વિપક્ષ સ્પીકરને પત્ર સોંપે, અમે આજે ત્રણ વાગ્યાથી આવતીકાલે ત્રણ વાગ્યા સુધી ચર્ચા માટે તૈયાર: અમિત શાહ

વિપક્ષના આરોપો, હોબાળા અને તેના કારણે સંસદનાં બંને ગૃહોના કામકાજમાં આવતી અડચણો વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે સરકાર તમામ મુદ્દે વાતચીત માટે તૈયાર છે પરંતુ વિપક્ષે ચર્ચા માટે આવવું પડશે, માત્ર હોબાળો મચાવવાનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે સરકાર આજે ત્રણ વાગ્યાથી ચર્ચા માટે તૈયાર છે અને પોતે તમામ પ્રશ્નોના જવાબ આપશે.

સંસદ ભવનની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહ પ્રધાને કહ્યું, “2 વાગ્યા સુધીમાં વિપક્ષ સ્પીકરને પત્ર સોંપે, ત્રણ વાગ્યાથી ચર્ચા ચાલુ કરીશું અને હું આવતીકાલે ત્રણ વાગ્યા સુધી તમામ પ્રશ્નોના જવાબો આપવા માટે તૈયાર છું.”

તેમણે કહ્યું, “સંસદના નિયમો હોય છે. કોઈ મને કહે કે તમે કોઈ સ્ટેટમેન્ટ આપી દો… આટલા ગંભીર મુદ્દે આવી રીતે ચર્ચા ન થઈ શકે. તેમની (વિપક્ષ) પદ્ધતિ હશે પણ સંસદીય પદ્ધતિ આ નથી. તેમાં વિગતવાર ચર્ચા કરવી પડે છે. આજે ત્રણ વાગ્યાથી મોડી રાત સુધી, જ્યાં સુધી તેઓ બેસે અને આવતીકાલે પણ 3 વાગ્યા સુધી… અમે ચર્ચા માટે તૈયાર છીએ. સ્પીકર અનુમતિ આપે તો અમે પ્રશ્નકાળ પણ રદ કરવા તૈયાર છીએ.”

તેમણે ઉમેર્યું કે વિપક્ષે ચર્ચા માટે આવવું જોઈએ જેથી દેશની જનતા સામે બધી બાબતો સ્પષ્ટ થઈ જાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હવે વિપક્ષે નક્કી કરવાનું રહેશે કે તેમણે ચર્ચા કરવી છે કે હોબાળો જ મચાવવો છે.

વિપક્ષના આરોપો પર જવાબ આપતાં તેમણે કહ્યું કે, “સંસદનું સત્ર શરૂ થયું ત્યારથી સતત હું સંસદ આવું છું, મારી ચેમ્બરમાં હોઉં છું. સંસદ ભવનમાં વિપક્ષ બંને ગૃહ ચાલવા જ નથી દેતો તો કોઈ જઈને શું કરશે? જ્યાં સુધી ચર્ચાનો સવાલ છે, સરકાર તરફથી સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ બહુ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના પ્રદર્શન પર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે અને તેના માટે સમય નિશ્ચિત કરવામાં આવે.”

તેમણે કહ્યું, “વિપક્ષ પહેલાં એ માંગ કરી રહ્યો હતો અને અમે સહમતિ પણ દર્શાવી દીધી. મેં પણ કહી દીધું છે કે હું કોઈ પણ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છું, પણ તેઓ ચર્ચા જ થવા નથી દેતા. હવે જનતા નક્કી કરે કે કોણ ભાગી રહ્યું છે.”