા વધુ સારી રીતે સુનિશ્ચિત કરી શકાય.
    2. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને (FDI) પ્રોત્સાહન આપવા માટે એક મોડેલ દ્વિપક્ષીય રોકાણ સંધિ બનાવશે.
    3. વીમામાં FDI મર્યાદા 74% થી વધારીને 100% કરવામાં આવી છે.

    વેપાર

    1. મોદી સરકારે નિકાસમાં નોન-ટેરિફ અવરોધોનો સામનો કરવા માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને (MSME) સમર્થન આપવાની ખાતરી આપી છે.
    2. બજેટ 2025માં સૂક્ષ્મ ઉદ્યોગો માટે ‘ક્રેડિટ ગેરંટી કવર’ ₹5 કરોડથી વધારીને ₹10 કરોડ કરવાની પણ જોગવાઈ છે.
    3. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે ફંડ ઑફ ફંડ્સને (FoF) ₹9 ​​લાખ કરોડથી વધુની પ્રતિબદ્ધતા મળી છે.
    4. મોદી સરકારે ‘મેક-ઇન-ઇન્ડિયા’ યોજના હેઠળ ફૂટવેર અને ચામડાના ઉદ્યોગોને વેગ આપવા અને ટકાઉ રમકડાંનું ઉત્પાદન કરવાની યોજનાઓની જાહેરાત કરી છે.
    5. પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશિપથી (PPP) ચાલતા માળખાગત પ્રોજેક્ટ્સ માટે ₹1.5 લાખ કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે.
    6. ‘ઇન્ડિયા પોસ્ટ’ને એક મુખ્ય જાહેર લોજિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન તરીકે વિકસાવવામાં આવશે. જે ગ્રામીણ વિકાસ માટે ઉત્પ્રેરક સાબિત થશે.
    7. જહાજ નિર્માણને લઈને નાણાં પૂરા પાડવા માટે ₹25,000 કરોડના ભંડોળ સાથે મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરવામાં આવશે.

    શિક્ષણ અને નોકરીઓ

    1. મોદી સરકારે સ્પેસિફાઇડ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ₹10 લાખ સુધીની શિક્ષણ લોન પર ‘ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ’ (TCS) દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
    2. પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ IIT અને IIScમાં ટેકનોલોજીકલ સંશોધન અને નવીનતા માટે 10,000 ફેલોશિપની જાહેરાત.
    3. સરકારે 10,000 વધારાની મેડિકલ સીટો ઉમેરવાની જાહેરાત કરી છે. આગામી 5 વર્ષમાં મેડિકલ સીટોમાં 75,000નો વધારો કરવાનો લક્ષ્યાંક પણ છે.
    4. શિક્ષણમાં AI સેન્ટર ઑફ એક્સિલન્સ માટે ₹500 કરોડ ફાળવવામાં આવ્યા છે.
    5. સરકાર યુવાનોના કૌશલ્ય વર્ધન માટે 5 નેશનલ સેન્ટર ઑફ એક્સિલન્સ સ્થાપશે.
    6. બધી માધ્યમિક શાળાઓ બ્રોડબેન્ડ કનેક્શનથી સજ્જ હશે.
    7. સરકાર આગામી 5 વર્ષમાં શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સ (ATLs) સ્થાપશે.
    8. પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગિગા વર્કર્સને લોન સુવિધાઓ અને વીમો પૂરો પાડશે અને ઈ-શ્રમ પોર્ટલ દ્વારા ઓળખ કાર્ડ જારી કરશે. આ સુવિધાનો લાભ 1 કરોડ ગિગ વર્કર્સને મળશે.

    ટુરિઝમ

    1. મોદી સરકાર સંબંધિત રાજ્ય સરકારો સાથે મળીને 50 પર્યટન સ્થળો વિકસાવવામાં મદદ કરશે.
    2. સરકાર ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરશે અને ભારતમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપશે.
    3. સરકારે દેશમાં હોમસ્ટે માટે મુદ્રા લોનમાં પણ વધારો કર્યો છે.
    4. 4 કરોડ મુસાફરોની જરૂરિયાતો પૂરી કરવા અને તેમને 120 સ્થળો સાથે જોડવા માટે એક નવી ઉડાન યોજના શરૂ કરવાની ખાતરી આપી છે.

    ઈન્ફ્રાસ્ટ્રક્ચર

    1. બિહારના મિથિલા ક્ષેત્રમાં પશ્ચિમ કોસી નહેર પ્રોજેક્ટ માટે સરકારે નાણાકીય સહાયની ખાતરી આપી છે.
    2. શહેરોને વિકાસ કેન્દ્રોમાં પરિવર્તિત કરવા માટે ₹1 લાખ કરોડનું અર્બન ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે.
    3. જળ જીવન મિશનને 100% સફળ કરવા માટે આ મિશનને 2028 સુધી લંબાવવામાં આવ્યું છે. જેનો હેતુ દરેક ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાનો છે.

    ઉર્જા

    1. ક્લીન એનર્જી માટે સરકારે 2047 સુધીમાં 100 ગીગાવોટ (GW) પરમાણુ ઉર્જા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
    2. સ્મોલ મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ પર ₹20,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં