Thursday, May 8, 2025
More
    હોમપેજરાજકારણપહલગામ હુમલા બાદ આતંકના ગઢ બનેલા પાકિસ્તાનનું નાક દબાવવાનું શરૂ, ભારતે રદ...

    પહલગામ હુમલા બાદ આતંકના ગઢ બનેલા પાકિસ્તાનનું નાક દબાવવાનું શરૂ, ભારતે રદ કરી SAARC વિઝા એક્ઝેમ્પ્શન સ્કીમ– વાંચો શું હતી આ યોજના અને પાડોશી પર શું થશે અસર

    આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામના આતંકવાદી સંગઠને લીધી હતી, જે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલું છે. તેથી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આ કડક પગલાં ઉઠાવ્યા છે.

    - Advertisement -


    પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતે (Bharat) પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ કડક એક્શન લીધા છે. 23 એપ્રિલે PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની (CCS) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોમાં સિંધુ જળ સમજૂતી રદ કરવી, અટારી-વાઘા બોર્ડર બંધ કરવી, પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝા એક્ઝેમ્પશન સ્કીમ (SAARC Visa Exemption Scheme) રદ્દ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ નિર્ણયોની પાકિસ્તાન પર ખૂબ માઠી અસર પડી શકે છે.

    નોંધનીય છે કે આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામના આતંકવાદી સંગઠને લીધી હતી, જે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલું છે. તેથી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આ કડક પગલાં ઉઠાવ્યા છે. આ મામલે વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે આ નિર્ણય CCS બેઠકમાં લેવામાં આવ્યો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાજર હતા.

    સાર્ક વિઝા એક્ઝેમ્પશન સ્કીમ રદ્દ કરવાના નિર્ણયની મુખ્ય વિગતો

    વિઝા રદ્દ: પાકિસ્તાની નાગરિકોને અગાઉ જારી કરાયેલા તમામ SVES વિઝા તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    48 કલાકની મુદત: હાલમાં આ યોજના હેઠળ ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

    ભવિષ્યનો પ્રતિબંધ: પાકિસ્તાની નાગરિકોને હવે આ યોજના હેઠળ ભારતમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં.

    શું છે સાર્ક વિઝા એક્ઝેમ્પશન સ્કીમ?

    સાર્ક (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન-South Asian Association For Regional Cooperation) વિઝા એક્ઝેમ્પશન સ્કીમ એ 1992માં શરૂ થયેલી એક વિશેષ યોજના છે, જેનો હેતુ દક્ષિણ એશિયાના આઠ સભ્ય દેશો—અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા—વચ્ચે લોકોના સંપર્ક અને સહકારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના ચોથા સાર્ક સમિટમાં (ઇસ્લામાબાદ, 29-31 ડિસેમ્બર 1988) લેવાયેલા નિર્ણયનું પરિણામ છે, જેમાં નેતાઓએ દેશોના લોકો વચ્ચે સીધા સંપર્કના મહત્વને સ્વીકાર્યું હતું.

    સ્કીમની મુખ્ય વિશેષતાઓ:

    લાભાર્થીઓ: આ યોજના હેઠળ 24 શ્રેણીઓના વ્યક્તિઓને વિઝા મુક્તિ આપવામાં આવે છે, જેમાં રાજદૂતો, ઉચ્ચ ન્યાયાધીશો, સંસદસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, પત્રકારો અને ખેલાડીઓનો સમાવેશ થાય છે.

    વિઝા સ્ટીકર: લાયક વ્યક્તિઓને એક વર્ષની માન્યતા ધરાવતું ખાસ સાર્ક વિઝા એક્ઝેમ્પશન સ્ટીકર આપવામાં આવે છે, જે તેમને સાર્ક દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે.

    ઉદ્દેશ્ય: આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશીય એકીકરણ, આર્થિક સહકાર, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાનો છે.

    પાકિસ્તાન માટે વિશેષ નિયમો: નેપાળ અને ભૂટાનના નાગરિકોને ભારતમાં પ્રવેશ માટે વિઝાની જરૂર નથી, પરંતુ પાકિસ્તાની નાગરિકો માટે આ યોજના હેઠળ મર્યાદિત લોકોને (જેમ કે ખાસ ઉદ્યોગપતિઓ) જ ઍક્સેસ આપવામાં આવી હતી અને તે પણ ચોક્કસ શરતો (જેમ કે મર્યાદિત શહેરો અને એક વર્ષની માન્યતા) સાથે.

    આ યોજના દક્ષિણ એશિયામાં એક પ્રકારનું વિઝા-મુક્ત ઝોન બનાવવાનો પ્રયાસ હતો, જે યુરોપિયન યુનિયનના શેન્જન વિઝા જેવી વ્યવસ્થાને અનુરૂપ હતી, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે તેનો અમલ મર્યાદિત રહ્યો.

    પાકિસ્તાન પર અસર

    ભારતના આ નિર્ણયથી પાકિસ્તાન પર બહુવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર અસર પડશે, જે નીચે મુજબ છે:

    મર્યાદિત ઍક્સેસ: SVES હેઠળ પાકિસ્તાની ઉદ્યોગપતિઓ, પત્રકારો અને અન્ય વ્યાવસાયિકોને ભારતમાં સરળ ઍક્સેસ મળતો હતો, જેનાથી બંને દેશો વચ્ચે મર્યાદિત હોવા છતાં આર્થિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન શક્ય હતું. આ રદ્દ થવાથી આવા સંપર્કો લગભગ બંધ થઈ જશે.

    રાજદ્વારી અલગતા: SVES રદ્દ થવાથી પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ, સંસદસભ્યો, અને રાજદૂતોની ભારતમાં મુસાફરી મુશ્કેલ બનશે, જે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંવાદને વધુ નબળો કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે પાકિસ્તાની હાઈ કમિશનના સંરક્ષણ, નૌસેના, અને હવાઈ સલાહકારોને ‘પર્સોના નોન ગ્રાટા’ જાહેર કરાયા છે અને તેમને એક સપ્તાહમાં ભારત છોડવા આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, બંને દેશોના હાઈ કમિશનનું કર્મચારી બળ 55થી ઘટાડીને 30 કરવામાં આવ્યું છે, જે રાજદ્વારી સંબંધોને નોંધપાત્ર રીતે ઘટાડશે.

    આંતરરાષ્ટ્રીય દબાણ: ભારતે આ નિર્ણયને આતંકવાદ સામેની લડાઈના ભાગ રૂપે રજૂ કર્યો છે, અને પહલગામ હુમલાની યુએસ, રશિયા, ચીન, અને યુરોપિયન યુનિયન દ્વારા નિંદા કરવામાં આવી છે. આનાથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધી શકે છે, જે તેની રાજદ્વારી છબીને નુકસાન પહોંચાડશે.

    સાંસ્કૃતિક આદાનપ્રદાન બંધ: SVES હેઠળ પાકિસ્તાની પત્રકારો, રમતવીરો, અને સાંસ્કૃતિક પ્રતિનિધિઓ ભારતમાં આવી શકતા હતા, જે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપતું હતું. આ રદ્દ થવાથી આવા આદાન-પ્રદાન લગભગ બંધ થઈ જશે.

    ક્રિકેટ અને રમતગમત: પાકિસ્તાની રમતવીરો, ખાસ કરીને ક્રિકેટરો, SVES હેઠળ ભારતમાં રમતના કાર્યક્રમોમાં ભાગ લઈ શકતા હતા. આ પ્રતિબંધથી ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં પાકિસ્તાનની ભાગીદારી મુશ્કેલ બનશે.

    પ્રવાસન અને શૈક્ષણિક તકો: પાકિસ્તાની વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ભારતમાં શૈક્ષણિક અથવા સાંસ્કૃતિક હેતુઓ માટે આવવું વધુ મુશ્કેલ બનશે, જે પાકિસ્તાનના યુવાનોની આંતરરાષ્ટ્રીય ઍક્સપોઝરની તકો ઘટાડશે.

    વેપાર પર અવરોધ: SVES હેઠળ પાકિસ્તાની ઉદ્યોગપતિઓને ભારતમાં મર્યાદિત શહેરોમાં મલ્ટિપલ-એન્ટ્રી બિઝનેસ વિઝા મળતા હતા, જેનાથી બંને દેશો વચ્ચે નાના પાયે વેપાર શક્ય હતો. આ રદ્દ થવાથી આ વેપારી પ્રવૃત્તિઓ ખોરવાઈ જશે, જે પાકિસ્તાનના નાના અને મધ્યમ ઉદ્યોગોને અસર કરશે.

    નોંધનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવે પહેલેથી જ સાર્કની અસરકારકતાને નબળી કરી છે. ત્યારે આ નિર્ણયથી પાકિસ્તાનનું દક્ષિણ એશિયાઈ પ્રદેશીય સહકારમાંથી અલગ થવાનું જોખમ વધશે, જે તેને ચીન અને અન્ય બિન-સાર્ક દેશો પર વધુ નિર્ભર બનાવશે. આ નિર્ણયથી પાકિસ્તાનનો પ્રદેશીય પ્રભાવ ઘટશે. આ સિવાય પણ CCS બેઠકમાં જે નિર્ણયો લેવાયા છે પાકિસ્તાનને વર્તમાન તો ખરી પરંતુ લાંબાગાળે પણ ઘણું નુકસાન પહોંચાડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં