Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'આ છે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો': માહિમ દરગાહ પછી MNSએ પનવેલમાં ગેરકાયદેસર...

    ‘આ છે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો’: માહિમ દરગાહ પછી MNSએ પનવેલમાં ગેરકાયદેસર દરગાહ તોડી પાડવાની માંગ કરી, લેન્ડ જેહાદનો લગાવ્યો આરોપ

    રાજ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીએ પરગાંવ ગામમાં એક ટેકરી પર બનેલી 'દરગાહ' પર માહિમ દરગાહ જેવી કાર્યવાહીની માંગ કરી છે.

    - Advertisement -

    બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા ગેરકાયદે માહિમ મઝારને તોડી પાડ્યા પછી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ પનવેલમાં એક કથિત ગેરકાયદે દરગાહને તોડી પાડવાની માંગ કરી છે.

    MNSએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “આ ટેકરી પર અતિક્રમણ 15 વર્ષ પહેલાં શરૂ થયું હતું અને તે ‘દરગાહ’ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે કારણ કે તે આગામી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક છે.” પાર્ટીએ રાજ્ય સરકાર દરગાહને તોડી પાડવાની માંગ કરતું બેનર પણ મૂક્યું હતું.

    MNS પનવેલ શહેરના પ્રમુખ અને પ્રવક્તા યોગેશ ચિલ્લેના જણાવ્યા અનુસાર, “પરગાંવ ગામમાં એક ટેકરી પર લગભગ એક એકર જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું અને એક દરગાહ બનાવવામાં આવી હતી. પતરાના શેડની છતવાળા વધારાના પાંચ કે છ રૂમ છે. સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO) એ એરપોર્ટને અડીને જમીન સંપાદિત કરી છે”, તેમણે જણાવ્યું હતું.

    - Advertisement -

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમની માહિતી મુજબ, પ્લાનિંગ એજન્સીએ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે નોટિસ આપી હતી. “અમે પોલીસ અને CIDCOને પત્ર લખ્યો છે કે ગેરકાયદેસર દરગાહ સામે તાત્કાલિક પગલાં લેવા”, તેમણે કહ્યું.

    રાજ ઠાકરેએ માહિમ દરગાહ તોડી પાડવા બદલ સરકારનો આભાર માન્યો\

    નોંધનીય છે કે MNSના વડા રાજ ઠાકરેએ તેમના ગુડી પડવાના સંબોધનમાં એક ક્લિપ ચલાવી અને મુંબઈમાં માહિમ કિનારે એક ‘ગેરકાયદે દરગાહ’ ઊભી થઈ હોવાનો ખુલાસો કર્યા પછી માહિમમાં ગેરકાયદે માહિમ મઝારને તોડી પાડવામાં આવી હતી. તેમણે ગેરકાયદેસર બાંધકામ હટાવવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે જો તેને તાત્કાલિક તોડી પાડવામાં નહીં આવે તો તેમની પાર્ટી તે જ જગ્યાએ વિશાળ ગણપતિ મંદિરનું નિર્માણ કરશે.

    શુક્રવારે ટ્વિટર પર, રાજ ઠાકરેએ આ મુદ્દો ઉઠાવ્યા પછી મહારાષ્ટ્ર સરકાર અને BMCનો તાત્કાલિક પગલાં લેવા બદલ આભાર માન્યો. “જય મહારાષ્ટ્ર, સસ્નેહ! મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ગુડીપડવાની બેઠકમાં મેં મુંબઈમાં માહિમના દરિયામાં બનેલ અનધિકૃત દરગાહ, સાંગલીમાં કુપવાડની હિંદુ વસાહતમાં પરવાનગી વગર બનેલી અનધિકૃત મસ્જિદનો વિડિયો બતાવ્યો અને ઘણાને આઘાત લાગ્યો. હું મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી/ગૃહમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ પોલીસ કમિશનર શ્રી વિવેક ફણસાલકર, મુંબઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઈકબાલ ચેહેલ, સાંગલી મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને અન્ય વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માનું છું અને અભિનંદન આપું છું,” ઠાકરેએ ટ્વિટ કર્યું.

    “આખા રાજ્યમાં અમારી નજર સમક્ષ આવા અતિક્રમણ ચાલી રહ્યાં છે, મહેરબાની કરીને નોંધ કરો કે આ માત્ર અતિક્રમણ નથી પરંતુ ધાર્મિક સ્થળો પર હુમલો છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. માટે સરકાર અને વહીવટીતંત્ર સહિત દરેક હિંદુ ભાઈએ સાવચેત રહેવું જોઈએ! આભાર!” MNS વડાએ મરાઠીમાં લખેલા તેમના ટ્વિટમાં ઉમેર્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં