મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રથી જોડતો મુજપુર ગંભીરા બ્રિજ ધરાશાયી, અનેક વાહનો નદીમાં ખાબક્યા, 2ના મોત: મહીસાગરમાંથી 3નો કરાયો આબાદ બચાવ

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો પાણીમાં ખાબક્યા છે. હાલ રેસ્ક્યુ ટીમ અને પોલીસ ઘટનાસ્થળ પર કાર્યરત હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિજ તૂટતાં 4 વાહનો મહીસાગર નદીમાં પડ્યા છે અને 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વધુમાં ત્રણ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. 

પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે બે ટ્રક, એક પિકઅપ વાહન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામા બે વ્યક્તિઓના મોત થયા હોવાનું કહેવાય રહ્યું છે. જ્યારે ત્રણ લોકોને બચાવી લેવાયા છે. આ બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે આણંદ અને વડોદરા જિલ્લાને પણ જોડતો હતો. 

આ બ્રિજ તૂટવાથી આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. આ મામલે કલેકટર તરફથી આધિકારિક માહિતી પણ આપવામાં આવી છે. તે સિવાય રાજ્ય સરકારના અધિકારીઓ અને પોલીસ પ્રશાસન ઘટનાસ્થળ પર આવી પહોંચ્યું છે. આ મામલે રેસ્ક્યુ કરવા માટે વિવિધ ટીમો પણ ઘટનાસ્થળે આવી પહોંચી છે.