MPના મહૂમાં ન માત્ર સરઘસ-ગાડીઓ, પરંતુ ધાર્મિક સ્થાનો પર પણ હુમલો: શીતળા માતાનું પ્રાચીન મંદિર સળગાવવાના પ્રયાસો થયા હોવાના અહેવાલ, પેટ્રોલ બોમ્બ ફેંકાયાનો દાવો

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) મહૂમાં (Mhow) ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતના સરઘસ પર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. આ સરઘસ જ્યારે મસ્જિદ પાસેથી પસાર થયું ત્યારે સરઘસ પર મુસ્લિમ ટોળા દ્વારા (Muslim Mob) હુમલો કરવામાં આવ્યો તથા, પથ્થરમારો (Stone Pelting) કરીને આગચંપી કરી હોવાના મામલા સામે આવ્યા હતા. ત્યારે હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે મહૂમાં આવેલ પ્રાચીન શીતળા માતા મંદિર પર હુમલો થયો હતો.

Zee ન્યુઝના અહેવાલ અનુસાર મહૂમાં આવેલ શીતળા માતાના મંદિરને આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત મંદિરમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મંદિરની પાસે ઉભેલા વાહનોને આગચાંપવામાં આવી હતી. મંદિરની સામે આગના નિશાન પણ મળી આવ્યા હતા. મંદિર પરિસરમાંથી પણ પથ્થરો મળી આવ્યા હતા.

સ્થાનિકોએ Zee ન્યુઝને જણાવ્યા અનુસાર સરઘસ પર 500-700ના મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ટોળાએ મંદિર પાસે કોઈક કપડું સળગાવીને ફેંક્યું હતું. સ્થાનિકોનો દાવો છે કે શીતળા માતાનું પ્રાચીન મંદિર સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંદિર તથા સ્થાનિકોના ઘર પર પણ પથ્થરો ફેંક્યા હતા.

સ્થાનિક રહેવાસીએ Zee ન્યુઝને જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં જે કાર ઉભી હતી તેને પણ આગ ચાંપવામાં આવી હતી. આ કાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ એમ સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય એક રહેવાસીએ એવો દાવો કર્યો હતો કે પથ્થરની સાથે પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા એ પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.