Saturday, July 12, 2025
More
    હોમપેજદુનિયામધ્યપૂર્વમાં ફરી અશાંતિનો માહોલ: દાયકાઓથી ચાલી રહેલો ઇઝરાયેલ-ઈરાનનો સંઘર્ષ પરિણમી શકે યુદ્ધમાં:...

    મધ્યપૂર્વમાં ફરી અશાંતિનો માહોલ: દાયકાઓથી ચાલી રહેલો ઇઝરાયેલ-ઈરાનનો સંઘર્ષ પરિણમી શકે યુદ્ધમાં: જાણો કેમ પરમાણુને લઈને બંને દેશો આવ્યા સામસામે, અમેરિકાની ભૂમિકા પણ સમજો

    તાજેતરમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ ઈરાનના પરમાણુ મથકોના કારણે છે. ઇઝરાયેલે લાંબા સમયથી ઈરાનના અણુ કાર્યક્રમને પોતાના અસ્તિત્વ માટે જોખમ ગણ્યો છે.

    - Advertisement -

    મધ્યપૂર્વ ફરી એકવાર તણાવના તીખા તાપમાં છે. 2024-25 દરમિયાન ઇઝરાયેલ અને ઈરાન (Israel Iran Conflict) વચ્ચે વધી રહેલા સંઘર્ષ અને આક્રમક કાર્યવાહીઓએ આખા વિશ્વમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. દુશ્મનાવટની બહુ જૂની પૃષ્ઠભૂમિ ધરાવતા આ બંને દેશો વચ્ચેનો તાજેતરનો વિવાદ માત્ર પ્રદેશીય મામલો રહ્યો નથી – આ હવે એક આંતરરાષ્ટ્રીય કૂટનીતિક અને રક્ષણાત્મક સંકટમાં ફેરવાઈ રહ્યો છે.

    ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શત્રુતા ઘણા દાયકાઓથી ચાલે છે. 1979ની ઈરાનની ઈસ્લામિક ક્રાંતિ બાદથી ઈરાને ઇઝરાયેલને રાજ્ય તરીકે ક્યારેય માન્યતા આપી નથી. બીજી તરફ, ઈરાન સતત હમાસ, હિઝબુલ્લાહ અને યમનમાંના હૂતી જેવા આતંકી સંગઠનોને રોકાણ અને હથિયારોથી મજબૂત કરતું રહ્યું છે. આ તમામ આતંકી સંગઠનો ઇઝરાયેલના વિરુદ્ધમાં હુમલા કરે છે.

    2023માં વધ્યો સંઘર્ષ

    આ જૂની દુશ્મનાવટે નવો તણાવ ઓક્ટોબર 2023માં ધારણ કર્યો, જ્યારે હમાસે ગાઝામાંથી ઇઝરાયેલ પર વ્યાપક હુમલાઓ કર્યા. આ હુમલામાં સેંકડો નાગરિકોના મૃત્યુ થયા અને ઇઝરાયેલનાં શહેરી વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. ઇઝરાયેલે તરત જ ગાઝા પર પ્રતિક્રિયા આપી – ભારે હવાઈ હુમલાઓ દ્વારા હમાસના ઠેકાણા નેસ્તનાબૂદ કર્યા. પરંતુ આ વિસ્ફોટક સ્થિતિએ ફક્ત હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનો મામલો રહ્યો નહીં – ઈરાન આ લડાઈના પડદા પાછળથી સક્રિય રીતે સંડોવાયેલું જોવા મળ્યું હતું.

    - Advertisement -

    ત્યારપછી ઇઝરાયેલે સીરિયામાં ઈરાની લક્ષ્યો અને પ્રોક્સીઓ પર વારંવાર હુમલા કર્યા, જેનાથી ઈરાને વળતો જવાબ આપવાની ધમકી આપી. 2024માં ઇઝરાયેલે ઈરાનના પ્રોક્સી જૂથો અને નેતાઓને નિશાન બનાવ્યા, જેમાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયેહની તેહરાનમાં હત્યા (31 જુલાઈ, 2024) અને હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુક્રની લેબનોનમાં હત્યા સામેલ છે. અહીં નોંધનીય છે કે ઇઝરાયેલે હમાસ, હિઝબુલ્લાહ અને હૂતી સહિતના આતંકી સંગઠનોના ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા જેમને કથિત રીતે ઈરાનનું પીઠબળ છે.

    પરમાણુ કાર્યક્રમના કારણે છે તાજેતરનો સંઘર્ષ

    તાજેતરમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ ઈરાનના પરમાણુ મથકોના કારણે છે. ઇઝરાયેલે લાંબા સમયથી ઈરાનના અણુ કાર્યક્રમને પોતાના અસ્તિત્વ માટે જોખમ ગણ્યો છે. 2025ના જૂનમાં આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીએ (IAEA) ઈરાનને અણુ સંધિઓનું પાલન ન કરનાર જાહેર કર્યું, કારણ કે ઈરાન 60% શુદ્ધ યુરેનિયમનું સંવર્ધન કરી રહ્યું હતું, જે અણુ શસ્ત્રો માટેના સ્તરની નજીક છે.

    ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો કે ઈરાન એક વર્ષ કે તેથી ઓછા સમયમાં અણુ શસ્ત્ર બનાવી શકે છે, જેના કારણે 13 જૂન, 2025ના રોજ ઇઝરાયેલે ‘ઑપરેશન રાઇઝિંગ લાયન’ (Am KeLavi) નામે ઈરાનના અણુ સ્થળો, મિસાઇલ ફેક્ટરીઓ અને લશ્કરી નેતાઓ પર મોટાપાયે હવાઈ હુમલા કર્યા.

    2025ના જૂનમાં ઇઝરાયેલના હુમલાઓએ ઈરાનના અણુ સ્થળો (નાતાન્ઝ, ખોન્દાબ, ખોરમાબાદ) અને IRGCના ટોચના કમાન્ડરોને (હોસૈન સલામી, અમીર અલી હાજીઝાદેહ) નિશાન બનાવ્યા, જેના જવાબમાં ઈરાને 13 જૂન, 2025ના રોજ તેલ અવીવ અને જેરુસલેમ પર 100થી વધુ મિસાઇલો અને ડ્રોન હુમલા કર્યા. જોકે, આ હુમલા ઇઝરાયેલે રોકી લીધા. ત્યારપછી ઇઝરાયેલે વળતો હુમલો કર્યો જેના જવાબમાં ઈરાને ફરીથી હુમલા કર્યા. બંને દેશો વચ્ચે હુમલાઓનો આ ઘટનાક્રમ હજુ પણ યથાવત છે.

    ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં અમેરિકાની ભૂમિકા

    અમેરિકાની ભૂમિકા આ સમગ્ર પરિસ્થિતિમાં કેન્દ્રસ્થાને રહી છે. અમેરિકા ઇઝરાયેલનું સૌથી મોટું લશ્કરી અને રાજકીય સમર્થક છે. 2024-25માં અમેરિકાએ THAAD મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને નૌકાદળની તૈનાતી દ્વારા ઈરાનના મિસાઇલ હુમલાઓ સામે ઇઝરાયેલનું રક્ષણ કર્યું હતું. 13 જૂન, 2025ના ઈરાનના વળતા હુમલાઓ દરમિયાન અમેરિકી સેનાએ ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમ સાથે મળીને મિસાઇલો અને ડ્રોનોને રોક્યા હતા.

    એક તરફ ઇઝરાયેલ તેનો પરંપરાગત અને નિકટ સહયોગી છે – જેને લાખો ડોલરની ડિફેન્સ સહાય, ટેક્નોલોજી અને સેટેલાઇટ ઈન્ટેલિજન્સ દ્વારા સમર્થન આપે છે. બીજી તરફ, અમેરિકા ઈચ્છે છે કે સંઘર્ષ બહુ મોટો ન બને – ખાસ કરીને તેઓ ઈરાન સાથે સીધું યુદ્ધ ટાળવા માંગે છે, કારણકે આ વાત માત્ર મધ્યપૂર્વ પૂરતી નહીં રહે.

    અમેરિકા પણ ઈરાનના પરમાણુ કાર્યક્રમની વિરુદ્ધમાં

    અમેરિકા પણ ઈરાનના પરમાણુ કાર્યક્રમની વિરુદ્ધમાં જ છે. અમેરિકા નથી ઇચ્છતું કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમમાં સફળતા મેળવે. જેના માટે ટ્રમ્પ વહીવટી તંત્રે એપ્રિલ 2025થી ઈરાન સાથે અણુ કાર્યક્રમને નિયંત્રિત કરવા માટે વાટાઘાટો શરૂ કરી છે. આ વાટાઘાટોમાં ઈરાનને યુરેનિયમ સંવર્ધન બંધ કરવાની શરત હતી, જે ઈરાને નકારી. ત્યારપછી ઈરાન અને અમેરિકાએ એકબીજાને ધમકીઓ આપી હતી. આ ઉપરાંત ઇઝરાયેલે પણ ઈરાનને હુમલાની ધમકી આપી હતી.

    આ દરમિયાન અમેરિકાએ પણ સંભવિત જોખમ સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. જૂન 2025ના આરંભમાં અમેરિકાએ ઇરાકમાં આવેલા પોતાનાં દૂતાવાસમાંથી નોન-ઇમરજન્સી સ્ટાફને હટાવવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી ઇઝરાયેલે 12-13 જૂન, 2025ના હુમલાઓ પહેલાં અમેરિકાને માત્ર જાણ કરી, સંમતિ ન લીધી. આનાથી વાટાઘાટો ખોરવાઈ હતી/

    નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ તણાવને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ આખો તણાવ ‘પ્રોક્સી વોર’ તરીકે સામે આવી રહ્યો છે. જોકે, આ ઘર્ષણ ક્યારે યુદ્ધમાં પરિવર્તિત થઈ જાય એ નક્કી કરી શકાય તેમ નથી. હવે વાત માત્ર ઈરાન અને ઇઝરાયેલની નથી રહી – અમેરિકા, યુરોપ, સાઉદી અરેબિયા, ઈજિપ્ત અને તૂર્કી જેવા દેશો પણ આ સંઘર્ષથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થઈ શકે છે. ભારત જેવા દેશોને પણ તેલના ભાવ અને વ્યાપાર પર અસર થવાની સંભાવનાઓ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં