Tuesday, March 31, 2026
More
    હોમપેજદેશશું છે આર્ટિકલ 240, જેના દાયરામાં ચંદીગઢને લાવવાની ચર્ચાએ પંજાબમાં ગરમાયું રાજકારણ:...

    શું છે આર્ટિકલ 240, જેના દાયરામાં ચંદીગઢને લાવવાની ચર્ચાએ પંજાબમાં ગરમાયું રાજકારણ: બિલની અટકળો વચ્ચે ગૃહ મંત્રાલયે કરી સ્પષ્ટતા

    વિવાદ ત્યારે ઊભો થયો, જ્યારે એવા દાવા થવા લાગ્યા કે પંજાબના રાજ્યપાલ પાસેથી ચંદીગઢનો વહીવટ છીનવી લઈને આર્ટીકલ 240 લાગુ કરી LG નિયુક્ત કરીને તેમને શાસન સોંપવામાં આવશે. 

    - Advertisement -

    સંસદનું શિયાળુ સત્ર આગામી ડિસેમ્બરમાં યોજાશે અને દર સત્રની જેમ નિયમાનુસાર સરકાર અમુક બિલો લાવશે. દરમ્યાન બંધારણના 131મા સુધારા માટે એક બિલ રજૂ કરવામાં આવી શકે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે સત્તાવાર રીતે ક્યાંય હજુ આવ્યું નથી, પણ આવું બિલ આવશે તેની ચર્ચાએ પંજાબમાં રાજકારણ ગરમાવી દીધું છે. કારણ એ છે કે બિલ આર્ટિકલ 240 સંબંધિત હોવાનું કહેવાય છે, જેમાં સુધારો કરીને ચંદીગઢને પણ તેના દાયરામાં સમાવી લેવાની વાત થઈ રહી છે. જોકે, ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ચંદીગઢ મુદ્દે કોઈ બિલ પસાર કરવાની તેમની હાલ કોઈ યોજના નથી.

    આર્ટિકલ 240 શું છે અને ચંદીગઢનો વિષય શા માટે આવ્યો, એ વિગતે જોઈએ.

    બંધારણનો આર્ટિકલ 240 અમુક કેન્દ્રશાસિત પ્રદેશો માટે નિયમો બનાવવા માટે રાષ્ટ્રપતિને સત્તા આપે છે. જે મુજબ જે-તે વિસ્તારમાં શાંતિ, પ્રગતિ અને સ્વસ્થ વાતાવરણ માટે રાષ્ટ્રપતિ નિયમો બનાવી શકે છે. આ આર્ટિકલ હેઠળ આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવ, પુડુચેરી (અમુક શરતો સાથે) અને લદાખ આવે છે.

    - Advertisement -

    શું કહે છે આર્ટીકલ 240? 

    બંધારણનો આર્ટીકલ 240 રાષ્ટ્રપતિને કેન્દ્રશાસિત પ્રદેશો જેમ કે લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા અને નગરહવેલી અને દીવ-દમણમાં સીધો હસ્તક્ષેપ કરીને જરૂરી નિયમ અને કાયદા બનાવવાની અથવા તો તેમાં બદલાવ કરવાની સત્તા આપે છે. આ કલમ હેઠળ રાષ્ટ્રપતિ જે પણ નવો નિયમ બનાવે છે, તે જૂના નિયમને ખતમ કરી દે છે અથવા તો તેમાં બદલાવ કરી દે છે. રાષ્ટ્રપતિએ બનાવેલા નિયમો સંસદમાં પસાર થયેલા કાયદા જેટલા જ મજબૂત હોય છે. 

    પરંતુ, આ કાયદામાં એક શરત પણ છે. શરત એવી છે કે જો કોઈ કેન્દ્રશાસિત પ્રદેશમાં (જેમ કે પુડુચેરી) આર્ટીકલ 239A હેઠળ એક વિધાનસભા અથવા તો વિધાનમંડળની રચના કરવામાં આવી હોય તો તે વિધાનસભાની પહેલી મિટિંગના દિવસથી જ રાષ્ટ્રપતિની તે પ્રદેશ માટે નિયમો બનાવવાની સત્તા સમાપ્ત થઈ જાય છે. એટલે કે પછી રાષ્ટ્રપતિ ત્યાં સીધી રીતે કાયદો બનાવી શકતા નથી. ત્યારબાદ એ કામ વિધાનસભા સંભાળી લે છે. 

    જોકે, હાલ વિવાદ ચંદીગઢને લઈને ચાલી રહ્યો છે. કેટલાક રાજકીય દાવા થઈ રહ્યા છે કે કેન્દ્ર સરકાર ચંદીગઢને પોતાના નિયંત્રણ હેઠળ લેવા માટે બંધારણમાં સુધારો કરવા જઈ રહી છે અને ચંદીગઢને પણ આર્ટીકલ 240 હેઠળ લાવવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અકાલી દળ જેવા ઘણા પક્ષોએ આ બાબતે ભારે હોબાળો પણ શરૂ કરી દીધો છે. જોકે, ચંદીગઢને લઈને પહેલાંથી પંજાબ અને હરિયાણા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે તે બંને રાજ્યોની રાજધાની છે.

    હાલ ચંદીગઢની પ્રશાસનિક વ્યવસ્થા પંજાબ રીઓર્ગેનાઇઝેશ એક્ટ 1966 અને યુટી એક્ટ હેઠળ ચાલી રહી છે. ટૂંકમાં ચંદીગઢ પર હાલ પંજાબના રાજ્યપાલ શાસન કરી રહ્યા છે અને તે પંજાબના શાસન હેઠળ આવી રહ્યું છે. પરંતુ વિવાદ ત્યારે ઊભો થયો, જ્યારે એવા દાવા થવા લાગ્યા કે પંજાબના રાજ્યપાલ પાસેથી ચંદીગઢનો વહીવટ છીનવી લઈને આર્ટીકલ 240 લાગુ કરી LG નિયુક્ત કરીને તેમને શાસન સોંપવામાં આવશે. 

    વિપક્ષે શરૂ કર્યો હતો વિરોધ

    ચંદીગઢને આર્ટીકલ 240 હેઠળ લાવવાની વાત શરૂ થતાં જ વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ, અકાલી દળ અને આમ આદમી પાર્ટીએ ભારે હોબાળો શરૂ કરી દીધો હતો. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આ મુદ્દાને પંજાબની ઓળખ સાથે જોડી દીધો હતો. તેમણે એવો દાવો પણ કરી દીધો હતો કે કેન્દ્ર સરકાર બંધારણનાં ફેડરલ સ્ટ્રક્ચરના ધજાગરા ઉડાવી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ આ મામલે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. 

    માને આ નિર્ણયને પંજાબની ‘આત્મા પર પ્રહાર’ ગણાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ચંદીગઢ પર પંજાબનો અધિકાર ઓછો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શિરોમણી અકાલી દળે આ ઘટનાને સંઘીય માળખા પર પ્રહાર ગણાવતા કહ્યું હતું કે ચંદીગઢ પર પંજાબનો અધિકાર છે અને તેમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે.

    કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

    આ વિવાદે ભારે તૂત પકડતા આખરે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા પણ આપવી પડી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે (23 નવેમ્બર, 2025) સ્પષ્ટતા કરી છે કે ચંદીગઢ માટે કેન્દ્ર સરકારની કાનૂની પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રસ્તાવ હાલ માત્ર વિચારણા હેઠળ છે અને અંતિમ કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. મંત્રાલયે એ સ્પષ્ટતા પણ કરી કે સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં આવું કોઈપણ પ્રકારનું બિલ લાવવાની ઈચ્છા ધરાવી રહી નથી. 

    સરકારે એવું પણ કહ્યું કે વિચારાધીન પ્રસ્તાવમાં પણ ચંદીગઢનાં શાસન-પ્રશાસનની વ્યવસ્થા અથવા તો તેના પંજાબ અને હરિયાણા સાથેના પરંપરાગત સંબંધોમાં કોઈ પરિવર્તન લાવવાની વાત નથી. આગળ કહેવાયું છે કે ચંદીગઢનાં હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય હિતધારકો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ જ આગળનો કોઈ નિર્ણય લેવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં