Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅયોધ્યા: ભગવાન રામના મંદિરથી માત્ર 1 કિલોમીટર દૂર ‘ટેન્ટ સિટી’ બનાવી રહી...

    અયોધ્યા: ભગવાન રામના મંદિરથી માત્ર 1 કિલોમીટર દૂર ‘ટેન્ટ સિટી’ બનાવી રહી છે યોગી સરકાર, મળશે અત્યાધુનિક સુવિધાઓ

    સમગ્ર સિટીમાં કુલ 200 જેટલા ટેન્ટ બનાવવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર વિસ્તાર 15 હજાર સ્કવેર મીટરમાં ફેલાયેલો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની યોગી સરકાર રામ નગરી અયોધ્યાને માત્ર ધર્મસ્થળ જ નહીં, પરંતુ અત્યાધુનિક પર્યટન સ્થળ તરીકે પણ વિકસિત કરી રહી છે. જે હેઠળ અયોધ્યામાં 15000 વર્ગ મીટરમાં ટેન્ટ સિટી બનાવવા જઈ રહી છે. આ ટેન્ટ સિટી નિર્માણાધીન પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરથી માત્ર 1 કિલોમીટરના અંતરે બનાવવામાં આવશે. આ સિટીમાં દરેક ટેન્ટમાં અત્યાધુનિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે, જે આવતા વર્ષના અંત સુધીમાં બનીને તૈયાર કરી દેવામાં આવશે.

    ન્યૂઝ18 દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર અયોધ્યામાં પર્યટકો માટે ટેન્ટ સિટી આખા વર્ષ દરમિયાન ખુલ્લું રહેશે. સમગ્ર સિટીમાં કુલ 200 જેટલા ટેન્ટ બનાવવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર વિસ્તાર 15 હજાર સ્કવેર મીટરમાં ફેલાયેલો છે.

    અયોધ્યામાં નિર્માણ પામી રહેલ આ ટેન્ટ સિટી PPP મોડેલ પર વિકસિત કરવામાં આવી રહ્યું છે. જેના માટે ઉત્તર પ્રદેશની સરકાર જગ્યાની ફાળવણી કરશે અને તેના માટે લાઈસન્સ ફી વસૂલવામાં આવશે. આ સિટીમાં અનેક નવી હોટેલોનો પણ હિસ્સો હશે. જેમાં દેશની પ્રમુખ 5 સ્ટાર હોટલોનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અયોધ્યામાં પર્યટકો ટેન્ટ સિટી ખાતે અનન્ય અને આરામદાયક તંબુનો અનુભવ કરી શકશે. આ ટેન્ટ સિટી બનાવવા પાછળનો હેતુ ક્ષેત્રના કુદરતી વાતાવરણ અને ઐતિહાસિક તથા સંસ્કૃતિક મહત્વતાને જાળવવાની સાથે આધુનિક સુવિધાઓ પ્રદાન કરવાનો છે તેમ સરકારે જણાવ્યું હતું. આ તમામ ટેન્ટમાં શૌચાલય, રિસેપ્શન, ફોયર એરિયા, રેસ્ટોરેન્ટ, રસોડા, ભોજનાલય ઉપરાંત વીઆઈપી લોન્જ સાથે જ મનોરંજનની અનેક પ્રવૃત્તિઓ સામેલ કરવામાં આવશે.

    રામ મંદિરનું નિર્માણકાર્ય તેજ ગતિમાં ચાલુ

    હાલ પ્રભુ શ્રીરામના મંદિરનું નિર્માણકાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. હાલ ગર્ભગૃહ અને તેની આસપાસનું બાંધકામ થઇ રહ્યું છે. ગર્ભગૃહ ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર કરવાની ગણતરી છે. જાન્યુઆરી 2024માં ભગવાન રામલલાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જે માટે 22 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. જે માટે ભગવાનની મૂર્તિ બનાવવાનું કામ પણ હાલ ચાલી રહ્યું છે.

    મંદિરનો બીજો તબક્કો ડિસેમ્બર 2024માં પૂર્ણ થશે જ્યારે ડિસેમ્બર 2025 સુધીમાં સમગ્ર મંદિર બનીને તૈયાર થઇ જશે. ત્યાં સુધી અવિરત મંદિરનું નિર્માણકાર્ય ચાલતું રહેશે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તો દર્શન માટે જઈ શકશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં