અમેરિકન વામપંથી અખબાર ‘ધ વૉશિંગ્ટન પોસ્ટે’ શુક્રવારે (24 ઑક્ટોબરે) અદાણી ગ્રુપ અને મોદી સરકારની છબીને નુકસાન પહોંચાડવાનો વધુ એક પ્રયાસ કર્યો. અખબારે પુરાવા વિના ‘ક્રોની કેપિટલિઝમ’ (સરકાર અને ઉદ્યોગપતિઓ વચ્ચેની ગેરકાયદેસર ભાગીદારી)ના આરોપો લગાવતો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.
‘India’s $3.9 billion plan to help Modi’s mogul ally after U.S. charges’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકારે ભારતીય જીવન વીમા નિગમ (LIC) પર દબાણ કરીને અદાણી ગ્રુપમાં રોકાણ કરાવવાની યોજના ઘડી હતી.
‘ધ વૉશિંગ્ટન પોસ્ટે’ જણાવ્યું કે તેણે અમુક આંતરિક દસ્તાવેજો હસ્તગત કર્યા છે, જેનાથી જાણવા મળ્યું છે કે સરકારી અધિકારીઓએ મે મહિનામાં એક પ્રસ્તાવ તૈયાર કરીને આગળ મોકલ્યો હતો, જે હેઠળ લગભગ $3.9 બિલિયનનું (અંદાજે ₹32,000 કરોડ) રોકાણ LIC મારફતે અદાણી જૂથની કંપનીઓમાં કરવાની વાત હતી. અખબારે આરોપ લગાવ્યો કે આ પગલું મોદી સરકારના પ્રભાવ હેઠળ લેવામાં આવ્યું હતું, જેથી અદાણી જૂથને મદદ મળી શકે.

‘ધ વૉશિંગ્ટન પોસ્ટે’ તેને ‘એક્સક્લુઝિવ માહિતી’ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હકીકતમાં આ રોકાણની જાહેરાત અદાણી ગ્રુપે પોતે મે મહિનામાં જ એક પ્રેસ રિલીઝ દ્વારા કરી હતી.
અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે, “દેશની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેટે (APSEZ) 15 વર્ષના સમયગાળા માટે ₹5,000 કરોડ એકત્ર કર્યા છે. આ રકમ કંપનીએ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) જારી કરીને એકત્ર કરી છે. કંપનીની મજબૂત આર્થિક સ્થિતિ અને ‘AAA/Stable’ ક્રેડિટ રેટિંગને કારણે આ ડિબેન્ચર પર 7.75% વાર્ષિક વ્યાજ દર નક્કી થયો છે. આ આખો ઇશ્યૂ ભારતીય જીવન વીમા નિગમે (LIC) ખરીદ્યો છે. આ ડિબેન્ચર બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ થશે.”
સરળ શબ્દોમાં કહીએ તો NCD એક ફિક્સ્ડ ઇનકમનું સાધનનું છે, જેમાં રોકાણકારને વ્યાજ મળે છે, પરંતુ તેને કંપનીના શેરમાં બદલવાનો વિકલ્પ નથી હોતો. આ LIC-અદાણી ડીલમાં LICને 7.75% વાર્ષિક વ્યાજ મળશે અને ₹5,000 કરોડની મૂળ રકમ 2040માં પાકતી મુદતે પરત મળશે.
LIC જેવી સંસ્થા માટે અદાણી પોર્ટ્સમાં આ રોકાણ એક સુરક્ષિત અને અનુમાનિત આવકનો સ્ત્રોત છે, કારણ કે તેમાં જોખમ ઓછું છે અને ક્રેડિટ રેટિંગ AAA/Stable છે.

આ સાથે એ પણ જાણવું જરૂરી છે કે સરકારી ક્ષેત્રની જીવન વીમા કંપની LICએ અનેક ખાનગી કંપનીઓમાં મોટું રોકાણ પણ કર્યું છે. ઉદાહરણ તરીકે LICનાં મુખ્ય રોકાણોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (₹1.38 લાખ કરોડ), ITC લિમિટેડ (₹82,342 કરોડ), HDFC બેન્ક, TCS, IDBI બેન્ક, ICICI બેન્ક, ભારતી એરટેલ, SBI, L&T અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે. તેથી LICએ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડમાં (APSEZ) ₹5,000 કરોડનું રોકાણ કર્યું તે બાબત અસામાન્ય નથી.
તેમ છતાં ‘ધ વૉશિંગ્ટન પોસ્ટે’ નક્કર પુરાવા વિના આરોપ લગાવ્યો કે મોદી સરકાર કોઈક રીતે કરદાતાઓના પૈસાનો ઉપયોગ કરીને એક ભારતીય જૂથને મદદ કરી રહી છે, જે દેવાના બોજ હેઠળ દબાયેલું છે.
LIC denies false reports by The Washington Post, reaffirming all investments are made with integrity and due diligence.#LIC #HarPalAapkeSaath #washingtonpost pic.twitter.com/RQ0N2AvBA1
— LIC India Forever (@LICIndiaForever) October 25, 2025
ધ વૉશિંગ્ટન પોસ્ટે ‘આંતરિક દસ્તાવેજો’ના હવાલે દાવો કર્યો કે ભારતના નાણાકીય સેવા વિભાગે (DFS) LICને અદાણી જૂથમાં રોકાણ કરવા સાવચેતી રાખવા જણાવ્યું હતું. જોકે, આવા કોઈ ‘આંતરિક દસ્તાવેજ’ના અસ્તિત્વની પુષ્ટિ થઈ નથી.
અખબારે એક દસ્તાવેજનો હવાલો આપીને દાવો કર્યો કે, “DFSના દસ્તાવેજોમાં સ્વીકારવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત રોકાણ યોજનામાં જોખમો છે અને ટૂંકાગાળાની કિંમતોમાં ઉતાર-ચઢાવ થઈ શકે છે.” અહેવાલમાં અખબારે કથિત ‘ઇન્ડિપેન્ડન્ટ એક્સપર્ટ’ હેમિંદ્રા હઝારીનો ઉલ્લેખ કરીને ભારત સરકાર, LIC અને અદાણી ગ્રુપની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં ધ વૉશિંગ્ટન પોસ્ટે સ્વીકારવું પડ્યું છે કે LIC દ્વારા કરવામાં આવેલું રોકાણ સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયા હેઠળ થયું હતું, એટલે કે તમામ નિયમનકારી નિયમોનું પાલન કરીને, સંપૂર્ણ ચકાસણી સાથે અને આર્થિક લાભને ધ્યાનમાં રાખીને રોકાણ કરવામાં આવ્યું હતું.
અખબારે નકારી કાઢવામાં આવેલા હિંડનબર્ગ રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેથી અદાણી ગ્રુપ વિરુદ્ધ પુરાવા વિના ભ્રષ્ટ મૂડીવાદના આરોપો ફેલાવી શકાય.
LICએ વૉશિંગ્ટન પોસ્ટના દાવાઓને ફગાવ્યા
ભારતીય જીવન વીમા નિગમે (LIC) શનિવારે (25 ઑક્ટોબર) એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, “ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા લગાવવામાં આવેલા આરોપો કે LICનાં રોકાણ નિર્ણયો બાહ્ય દબાણથી પ્રભાવિત થાય છે, તે સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને વાસ્તવિકતાથી દૂર છે.” જાહેર ક્ષેત્રની આ વીમા કંપનીએ કોઈપણ આંતરિક દસ્તાવેજનાં અસ્તિત્વના દાવાને પણ નકારી કાઢ્યો છે, જે અખબારના અહેવાલનો એકમાત્ર આધાર હતો.
LICએ સ્પષ્ટ કર્યું કે, “આવો કોઈ દસ્તાવેજ કે યોજના ક્યારેય તૈયાર કરવામાં આવી નથી, જે LIC દ્વારા અદાણી ગ્રુપમાં રોકાણ માટે રોડમેપ બનાવે. LIC પોતાની બોર્ડ-સ્વીકૃત નીતિઓ અનુસાર સ્વતંત્ર રીતે, વિગતવાર તપાસ કર્યા પછી જ રોકાણ નિર્ણયો લે છે.”
અદાણી ગ્રુપે વધુમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય સેવા વિભાગ (DFS) કે અન્ય કોઈ સરકારી સંસ્થા તેના રોકાણ નિર્ણયોમાં કોઈપણ પ્રકારની ભૂમિકા ભજવતી નથી. કંપનીએ જણાવ્યું કે, “LICએ હંમેશા ઉચ્ચતમ સ્તરની તપાસ સુનિશ્ચિત કરી છે. તેના તમામ રોકાણ નિર્ણયો હાલની નીતિઓ, કાયદાકીય જોગવાઈઓ અને નિયમનકારી માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરીને, તેના તમામ રોકાણકારો અને હિતધારકોના શ્રેષ્ઠ હિતમાં લેવામાં આવ્યા છે.”
અદાણી ગ્રુપે ક્રોની કેપિટલિઝમના આરોપો નકાર્યા
અદાણી ગ્રુપે પણ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટ મૂડીવાદના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ગ્રુપે જણાવ્યું છે કે, “અમે સ્પષ્ટપણે જણાવીએ છીએ કે અમારો કથિત સરકારી યોજના સાથે કોઈ સંબંધ નથી, જેના હેઠળ LICના ફંડને નિર્દેશિત કરવામાં આવ્યા હોય. LIC અનેક કોર્પોરેટ જૂથોમાં રોકાણ કરે છે, તેથી એવું કહેવું કે અદાણી જૂથને કોઈ ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું, તે ભ્રામક છે.” LICએ વધુમાં જણાવ્યું કે, “તે સિવાય, LICને અમારા પોર્ટફોલિયોમાં કરેલા રોકાણથી સારું વળતર મળ્યું છે. રાજકીય પક્ષપાત કે કોઈ ખાસ સરકારી સમર્થનના દાવા સંપૂર્ણપણે આધારહીન છે. કંપની વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તામાં આવ્યા તે પહેલાંથી જ બહુ સારું સ્થાન મેળવી ચૂકી હતી.”
અદાણી અને મોદી સરકાર પર નિશાન સાધનાર સંદિગ્ધ અહેવાલ પાછળ ‘પત્રકારો’
આ કથિત ‘હિટ-પીસ’ અહેવાલ પાછળ જે કથિત પત્રકારોનાં નામ સામે આવ્યાં છે, તેમાંથી એક પ્રાંશુ વર્મા છે. ઑપઇન્ડિયાએ ડિસેમ્બર 2023માં એક અહેવાલ આપ્યો હતો કે વર્મા અમેરિકન પોલિટિકલ કૉમેન્ટેટર જેક પોસોબિક પાસેથી ભારતીય OSINT (ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ) હેન્ડલ ‘Disinfo Lab’ વિશે માહિતી એકઠી કરી રહ્યા હતા. પ્રાંશુ વર્મા ફેબ્રુઆરી 2022થી ધ વૉશિંગ્ટન પોસ્ટમાં કામ કરે છે.
તેમણે જાન્યુઆરી 2023માં એક લેખ ‘Tracking rising religious hatred in India, from half a world away’માં ઇસ્લામવાદી રકીબ હામિદ નાઇકનું મહિમામંડન કરવાનો પ્રયાસ કર્યો હતો. રકીબ હામિદ નાઇક એક કુખ્યાત ભ્રામક ન્યુઝ ફેલાવનારો શખ્સ છે અને ‘Hindutva Watch’ નામના હિંદુવિરોધી પ્રોપગેન્ડા પ્લેટફોર્મનો સ્થાપક પણ છે.

તે (રકીબ હામિદ નાઇક) કાશ્મીર ઘાટીમાં 1990ના દાયકાની શરૂઆતમાં કટ્ટર ઇસ્લામવાદીઓ દ્વારા કરવામાં આવેલા હિંદુ નરસંહાર પર પ્રોપગેન્ડા ફેલાવવા માટે પણ કુખ્યાત છે. નાઇકે કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર મળેલા હિંદુ શિવલિંગની મજાક પણ ઉડાવી હતી.
પ્રાંશુ વર્માએ જાન્યુઆરી 2023માં તેના લેખમાં DOTO દ્વારા આપાયેલા ડેટાબેસનો હવાલો આપીને ભારતમાં કોમી નફરત વધવાનો દાવો કર્યો હતો. ‘Disinfo Lab’એ અગાઉ DOTOના ખોટા અહેવાલોને ઉજાગર કર્યા હતા, જે પછી DOTOએ ડેટાબેસને પહેલાં સુધાર્યો અને પછી હટાવી દીધો હતો.
લેખનો સહ-લેખક એક અન્ય ‘પત્રકાર’ રવિ નાયર છે, જે વામપંથી પ્રચાર પોર્ટલ ‘ધ વાયર’નો કોલમિસ્ટ છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હીની એક અદાલતે તેને હિંડનબર્ગ રિસર્ચનાં જુઠ્ઠાણાંના આધારે પ્રકાશિત કરેલી માનહાનિકારક સામગ્રી હટાવવાનો આદેશ આપ્યો હતો. આ સામગ્રી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની છબીને નુકસાન પહોંચાડતી હતી.
રવિ નાયરે ફેબ્રુઆરી 2025માં બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’માં અદાણી ગ્રુપ વિશે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. મોદી સરકાર પર નિશાન સાધવાની ભારે હતાશામાં આ ‘પત્રકારે’ મૂર્ખતા સાબિત કરતાં ભારતીય રૂપિયાની તુલના અફઘાનિસ્તાનનાં ચલણ સાથે કરી દીધી હતી.
Bhakt Mandali and their media should ask Rishi Sunak whether he eats beef or not ?
— Ravi Nair (@t_d_h_nair) October 24, 2022
ઑપઇન્ડિયાએ અગાઉ પણ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાનું NGO સમર્થિત પોર્ટલ ‘Adani Watch’ રવિ નાયર દ્વારા પ્રકાશિત લગભગ તમામ ભ્રામક લેખોને રિટ્વિટ કરે છે. આ પત્રકાર હિંદુ ભાવનાઓની મજાક ઉડાવવા અને નિયમિતપણે હિંદુવિરોધી સામગ્રી ફેલાવવા માટે કુખ્યાત છે.
તેમણે અગાઉ સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિશે પણ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું અને તેને તોડી પાડવાની માંગ પણ કરી હતી. રવિ નાયર રાફેલ ડીલ વિશે જુઠ્ઠાણું ફેલાવવામાં અને ભારતની સંરક્ષણ ખરીદીને રોકવામાં આગળ રહ્યા હતા, જોકે હકીકત એ પણ છે કે તેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા.


