વડાપ્રધાન મોદી (PM Modi) માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને વાંધાજનક પોસ્ટ કરનારા 24 વર્ષીય આરોપીને અલ્હાબાદ હાઇકોર્ટ (Allahabad High Court) તરફથી કોઈ રાહત મળી શકી નથી. આરોપી અજિત યાદવે તેના પર નોંધાયેલી FIR મામલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને રદ કરવાની માંગણી કરી હતી. જોકે, હાઇકોર્ટે FIR રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ માટે આ પ્રકારની ભાષા વાપરી શકાય નહીં. આ ભાષા અપમાનજનક છે, તેથી રાહત મળી શકશે નહીં.
સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ ભાવનામાં વહી જઈને સોશિયલ મીડિયા પોસ્ટ કરી દીધી હતી. જોકે, જસ્ટિસ જેજે મુનીર અને જસ્ટિસ અનિલ કુમારે આ દલીલ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે દલીલ ફગાવતા કહ્યું હતું કે, “વડાપ્રધાન વિરુદ્ધ યુદ્ધવિરામના નિર્ણયને લઈને અરજદાર દ્વારા લખવામાં આવેલી પોસ્ટમાં સરકારના વડા માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ભાવનાઓને આ હદ સુધી વહેવા દઈ શકાય નહીં કે, દેશના બંધારણીય અધિકારીઓ માટે અભદ્ર શબ્દો વાપરીને તેમને બદનામ કરવામાં આવે.”
'Scurrilous Language': Allahabad HC Denies Relief To Man In FIR Over 'Coward-#PMModi' & 'Narendra-Surrender' Remarks | @ISparshUpadhyay #NarendraModi #allahabadhighcourt @narendramodi #indiapakistanconflict #OperationSindoor https://t.co/KaDa8hOcBZ
— Live Law (@LiveLawIndia) June 6, 2025
વધુમાં હાઇકોર્ટે એવું પણ કહ્યું છે કે, બંધારણની કલમ 226 હેઠળ અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરતા આરોપી સામેની FIRમાં હસ્તક્ષેપ કરવાનો યોગ્ય કેસ બનતો નથી. તેથી આરોપીની અરજીને ફગાવી દેવામાં આવે છે. નોંધનીય છે કે, અરજદાર અજિત યાદવ વિરુદ્ધ BNSની કલમ 352 (શાંતિ ભંગ કરવાના ઇરાદે અપમાન કરવું), 152 (ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાનું કૃત્ય), 196(1) (વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને 353(2) (સાર્વજનિક ભડકાઉ નિવેદન) હેઠળ FIR નોંધવામાં આવી છે.
શું હતો કેસ?
આ સમગ્ર કેસની શરૂઆત ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષવિરામ સાથે થઈ હતી. પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામની વિનંતી બાદ ભારતે થોડા સમય માટે ઑપરેશન સિંદૂરને વિરામ આપ્યો હતો. આ મામલે સરકાર સ્પષ્ટ હતી કે, ઑપરેશન સિંદૂરને માત્ર હાલ પૂરતું અટકાવવામાં આવ્યું છે, બંધ કરવામાં નથી આવ્યું. જોકે, યુદ્ધવિરામની આ જાહેરાત બાદ આરોપી અજિત યાદવે ફેસબુક પર ત્રણ પોસ્ટ કરી હતી અને વડાપ્રધાન મોદીને ગાળો આપી હતી. આરોપીએ તેમના માટે ‘કાયર’ અને ‘હીજ*’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
વધુમાં તેણે એવો આરોપ પણ લગાવ્યો હતો કે, ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીછેહઠ કરી છે. FIR અનુસાર, આરોપીએ વડાપ્રધાન મોદીની મજાક ઉડાવીને ‘નરેન્દ્રનું કામ સરેન્ડર’ જેવા કોંગ્રેસપ્રેરિત શબ્દો લખ્યા હતા. જે બાદ આ મામલે સંબંધિત પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ FIR સામે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ તેને કોઈ રાહત મળી શકી નહીં.