કર્ણાટકના (Karnataka) ધર્મસ્થળમાં (Dharmasthala Case) કથિત રીતે સેંકડો મૃતદેહોને દફનાવ્યા હોવાનો દાવો કરનારા ‘સફાઈ કર્મચારી’નો ચહેરો હવે સામે આવી ચૂક્યો છે. તેનું નામ ચિન્નૈયા હોવાનું સામે આવ્યું છે. તે કર્ણાટકના મંડ્યાનો રહેવાસી છે. SITની ટીમે શનિવારે (23 ઑગસ્ટ) તેની ધરપકડ કરી હતી અને તેને બેલ્થગંડી કોર્ટમાં રજૂ કર્યો હતો. SITની પૂછપરછમાં આરોપીએ પોતે કબૂલાત કરી છે કે, તેણે પૈસાની લાલચમાં આવીને આ બધુ કર્યું હતું. તે સિવાય તેની પ્રથમ પત્નીનું નિવેદન પણ સામે આવ્યું છે.
આરોપી ચિન્નૈયાએ SITને એવું પણ જણાવ્યું હતું કે, આ ખેલમાં તે માત્ર મોહરો છે અને માસ્ટરમાઇન્ડ કોઈક બીજું છે. આ આખું કાવતરું ઘડનારા લોકો હાલ પણ પોલીસ પકડથી દૂર છે. હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તે સિવાય આરોપીની પૂર્વ પત્નીના નિવેદન પણ સામે આવી ચૂક્યા છે.
SITની પૂછપરછમાં કરી કબૂલાત
માહિતી અનુસાર, SITની પૂછપરછ દરમિયાન આરોપી ચિન્નૈયાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તમિલનાડુમાં કેટલાક લોકો સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યારથી જ આરોપીને તે કાવતરામાં સામેલ કરી દેવામાં આવ્યો હતો. તે લોકોએ આરોપીને વિશ્વાસ અપાવ્યો હતો કે, જો તે ધર્મસ્થળ વિરુદ્ધ હવા બનાવશે તો અન્ય ફરિયાદીઓ પણ સામે આવશે અને કેસ બની શકશે. આ સાથે જ તેને બદલામાં પૈસા આપવાની લાલચ પણ આપવામાં આવી હતી.
The Dharmasthala "mass burial" case has taken a new turn. The complainant, CN Chinnayya, has been arrested. He was previously a protected witness.#dharamsthala #massburial #crime #cnchinnayya pic.twitter.com/EQFaDamxAl
— THE WEEK (@TheWeekLive) August 23, 2025
ચિન્નૈયાએ કહ્યું કે, “પોલીસ પૂછે તો કેવી રીતે જવાબ આપવો તેની મને બેંગલુરુમાં તાલીમ આપવામાં આવી હતી. માસ્ટરમાઇન્ડ જે કહેતો હતો, તે જ હું બોલતો હતો. સાચો ખેલાડી કોઈ બીજો છે, હું ફક્ત એક પાત્ર છું.”
SITએ શુક્રવાર મોડી રાત (22 ઑગસ્ટ) સુધી ચિન્નૈયાની પૂછપરછ કરી હતી, જેમાં તેણે પોતાના કારસ્તાનની કબૂલાત કરી હતી. શનિવારે સવારે (23 ઑગસ્ટ) તેને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યો અને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. SITએ સાક્ષી દ્વારા ઉલ્લેખિત 18 સ્થળોમાંથી 17 સ્થળોએ ખોદકામ કરી દીધું છે.
ચિન્નૈયાની પહેલી પત્નીએ પણ લગાવ્યા આરોપ
ધરપકડ બાદ ચિન્નૈયાની પહેલી પત્નીએ પણ તેનો પર્દાફાશ કર્યો છે. તેણે ‘કન્નડ પ્રભા’ અખબારને જણાવ્યું છે કે, ચિન્નૈયા હંમેશાથી જુઠ્ઠો રહ્યો છે અને તેણે તેમના લગ્નજીવન દરમિયાન પણ તેને ત્રાસ આપ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, ચિન્નૈયા પૈસા માટે કોઈ બીજાના કહેવા પર આ બધું કરી રહ્યો હતો.
પત્નીએ કહ્યું છે કે, તે નાગમંગલાની રહેવાસી છે અને 25 વર્ષ પહેલાં ચિન્નૈયા સાથે તેના લગ્ન થયા હતા. તેમને બે બાળકો છે. લગ્ન પછી જ્યારે તેઓ ધર્મસ્થળ પહોંચ્યા, ત્યારે ધર્માધિકારી વીરેન્દ્ર હેગડેએ તેમના માટે ઘર અને નોકરીની વ્યવસ્થા કરી હતી. મહિલાએ કહ્યું કે, “મને સ્નાનઘાટ પર 3000 રૂપિયાના પગાર સાથે સફાઈ કામદારની નોકરી મળી, પરંતુ ચિન્નૈયા ક્યારેય મહેનતુ વ્યક્તિ નહોતો. તે હંમેશા સરળ પૈસા પાછળ ભાગતો રહેતો હતો.”
આરોપીની પૂર્વ પત્નીએ એ પણ કહ્યું છે કે, છૂટાછેડા પછી તેને ખબર પડી કે ચિન્નૈયાએ બે વધુ લગ્ન કર્યા છે, જેમાંથી એક પત્ની તમિલનાડુની હતી. ચિન્નૈયાની ધરપકડ બાદ ધર્મસ્થળમાં વાતાવરણ ગરમાયું છે. દરમિયાન, ભક્તો સરઘસ કાઢીને SITની કાર્યવાહીને સમર્થન આપી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ ષડયંત્ર પાછળના માસ્ટરમાઇન્ડનો પણ પર્દાફાશ થાય.


