Thursday, September 19, 2024
More
    Home Blog Page 1098

    ગુજરાત માટે ગૌરવની ક્ષણ: શક્તિપીઠ અંબાજી મંદિરને મળ્યો શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ

    3 એપ્રિલ 2022ના દિવસે આ એવોર્ડ ગુજરાતના સૌથી મોટા અને પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીને આપવામાં આવ્યો છે. એશિયાનો સૌથી મોટો ટુરિઝમ એવોર્ડ 2022 માટે શક્તિપીઠ અંબાજી મંદિર પસંદગી પામ્યું છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા બનાસકાંઠાના કલેક્ટર (અંબાજી મંદિરના પ્રમુખ) આનંદ પટેલને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, જે યાત્રાધામ અંબાજી તેમજ સમગ્ર ગુજરાત અને તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

    ભારતમાં ગુજરાતનું આ પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના આબુ રોડ પાસે, ગુજરાત અને રાજસ્થાનની સરહદે, પ્રસિદ્ધ વૈદિક કુંવારી સરસ્વતી નદીની ઉત્તરે, આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે. અંબિકા વન, લગભગ 480 મીટર ઊંચું, દક્ષિણ-પશ્ચિમ, અરવલ્લીસની જૂની ટેકરીઓ તરફ, દરિયાની સપાટીથી લગભગ 1600 ફૂટ, 8.33 ચોરસ કિલોમીટર છે, જે આધ્યાત્મિક શક્તિનું મુખ્ય કેન્દ્ર છે.

    ભારતમાં 51 પ્રાચીન શક્તિપીઠો છે, તે 51 શક્તિપીઠોમાંથી અંબાજી એક છે. તે પાલનપુરથી આશરે 65 કિમી, માઉન્ટ આબુથી 45 કિમી અને આબુ રોડથી 20 કિમી અને અમદાવાદથી 185 કિમી દૂર, કડિયાદ્રાથી 50 કિમી દૂર ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીક સ્થિત છે.

    શ્રી વિસા યંત્રની પ્રતિકાત્મક છબી (ફોટો :ChakraYog)

    આરાસુરી અંબાજીના પવિત્ર મંદિરમાં દેવીની કોઈ છબી કે મૂર્તિ નથી. પવિત્ર “શ્રી વિસા યંત્ર” ને મુખ્ય દેવી તરીકે પૂજવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ તેની આંખ ખુલ્લી રાખીને યંત્ર જોઈ શકતું નથી. યંત્રની ફોટોગ્રાફી પણ પ્રતિબંધિત છે. અંબાજી માતાનું મૂળ સ્થાન ગબ્બર પર્વતમાળા પર આવેલું છે. ખાસ કરીને પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો મંદિરની મુલાકાત લે છે. ભાદરવી પૂર્ણિમા (ભાદ્રપૂર્ણિમાના દિવસે) પર મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દેશભરમાંથી લોકો પૂજા માટે આવે છે. આ સમય દરમિયાન સમગ્ર અંબાજી શહેરને દિવાળીમાં જે રીતે શણગારવામાં આવે છે, જેના કારણે સમગ્ર અંબાજી શહેર રોશનીથી ઝળહળી ઉઠે છે.

    મુસ્લિમ મહિલાએ તલાક-એ-હસન પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, કહ્યું- દરેક ધર્મો માટે સમાન નિયમ હોવા જોઈએ

    તલાક-એ-હસન અને અન્ય તમામ પ્રકારના એકપક્ષીય તલાકને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી ગાઝિયાબાદની રહેવાસી બેનઝીર હીનાએ દાખલ કરી છે. તેણે દાવો કર્યો છે કે તે તલાક-એ-હસનનો શિકાર બની છે. આ સાથે, તેમના દ્વારા કેન્દ્રને તમામ નાગરિકો માટે સમાન ધોરણે અને સમાન પ્રક્રિયા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. અરજદારે તમામ માટે છૂટાછેડાની સમાન પ્રક્રિયા માટે માર્ગદર્શિકા જારી કરવા માટે કોર્ટને નિર્દેશ આપવાની માંગ કરી છે.

    અરજદાર બેનઝીર હીનાનું કહેવું છે કે તલાક-એ-હસન બંધારણની વિરુદ્ધ છે અને મુસ્લિમ મેરેજ એક્ટ 1939 હેઠળ માત્ર પુરુષોને જ એકપક્ષીય છૂટાછેડા લેવાનો અધિકાર છે. બેનઝીરે માંગ કરી છે કે કેન્દ્ર સરકાર તમામ ધર્મો, મહિલાઓ અને પુરુષો માટે સમાન તલાકનો કાયદો બનાવે. તલાક-એ-હસનનો શિકાર હોવાનો દાવો કરતી બેનઝીર હીનાએ આરોપ લગાવ્યો કે તેના પતિએ તેને દહેજ માટે હેરાન કરી અને જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે એકપક્ષીય તલાકની જાહેરાત કરી હતી.

    એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં બેનઝીરે જણાવ્યું છે કે તેના લગ્ન 2020માં દિલ્હીના રહેવાસી યુસુફ નકી સાથે થયા હતા. તેમની પાસે 7 મહિનાનું બાળક પણ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઘરેલુ વિવાદ બાદ પતિએ તેને ઘરની બહાર કાઢી મુકી હતી. છેલ્લા 5 મહિનાથી તેની સાથે કોઈ સંપર્ક થયો નથી. હવે અચાનક એણે વકીલ મારફત ટપાલ દ્વારા પત્ર મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તે તલાક-એ-હસન હેઠળ પ્રથમ તલાક આપી રહ્યો છે.

    અરજદારે સુપ્રીમ કોર્ટ પાસે મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એક્ટ 1937ની કલમ 2ને ગેરબંધારણીય જાહેર કરવાની પણ માંગ કરી છે. એવો દાવો કરવામાં આવે છે કે આ કલમ ભારતના બંધારણની કલમ 14, 15, 21 અને 25નું ઉલ્લંઘન કરે છે.

    તલાક-એ-હસન એટ્લે શું ?

    આ પ્રકારના તલાકમાં પતિ દ્વારા પત્નીને એક મહિનાના અંતરાળમાં ત્રણ અલગ-અલગ પ્રસંગોએ તલાક કહીને અથવા લખીને તલાક આપી શકે છે. આમાં, મુદ્દતની સમાપ્તિ પહેલા તલાક પરત કરવાની તક છે. લગ્ન ત્રીજી વખત છૂટાછેડા ઉચ્ચારવામાં આવે ત્યાં સુધી અમલમાં રહે છે પરંતુ બોલ્યા પછી તરત જ સમાપ્ત થાય છે.

    આ છૂટાછેડા પછી, પતિ અને પત્ની ફરીથી લગ્ન કરી શકે છે. પણ એમાં પત્નીએ હલાલાની વિધિમાંથી પસાર થવાનું હોય છે.

    સુપ્રીમ કોર્ટે માત્ર તલાક-એ-બિદ્દત (ટ્રીપલ તલાક) પર પ્રતિબંધ મૂક્યો હતો

    22 ઓગસ્ટ 2017ના રોજ સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવીને લગ્ન રદ કરવાની જાહેરાત કરી હતી. કેટલાક મુસ્લિમ ઉલેમાઓ પણ માનતા હતા કે તલાક-એ-બિદ્દત નામની આ વ્યવસ્થા કુરાન અનુસાર નથી. કોર્ટના નિર્ણય બાદ સરકારે ટ્રિપલ તલાકને ગુનો જાહેર કરવા માટે કાયદો પણ બનાવ્યો છે. પરંતુ તલાક-એ-હસન અને તલાક-એ-અહેસાન જેવી કુપ્રથાઓ હજુ પણ અકબંધ છે.

    આ હેઠળ, પતિ 1 મહિનાના અંતરાલમાં લેખિત અથવા મૌખિક રીતે ત્રણ વાર તલાક કહીને લગ્નને રદ કરી શકે છે.

    કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા રાજ્ય કેરળમાં વેક્સિન ડોઝનો બગાડ, અઢળક વેક્સિન ડોઝ ફેંકી દેવા પડી રહ્યા છે : રિપોર્ટ

    કોરોના મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલાં રાજ્યોમાંના એક કેરળે ગયા વર્ષે કોરોના રસીના નહીંવત બગાડનો દાવો કર્યો હતો. પરંતુ એ જ કેરળમાં હાલ વીસ ટકા જેટલા વેક્સિન ડોઝનો બગાડ થઇ રહ્યો હોવાનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં સામે આવ્યું છે.

    રિપોર્ટ અનુસાર, કેરળમાં ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં કોઈ કોરોના રસી લેવા માટે જઈ રહ્યું નથી અને જેના કારણે વેક્સિન ડોઝ એક્સપાયર થતાં બગાડ થઇ રહ્યો છે. ઉપરાંત, સરકાર દ્વારા આપવામાં આવતા નિ:શુલ્ક ડોઝ પણ એક્સપાયર થવાના આરે હોવાનું જાણવા મળ્યું છે.

    કેરળ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશનના મહાસચિવ ડૉ. અનવર એમ અલીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, ‘ઘણાં પ્રયાસો પછી પણ ખાનગી હોસ્પિટલો લોકોને નિ:શુલ્ક રસીકરણ માટે આકર્ષિત કરી શકી નથી. જેથી કેટલોક વેક્સિન સ્ટોક એક્સપાયર થઇ ગયો હોવાના કારણે ડોઝ ફેંકી દેવા પડ્યા હતા. જેના કારણે હોસ્પિટલોને ભારે નુકસાન થયું છે અને અમે હવે કોરોના રસીની વધુ ખરીદી નહીં કરવાનો નિર્ણય લીધો છે.” તેમણે એમ પણ જણાવ્યું કે હવે રસીની બહુ માંગ રહી નથી.

    ક્વોલિફાઈડ પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટીશનર્સ એસોસિએશનના સેક્રેટરી ડૉ. અબ્દુલ વહાબે પણ કેરળમાં થઇ રહેલા કોરોના વેક્સિનના ડોઝના બગાડ અંગે સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, “અમે સુનિશ્ચિત કરવા માંગતા હતા કે કોરોના રસીના ડોઝનો કોઈ બગાડ નહીં થાય, પરંતુ હવે તે અશક્ય લાગે છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં રસી સરળતાથી ઉપલબ્ધ થઇ રહી છે તો લોકો શા માટે પૈસા ખર્ચે?” તેમણે અપીલ કરતાં કહ્યું હતું કે, “સરકારે અથવા રસીના ઉત્પાદકોએ આ બધા ડોઝ પરત ખેંચી લેવા જોઈએ, નહીં તો રસીનો બગાડ ચાલુ રહેશે.”

    રિપોર્ટ અનુસાર બીજી લહેરના પિક દરમિયાન રસીની માંગ વધી હતી ત્યારે ઘણી હોસ્પિટલોએ રસીનો જથ્થાબંધ સ્ટોક ખરીદી લીધો હતો. હોસ્પિટલોએ બેંક લોન લઈને ઉત્પાદકો પાસેથી એક કરોડની કિંમતે 20 લાખથી વધુ ડોઝ ખરીદ્યા હતા. જોકે, ઓણમ બાદ સરકારી હોસ્પિટલોમાં રસીનો પૂરતો સ્ટોક હોવાના કારણે લોકોએ ખાનગી હોસ્પિટલોમાં જવાનું ઓછું કરી દીધો હતો. જેના કારણે મોટાભાગની હોસ્પિટલોમાં દસથી વીસ ટકા જેટલા રસીના ડોઝ બગડી ગયા હતા.

    ખાનગી હોસ્પિટલોને એક્સપાયર થઇ ગયેલા કોવિશીલ્ડ વેક્સિનના ડોઝના કારણે ઘણું નુકસાન થયું છે. તાજેતરમાં જ આ રસીનું ઉત્પાદન કરતી કંપની સીરમ ઇન્સ્ટીટ્યુટે રસીની કિંમતમાં ઘટાડો જાહેર કર્યો હતો, જેના કારણે ખાનગી હોસ્પિટલોએ નુકસાન વેઠવું પડ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓને ચિંતા છે કે હાલ જે રીતે રસીનો વપરાશ ઘટી રહ્યો છે તેને જોતા જે સ્ટોક હાલ ઉપલબ્ધ છે તેમાંથી પણ મોટાભાગનો સ્ટોક એક્સ્પાયર થઇ જશે.

    અત્રે નોંધવું જરૂરી છે કે કોરોના મહામારી દરમિયાન કેરળ અને મહારાષ્ટ્ર– આ બંને રાજ્યોમાં સ્થિતિ વિકટ બની હતી. તેમજ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે આખા દેશમાં કોરોનાના જેટલા કેસ નોંધાયા હોય તેના અડધા કેસ માત્ર કેરળમાં જ નોંધાતા હતા.

    આ ઉપરાંત વેક્સિન ડોઝના બગાડની વાત કરવામાં આવે તો ગત વર્ષે કોરોનાની બીજી લહેરના પિક દરમિયાન જ્યારે વેક્સિનની માંગ વધી ગઈ હતી ત્યારે ઝારખંડ રાજ્યમાં સૌથી વધુ બગાડ થયો હતો. એક રિપોર્ટ અનુસાર, મે 2021માં ઝારખંડમાં 33.95 ટકા વેક્સિન ડોઝનો બગાડ નોંધાયો હતો. આ ઉપરાંત છત્તીસગઢમાં આ ટકાવારી 15.79 નોંધાઈ હતી. બાકીનાં રાજ્યો ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય-પ્રદેશમાં અનુક્રમે 3.63, 3.78 અને 7.35 જેટલો વેક્સિન ડોઝનો બગાડ થયો હતો.

    ગુજરાત બનશે ફાર્મા ક્ષેત્રમાં ભારતનું મેક ઈન ઈન્ડિયા હબ: 115 નવા ફાર્મા યુનિટને અપાઈ મંજૂરી, જલ્દી કાર્યરત થશે

    ભારતની આયાતની નિર્ભરતા ઘટાડવા ગુજરાતનો ફાર્મા ઉદ્યોગ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે બદલાઇ જશે. કોરોના મહામારીના લોકડાઉન પછી ગુજરાતમાં બલ્ક ડ્રગ બનાવવા અને એકટીવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડીયન્ટસ (API)ના ઉત્પાદન માટે ૧૧૫ નવા પ્લાન્ટને લાયસન્સ આપવામાં આવ્યા છે. જેના માટે રાજ્યમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.

    અત્યારે કામ કરી રહેલ કંપનીઓએ કાચા માલ માટે ચીનથી આયાત પર મોટો આધાર રાખવો પડે છે. ગુજરાતના ફુડ ડ્રગ્સ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન (FDCA)ના એન્ડ કમિશનર એચજી કોશીયાએ કહ્યું કે અત્યારે ગુજરાતમાં કુલ ૩૪૧૫ દવા ઉત્પાદક યુનિટોમાંથી ૧૫૬૭ બલ્ક ડ્રગ ઉત્પાદક છે. છેલ્લા બે વર્ષમાં અમારા વિભાગે ૨૮૮ નવા ફાર્મા ઉત્પાદક યુનિટોને મંજૂરી આપી છે. જેમાંથી ૪૦ ટકા API (કાચો માલ) ઉત્પાદન કરશે.

    તેમણે કહ્યું કે ગુજરાત અને ભારતનો ફાર્મા ઉદ્યોગ અત્યારે વીટામીન, એન્ટીબાયોટીકસ અને સ્ટેરોઇડના કાચા માલ માટે ચીન પર નિર્ભર છે. હવે આ નવા યુનિટો શરૂ થતા તેમાં મોટો ઘટાડો થશે એકવાર એપીઆઇ પાર્ક શરૂ થશે એટલે મોટી કંપનીઓ અહીં રોકાણ કરવા માટે આવશે

    ગુજરાત એફડીસીએ અનુસાર ૨૦૧૯-૨૦ સુધી અહીં દર વર્ષે સરેરાશ ૩૦ નવા API ઉત્પાદક યુનિટો આવતા હતા જે હવે લગભગ બમણા થઇ ગયા છે.

    ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રના સૂત્રોએ કહ્યું કે, કોરોના મહામારી પછી ચીનથી આવતા સપ્લાયમાં તકલીફના કારણે એપીઆઇના ભાવોમાં અચાનક વધારો થઇ ગયો છે. જો ગુજરાતમાં ભારતીય એપીઆઇનું ઉત્પાદન વધશે તો દવાઓના ભાવો પણ ઘટશે.

    સુત્રો અનુસાર સેફાલોસ્પોરીન્સ, સ્ટેરોઇડસ, ઇનઓર્ગેનીક સોલ્ટસ, પ્રોટોન પંપ ઇન્ડીબીટર્સ એનાલ્જેસીકસ, એન્ટીપાયરેટીકસ અને પેરાસીટામોલ, ડાયકલોફેનેક સોડીયમ, એસીલોફેનાક આઇબુપ્રોફેન, એન્ટી હાયપરટેન્સીવ્સ, એન્ટી-ડાયાબીટીસ અને એન્ટી-વાયરલ્સ જેવા એન્ટી ઇન્ફલેમેટરી ડ્રગ્સ મોટાભાગે આયાત કરવા પડે છે. નવા યુનિટો શરૂ થતાં આ ઉત્પાદનો ગુજરાતમાં ઉત્પાદન થવા લાગશે.

    આ પહેલા ગત વર્ષે ગુજરાતમાં મેનકાઇન્ડ ફાર્માને નવા પ્લાન્ટ માટે મંજૂરી અપાઈ હતી જેમાં કંપની 1100 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવાની છે. એ સિવાય USV પ્રાઈવેટ લિમિટેડ કંપની પણ ગુજરાતનાં ફાર્મા ક્ષેત્રમાં 360 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે નજીકના ભવિષ્યમાં. આ ઉપરાંત યુરોપીયન કંપની ઝેન્તિવાએ અંકલેશ્વરમાં એક ફાર્મા કંપની ટેક ઓવર કરીને 150 કરોડનું રોકાણ કરીને એનું નવીનીકરણ કર્યું હતું.

    હવે કેટલાક લોકો નહીં કરી શકે ટ્વીટરનો નિ:શુલ્ક ઉપયોગ, ચૂકવવો પડશે ચાર્જ : ઈલોન મસ્કનું એલાન

    અમેરિકન અબજોપતિ ઈલોન મસ્ક દ્વારા માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર ખરીદી લેવામાં આવ્યા બાદ સાઈટમાં થનાર ફેરફારોને લઈને સતત નવી-નવી જાણકારીઓ સામે આવી રહી છે. હવે બહાર આવેલી જાણકારી અનુસાર કેટલાક લોકો ટ્વીટરનો નિ:શુલ્ક ઉપયોગ કરી શકશે નહીં અને તે માટે તેમણે ટ્વીટર કંપનીને નિશ્ચિત કિંમત ચૂકવવી પડશે.

    ઈલોન મસ્કે ચોથી મેના દિવસે કરેલા એક ટ્વીટમાં ટ્વીટરના કમર્શિયલ ઉપયોગ અને સરકારી ગ્રાહકો માટે અમુક કિંમત નક્કી કરવા મામલે જાણકારી આપી હતી. જોકે, આ સિવાયના સામાન્ય ગ્રાહકો માટે ટ્વીટરની સેવા બિલકુલ મફત હશે. તેમણે લખ્યું, “સામાન્ય યુઝરો માટે ટ્વીટર વાપરવું નિ:શુલ્ક જ રહેશે. પરંતુ તેના કમર્શિયલ ઉપયોગ અને સરકારી કામો માટે ઉપયોગ કરનારાઓએ તેની કિંમત ચૂકવવી પડે તે શક્ય છે.”

    આ ટ્વીટ બાદ ઘણાં લોકો ઈલોન મસ્ક સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક લોકો ઈલનના આ નિર્ણયની ટીકા કરતા લોકોની પ્રતિક્રિયાની મજાક પણ ઉડાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈલોન મસ્ક વામપંથીઓ માટે નવા ટ્રમ્પ બનતા દેખાઈ રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે ટ્વીટર ખરીદી લીધા બાદ ટેસ્લા કંપનીના પ્રમુખ ઈલોન મસ્ક તેમાં ફેરફારો કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અગાઉ વિવિધ ટ્વીટસ દ્વારા તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ટ્વીટરની જૂની નીતિઓની વિરુદ્ધ છે. આ ઉપરાંત સાચી બાબતો બતાવવા પર મીડિયા સંસ્થાનોને બ્લોક કરવામાં આવતા હતા તે મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. જે બાદ સામે આવ્યું હતું કે જલ્દીથી જ તેઓ ટ્વીટરમાં એડિટ બટનનું ફીચર લાવવા માટે પણ કામ કરી રહ્યા છે. નોંધવું જોઈએ કે ટ્વીટર પર એડિટ બટન હંમેશા ચર્ચાનો વિષય રહે છે અને દુનિયાભરના યુઝરો આ ફીચરની માંગ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે.

    આ ઉપરાંત, એવા પણ સમાચારો મળ્યા હતા કે ઈલોન મસ્ક ટ્વીટરની મેનેજમેન્ટ ટીમથી ખુશ નથી અને જેથી તેઓ અધિકારીક રીતે માલિક બન્યા બાદ ટીમ પણ બદલી નાંખવામાં આવશે. આ ઉપરાંત ઈલોન મસ્ક કંપનીના સીઈઓ બદલવા માટે પણ વિચારી રહ્યા છે. તેમજ ટ્વીટરના લીગલ હેડ અને ટ્રમ્પનું અકાઉન્ટ બેન કરનાર વિજયા ગડ્ડેની પણ હકાલપટ્ટી કરવામાં આવે તેવી શક્યતા છે.

    અહેવાલો અનુસાર, ઈલોન મસ્ક અત્યારથી જ ટ્વીટરના નવા સીઈઓની શોધમાં લાગી ગયા છે. જેથી પરાગ અગ્રવાલના પદ પર હાલ સંકટ તોળાઈ રહ્યું છે. જો મસ્ક પરાગને 12 મહિના પહેલાં જ પદ પરથી હટાવી દેશે તો તેમણે પરાગ અગ્રવાલને 42 કરોડ ડોલર આપવા પડશે. જોકે, આ અંગે હજુ સુધી કંપનીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

    બીજી તરફ, વર્ષ 2011 થી ટ્વીટર સાથે જોડાયેલાં વિજયા ગડ્ડેને પણ કંપનીમાંથી હટાવવામાં આવી શકે છે. તેમના વિશે કહેવાય છે કે ટ્વીટર વેચાઈ ગયા બાદ તેમણે એક ટીમ મીટીંગ કરી હતી અને તેમાં તેઓ કંપનીના ભવિષ્યની ચિંતા કરતાં રડી પડ્યાં હતાં. તેમણે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર અકાઉન્ટ બેન કરવામાં પણ અગત્યની ભૂમિકા ભજવી છે.

    12 દિવસની જેલ બાદ રાણા દંપતીના જામીન મંજૂર, કોર્ટનો જામીન આદેશ આવતા જ BMCની ટીમે રાણા દંપતીના ઘરે દરોડા પાડ્યા

    મુંબઈની એક અદાલતે બુધવારે અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને શરતી જામીન મંજૂર કર્યા હતા, જેમની ‘હનુમાન ચાલીસા’ પાઠ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સમર્થકોનો આરોપ બદલાની રાજનીતિ મુજબ એમના ઘરે BMCની ટિમ પહોચી હતી.

    મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ માટે ચેલેન્જ કર્યા બાદ દંપતીને તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. એ નોંધનીય છે કે હનુમાન ચાલીસાના પાઠ કર્યા વગર જ રાણા દંપતીની ધરપકડ કરાઇ હતી.

    તેમના વકીલ રિઝવાન મર્ચન્ટના જણાવ્યા અનુસાર, બંનેને 50,000 રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવશે, તપાસ હેઠળના કેસના વિષયમાં મીડિયા સાથે વાત ન કરવા અને પુરાવા સાથે ચેડા કરવાથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

    ઠાકરેના બાંદ્રા પૂર્વમાં અંગત ઘર માતોશ્રીની બહાર ‘હનુમાન ચાલીસા’ બોલવાની તેમની યોજના બદલ રાણા જોડી પર 23 એપ્રિલે ખાર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં રાજદ્રોહ, જાહેર શાંતિનો ભંગ, ઉશ્કેરણીજનક નિવેદનો કરવા અને અન્ય કલમો સહિત અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા.

    સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રદિપ ઘરતે દલીલ કરી હતી કે હનુમાન ચાલીસાના જાપથી ધાર્મિક જુસ્સો ભડકી શકે છે, જેનો રાણાના વકીલોએ સખત વિરોધ કર્યો હતો.

    રાણા દંપતીને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો પોલીસ બોલાવે તો તેઓએ પોતાની જાતને રજૂ કરવી પડશે. કોર્ટે તપાસ અધિકારીને 24 કલાકની નોટિસ આપવા કહ્યું છે જ્યારે પણ તેઓ રાણા દંપતીને હાજર થવા કહે.

    અગાઉ નવનીત રાણાએ કહ્યું હતું કે પોલીસ તેની તબીબી સ્થિતિ પ્રત્યે ઉદાસીન છે. તેણીએ કહ્યું કે પોતે સ્પોન્ડિલોસિસથી પીડિત હતી પરંતુ કલાકો સુધી જમીન પર બેસીને સૂવાની ફરજ પાડી હતી.

    નોંધનીય છે કે જેવુ કોર્ટે રાણા દંપતીના જમીન મંજૂર કરતો આદેશ કર્યો એના પછી તરત જ BMCની એક ટિમ રાણા દંપતીના ઘરે પહોચી હતી. આની સોશિયલ મીડિયા પીઆર ખૂબ આલોચના થઈ હતી. લોકોએ મહારાષ્ટ્ર સરકાર પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો હતો.

    હકીકતમાં, સોમવારે BMCએ ખારમાં રાણાના ફ્લેટની બહાર એક નોટિસ ચોંટાડી હતી. આ નોટિસ મુજબ BMC રાણાના પ્લોટ પર ગેરકાયદે બાંધકામ થયું છે કે કેમ તેની તપાસ કરશે. તે જ સમયે, સાંસદ અને ધારાસભ્યના નજીકના સૂત્રોએ આ કાર્યવાહીને બદલાનું રાજકારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હનુમાન ચાલીસાના પાઠના વિષયમાં રહેવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકાર પીઆર બદલાનું રાજકારણ કરવાના આરોપ પહેલી વાર નથી લાગ્યા. આ પહેલા અર્ણબ ગોસ્વામી વાળો કેસ હોય કે કંગના રણૌત વાળો , એ દરેકમાં મહારાષ્ટ્ર સરકાર પર બદલાનું રાજકારણ કરવાના આરોપ લાગ્યા જ છે.

    સૈફ અલી ખાનની બહેને હિંદુ પતિ સાથે ઈદની શુભેચ્છાઓ પાઠવતા કટ્ટરપંથીઓ તૂટી પડ્યા, ગાળો અને અપશબ્દોથી ભરાયું કોમેન્ટ સેક્શન

    મુસ્લિમો આજે ઇદનો તહેવાર ઉજવી રહ્યા છે. જેના કારણે અનેક હસ્તીઓ અને રાજનેતાઓએ પણ મુસ્લિમ સમુદાયને તહેવારની શુભેચ્છાઓ આપી હતી. દરમ્યાન, સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન અને તેમના પતિ કુણાલ ખેમુએ આજે ઇન્સ્ટાગ્રામ પર ઈદ ઉલ ફિતરની શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાદ તેમને સતત કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ગાળો દેવામાં આવી રહી છે.

    સોહાએ પતિ કૃણાલ ખેમુ અને પુત્રી સાથે એક તસવીર શેર કરીને લખ્યું હતું, “આપને અને આપના પરિવારને શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ અને એક ખુશનુમા ઈદ-ઉલ-ફિતરની મુબારકબાદ.” જોકે, તેણે તસ્વીરમાં બુરખો કે હિજાબ ન પહેરતા કટ્ટરપંથી મુસ્લિમો તૂટી પડ્યા હતા અને ઈદ જેવા દિવસે પણ સોહા અને તેમના પરિવારને ગાળો અને અપશબ્દો કહ્યા હતા.

    મેહજોન 7000 નામના એક યુઝરે લખ્યું, “શું તેનો પતિ મુસ્લિમ છે?” કોઈ રહમાન ખાન નામના યુઝરે સોહા અલી ખાન વિશે અપશબ્દો વાપરતા લખ્યું, ‘રમઝાન ઈબાદતનો મહિનો હતો. ત્યારે ગાયબ થઇ ગઈ હતી મા*ર&દ, રોજો એક પણ નહીં અને ઈદ મનાવવા માટે આવી ગઈ હરામ&દી.”

    રહમાન નાસિક 12345 નામના યુઝરે લખ્યું, “ઇસ્લામ છોડી ચૂક્યા હોય તેવા લોકો પણ મુસ્લિમ હોવાનું બહાનું શા માટે બનાવી રહ્યા છે તે મને સમજાતું નથી. બિનમુસ્લિમ સાથે લગ્ન કરીને તે પહેલેથી જ મુસ્લિમ હોવાનો હક ગુમાવી ચૂકી છે અને અમને તેનાથી કોઈ સમસ્યા નથી. પરંતુ તોપણ ઇસ્લામ છોડી ચૂકેલા મુનાફિક લોકો આવાં નાટકો કેમ કરે છે?”

    કોઈ આબિદા ચંગેજી નામના યુઝરે લખ્યું, “ઈદ મુસ્લિમો દ્વારા મનાવવામાં આવે છે તો તું કેવી રીતે? મને ખબર છે ત્યાં સુધી હિંદુ લોકો દિવાળી ઉજવે છે.”

    ઉલ્લેખનીય છે કે સોહા અલી ખાન સૈફ અલી ખાનની સૌથી નાની બહેન છે. તેમનાં લગ્ન વર્ષ 2015માં બોલિવુડ અભિનેતા કુણાલ ખેમુ સાથે થયાં હતાં. જોકે, સોહાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એવી અનેક કોમેન્ટ કરવામાં આવી છે જેમાં તેને કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ગાળો આપવામાં આવી હોય.

    જોકે, સોહા અલી ખાન અને કુણાલ ખેમુને આ રીતે ગાળો અપાઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. માર્ચ મહિનામાં પણ સોહા અલી ખાનના પતિએ ઇન્સ્ટાગ્રામ પર આ જ પ્રકારની ઘટના અંગે પોસ્ટ કરી હતી. કુણાલે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં તેમની સાથે બનેલી ઘટના અંગે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ પરિવાર સાથે જઈ રહ્યા હતા ત્યારે એક કારના ડ્રાઈવરે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.

    નોંધનીય છે કે કુણાલ ખેમુ બોલિવુડ અભિનેતા છે અને 2005 માં ‘કલિયુગ’થી લીડ રોલમાં ડેબ્યૂ કરવા પહેલાં તેમણે બાળ અભિનેતા તરીકે લગભગ દસથી વધુ ફિલ્મો કરી હતી. જે બાદ તેમણે ઢોલ (2007), ગોલમાલ 3 (2010) અને મલંગ (2020) જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. જ્યારે સોહા અલી ખાન ‘શાદી નંબર 1 (2005)’. ‘રંગ દે બસંતી (2006)’ અને ‘વાર છોડ ન યાર (2013) માં દેખાઈ ચૂકી છે.

    એક તરફ પાર્ટીમાં વ્યસ્ત હતા રાહુલ ગાંધી, બીજી તરફ તેમના જ મતવિસ્તારની મુલાકાત લઇ રહ્યાં હતાં સ્મૃતિ ઈરાની

    કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે (03 મે 2022) રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર વાયનાડની મુલાકાત લીધી હતી અને વિકાસકાર્યો અને કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની મંગળવારે (03 મે 2022) રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર વાયનાડની મુલાકાત લેવા માટે ગયાં હતાં અને વિકાસકાર્યો અને વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે કલપેટ્ટા, મારાવયાલ, અંબાલાચલ અને કનિયાબેટ્ટા વગેરે જેવા આદિવાસી ક્ષેત્રોની મુલાકાત લઈને કેન્દ્ર સરકારની યોજનાઓના અમલ અંગે સમીક્ષા કરી હતી. બીજી તરફ, આ જ મતવિસ્તારના સાંસદ રાહુલ ગાંધી નેપાળમાં પાર્ટી કરતા જોવા મળ્યા હતા.

    સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરતાં કહ્યું કે, “વાયનાડ જીલ્લામાં કેન્દ્ર સરકારના કલ્યાણકારી કાર્યો અને યોજનાઓના અમલની સમીક્ષા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક કરી.” આ ઉપરાંત અન્ય ટ્વીટ કરીને તેમણે જણાવ્યું હતું કે, તેમણે જિલ્લા કલેક્ટરની હાજરીમાં ક્ષેત્રના આદિવાસી સમુદાય સબંધિત વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આદિવાસી વિસ્તારમાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે વરદૂર આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી અને કલપેટ્ટામાં પોન્નાડા આંગણવાડી કેન્દ્રમાં બાળકો સાથે સમય પણ વિતાવ્યો હતો.

    નોંધનીય બાબત છે કે કેરળનો વાયનાડ જિલ્લો આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવે છે. કેન્દ્ર સરકારે અહીંના આદિવાસી સમુદાયના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે અને મંત્રી આ વિકાસ કાર્યો અને પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે જ વાયનાડ ગયાં હતાં. જોકે, નોંધવા જેવી બાબત એ પણ છે કે એક તરફ રાહુલ ગાંધી ઘણા દિવસોથી રાજકીય રીતે સક્રિય નથી ત્યારે કેન્દ્રીય મંત્રીએ તેમના મતવિસ્તારની મુલાકાત કરી હતી.

    બીજી તરફ, વાયનાડના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે નેપાળના કાઠમાંડુમાં એક બારમાં પાર્ટી કરતા જોવા મળ્યા હતા. તેઓ સુમનિમા ઉદાસ નામની તેમની મિત્રનાં લગ્નમાં ભાગ લેવા માટે નેપાળ ગયા છે. સુમનિમા ઉદાસ CNN સંવાદદાતા છે અને ભારતવિરોધી વલણના કારણે અવારનવાર ચર્ચામાં પણ રહે છે.

    રાહુલ ગાંધીનો પાર્ટી કરતો વિડીયો ત્રણ મેના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. અહેવાલો અનુસાર, આ પહેલાં પણ જ્યાં દિલ્હીમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પાર્ટીના ભવિષ્ય અંગે વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી વિદેશ યાત્રાએ ગયા હતા.

    2019 માં રાહુલ ગાંધી સામે જંગી બહુમતીએ જીત્યાં હતાં સ્મૃતિ ઈરાની

    સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચેનો જંગ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીથી શરૂ થયો હતો. 2014 માં સ્મૃતિ ઈરાનીએ અમેઠી લોકસભા ક્ષેત્ર પરથી રાહુલ ગાંધી વિરુદ્ધ ઉમેદવારી કરી હતી. જોકે, તેઓ એક લાખ મતોથી હારી ગયાં હતાં. જોકે, ત્યારબાદ પણ સ્મૃતિ ઈરાનીએ સતત અમેઠી વિસ્તારની મુલાકાત ચાલુ રાખી હતી. જે બાદ વર્ષ 2019 માં તેમણે રાહુલ ગાંધીને 55 હજારથી વધુ મતોથી હરાવી દીધા હતા. 2019 લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીની જીત સૌથી વધુ ચર્ચાઈ હતી.

    અગાઉથી પરિણામ ભાળી ગયેલી કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને કેરળના વાયનાડથી પણ ઉમેદવારી કરાવી હતી, જ્યાં તેઓ જીતી ગયા હતા. પરંતુ જે રીતે સ્મૃતિ ઈરાનીએ વાયનાડમાં પણ મુલાકાતો શરૂ કરી દીધી છે તેને જોતાં લાગે છે કે રાહુલ સરળતાથી છુટકારો મેળવી શકશે નહીં!

    કાઠમંડુ નાઈટક્લબની પાર્ટીમાંથી સમય કાઢી રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી માટે હાર્દિક પટેલને મનાવવાના પ્રયત્ન કર્યા

    મળતી જાણકારી મુજબ નેપાલમાં પોતાની રજાઓ ગાળી રહેલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી સંગઠનમાં મતભેદો ઉકેલવા માટે ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નારાજ હાર્દિક પટેલને સંદેશ મોકલવ્યો છે.

    કોંગ્રેસ પાર્ટીના સૂત્રોનો દાવો છે કે રાહુલ ગાંધીએ પોતે હાર્દિક પટેલને પાર્ટીમાં ચાલુ રાખવા માટેનો સંદેશો મોકલ્યો છે. તેમણે પક્ષના પ્રભારી અને અન્ય નેતાઓને મતભેદોને ઉકેલવા પટેલ સુધી પહોંચવા પણ કહ્યું છે.

    કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ પણ પુષ્ટિ કરી છે કે પાર્ટી નેતૃત્વએ હાર્દિક પટેલ સાથે વાત કરી છે. “તે વાતચીતની વિગતો ફક્ત રાજ્ય પ્રભારી રઘુ શર્મા જ શેર કરી શકે છે,” સુરજેવાલાએ કહ્યું હતું.

    હાર્દિક પટેલની નારાજગી

    રાજ્યના નેતૃત્વ દ્વારા તેમને આપવામાં આવતી પ્રાધાન્યતાના અભાવથી ગુસ્સે થયેલા, હાર્દિકે સોમવારે તેના ટ્વિટર બાયોમાંથી “કોંગ્રેસ” અને તેના પ્રોફાઇલ ચિત્રમાંથી પાર્ટીના પ્રતીકની તસવીર હટાવી દીધી હતી.

    કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે જો હાર્દિક પાર્ટી છોડશે તો તે કોંગ્રેસ માટે નુકસાન થશે.

    પટેલ ભાજપમાં જોડાવા અંગે અટકળો વહેતી થઈ હતી જેને કોંગ્રેસના નેતાએ વારંવાર ફગાવી દેતા જણાવ્યું હતું કે તેમની પાસે આવી કોઈ યોજના નથી, જ્યારે એમ પણ ઉમેર્યું હતું કે તેઓ રાજ્યના પક્ષના નેતૃત્વથી નારાજ છે.

    તેમણે તાજેતરમાં જ કલમ 370 હટાવવા અને રામ મંદિરના નિર્માણ માટે ભાજપ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટતા જારી કરી છે કે તેઓ પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીથી નારાજ નથી પરંતુ તેઓ રાજ્યના નેતૃત્વથી નારાજ છે.

    “હું રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીથી નારાજ નથી. હું રાજ્યના નેતૃત્વથી નારાજ છું. હું શા માટે નારાજ છું? ચૂંટણીઓ આવી રહી છે અને આવા સમયમાં પ્રમાણિક અને મજબૂત લોકો સાથે મળીને કામ કરવું જોઈએ. તેમને હોદ્દા આપવા જોઈએ, ” તેણે ઉમેર્યુ.

    અહેવાલો અનુસાર, જુલાઇ 2015માં પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કરીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર પટેલ છેલ્લા ઘણા સમયથી પાર્ટીના નેતૃત્વ સાથે તાલમેળ મેળવી શકતા નથી.

    “તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા માંગતા હતા પરંતુ તેમને માત્ર કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હોવા છતાં રાજ્ય નેતૃત્વ દ્વારા મોટા નિર્ણયો પર તેમનો અભિપ્રાય લેવામાં આવતો નથી,” સૂત્રોએ જણાવ્યું હતું.

    ભાજપમાં જોડાવાના તેમના ઇનકાર પછી, અટકળો છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

    હાર્દિક પટેલને અપાતાં મહત્વથી જૂના કોંગ્રેસ નેતાઓ નારાજ

    નોંધનીય છે કે પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલ અને માત્ર 3 વર્ષ પહેલા કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલને કોંગ્રેસનાં શીર્ષ નેતૃત્વ દ્વારા આટલું મહત્વ અપાતાં ઘણા જૂના અને મોટા કોંગ્રેસ નેતાઓ નારાજ થયા છે.

    તહસીન પૂનાવાલાએ નેતૃત્વ પર આરોપ લગાવતા કહ્યું, “હાર્દિક પટેલ વળી ઘટના સાથે ફરી એકવાર એક વાત સાબિત થાય છે જે મેં હંમેશા કહ્યું છે – તમારા INC બાળકોને, IYC, NSUI બાળકોને નેતા બનાવો! તેમને ટિકિટ આપો– બહારના લોકોએ હંમેશા રાહુલ ગાંધીને નિરાશ કર્યા છે! પીછો કરવાનું અને તેમને મહત્વ આપવાનું બંધ કરો!!”

    આ સાથે ગુજરાતનાં પણ ઘણા મોટા કોંગ્રેસ નેતાઓ હાર્દિક પટેલને મળી રહેલ અકારણ મહત્વથી નારાજ છે.

    લાઉડ સ્પીકર પર સંગ્રામ ચાલુ: રાજ ઠાકરેનું પહેલીવાર હિન્દીમાં આહ્વાન, ઉત્તરપ્રદેશમાં યોગીની કાર્યવાહી અને દેશમાં પડઘા

    મંગળવારે સાંજે, MNS વડા રાજ ઠાકરેએ લાઉડ સ્પીકર વિવાદ અંતર્ગત ત્રણ પાનાનું નિવેદન પોસ્ટ કર્યું હતું, જેમાં હિન્દુઓને અઝાન વગાડતા મસ્જિદોની બહાર લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાની સલાહ આપવામાં આવી હતી. તેમના નિવેદનમાં, ઠાકરેએ સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને જાહેર કર્યું કે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ ગેરકાયદેસર છે અને જો લાઉડ સ્પીકર્સનો રોજેરોજ ઉપયોગ કરવો હોય તો પરવાનગી લેવી પડશે.

    એમએનએસના વડાએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને પણ પૂછ્યું કે શું તેઓ તેમના પિતા સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેની વાત માનશે, કે જેમણે એકવાર કહ્યું હતું કે ‘બધા લાઉડ સ્પીકર્સને મૌન કરવાની જરૂર છે’ અથવા તેઓ મસ્જિદો પર લાઉડસ્પીકર ચાલુ રાખશે NCP ‘બિન-ધાર્મિક’ વડા શરદ પવારની વાત માનીને?

    અત્રે એ નોંધનીય છે કે રાજ ઠાકરેએ આ આહ્વાન મરાઠી અને અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ કર્યું હતું. આ પહેલા રાજ ઠાકરે હમેશા માત્ર બે જ ભાષાનો ઉપયોગ કરતાં મરાઠી અને અંગ્રેજી. પરંતુ આ વખતે હિન્દીનો ઉપયોગ કરીને એમણે સાબિત કર્યું છે કે તેઓ ના માત્ર મરાઠીઓ પરંતુ દેશભરના હિન્દુઓને આહ્વાન કરી રહ્યા છે.

    મહારાષ્ટ્ર સરકારે MNSના વડા રાજ ઠાકરે સામે તેમના અનુયાયીઓને 4ઠ્ઠી મેથી મસ્જિદોની બહાર લાઉડ સ્પીકર લગાવવાનું કહેવા બદલ કેસ દાખલ કર્યાના કલાકો બાદ આ નિવેદન આવ્યું હતું. તેમની સામેના કેસની અવગણનામાં, ઠાકરેએ એક નિવેદન બહાર પાડ્યું જેમાં તેમણે તેમના અનુયાયીઓને મસ્જિદોની બહાર અઝાન વગાડતા લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવા વિનંતી કરી.

    સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને ઠાકરેએ કહ્યું, “રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાતો નથી. દરેક ધર્મ પોતાના લાઉડસ્પીકરનો 365 દિવસ સુધી ઉપયોગ કરી શકે છે. જો તમારે દરરોજ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની જરૂર હોય તો રોજેરોજ પરવાનગી લેવી પડશે.”

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે SCએ નિર્ધારિત સમય કરતાં વધુ લાઉડ સ્પીકર માટે ડેસિબલનું સ્તર નક્કી કર્યું છે. “લાઉડસ્પીકર્સ વપરાશ ડેસિબલ સ્તર મર્યાદા 10 ડેસિબલ અને 45 થી 55-ડેસિબલ સ્તર વચ્ચે હોવી જોઈએ. મહેરબાની કરીને નોંધ કરો કે 10-ડેસિબલનું સ્તર આપણી વચ્ચેના અવાજો સાથે સંબંધિત છે. 55-ડેસિબલ સ્તર અમારા કિચન મિક્સરના અવાજની સમકક્ષ છે.” રાજે મસ્જિદોમાં લાઉડ સ્પીકરના ગેરકાનૂની ઉપયોગના મુદ્દાને સમજાવતી વખતે નિવેદનમાં જણાવ્યું હતું.

    વાસ્તવમાં, રાજે એમ પણ ઉમેર્યું હતું કે આ મુદ્દો ફક્ત ‘અનધિકૃત વક્તાઓ’ વિશે જ નથી પરંતુ ‘અનધિકૃત મસ્જિદો’ વિશે પણ છે. “તે કેવી રીતે શક્ય છે કે સરકારે અનધિકૃત મસ્જિદોને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની અધિકૃત પરવાનગી આપી હોય?. અને જો પરવાનગીઓ આપવામાં આવી રહી હોય તો હિન્દુ મંદિરોને પણ લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપવાની જરૂર છે,” રાજે કહ્યું.

    તદુપરાંત, ઠાકરેએ મુસ્લિમો દ્વારા નમાજ કરવા માટે અવરોધિત જાહેર જગ્યાઓ અને રસ્તાઓના જોખમ વિશે પણ વાત કરી હતી. “કયો ધર્મ પ્રચાર કરે છે, ભેગા થવું અને પ્રાર્થના કરવા માટે રસ્તાની વચ્ચે બેસીને ભારે ટ્રાફિક જામ કરે છે? મુસ્લિમ સમુદાય માટે મારા નિવેદનોનું આ મુખ્ય કારણ છે કે આ એક સામાજિક સમસ્યા છે જે લોકોને અસર કરે છે (અને) કૃપા કરીને તેને ધ્યાનમાં લો.”

    હિંદુઓને ભાવુક અપીલ કરતાં રાજે કહ્યું, “હું તમામ હિંદુઓને અપીલ કરું છું કે આવતીકાલે, 4 મેના રોજ જો તમે લાઉડસ્પીકરોને અઝાન સાથે રણકતા સાંભળો; તે જ સ્થળોએ, લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડો! ત્યારે તેમને ખ્યાલ આવશે કે આ લાઉડસ્પીકર્સથી શું તકલીફ થાય છે.”

    ઠાકરેએ પોલીસને પણ અપીલ કરી, તેમને કાયદાનો અમલ કરવા કહ્યું. “હું પોલીસ દળને અપીલ કરું છું કે તે બતાવે કે આ દેશ કાયદો અને વ્યવસ્થા દ્વારા સંચાલિત છે. તેઓએ કાયદાનું પાલન કરવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. રસ્તાઓની વચ્ચે જે અનધિકૃત, મસ્જિદો અને લાઉડસ્પીકર અને નમાજનું આયોજન કરવામાં આવે છે, તેને કાયદા દ્વારા યોગ્ય રીતે સંબોધિત કરવાની જરૂર છે.”

    તેમણે હિંદુઓને વધુમાં વિનંતી કરી કે જો તેઓ મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અઝાન વગાડતા સાંભળે છે, તો તેઓએ 100 નંબર ડાયલ કરવો જોઈએ અને પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ, પછી ભલે તે દરરોજ કરવું પડે.

    ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને બાળાસાહેબ ઠાકરેના તમામ લાઉડસ્પીકર નીચે લાવવાના વચનની પણ યાદ અપાવી. “હું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને અપીલ કરું છું કે વર્ષો પહેલાં, શિવસેનાના વડા હિન્દુ હ્રદય સમ્રાટ શ્રી બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતું કે તમામ લાઉડસ્પીકરોને શાંત કરવાની જરૂર છે. શું તમે આને અનુસરવા જઈ રહ્યા છો, અથવા તમે બિન-ધાર્મિક શરદ પવારને અનુસરશો જે તમને સત્તામાં રાખવા માટે જવાબદાર છે? મહારાષ્ટ્રના લોકોને જણાવવા દો કે શું થવાનું છે? તેણે કીધુ.

    રાજ ઠાકરેએ પોતાનો લાઉડ સ્પીકર વિવાદ પરનો પત્ર એક નવા સૂત્ર સાથે સમાપ્ત કર્યો અને કહ્યું, “જો અત્યારે નહીં, તો તે ક્યારેય નહીં થાય.”

    નોંધનીય છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ પોતાના પ્રદેશમાં લાઉડ સ્પીકર વિરુદ્ધ અભિયાન શરૂ કરીને જે કાર્યવાહી કરી હતી રાજ ઠાકરેએ એની પ્રશંસા કરી હતી.

    ઠાકરેએ લાઉડસ્પીકર વિવાદ પર યોગીની પ્રશંસા કરતાં કહ્યું, “ધાર્મિક સ્થળો, ખાસ કરીને મસ્જિદો પરથી લાઉડ સ્પીકર દૂર કરવા બદલ હું યોગી સરકારને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તેમનો આભારી છું. કમનસીબે મહારાષ્ટ્રમાં આપણી પાસે કોઈ ‘યોગી’ નથી; આપણી પાસે જે છે તે માત્ર ‘ભોગી’ છે. આપણે આશા રાખીએ અને પ્રાર્થના કરીએ કે એમને સદબુદ્ધિ મળે.”

    ઉત્તરપ્રદેશમાં યોગીની લાઉડસ્પીકર વિરુદ્ધ કાર્યવાહી

    24 એપ્રિલે યોગી સરકારે રાજ્યમાં ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે લાઉડ સ્પીકર હટાવવાનો આદેશ જાહેર કર્યો હતો. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે, “આ અંગે જિલ્લાઓ પાસેથી અહેવાલો માંગવામાં આવ્યા છે. પોલીસને ધાર્મિક નેતાઓ સાથે વાત કરવા અને અનધિકૃત લાઉડ સ્પીકરોને દૂર કરવાની ખાતરી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.”

    લાઉડ સ્પીકર વિવાદ અંતર્ગત અભિયાન ચાલુ રાખીને ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રવિવાર સુધીમાં રાજ્યભરના વિવિધ ધાર્મિક સ્થળો પરથી 53,942 લાઉડસ્પીકર હટાવી દીધા હતા. ઉત્તર પ્રદેશના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં, રવિવારના રોજ સવારે 7 વાગ્યા સુધી, રાજ્યભરના વિવિધ ધાર્મિક સ્થળો પરથી 53,942 લાઉડ સ્પીકર દૂર કરવામાં આવ્યા છે, જ્યારે 60,295 લાઉડ સ્પીકર્સનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે.”

    ગુજરાતમાં લાઉડ સ્પીકર વિવાદને મળી ગરમી

    ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિસ દેશના કેટલાક રાજ્યોમાં લાઉડ સ્પીકર મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે અને હવે એના પડઘા ગુજરાતમાં પણ સંભળાયા. સુરતમાં યોજાયેલ એક કાર્યક્રમમાં અયોધ્યાના રામ મંદિર શિલાન્યાસ સમિતિના સભ્ય મહંત રામ વિલાસ વેદાંતીએ લાઉડ સ્પીકરને લઈને મોટું નિવેદન આપ્યું હતું.

    મહંતએ કહ્યું કે લાઉડ સ્પીકર વિષે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવુ કામ થવું જોઈએ. “જે રીતે ઉત્તરપ્રદેશમાં કામગીરી થઈ રહી છે તેને હું આવકારું છું અને સીએમ યોગીને અભિનંદન આપું છુ.”, મહંતએ જોડ્યુ.

    મહંતએ આગળ કહ્યું કે, કોઈ પણ ધાર્મિક સ્થળ હોય ત્યાં લાઉડ સ્પીકરનો અવાજ સીમિત હોવો જોઈએ, જેથી કોઈ પણ વ્યક્તિને હેરાનગતિ ના થાય.