Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટPM મોદીના પ્રવાસ પહેલા ગુજરાત સરકારની કેબિનેટ બેઠક: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં...

    PM મોદીના પ્રવાસ પહેલા ગુજરાત સરકારની કેબિનેટ બેઠક: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થશે અનેક મુદ્દાઓ પર ચર્ચા

    મંગળવારે (26 સપ્ટેમ્બર) સવારે 10 વાગે ગુજરાત સરકારની આ કેબિનેટ બેઠક મળવાની છે. બેઠકની અધ્યક્ષતા CM ભૂપેન્દ્ર પટેલ કરવાના છે. આ બેઠકમાં પ્રધાનમંત્રીના પ્રવાસ, વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ, પૂર પ્રભાવિત વિસ્તારોમાં કૃષિ સિવાયના નુકશાનની સમીક્ષા કરવામાં આવશે.

    - Advertisement -

    મંગળવાર (26 સપ્ટેમ્બર) થી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. આ પ્રવાસ પહેલા મંગળવારે સવારે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે. જેમાં PM મોદીના પ્રવાસ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

    અહેવાલો અનુસાર મંગળવારે સવારે 10 વાગે ગુજરાત સરકારની આ કેબિનેટ બેઠક મળવાની છે. બેઠકની અધ્યક્ષતા CM ભૂપેન્દ્ર પટેલ કરવાના છે. આ બેઠકમાં પ્રધાનમંત્રીના પ્રવાસ, વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ, પૂર પ્રભાવિત વિસ્તારોમાં કૃષિ સિવાયના નુકશાનની સમીક્ષા કરવામાં આવશે.

    આ ઉપરાંત આ બેઠકમાં આગામી દિવસોમાં આવી રહેલ તહેવારો નિમિત્તે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા, ખાસ કરીને નવરાત્રિની તૈયારીઓ, મહિલાઓ અને ખેલૈયાઓની સુરક્ષા, ટ્રાફિક અને પોલીસ વ્યવસ્થા સહિત અનેક અગત્યના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

    - Advertisement -

    PM મોદીનો ગુજરાત પ્રવાસ

    નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26-27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અહીં તેઓ ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટનાં 20 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત ખાસ કાર્યક્રમમાં ભાગ લેવાનાં છે. તેમજ છોટાઉદેપુરના બોડેલીમાં 5200 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ પણ કરવાના છે. 

    આ ઉપરાંત, પીએમ વડોદરાના સિનોરમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલા નવનિર્મિત પુલ, વડોદરામાં EWS માટે બનાવવામાં આવેલાં 400 નવાં ઘરો, ગુજરાતનાં 7500 ગામડાંમાં વિલેજ વાઇફાઇ પ્રોજેક્ટ, દાહોદમાં નવીનીકરણ પામેલ તળાવ તેમજ નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનું પણ લોકાર્પણ કરવાના છે. 

    આ ઉપરાંત, પીએમ મોદી છોટાઉદેપુરમાં વોટર સપ્લાય પ્રોજેક્ટ, ગોધરામાં ફ્લાયઓવર બ્રિજ અને કેન્દ્ર સરકારની યોજના ‘બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ’ હેઠળ દાહોદમાં નિર્માણ પામનાર FM રેડિયો સ્ટુડિયોનું ખાતમુહૂર્ત પણ કરવાના છે. 

    2003 માં શરૂ થઈ હતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ

    ઉલ્લેખનીય છે કે બરાબર 20 વર્ષ પહેલાં 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટનો વિચાર અમલમાં મૂક્યો હતો અને એક ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું. સૌથી પહેલી સમિટ 28 સપ્ટેમ્બર, 2003ના રોજ યોજવામાં આવી હતી.

    સમય જતાં આ ઇવેન્ટ એક ગ્લોબલ ઈવેન્ટમાં તબદિલ થઈ ગઈ અને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ બિઝનેસ સમિટની યાદીમાં સ્થાન પામી. 2003માં યોજાયેલી સમિટમાં 300 આંતરરાષ્ટ્રીય સભ્યોએ ભાગ લીધો હતો, જે સંખ્યા વર્ષ 2019 આવતાં હજારો સુધી પહોંચે અને તે સમિટમાં 135 દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં