Friday, April 26, 2024
More
    હોમપેજમંતવ્યનિષ્પ્રાણ PAAS થશે પાસ?: સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો એક નાનકડો ભાગ...

    નિષ્પ્રાણ PAAS થશે પાસ?: સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો એક નાનકડો ભાગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાનું આંદોલન

    સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ એ વિશ્વક્ક્ષાનું સ્પોટ્ર્સ કોપલેક્સ છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જુદી જુદી રાજકીય પાર્ટીઓ તો અવનવા ગતકડા કરીને સમાચારમાં રહેવાનો પ્રયાસ કરતી જ હોય છે પરંતુ હવે તેમાં વધુ એક નામ જોડાયું છે. લોકો જેનું નામ પણ ભૂલી ગયા હશે એ પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) આવી રહ્યું છે એક નવું આંદોલન લઈને, આ વખતે તેમનો મુદ્દો છે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ.

    રવિવાર એટ્લે કે આજે સરદાર પટેલ સંકલ્પ આંદોલન સમિતિના નેજા હેઠળ કોંગ્રેસના પૂર્વ સાંસદ દિનશા પટેલની અધ્યક્ષતામાં ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બારડોલી આશ્રમથી નીકળીને સોમવારે અમદાવાદમાં મોટેરા ખાતેના આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોચશે જ્યાં તેઓ સ્ટેડિયમનું નામ બદલવા માટે આંદોલન કરશે.

    અગત્યની વાત એ છે કે પાટીદાર અનામતના નામે શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા આ આંદોલનનું સમર્થન કરાયું છે અને તેઓ પણ આમાં સક્રિય ભાગ લેશે. આ જાહેરાત PAAS આંદોલનથી જન્મેલા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ કરી હતી. PAASના નેતા અલ્પેશ કથીરિયાએ પોતાનું નિવેદન જાહેર કરતાં અપીલ કરી હતી કે, “અમે તમામ લોકોને આ યાત્રામાં જોડાવા અને અમારા આંદોલનને સફળ બનાવવા અપીલ કરીએ છીએ.”

    - Advertisement -

    પાટીદાર નેતાએ આગળ જણાવ્યું હતું કે, “બારડોલીથી શરૂ થયેલી આ વિરોધ કૂચ ગુજરાતના અનેક વિસ્તારોમાં જશે અને સોમવારે અમદાવાદ પહોંચશે. અમારી માંગ છે કે સ્ટેડિયમનું નામ બદલવું જોઈએ નહીંતર અમારો વિરોધ ચાલુ રહેશે.”

    અહિયાં નોંધવા જેવુ એ છે કે આ પહેલા ફેબ્રુઆરીએ 2021માં પણ PAAS દ્વારા આ જ વિષયને લઈને સરકાર વિરુદ્ધ આંદોલનની ચીમકી અપાઈ હતી પરંતુ બાદમાં કોઈ પગલાં લેવાયા નહોતો પાસ દ્વારા. હવે ફરીથી જ્યારે આ આંદોલન ઊભું થયું છે એટ્લે સ્વાભાવિક શંકા જાય જ કે શું પાસ ચૂંટણીની રાહ જોઈ રહ્યું હતું આંદોલન કરવા માટે!

    એ વાત પણ નોધનીય છે કે PAAS આંદોલનના મોટા ભાગના નેતાઓ કોઈ ના કોઈ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે જેમાં સૌથી મોટો ચહેરો હાર્દિક પટેલ ત્રણ વર્ષ કોંગ્રેસમાં રહીને હમણાં જ ભાજપામાં જોડાઓ છે તેવી જ રીતે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં તો રેશ્મા પટેલ NCPમાં જોડાયા હતા. આ સિવાય પણ ઘણા નેતાઓ એ રાજકીય વાટ પકડી હતી. આજે PAAS 2015 જેટલું તાકાતવાર અને સંગઠીત નથી. માટે PAASમાં પ્રાણ પુરવાનો પ્રયત્ન છે તેવું લોકો માની રહ્યા છે.

    તો આજે આપણે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામને સરદાર પટેલના અપમાન સાથે જોડીને ઊભા કરાયેલ ભ્રમનું પોસ્ટમોર્ટ્મ કરીશું.

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામ પર ઊભો કરાયેલો ભ્રમ

    24 ફેબ્રુઆરીએ 2021ના દિવસે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રિનોવેટ થઈને તૈયાર થયેલ મોટેરા સ્ટેડિયમને નવા નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ સાથે દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. જૂના સ્ટેડિયમનું રિનોવેશન કરીને ટેન બેઠકક્ષમતા 1,32,000 કરવામાં આવી હતી જે બાદ તે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બની ચૂક્યું હતું.

    સ્ટેડિયમના ઉદ્ઘાટન સાથે જ ગુજરાતનાં વિરોધપક્ષ ઉપરાંત પાસ દ્વારા સ્ટેડિયમના નવા નામને સરદાર પટેલના અપમાન સાથે જોડીને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે હજુ પણ ચાલુ જ છે. તેમનું કહેવું હતું કે જૂના સરદાર પટેલ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવું એ સરદાર પટેલનું અપમાન છે. અને આ મુદ્દાને લઈને તેઓ વારંવાર આંદોલનોની ચીમકીઓ આપ્યા કરે છે.

    મહત્વનું છે કે, સરદાર પટેલનું નામ હટાવવામાં આવ્યું નહોતું. હકીકતમાં, તેમનું નામ સમગ્ર સ્પોર્ટ્સ એન્ક્લેવને ચિહ્નિત કરવા માટે ઉન્નત કરવામાં આવ્યું છે જેમાં અન્ય વિવિધ રમત સુવિધાઓનો સમાવેશ થાય છે. માત્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ પીએમ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવ્યું છે સમગ્ર સ્પોર્ટ્સ એન્ક્લેવનું નહીં.

    અહિયાં નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો એક નાનકડો ભાગ છે. ગુજરાત સરકારે મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલનું અપમાન નહોતું કર્યું પરંતુ સરદાર પટેલના નામને મોટેરા સ્ટેડિયમ કરતાં અનેક ગણી મોટી યોજના કે જે ભવિષ્યના ઓલમ્પિક આયોજનોને ધ્યાને રાખીને બનાવાઇ છે તેની સાથે જોડીને વધુ માન આપવાનો પ્રયત્ન કર્યો હતો. ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ 63 એકરમાં ફેલાયેલું છે જ્યારે સરદાર વલ્લભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ 215 એકરમાં ફેલાયેલું છે.

    સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ

    અમદાવાદએ ઘણા સમય પહેલાથી જ ઓલિમ્પિક ગેમ્સ 2036 યોજવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક પછી એક એવા પ્રોજેક્ટ્સ હાથમાં લીધા છે કે જેનાથી આ તૈયારીઓને જોમ મળે. આ પ્રોજેક્ટના મુખ્ય 3 માળખામાથી એક છે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ.

    સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો નાનકડો ભાગ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

    SVP સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુખ્ય હાઈલાઈટ્સ

    • 236 એકર વિસ્તાર 50 રમતોને આવરી લે છે.
    • વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તેનો એક ભાગ છે.
    • ફીફાની માર્ગદર્શિકા મુજબ 50,000 બેઠકોનું એથ્લેટિક કમ ફૂટબોલ સ્ટેડિયમ.
    • 15,000 સીટનું ફીલ્ડ હોકી સ્ટેડિયમ.
    • એક શાહી હોટેલ અને હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ
    • એક રમતવીર ગામ
    SVP સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રૂપરેખા (ફોટો : PTI)

    2021માં સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સૂચિત SVP સ્પોર્ટ્સ એન્ક્લેવની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે એક બહુવિધ રમતનું સ્થળ હશે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે.

    SVP સ્પોર્ટ્સ એન્ક્લેવના સૂચિત બિટ-અપ એરિયામાં 93,00,000 ચોરસ ફૂટનો બિટ-અપ વિસ્તાર હશે. કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 4600 કરોડ (રૂ. 3200 કરોડનું સરકારી રોકાણ અને રૂ. 1400 કરોડનું સંભવિત PPP/ખાનગી રોકાણ). આ પ્રોજેક્ટને તબક્કાવાર વિકસાવવાની કલ્પના આવી છે. અને ઘણું કામ થઈ પણ ચૂક્યું છે.

    સૂચિત એન્ક્લેવ આ પ્રકારનો એક જ હશે, જે 20 થી વધુ ઓલિમ્પિક રમતો માટે સ્થળ ઓફર કરશે.

    SVP સ્પોર્ટ્સ એન્ક્લેવની કેટલીક વિશેષતાઓમાં, ટ્રેક અને ફિલ્ડ અને ફૂટબોલ માટે 400 મીટરના સ્ટાન્ડર્ડ ટ્રેક સાથે 50,000 સીટનું એથ્લેટિક્સ સ્ટેડિયમ, બહુવિધ પ્રેક્ષકોની રમતો માટે 10-12,000 સીટનું ઇન્ડોર એરેના, 350,000 – 400,000 ચોરસ ફૂટ ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર અને ફ્લેક્સ સપોર્ટ સાથેનો સમાવેશ થાય છે. બહુવિધ રમતો માટે જગ્યા, 100,000 – 120,000 ચોરસ ફૂટ ઇન્ડોર એક્વેટિક સેન્ટર જેમાં 50m x 25m ઇન્ડોર અને આઉટડોર પૂલ, 15,000 સીટનું ફીલ્ડ હોકી સ્ટેડિયમ અને અન્ય ઘણી ઇન્ડોર અને આઉટડોર રમતો (બેડમિન્ટન, વોલીબોલ અને ટેબલ ટેનિસ). ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર બાસ્કેટબોલ, બેડમિન્ટન, કુસ્તી, ટેબલ ટેનિસ, કબડ્ડી, સ્ક્વોશ, બોક્સિંગ વગેરે માટે બહુહેતુક સુવિધા હશે.

    સેન્ટ્રલ સ્ટેડિયમ અને 12 આઉટડોર કોર્ટ સાથે ટેનિસ સેન્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ એન્ક્લેવથી શિલ્પપૂર્ણ પેડેસ્ટ્રિયન બ્રિજ દ્વારા જોડાયેલ પીપીપી ધોરણે સિગ્નેચર હોટેલ, આઉટડોર પ્રેક્ટિસ કોર્ટ, મિશ્ર-ઉપયોગ અને હોસોઇટાલિટી ડિસ્ટ્રિક્ટ, FIFA માર્ગદર્શિકા મુજબ 50,000 બેઠકોનું એથ્લેટિક કમ ફૂટબોલ સ્ટેડિયમ પણ આયોજન કરવામાં આવ્યું છે.

    આ પ્રોજેક્ટમાં વધુ સમાવેશ થાય છે, કુલ 3,000 એપાર્ટમેન્ટ્સ (કુલ 12,500 પથારી) ધરાવતા એથલેટ વિલેજમાં 2, 3, 4 બેડરૂમની વ્યવસ્થા, મુલાકાત લેવા માટે સ્થળ, વહીવટી અને મીડિયા કચેરીઓ, હોટેલ્સ, રિટેલ, સુવિધાઓ અને ફૂડ કોર્ટ અને લગભગ 7,500 કાર અને 15,000 ટુ-વ્હીલર માટે પાર્કિંગનો સમાવેશ થાય છે.

    આમ, સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ એ એક વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ એન્ક્લેવ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતાં ખૂબ જ મોટું અને મહત્વનુ છે. આ એન્ક્લેવ એ ભવિષ્યના ઓલમ્પિક આયોજનને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે તેથી તેની ભવ્યતા પણ એ જ કક્ષાની રખાઇ છે. તો પછી આમાં સરદાર વલ્લભભાઇ પટેલનું અપમાન ક્યાં થાય છે.?

    આથી એ સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામને સરદાર પટેલના અપમાન સાથે જોડવું એ રાજકીય લાભ માટે રચવામાં આવેલ પ્રોપગેંડા માત્ર હતું. આ જ પ્રોપગેંડા આગળ વધારવા પાસ દ્વારા ફરીથી આંદોલનની રમત રમીને ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન થવાનો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં