Monday, April 28, 2025
More
    હોમપેજક્રાઈમએક લાઈનમાં ઉભા રાખીને લીધો 3500 હિંદુ પુરુષોનો જીવ, જેમની વિધવાઓ આજે...

    એક લાઈનમાં ઉભા રાખીને લીધો 3500 હિંદુ પુરુષોનો જીવ, જેમની વિધવાઓ આજે પણ માંગી રહી છે ન્યાય: જાતીભંગાની જમીન પાકિસ્તાની સેના અને રઝાકારોએ કરેલ નરસંહારની પૂરી રહી છે સાક્ષી

    પાકિસ્તાની સરકારે 1971માં બાંગ્લાદેશની આઝાદીની માંગ કરનારાઓ પર નિર્દયતાથી કહેર વરસાવ્યો. ખાસ કરીને હિંદુ સમુદાયને બેવડા ગુનાની સજા આપવામાં આવી. પ્રથમ, તેમની આઝાદીની માંગ અને બીજું, તેમનું બિન-મુસ્લિમ હોવું.

    - Advertisement -

    બાંગ્લાદેશની (Bangladesh) આઝાદીની લડાઈ રક્તપાત અને અત્યાચારની કહાનીઓથી ભરેલી છે. પશ્ચિમ પાકિસ્તાન (આજનું પાકિસ્તાન) દરેક રીતે પૂર્વ પાકિસ્તાન (Pakistan) (જે બાંગ્લાદેશ બન્યું) પર કબજો જાળવી રાખવા માંગતું હતું. પરંતુ જ્યારે ત્યાંના લોકોએ અવાજ ઉઠાવ્યો, ત્યારે દમન અને હિંસા શરૂ થઈ. પરિસ્થિતિ એટલી બગડી કે લગભગ એક કરોડ લોકોએ જીવ બચાવવા માટે ભારત ભાગવું પડ્યું. આનાથી ભારતમાં ભયંકર શરણાર્થી સંકટ ઊભું થયું. આખરે, ભારતે હસ્તક્ષેપ કરવો પડ્યો અને બાંગ્લાદેશને આઝાદીનો માર્ગ બતાવ્યો.

    તેમ છતાં, પાકિસ્તાની સરકારે 1971માં બાંગ્લાદેશની આઝાદીની માંગ કરનારાઓ પર નિર્દયતાથી કહેર વરસાવ્યો. ખાસ કરીને હિંદુ સમુદાયને બેવડા ગુનાની સજા આપવામાં આવી. પ્રથમ, તેમની આઝાદીની માંગ અને બીજું, તેમનું બિન-મુસ્લિમ હોવું. પાકિસ્તાની સેના અને તેમના કટ્ટરપંથી સહયોગીઓએ હિંદુઓને નિશાન બનાવી ભયાનક હત્યાકાંડ આચર્યો હતો. આવો જ એક હૃદયદ્રાવક હત્યાકાંડ લગભગ 54 વર્ષ પહેલાં, 23 એપ્રિલ, 1971ના રોજ ઠાકુરગાંવ જિલ્લાના જાતીભંગા (હવે વિધાપલ્લી) ગામમાં થયો હતો.

    શું થયું હતું જાતીભંગામાં?

    26 માર્ચ, 1971ના રોજ શેખ મુજીબુર રહેમાને પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદીની ઘોષણા કરી. આ સાથે આઝાદીની લડાઈ શરૂ થઈ. પરંતુ, ત્યારબાદ પરિસ્થિતિ વધુ ભયાનક બની. પાકિસ્તાની સેનાએ રઝાકાર, અલ-બદર અને અલ-શમ્સ જેવા કટ્ટરપંથી સંગઠનો સાથે મળીને નિર્દોષ લોકો પર અત્યાચાર શરૂ કર્યા. જે કોઈ આઝાદીની માંગ કરે, તેને નિર્દયતાથી મારી નાખવામાં આવતા હતા.

    - Advertisement -
    बांग्लादेश आजादी की लड़ाई
    ભારતમાં આવી રહેલ શરણાર્થીઓ (ફોટો: OpIndia હિન્દી)

    આ ડરથી ઠાકુરગાંવ જિલ્લાના બાલિયા, શુખનપુકુરી, જગન્નાથપુર, ચકહાલ્દી, સિંગિયા, ચાંદીપુર, બસુદેવપુર, મિલનપુર, ગૌરીપુર, ખમાર ભોલા, પલાશબાડી અને દેવીગ જેવા ઘણા ગામોના હજારો હિંદુ પરિવારો પોતાનો જીવ બચાવવા માટે સ્ત્રીઓ અને બાળકો સાથે ભાગીને ભારત આવવા લાગ્યા.

    23 એપ્રિલની સવારે, આ ગામોના સેંકડો લોકો જાતીભંગામાં એકઠા થયા હતા જેથી ત્યાંથી આગળ ભારત તરફ નીકળી શકે. પરંતુ એક સ્થાનિક ગદ્દારે પાકિસ્તાની સેનાને આની ખબર આપી દીધી હતી. સેના બે ટ્રકોમાં ત્યાં પહોંચી ગઈ. હિંદુ પુરુષોને લાઇનમાં ઊભા કરવામાં આવ્યા અને પછી મશીનગનથી તાબડતોબ ગોળીઓ વરસાવવામાં આવી. કેટલાકને ધારદાર હથિયારોથી મારી નાખવામાં આવ્યા હતા. આ હત્યાકાંડ સવારથી શરૂ થઈને બપોર સુધી ચાલ્યો હતો.

    આમાં લગભગ 3500 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. સેંકડો સ્ત્રીઓ વિધવા બની. ત્યારબાદ મૃતદેહોને નજીકની પથરાજ નદીમાં ફેંકી દેવામાં આવ્યા. ઘણા મૃતદેહોને જમીનમાં ખાડો ખોદીને એકસાથે દફનાવી દેવામાં આવ્યા. આજે પણ જાતીભંગાની માટી એ દિવસે વહેલી લોહીની નદીઓની સાક્ષી પૂરે છે. ત્યારપછી ઠાકુરગાંવ જિલ્લાનો આ હત્યાકાંડ બાંગ્લાદેશની આઝાદીની લડાઈનો સૌથી દુઃખદ અને મોટો હત્યાકાંડ બની ગયો.

    જાતીભંગા હત્યાકાંડનો ન્યાય આજે પણ અધૂરો

    જાતીભંગા હત્યાકાંડ ઇતિહાસના કાળા પાનામાં નોંધાઈ ગયો. 2009માં બાંગ્લાદેશ સરકારે જાતીભંગા હત્યાકાંડના સ્થળે એક સ્મારક બનાવ્યું. આ સ્મારક તે દુઃખદ દિવસની યાદમાં બનાવવામાં આવ્યું, જેમાં સેંકડો નિર્દોષોના જીવ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 2011માં પીડિતો અને બચી ગયેલા લોકોએ મળીને શોક રેલી કાઢી. થોડા સમય પછી મૃતકોની યાદમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી, જેમાં લોકોએ ખુલ્લેઆમ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે માંગ કરી કે તે રાક્ષસોને સજા આપવામાં આવે, જેમણે આ હત્યાકાંડ કર્યો હતો.

    સરકારે તે જ વર્ષે ઓગસ્ટમાં 89 વિધવાઓને 2,000 ટકાની એકમુશ્ત સહાય પૂરી પાડી. ઠાકુરગાંવ સદર ઉપજિલ્લાના અધિકારી તૌહીદુલ ઇસ્લામે ખાતરી આપી હતી કે આગળ જતાં જાતીભંગા ગામની 500 વિધવાઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે. પરંતુ દુઃખની વાત એ છે કે આટલાં વર્ષો પછી પણ ન્યાય અધૂરો છે.

    बांग्लादेश जातीभंगा नरसंहार न्याय
    ઠાકુરગાંવ સદર ઉપજિલ્લાના જગન્નાથપુર ખાતે શોક શોભાયાત્રામાં જોડાયેલી જાતીભંગા હત્યાકાંડના પુરુષોની વિધવાઓ (ફોટો: OpIndia)

    2014માં ઠાકુરગાંવના જગન્નાથપુર ગામમાં જ્યારે જાતીભંગા હત્યાકાંડ દિવસ ઉજવવામાં આવ્યો, ત્યારે ત્યાં દુઃખ અને ગુસ્સાની લહેર ફરી ઉભરી. ‘જાતીભંગા ગણહત્યાદિવસ પાલન સમિતિ’એ શોક યાત્રા કાઢી, જેમાં સેંકડો મહિલાઓ સામેલ થઈ. આ એ મહિલાઓ હતી, જેમણે તે દિવસે પોતાના પતિ, પિતા કે ભાઈ ગુમાવ્યા હતા. દરેક એક જ અવાજમાં માંગ કરી રહ્યા હતા, “જેમણે આટલા લોકોના જીવ લીધા, તેમને સજા મળવી જોઈએ. હવે વધુ રાહ નહીં જોવાય. ન્યાય થવો જોઈએ અને બધાની સામે થવો જોઈએ.”

    હત્યાકાંડના ચક્ષુસાક્ષીઓની પીડા

    જાતીભંગા હત્યાકાંડની વરસી પર એક ભાવુક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાની અધ્યક્ષતા સ્વાતંત્ર્ય સેનાની ડૉ. નિપેન્દ્રનાથે કરી હતી. તેમાં પત્રકાર અબ્દુલ લતીફ, જગન્નાથપુર યુનિયન પરિષદના ભૂતપૂર્વ સદસ્ય ધની ચરણ, ગિરીન ચંદ્રની વિધવા શુશીલા બેવા, પબનશોરી અને રોશની રાણી જેવા ઘણા વરિષ્ઠ ચહેરાઓએ પોતાના વિચારો રજૂ કર્યા. સભામાં બધાએ દુઃખ વ્યક્ત કર્યું કે આઝાદીના 43 વર્ષ પછી પણ તે રઝાકારોને સજા મળી નથી, જેમણે નિર્દોષ લોકોના જીવ લીધા હતા. તેમાંના ઘણા તો આજે સમાજમાં ઉચ્ચ હોદ્દાઓ પર છે.

    આ સભામાં ચક્ષુસાક્ષી ધની ચરણે હત્યાકાંડની ભયાનક યાદો શેર કરતાં કહ્યું, “અમે ભારત ભાગવા માંગતા હતા કારણ કે ત્યાં રહેવું હવે સુરક્ષિત નહોતું. જ્યારે અમે જાતીભંગા પહોંચ્યા, ત્યારે સૂરજ ડૂબી ગયો હતો. અમે વિચાર્યું કે રાત અહીં રોકાઈ જઈએ અને સવારે આગળ નીકળીએ. પરંતુ રઝાકારોએ અમારી ખબર પાકિસ્તાની સેનાને આપી દીધી. ત્યારબાદ પાકિસ્તાની સૈનિકો આવ્યા અને ચારે બાજુથી ઘેરી લીધા. પછી પુરુષોને લાઇનમાં ઊભા કરાયા અને તેમને ગોળીઓ ધરબી દીધી. લગભગ 3,000 લોકોને તે જ દિવસે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.”

    અન્ય મહિલાઓ, જેમણે હત્યાકાંડ થતું જોયું, તે આજે પણ તે દિવસને યાદ કરીને ધ્રૂજી ઉઠે છે. આમાં પબનશોરી, ગોઠન બાલા અને રોશની રાણી જેવી ઘણી મહિલાઓના નામ સામેલ છે. આ માત્ર એક ઘટના નહોતી. 25 માર્ચ, 1971ના રોજ ‘ઓપરેશન સર્ચલાઇટ’ના નામે પાકિસ્તાની સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં (હવે બાંગ્લાદેશ) હજારો નિર્દોષ બંગાળીઓની હત્યા કરી હતી. આ હત્યાકાંડમાં પીસ કમિટી, રઝાકાર, અલ-બદ્ર અને અલ-શમ્સ જેવા સંગઠનોની ભૂમિકા પણ હતી.

    આંતરરાષ્ટ્રીય સ્તરે મળી નથી માન્યતા

    આઝાદી પછી બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર બધભૂમિ (એટલે કે હત્યાકાંડ) શોધાઈ ચૂક્યા છે. આમાંથી હજારો લોકોની ઓળખ પણ થઈ ચૂકી છે. ઘણી જગ્યાએથી નરકંકાલ, ખોપરીઓ અને વાળ સુધી મળ્યા છે. આ બધામાં જાતીભંગાનું હત્યાકાંડ સૌથી મોટો અને સૌથી ભયાનક હતો. આ શાંત જમીન આજે પણ તે દુઃખદ ઇતિહાસની સાક્ષી છે.

    સંયુક્ત રાષ્ટ્રની નરસંહારની વ્યાખ્યા અનુસાર, 1971ની આ ઘટનાઓ સ્પષ્ટ રીતે નરસંહારની શ્રેણીમાં આવે છે, પરંતુ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે તેને સ્વીકારવામાં આવી નથી. આ ઘટનાઓ માત્ર ઇતિહાસ નથી, પરંતુ તે તે જુલમ, અત્યાચાર અને નફરતની સાક્ષી છે, જે પાકિસ્તાન અને તેના ઇસ્લામિક કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશના લોકો, ખાસ કરીને હિંદુ સમુદાય પર કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં