Monday, May 6, 2024
More
    હોમપેજદેશ‘અંગત સ્વાર્થ માટે EVMને બદનામ કરનારાઓના મોઢે તમાચો’: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ...

    ‘અંગત સ્વાર્થ માટે EVMને બદનામ કરનારાઓના મોઢે તમાચો’: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બોલ્યા PM મોદી, કહ્યું- INDI ગઠબંધન દેશની માફી માંગે 

    INDI ગઠબંધનના દરેક નેતાએ EVMને લઈને જનતાના મનમાં સંદેહ પેદા કરવાનું પાપ કર્યું છે: PM મોદી

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે EVM અને VVPATના ડેટાના 100% વેરિફિકેશન તેમજ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજી ફગાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોર્ટનો આદેશ એ તમામ લોકોના ચહેરા પર તમાચો છે, જેઓ પોતાના અંગત સ્વાર્થ માટે EVM વિરુદ્ધ લોકોમાં સંશય પેદા કરવાના પ્રયાસ કરી રહ્યા હતા અને દેશને ફરીથી બેલેટ પેપરના સમયમાં ધકેલવા માંગતા હતા.

    બિહારના અરરિયામાં એક સભા સંબોધતાં પીએમ મોદીએ કહ્યું, “INDI ગઠબંધનને ન દેશના બંધારણની ચિંતા છે કે ન લોકતંત્રની. આ એ લોકો છે, જેમણે દાયકાઓ સુધી બેલેટ પેપરના બહાને લોકોના અને ગરીબોના અધિકાર આંચકી લીધા હતા. પોલિંગ બૂથ લૂંટી લેવામાં આવતા હતા, બેલેટ પેપર લૂંટી લેવામાં આવતા હતા. બિહારના લોકો સાક્ષી છે કે કઈ રીતે રાજદ અને કોંગ્રેસના શાસનમાં ચૂંટણીમાં મતદાન પત્ર લૂંટવામાં આવતા હતા. એટલું જ નહીં, ગરીબોને વોટ આપવા માટે ઘરની બહાર પણ નીકળવા દેવાતા ન હતા.” 

    તેમણે ઉમેર્યું, “હવે જ્યારે ગરીબોને અને દેશના ઇમાનદાર મતદારોને EVMની શક્તિ મળી છે તો આ ચૂંટણીના દિવસે લૂંટ ચલાવતા હતા, મત હડપ કરવાના ખેલ ખેલતા હતા તે લોકોથી સહન નહતું થઈ રહ્યું. હજુ પણ તેઓ પરેશાન છે અને એટલા માટે તેમનું દિવસ-રાત એક જ કામ રહે છે કે કોઈ પણ રીતે EVM હટવું જોઈએ. INDI ગઠબંધનના દરેક નેતાએ EVMને લઈને જનતાના મનમાં સંદેહ પેદા કરવાનું પાપ કર્યું છે.”

    - Advertisement -

    PM મોદીએ કહ્યું, “આજે દેશના લોકતંત્રની શક્તિ જુઓ. બાબાસાહેબ આંબેડકરના બંધારણની શક્તિ જુઓ. આજે સુપ્રીમ કોર્ટે એક-બે કલાક પહેલાં જ મતપેટીઓને લૂંટવાના ઈરાદા રાખનારાઓને એવો ઝટકો આપ્યો છે કે તેમનાં સપનાં ચૂર-ચૂર થઈ ગયાં છે. આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે બેલેટ પેપરનો યુગ પરત નહીં આવે.” 

    તેમણે કહ્યું, “આજે જ્યારે આખી દુનિયા ભારતના લોકતંત્રની, ભારતની ચૂંટણી પ્રક્રિયાની, ભારતની ચૂંટણીમાં ટેક્નોલોજીના ઉપયોગની વાહવાહી કરી રહી છે ત્યારે આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે, બદનિયતથી EVMને બદનામ કરવામાં લાગ્યા હતા. તેમણે લોકતંત્ર સાથે સતત વિશ્વાસઘાત કરવાના પ્રયાસ કર્યા છે. પરંતુ આજે આ જ લોકોને દેશની સર્વોચ્ચ અદાલતે એવો તમાચો માર્યો છે કે તેઓ મોં ઊંચું કરીને જોઈ પણ નહીં શકે.” 

    આજનો દિવસ લોકતંત્ર માટે શુભ દિવસ છે અને આજનો દિવસ લોકતંત્ર માટે વિજયનો દિવસ છે તેમ કહીને તેમણે જનતા પાસે ‘લોકતંત્ર ઝિંદાબાદ’ અને ‘બાબાસાહેબ આંબેડકર અમર રહે’ના નારા પણ લગાવડાવ્યા હતા. સાથે એમ પણ ઉમેર્યું કે, INDI ગઠબંધનના દરેક નેતાએ દેશની જનતાની માફી માંગવી પડશે. 

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે (26 એપ્રિલ) સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપીને ત્રણ અરજીઓ ફગાવી દીધી હતી, જેમાં VVPAT અને EVMના ડેટાના 100% વેરિફિકેશનની, બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અને VVPATની સ્લીપ વોટરને આપવાની (જેથી તે બેલેટ બોક્સમાં નાખી શકે અને ગણતરી સમયે આ કાપલીઓની પણ ગણતરી થાય) માંગ ફગાવી દીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં