ભારતના બહુચર્ચિત અને મહત્ત્વપૂર્ણ કેસો પૈકીના એક નેશનલ હેરાલ્ડ કેસે (National Herald Case) છેલ્લા બે-ત્રણ દિવસથી ફરી માથું ઊંચક્યું છે. આમ તો એક દાયકા કરતાં જૂના આ કેસમાં કાર્યવાહી ઘણા સમયથી ચાલી રહી છે, પણ અત્યંત ધીમી ગતિએ. વચ્ચે 2022માં એજન્સીઓએ ફરી ગતિ પકડી હતી, પછી ફરી કંઈ સંભળાયું નહીં. હવે ફરીથી કેસ ચર્ચામાં છે.
કેસને મહત્ત્વનો અને બહુચર્ચિત કહ્યો એની પાછળ કારણ એ છે કે તેમાં દેશના એક એવા પરિવારના સભ્યો સીધી રીતે સંડોવાયેલા છે, જેમણે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે દાયકાઓ સુધી દેશ પર શાસન કર્યું. ગાંધી પરિવારની આ વાત થાય છે અને આરોપીઓ છે સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી. બંને કોંગ્રેસ સાંસદો વિરુદ્ધ તાજેતરમાં જ એજન્સીએ એક ચાર્જશીટ પણ રજૂ કરી છે. મૂળ રીતે 2014માં કેસ નોંધાયા બાદ બંનેને જામીન મળી ગયા હતા. હાલ તેઓ જામીન પર બહાર છે. કેસ તેની રીતે ધીમી-ઝડપી ગતિએ ચાલતો રહે છે. આ કેસમાં ચાર્જશીટ સિવાય બીજો એક તાજો ઘટનાક્રમ એ છે કે EDએ હમણાં જ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની (AJL) ₹700 કરોડની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ AJL શું છે, નેશનલ હેરાલ્ડ કેસ શું છે અને ગાંધી પરિવાર પર શું આરોપો છે એ હવે આગળ વિગતે જોઈએ.
નેશનલ હેરાલ્ડ કેસ ભારતના રાજકીય અને કાયદાકીય ઇતિહાસનો એક વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ મામલો છે. આ કેસ મૂળતઃ ‘નેશનલ હેરાલ્ડ’ અખબાર અને તેની સંલગ્ન કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સંબંધિત નાણાકીય ગેરરીતિઓ સાથે સંકળાયેલો છે. કેસની ચર્ચા કરીએ એ પહેલાં થોડો અખબારનો ઇતિહાસ.
નેશનલ હેરાલ્ડ અને AJLનો ઈતિહાસ
નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કરી હતી. હેતુ હતો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન રાષ્ટ્રવાદી વિચારોને પ્રોત્સાહન આપવાનો. આ અખબારનું સંચાલન એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) નામની કંપની કરતી હતી, જે કોંગ્રેસ પાર્ટી સાથે નજીકથી સંકળાયેલી હતી. લગભગ 5000 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓને AJLમાં શેરહોલ્ડર બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં સ્થિત ITO ખાતે તેનું રજિસ્ટર્ડ હેડક્વાર્ટર હતું.
હેરાલ્ડ અંગ્રેજી સાથે ઉર્દૂમાં ‘કૌમી આવાઝ’ અને હિન્દીમાં ‘નવજીવન’ નામનાં અખબારો પણ પ્રકાશિત કરતું. તેમાં નેહરુના લેખો અવારનવાર આવતા. બ્રિટિશ સરકારે 1942માં અખબાર પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્વતંત્રતા પછી વડાપ્રધાન બનતાં જ નહેરુ તેના બોર્ડના અધ્યક્ષ પદેથી ખસી ગયા, પરંતુ અખબાર કોંગ્રેસ તરફથી ચાલતું રહ્યું. દિલ્હી, મુંબઈ, લખનૌ વગેરે જેવાં શહેરોમાં અનેક મૂલ્યવાન સંપત્તિઓ આ અખબાર કે તેની મૂળ કંપનીના નામે બોલે છે. જેમાં દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ પર સ્થિત ‘હેરાલ્ડ હાઉસ’ પણ ખરું.
વર્ષ 2008 આ છાપા માટે એક વળાંક લઈને આવ્યું. ત્યાં સુધીમાં અખબારી જગતમાં સ્પર્ધા પણ વધી ગઈ હતી અને ટીવી ચેનલો પણ ઠીકઠાક પ્રમાણમાં આવી ગઈ હતી. અખબારો પણ ઢગલેબંધ હતાં. બીજી બાજુ ક્રમશઃ નેશનલ હેરાલ્ડ નબળું પડતું ગયું અને સતત વેચાણ ઘટવાના કારણે ખોટ ખાતું ચાલુ થયું. આખરે બંધ પડી ગયું. આ સમયે AJL પર ઘણુંખરું દેવું હતું, અને કેસના મૂળમાં બીજું કંઈ નહીં પણ આ દેવું જે છે.
બન્યું એવું કે બે વર્ષ પછી વર્ષ 2010માં યંગ ઇન્ડિયન લિમિટેડ (YIL) નામની એક નવી કંપનીની સ્થાપના કરવામાં આવી. આ કંપનીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેનો 38-38% એટલે કે કુલ 76% હિસ્સો હતો. બાકીના 24% શેર મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મોતીલાલ વોરા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ઓસ્કર ફર્નાન્ડિસ પાસે હતા. આ કંપનીએ AJLની મોટાભાગની શેરહોલ્ડિંગ અને સંપત્તિઓ હસ્તગત કરી. કહેવાય છે કે આ સમગ્ર પ્રક્રિયામાં નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી.
ગેરરીતિઓના આરોપો
આરોપ છે કે કોંગ્રેસ પાર્ટીએ AJLને તેના દેવા ચૂકવવા ₹90.25 કરોડની વ્યાજમુક્ત લૉન આપી, પરંતુ તેનો ઉપયોગ AJLનાં દેવાં ચૂકવવા માટે નહોતો થયો. આ લૉન બાદમાં ₹9.02 કરોડના ઈક્વિટી શેર્સમાં રૂપાંતરિત કરવામાં આવી અને આ શેર YILને ટ્રાન્સફર કરવામાં આવ્યા. ALJ પાસે ₹2000 કરોડની સંપત્તિ હોવાનો અંદાજ હતો. જે YILએ માત્ર ₹50 લાખમાં હસ્તગત કરી. આ રીતે માત્ર ₹50 લાખમાં AJLની કરોડોની મિલકતોની માલિકી ગાંધી પરિવારની માલિકીની YIL પાસે આવી ગઈ તેવો આરોપ છે.
આ સંપત્તિઓમાં હેરાલ્ડ હાઉસ અને અન્ય મૂલ્યવાન રિયલ એસ્ટેટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 2015માં પીઢ વકીલ શાંતિભૂષણે દાવો કર્યો હતો કે તેમના પિતા વિશ્વામિત્ર પણ AJLમાં શેરહોલ્ડર હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે શેરધારકોની સંમતિ લીધા વિના તેની સંપત્તિ ‘યંગ ઈન્ડિયન’ને ટ્રાન્સફર કરવામાં આવી હતી.
સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદથી શરૂ થયો મામલો
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે ફરિયાદ દાખલ કરી, જેમાં ‘ફોજદારી ષડયંત્ર’ અને ‘છેતરપિંડી’ના આરોપો હતા. 2014માં પછીથી આ મામલે EDએ મની લોન્ડરિંગના આરોપોની તપાસ શરૂ કરી, જેમાં AJL અને YILના નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું (ED) કહેવું છે કે આ પ્રક્રિયા જાણીજોઈને ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી અને તેનો હેતુ સંપત્તિનું નિયંત્રણ મેળવવાનો હતો. EDની તપાસમાં જાણવા મળ્યું કે YIL અને AJLએ ₹18 કરોડના બોગસ દાન, ₹38 કરોડના બોગસ એડવાન્સ ભાડાં અને ₹29 કરોડની બોગસ જાહેરાતો કરીને વધુ ‘પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ’ ઉભા કર્યા. EDએ આ કેસમાં ₹988 કરોડના પ્રોસીડ્સ ઓફ ક્રાઈમની ઓળખ કરી છે, અને સંલગ્ન સંપત્તિઓનું હાલનું બજાર મૂલ્ય ₹5000 કરોડ હોવાનું જણાવ્યું છે.
અત્યાર સુધી થયેલ કાયદાકીય કાર્યવાહી
2014: 2014માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગોમતી મનોચાએ ગાંધી પરિવાર સહિત તમામ આરોપીઓને સમન્સ પાઠવ્યાં. મેજિસ્ટ્રેટે કહ્યું કે IPCની કલમ-403 (સંપત્તિના સંદર્ભમાં અપ્રમાણિક), 406 (વિશ્વાસનો ગુનાહિત ભંગ), 420 (છેતરપિંડી) અને 120B (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ નોંધવા માટે આદેશ કરવામાં આવે છે. EDની તપાસ પણ 2014માં જ શરૂ થઈ હતી.
2015: ડિસેમ્બર 2015માં ટ્રાયલ કોર્ટે સોનિયા અને રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા પરંતુ દિલ્હી હાઈકોર્ટે તેમની સમન્સ રદ્દ કરવાની અરજી ફગાવી દીધી હતી.
2016: ફેબ્રુઆરી 2016માં સુપ્રીમ કોર્ટે સોનિયા, રાહુલ, મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ અને સુમન દુબેને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી, પરંતુ કાર્યવાહી રદ્દ કરવાનો ઇનકાર કર્યો હતો.
2019: સ્ટે ઓર્ડર: સુપ્રીમ કોર્ટે AJL સામેની કાર્યવાહી પર અસ્થાયી સ્ટે આપ્યો.
2021: EDએ સ્વામીની ફરિયાદના આધારે તપાસને આગળ વધારી, જેમાં YIL અને AJLના શેરહોલ્ડિંગ પેટર્ન અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી.
2022: EDએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની વિસ્તૃત પૂછપરછ કરી. સોનિયા ગાંધીને 23 જૂન,2022ના રોજ હાજર થવાનું કહેવાયું, પરંતુ તેઓ કોરોના પોઝિટિવ હોવાને કારણે હાજર થઈ શક્યાં ન્હોતાં.
2023: નવેમ્બર 2023માં EDએ દિલ્હી, મુંબઈ અને લખનઉમાં આવેલી ₹661 કરોડની સંપત્તિઓ અને AJLના 90.2 કરોડના શેર્સ જપ્ત કર્યા.
2024: આ જપ્તીને એપ્રિલ 2024માં એડજુડિકેટિંગ ઑથોરિટી દ્વારા માન્યતા આપવામાં આવી.
2025: EDએ 11 એપ્રિલ 2025ના રોજ ₹661 કરોડની સંપત્તિઓના કબજાની પ્રક્રિયા શરૂ કરી, જેમાં દિલ્હીનું હેરાલ્ડ હાઉસ, મુંબઈની બાંદ્રા ખાતેની પ્રોપર્ટી અને લખનઉની AJL બિલ્ડિંગનો સમાવેશ થાય છે.
EDએ જિંદલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને નોટિસ આપી, જે મુંબઈના હેરાલ્ડ હાઉસના 7મા, 8મા અને 9મા માળે ભાડે રહે છે, જેથી ભાડાની રકમ EDને ટ્રાન્સફર કરવામાં આવે.
ચાર્જશીટ: 9 એપ્રિલ 2025ના રોજ EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની (PMLA) કલમ 3 અને 4 હેઠળ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં ₹988 કરોડના મની લોન્ડરિંગનો આરોપ છે. કોર્ટે આ ચાર્જશીટ પર સંજ્ઞાન લેવા માટે 25 એપ્રિલ, 2025ની તારીખ નક્કી કરી છે.
ચાર્જશીટમાં આરોપિત વ્યક્તિઓ અને આરોપો
આરોપ છે કે આ પ્રક્રિયા દ્વારા કોંગ્રેસ નેતાઓએ રાજકીય અને નાણાકીય લાભ મેળવવા માટે જાહેર સંપત્તિનો દુરુપયોગ કર્યો. આ કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ, પૂર્વ સાંસદ સોનિયા ગાંધીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યાં છે. તેમના પર AJLની સંપત્તિઓના ગેરકાયદેસર હસ્તાંતરણ અને મની લોન્ડરિંગનો આરોપ છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આરોપી નંબર 2 બનાવવામાં આવ્યા છે. જેમનો YILમાં 38% હિસ્સો છે. તેમના પર પણ સોનિયા ગાંધીની જેમ જ ‘જાણીજોઈને’ સંપત્તિનું હસ્તાંતરણ અને નાણાકીય ગેરરીતિ કરવાનો આરોપ છે.
આ ઉપરાંત ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુમન દુબે તથા મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ પર પણ મની લોન્ડરિંગના આરોપો હતા. જોકે મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસનું દેહાંત થતા તેમની સામેની કાર્યવાહી ‘અબેટેડ’ (સમાપ્ત) થઈ ગઈ છે.
આ સિવાય યંગ ઇન્ડિયન લિમિટેડ પર આરોપ છે કે કંપનીએ AJLની સંપત્તિઓને ગેરકાયદેસર રીતે હસ્તગત કરી અને મની લોન્ડરિંગ માટે તેનો ઉપયોગ કર્યો. ડોટેક્સ મર્ચન્ડાઈઝ પ્રાઈવેટ લિમિટેડ અને સુનીલ ભંડારી પર પણ નાણાકીય ગેરરીતિઓમાં સહયોગ આપવાનો આરોપ છે. કોંગ્રેસના 2 દિવંગત નેતાઓ સિવાય દરેકનાં નામ EDએ દાખલ કરેલ ચાર્જશીટમાં છે.
EDની ચાર્જશીટ દાખલ થયા બાદ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ 25 એપ્રિલ 2025ના રોજ આ મામલે સંજ્ઞાન લેવા પર નિર્ણય લેશે. જો કોર્ટ ચાર્જશીટને સ્વીકારે તો આરોપીઓને સમન્સ જારી કરવામાં આવશે અને તેમણે કોર્ટમાં હાજર રહીને જામીન મેળવવા પડશે.
ગાંધી પરિવાર ફરતે ગાળિયો કસાયો અને શરૂ થયું કોંગ્રેસનું રડારોળ
કોંગ્રેસના મધ્યમાં રહેલા ગાંધી પરિવાર વિરુદ્ધ ફરી કાર્યવાહીએ ગતિ પકડતાં ફરી એક વખત પાર્ટી ધૂંઆંપૂઆં થઈ ગઈ છે અને કેન્દ્ર સરકાર પર પ્રતિશોધની ભાવનાથી કાર્યવાહી કરવાનો આરોપ લગાવી રહી છે. પરંતુ એ કહી રહી નથી કે જે આરોપો લાગ્યા છે તેનો તેમની પાસે શું જવાબ છે. જવાબ આપે તોપણ ગોળગોળ આપે છે. જે કોંગ્રેસે મોદી અને શાહ જેવા નેતાઓની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવા માતાએ તમામ પ્રયાસો કરી જોયા હતા એ હવે કહે છે કે ભાજપ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. આવું જ કોંગ્રેસીઓએ 2022માં જ્યારે રાહુલ ગાંધી-સોનિયા ગાંધીને પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું ત્યારે કર્યું હતું અને દબાણ લાવવાના પ્રયાસ કરી જોયા હતા. જોકે આ વખતે આ તરકીબ બહુ કામ આવતી જણાઈ રહી નથી.