પાંચ દેશોની યાત્રાના અંતિમ તબક્કામાં ઇટલી પહોંચ્યા વડા પ્રધાન મોદી, પીએમ મેલોની સાથે થઈ મુલાકાત: ભારતીય સમુદાયે કર્યું સ્વાગત

PM નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના વિદેશ પ્રવાસના પાંચમા અને અંતિમ તબક્કા હેઠળ ઇટાલી ખાતે પહોંચ્યા હતા. રોમ આગમન પર વડા પ્રધાનનું ઇટલીના ભારતીય સમુદાય દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડા પ્રધાન મોદીએ ઇટાલી પહોંચ્યા બાદ પીએમ મિલોની સાથેની તસ્વીરો શેર કરીને પોસ્ટ કરતા લખ્યું હતું કે “રોમમાં ઉતર્યા કર્યા પછી તુરંત જ વડા પ્રધાન મેલોની સાથે રાત્રિભોજન પર મુલાકાત કરવાનો અને ત્યારબાદ ઐતિહાસિક ‘કોલોઝિયમ’ની મુલાકાત લેવાનો અવસર મળ્યો. અમે ખૂબ જ વ્યાપક વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.”

PM મોદીએ વડા પ્રધાન મેલોની સાથે થનારી સત્તાવાર વાતચીત માટે ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વાતચીત દરમિયાન બંને નેતાઓ ભારત-ઇટાલીની મિત્રતાને વધુ મજબૂત અને વેગ કેવી રીતે આપવો તે અંગેની ચર્ચા કરશે.

રોમ પહોંચ્યાના ટૂંક સમય બાદ જ પીએમ મેલોનીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર PM મોદી સાથે ઐતિહાસિક ‘કોલોઝિયમ’ ખાતે લીધેલી તસવીર શેર કરીને “વેલકમ ટુ રોમ, માય ફ્રેન્ડ!” કહીને તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે ડિનર યોજાયું હતું. નોંધનીય છે કે PM મોદીએ ઇટાલીમાં ભારતીય ડાયસ્પોરાએ કરેલ સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે X પર તસ્વીરો શેર કરતાં લખ્યું હતું કે “ગઈકાલે સાંજે રોમમાં ભવ્ય અને ઉષ્માભર્યા સ્વાગત માટે હું ઇટાલીમાં વસતા ભારતીય સમુદાયનો ખૂબ જ આભારી છું.”

વધુમાં PMએ લખ્યું કે, ભારત પ્રત્યેનો તેમનો આ ઊંડો સ્નેહ અને ભારત-ઇટાલીના સંબંધોને વધુ મજબૂત કરવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે. તેમણે ગર્વ વ્યક્ત કર્યો કે ભારતીય સમુદાય સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારી રહ્યો છે.

આ ઉપરાંત વડા પ્રધાને ઇન્ડિયન કલ્ચરથી પ્રભાવિત એક ઇટાલિયન કલાકાર દ્વારા બનાવાયેલું વારાણસીના ઘાટોનું સુંદર ચિત્ર નિહાળ્યું હતું. આ પોટ્રેટની તસ્વીર શેર કરતા તેમણે લખ્યું હતું કે “રોમમાં કાશીની એક ઝલક!” PM મોદીએ જણાવ્યું કે કલાકાર જિઆમપાઓલો તોમાસેત્તીનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો તેમનો આ લગાવ ચાર દાયકા કરતાં પણ વધુ જૂનો છે.

PM મોદીએ આપેલ માહિતી અનુસાર 1980ના દાયકામાં આ કલાકારે વૈદિક સંસ્કૃતિ પરના પુસ્તકો માટે ચિત્રકાર (ઇલસ્ટ્રેટર) તરીકેની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2008થી 2013 દરમિયાન તેમણે મહાભારત સાથે સંબંધિત 23 મોટાં ચિત્રો પર કામ કર્યું હતું.

આ ઉપરાંત વડા પ્રધાને ઇટાલીમાં ભારતીય સંગીત દ્વારા થયેલ તેમના સ્વાગતનો વિડીયો પોસ્ટ કર્યો હતો. સાથે જણાવ્યું હતું કે ઇટાલીમાં ભારતીય સંગીત ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે ભારતના વિવિધ શાસ્ત્રીય વાદ્યો વગાડનાર ઇટાલિયન કલાકારોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે વડા પ્રધાન મોદીની આ ઇટાલી મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં બંને દેશો ‘જોઇન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન 2025-29’ને સક્રિયપણે આગળ ધપાવી રહ્યા છે, જે વેપાર, સંરક્ષણ, સુરક્ષા, ક્લીન એનર્જી, ઇનોવેશન, સાયન્સ-ટેકનોલોજી અને પીપલ-ટુ-પીપલ એક્સચેન્જ જેવા બહુવિધ ક્ષેત્રોમાં સહયોગ માટેનું વ્યાપક માળખું પૂરું પાડે છે.