ઑપરેશન સિંદૂરને (Operation Sindoor) લઈને ભ્રામક પોસ્ટ (Post) કરી અથવા તો સેનાના મનોબળને તોડી પાડવાને લઈને ગુજરાતમાંથી ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઘણાએ તો ઑપરેશન સિંદૂરને ‘આતંકી કૃત્ય’ ગણાવી દીધું હતું. હવે તે જ ઘટનાક્રમ વચ્ચે ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) મહામંત્રી રાજેશ સોનીની (Rajesh Soni) પણ ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે (6 જૂન) સાયબર ક્રાઇમ સેલ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે, તેમણે ઑપરેશન સિંદૂર પર ભ્રામક પોસ્ટ કરીને સેનાનું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને ભારત સરકારે આત્મસમર્પણ કર્યું હોવાની ભ્રામક વાતો ફેલાવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, કોંગ્રેસ નેતા રાજેશ સોની પર ઑપરેશન સિંદૂર અંગે ફેસબુક પર વિવાદાસ્પદ નિવેદનો પોસ્ટ કરવાનો આરોપ છે. પોલીસ અધિક્ષક (સીઆઈડી-સાયબર ક્રાઇમ) ભરતસિંહ ટાંકે જણાવ્યું હતું કે, સોનીની પોસ્ટ્સ માત્ર ગેરમાર્ગે દોરનારી જ નથી, પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ સંભવિત જોખમ ઊભું કરનારી છે. તેમણે કહ્યું છે કે, “આ સામગ્રીથી સેનાનું મનોબળ તૂટે અને દેશની સાર્વભૌમત્વ પર જોખમ ઊભું થાય તેવી શંકા હતી.”
કોંગ્રેસ નેતા રાજેશ સોની પર ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, ખાસ કરીને કલમ 152, જે ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો સાથે સંબંધિત છે. આ ઉપરાંત કલમ 353(1)(a) હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વિવિધ બે પોસ્ટ કરીને મોદી સરકારને ટાર્ગેટ કરવા જતાં સેનાના શૌર્ય પર સવાલ ઉઠાવી નાખ્યા હતા.
શું કરી હતી ટિપ્પણીઓ?
FIRમાં બે ફેસબુક પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક પોસ્ટમાં સોનીએ ઑપરેશન સિંદૂરને પ્રોત્સાહન આપતા પોસ્ટરોની છબીઓ શેર કરી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાઇટર પાયલોટના યુનિફોર્મમાં દર્શાવવામાં આવ્યા હતા. વધુમાં વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરવા જતાં તેમણે જનમાનસની ભાવના સાથે છેડા થાય તેવું લખાણ લખ્યું હતું. વધુમાં તેમણે પોસ્ટમાં રાફેટ ફાઇટર જેટનો ઉલ્લેખ પણ કર્યો હતો.
FIR અનુસાર, બીજી એક પોસ્ટમાં સોનીએ હકીકતોથી વાકેફ હોવા છતાં ભારત સરકારે ઑપરેશન દરમિયાન આત્મસમર્પણ કર્યું હોવાનો આરોપ લગાવીને લોકોની લાગણી ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે CID અધિકારી ટાંકે કહ્યું હતું કે, “અમે એવી પોસ્ટ શેર કરવા બદલ સોનીની ધરપકડ કરી હતી, જે સશસ્ત્રદળોના મનોબળને નુકસાન પહોંચાડી શકે છે અને સૈનિકોના બલિદાનને અવગણવામાં આવી રહ્યા છે તેવો ભ્રામક સંદેશ આપી શકે છે.”