UPAકાળ દરમ્યાન ‘હિંદુ આતંકવાદ’ની થિયરી ઘડવાનું ષડ્યંત્ર ઉજાગર કરનાર ગૃહ વિભાગના પૂર્વ અધિકારી આર. વી. એસ મણિને પદ્મશ્રી એનાયત

ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી આર. વી. એસ. મણિને દેશના પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2006થી 2010 દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગમાં અન્ડર સેક્રેટરી તરીકે ફરજ બજાવતા આર. વી. એસ મણિએ નિવૃત્તિ બાદ ‘ધ મિથ ઑફ હિંદુ ટેરર’ પુસ્તક લખીને UPA શાસનકાળ દરમ્યાન હિંદુઓને આતંકવાદી સાબિત કરવા માટે ‘ભગવા આતંકવાદ’ની થિયરી કઈ રીતે ઘડવામાં આવી હતી તે તમામ હકીકતો ઉજાગર કરી હતી.

જાન્યુઆરી 2026માં પદ્મ પુરસ્કારોની ઘોષણા થઈ ત્યારે ‘પદ્મશ્રી’ની યાદીમાં આર. વી. એસ મણિનું પણ નામ હતું. તાજેતરમાં આ પુરસ્કારો એનાયત કરવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો. મણિએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર સ્વીકાર્યો હતો. સોશિયલ મીડિયા પર તેમની, તેમનાં કામોની ચર્ચા થઈ રહી છે.

જાન્યુઆરીમાં પદ્મ પુરસ્કારની ઘોષણા બાદ મણિએ કહ્યું હતું, “આ મારા માટે બહુ ભાવુક ક્ષણો છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું.”

તેઓ આગળ કહે છે, “પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમિત શાહ ગૃહમંત્રી હતા ત્યારે તેમની ધરપકડ કરવાનો કારસો ઘડાઈ ચૂક્યો હતો. મેં જો હસ્તાક્ષર કરી દીધા હોત તો આજે દેશની સ્થિતિ જુદી હોત. છેલ્લાં 10-11 વર્ષમાં પીએમ મોદી દેશને બહુ આગળ લઈ ગયા છે. દેશનો વિકાસ થાય તેના માટે વડા પ્રધાન પુરુષાર્થ કરી રહ્યા છે અને આપણને એનો ભારોભાર ગર્વ છે. આપણા ગૃહમંત્રી તેજસ્વી નેતા છે. એક આખું ષડ્યંત્ર હતું, પણ એ રોકવામાં હું સફળ રહ્યો એને હું ઈશ્વરના આશીર્વાદ માનું છું.”

તત્કાલીન UPA સરકારો વિશે તેમણે કહ્યું કે, “તે સમયની UPA સરકારે આપણી એજન્સીઓનાં ઇનપુટ અવગણવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. પણ મેં એ સ્ટેન્ડ ક્યારેય ન સ્વીકાર્યું. હું માનું છું કે આપણી એજન્સીઓ શ્રેષ્ઠ છે. તેમને અવગણવી એટલે અપમાન કરવું. હું ત્યારે પણ તેમની સાથે હતો અને આજે પણ છું.”

આર. વી. એસ મણિએ પોતાના પુસ્તકમાં ‘હિંદુ આતંકવાદ’ થિયરી ઘડવાના ષડ્યંત્રને કઈ રીતે ઉજાગર કર્યું હતું તે વિગતવાર અહીંથી વાંચી શકાશે.