ઉજ્જૈનના તરાનામાં ભડકી હિંસા, ઉપદ્રવી ટોળાનો મંદિર પર પથ્થરમારો-બસોમાં આગચંપી: VHP નેતા પર હુમલા બાદ 300 જવાનો તહેનાત, ડ્રોનથી નિરીક્ષણ

ઉજ્જૈન જિલ્લાના તરાના કસબામાં સોહેલ ઠાકુર પર હુમલા બાદ ફરી હિંસા ભડકી ઉઠી. ઉપદ્રવીઓએ અનેક ઘરો પર પથ્થરમારો કર્યો અને બસ સ્ટેન્ડ પર ઊભી રાખેલી એક બસને આગ લગાવી દીધી. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે 300 જવાનો તહેનાત કર્યા છે અને ડ્રોનથી નિરીક્ષણ કરી રહી છે.

ઘટનાની શરૂઆત ગુરુવારના (22 જાન્યુઆરી 2026) રોજ મોટા રામ મંદિરની સામે સુખલા ગલીમાં થઈ, જ્યાં વિશ્વ હિંદુ પરિષદના નગર મંત્રી સોહેલ ઠાકુર (બુંદેલા) ઊભા હતા. ઈશાન મિર્ઝા અને અન્ય કેટલાક યુવાનો ત્યાં પહોંચ્યા અને તેમને ઊભા રહેવા અંગે પ્રશ્ન કર્યો. વાત વધતી-વધતી બોલાચાલીમાં ફેરવાઈ અને પછી ઝઘડામાં બદલાઈ ગઈ.

રિપોર્ટ અનુસાર કેટલાક યુવાનોએ પાછળથી સોહેલ ઠાકુર પર હુમલો કર્યો, જેનાથી તેમના માથામાં ગંભીર ઈજા થઈ. પ્રાથમિક સારવાર બાદ તેમને ઉજ્જૈન રેફર કરવામાં આવ્યા. પોલીસે સપ્પન મિર્ઝા, ઈશાન મિર્ઝા, શાદાબ ઉર્ફે ઇડલી, સલમાન મિર્ઝા, રિઝવાન મિર્ઝા અને નાવેદ વિરુદ્ધ જીવલેણ હુમલાનો કેસ નોંધ્યો છે. આમાંથી પાંચની ધરપકડ કરી લેવામાં આવી છે, એકની શોધખોળ ચાલુ છે.

ગુરુવારે સાંજે આશરે 7:30 વાગ્યે વિવાદ વધતાં ઉપદ્રવીઓએ બસ સ્ટેન્ડ પર ઊભી રાખેલી 11 બસોમાં તોડફોડ કરી અને એક બસને આગ લગાવી દીધી. વધુમાં મંદિરમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે કલમ 144 લાગુ લાગુ કરીને બળપૂર્વક ભીડને ખદેડી અને વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ તહેનાત કરી હતી.

શુક્રવારના (23 જાન્યુઆરી 2026) રોજ પણ તણાવ યથાવત રહ્યો. બજાર બંધ રાખવામાં આવ્યા અને સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બળ તહેનાત છે. આ દરમિયાન પૂર્વ કોર્પોરેટર આઝાદ ખાનની સ્ક્રેપ દુકાનમાં આગ લાગી ગઈ. આઝાદ ખાને કહ્યું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે.

શુક્રવારે સવારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ તરાના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. નારેબાજી કરતાં તેઓએ આરોપીઓનું જુલુસ કાઢવા અને તેમના ઘરો તોડવાની માંગ કરી હતી. પોલીસે તેમને સમજાવવાના પ્રયાસ કર્યા, પરંતુ કાર્યકર્તાઓ માન્યા નહીં. આખરે તેઓ પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસી ગયા અને હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દીધો. વહીવટીતંત્રે શાંતિની અપીલ કરી છે.