હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિશિષ્ટ સાંસ્કૃતિક પરંપરાનો વિસ્તાર, ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર અને હજારો મંદિરોનું નિર્માણ:...

શિષ્ટ સાંસ્કૃતિક પરંપરાનો વિસ્તાર, ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર અને હજારો મંદિરોનું નિર્માણ: કોણ હતા ‘જૈન અશોક’ સમ્રાટ સંપ્રતિ

સમ્રાટ સંપ્રતિનું જીવન માત્ર અતીતની એક વાર્તા નથી, પરંતુ તે એવા વિચારનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં સત્તા અને ધર્મનો સંબંધ માત્ર વિસ્તાર સુધી મર્યાદિત નથી, પરંતુ નૈતિકતા અને સમાજ નિર્માણ સાથે જોડાયેલો છે.

- Advertisement -

ભારતની સાંસ્કૃતિક ચેતના માત્ર વર્તમાનની ઘટનાઓથી નથી રચાતી, પરંતુ તે હજારો વર્ષોના ઇતિહાસ, પરંપરાઓ અને તે વ્યક્તિત્વોની વિરાસત પર આધારિત છે જેણે આ ભૂમિને વિચાર, આસ્થા અને નીતિથી આકાર આપ્યો. 31 માર્ચ 2026ના રોજ ગાંધીનગરના કોબામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘સમ્રાટ સંપ્રતિ જૈન મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન આ ઐતિહાસિક અવિરતતાની એક મહત્વની ક્ષણ છે. આ માત્ર એક સંગ્રહાલયનું ઉદ્ઘાટન નથી, પરંતુ તે ઐતિહાસિક વિરાસતને ફરીથી કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ છે, જેને સમયની સાથે મર્યાદિત કરી દેવામાં આવી હતી.

આ અવસરે સ્વાભાવિક રીતે જ ધ્યાન તે વ્યક્તિત્વ પર કેન્દ્રિત થાય છે જેના નામ પર આ સંગ્રહાલય સ્થાપિત કરવામાં આવ્યું છે. સમ્રાટ સંપ્રતિ. એક એવા શાસક, જે ભારતીય ઇતિહાસમાં કદાચ હાંસિયા પર રાખવામાં આવ્યા છે, પરંતુ જૈન પરંપરામાં અત્યંત ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. વડા પ્રધાન મોદીએ પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સમ્રાટ સંપ્રતિએ જે મહાન કાર્યો કર્યા હતા, તેવા આજે તો કોઈનાથી થઈ શકે એમ નથી, પણ ઓછામાં ઓછું તેમનું યોગદાન દુનિયા જાણી શકે એટલું કરવું પણ જરૂરી છે.

પીએમ મોદી દ્વારા આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન એક બહુસ્તરીય સંકેત આપે છે. એક તરફ તે જૈન સમુદાયની ઐતિહાસિક ભૂમિકા અને યોગદાનને સન્માન આપવાનો પ્રયાસ છે તો બીજી તરફ તે ભારતની પ્રાચીન ધાર્મિક-દાર્શનિક પરંપરાઓને ફરીથી રાષ્ટ્રીય વિમર્શમાં સ્થાપિત કરવાનો પ્રયાસ પણ છે.

આ સંગ્રહાલયનું નિર્માણ કોબા વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જે સ્વયં જૈન પરંપરાનું એક મહત્વનું કેન્દ્ર રહ્યું છે. અહીં સ્થાપિત સંગ્રહાલયમાં જૈન પરંપરાના ઇતિહાસ, તીર્થંકરો, આચાર્યો અને ખાસ કરીને સમ્રાટ સંપ્રતિના જીવન તથા કાર્યોને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

- Advertisement -

કોણ હતા સમ્રાટ સંપ્રતિ?

પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય વંશ એવા સામ્રાજ્ય તરીકે જાણીતો છે જેણે ન માત્ર રાજકીય એકતા જ સ્થાપિત કરી, પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક પરિવર્તનોને પણ ગતિ આપી. ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક જેવા સમ્રાટોની છાયામાં વિકસેલા આ વંશના એક અન્ય મહત્વના શાસક હતા સમ્રાટ સંપ્રતિ, જેમને જૈન પરંપરામાં ‘જૈન અશોક’ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ અશોકના પૌત્ર હતા અને મૌર્ય સામ્રાજ્યના પાંચમા સમ્રાટ તરીકે આશરે 224 ઈ.સ. પૂર્વથી 215 ઈ.સ. પૂર્વ સુધી શાસન કર્યું હતું.

સંપ્રતિનો જન્મ કુણાલના ઘરે થયો હતો, જે અશોકના પુત્ર હતા. કુણાલની આંખો અંધ થવાને કારણે સિંહાસનની દોડમાં તેઓ પાછળ રહી ગયા, પરંતુ તેમના પુત્ર સંપ્રતિમાં યોદ્ધા અને પ્રશાસક બંનેના ગુણો હતા.  જૈન ગ્રંથો અનુસાર અશોકે જ સંપ્રતિને ભાવિ ઉત્તરાધિકારી તરીકે જોયા હતા. તેઓ મુખ્યત્વે અવંતિમાંથી (ઉજ્જૈન) શાસન સંભાળતા હતા અને સામ્રાજ્યના પશ્ચિમી તથા દક્ષિણી ભાગો પર મજબૂત નિયંત્રણ રાખતા હતા. 

તેમના શાસનકાળમાં મૌર્ય સામ્રાજ્યનું વિઘટન શરૂ થઈ ચૂક્યું હતું, તેમ છતાં તેમણે વીરતા અને કુશળતાથી વિસ્તારોને સંભાળ્યા હતા. કેટલીક પરંપરાઓમાં તેમના શાસનને 53 વર્ષ સુધી લાંબું ગણવામાં આવ્યું છે, જ્યારે ઐતિહાસિક અનુમાન નવ વર્ષની આસપાસ છે. 

મૌર્ય સામ્રાજ્ય, જેણે ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક જેવા મહાન શાસકોને જન્મ આપ્યો, ઉત્તરકાળમાં રાજકીય રીતે નબળું પડી ગયું હતું. આ જ સમયગાળામાં સંપ્રતિનો ઉદય થાય છે. ઐતિહાસિક સ્ત્રોત મર્યાદિત છે, પરંતુ જૈન સાહિત્ય, ખાસ કરીને ‘પરિશિષ્ટ પર્વ’ (હેમચંદ્ર) અને અન્ય જૈન ગ્રંથો સંપ્રતિના જીવન અને કાર્યોનું વિસ્તૃત વર્ણન કરે છે. આ સ્ત્રોતો અનુસાર સંપ્રતિએ ઉજ્જૈનને પોતાની રાજધાની બનાવી અને પશ્ચિમ તથા દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો પર પ્રભાવી શાસન કર્યું.

જન્મ, પ્રારંભિક જીવન અને સંઘર્ષ

સંપ્રતિના જીવન સાથે જોડાયેલી કથાઓ પણ રોચક છે, તે માત્ર રાજકીય નથી, પરંતુ આધ્યાત્મિક અને પ્રેરણાદાયી પણ છે. જૈન પરંપરા અનુસાર તેમના પિતા કુણાલની આંખો એક ષડ્યંત્ર હેઠળ ફોડી નાખવામાં આવી હતી. આ કારણે સંપ્રતિનું બાળપણ કઠિન પરિસ્થિતિઓમાં વીત્યું હતું. કથાઓમાં એ પણ ઉલ્લેખ મળે છે કે સંપ્રતિએ પ્રારંભિક જીવનમાં જ સમસ્યાઓનો સામનો કર્યો, જેણે તેમના વ્યક્તિત્વને ઘડ્યું. આ જ તત્વ છે જે પછી તેમને એવા શાસક તરીકે રજૂ કરે છે જે માત્ર સત્તા પ્રત્યે જ નહીં, પરંતુ ધર્મ અને નીતિ પ્રત્યે પણ સમર્પિત હતા.

જોકે આ કથાઓનું પૂર્ણ ઐતિહાસિક સત્યાપન મર્યાદિત છે, તેમ છતાં તેઓ જૈન પરંપરામાં વ્યાપક રીતે સ્વીકૃત છે અને સંપ્રતિના ચારિત્ર્ય નિર્માણને સમજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સંપ્રતિના જીવનનો સૌથી નિર્ણાયક વળાંક તેમનો જૈન પરંપરા તરફનો ઝુકાવ માનવામાં આવે છે. જૈન ગ્રંથો અનુસાર તેઓ આચાર્ય સુહસ્તિના (અથવા સુહસ્તિન) સંપર્કમાં આવ્યા અને તેમના પ્રભાવથી તેમણે જૈન પરંપરા અપનાવી હતી. તેમ છતાં તેમણે ક્યારેય વૈદિક ધર્મમાં વિભાજન કર્યું ન હતું. તેઓ સ્પષ્ટપણે સ્વીકારતા હતા કે તમામ પરંપરાઓ વૈદિક ધર્મનો એક ભાગ છે અને ઈશ્વર સુધી લઈ જાય છે.

આ પરિવર્તન માત્ર વ્યક્તિગત આસ્થા સુધી મર્યાદિત ન રહીને રાજકારણનો ભાગ પણ બની ગયું. જે રીતે અશોકે બૌદ્ધ પરંપરાને રાજ્યમાં આશ્રય આપ્યો, તે જ રીતે સંપ્રતિએ જૈન પરંપરાને આશ્રય આપીને સંરક્ષિત કરી અને તેનો વિસ્તાર પણ કર્યો.

કેમ કહે છે ‘જૈન પરંપરાના અશોક’?

સંપ્રતિને જૈન સાહિત્યમાં ‘જૈન પરંપરાના અશોક’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપાધિ માત્ર સન્માનસૂચક નથી, પરંતુ તેમના કાર્યોનો સંકેત પણ છે. જૈન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે તેમણે હજારો જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું અને જૈન સાધુઓને વિવિધ વિસ્તારોમાં મોકલીને ધર્મનો પ્રચાર કરાવ્યો.

એવું પણ કહેવાય છે કે તેમણે એવા વિસ્તારોમાં પણ જૈન મતનો પ્રચાર કરાવ્યો જ્યાં મૌર્ય શાસનનું સીધું નિયંત્રણ નહોતું. જૈન પુસ્તકોમાં અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધીનો ઉલ્લેખ મળે છે, જોકે આધુનિક ઇતિહાસકારો પણ ઘણી વખત આ બાબતે પુષ્ટિ આપે છે. ઇતિહાસકારોનું માનવું છે કે આ વર્ણનોમાં કેટલીક અતિશયોક્તિ હોય શકે છે, પરંતુ એ વાત સ્વીકાર્ય છે કે સંપ્રતિ જૈન પરંપરાના એક મહાન સંરક્ષક હતા.

ઇતિહાસ અને કથાઓ

જૈન પરંપરામાં સંપ્રતિના જીવન સાથે જોડાયેલી અનેક કથાઓ પ્રચલિત છે, જે તેમના વ્યક્તિત્વને માત્ર એક શાસક તરીકે નહીં, પરંતુ ધર્મનિષ્ઠ અને કરુણાશીલ રાજા તરીકે રજૂ કરે છે. એક મુખ્ય કથા અનુસાર સંપ્રતિએ પોતાના રાજ્યમાં એવા વિસ્તારોમાં પણ જૈન મંદિરો બનાવ્યાં હતાં જ્યાં જૈન સાધુઓ માટે જવું સુરક્ષિત નહોતું. કહેવાય છે કે તેમણે સૈનિકોને જૈન ભિક્ષુના વેશમાં મોકલ્યા હતા જેથી તેઓ ત્યાં ધર્મનો પ્રચાર કરી શકે અને મંદિરોની સ્થાપના કરી શકે.

આ કથા ઐતિહાસિક દૃષ્ટિએ પ્રમાણિત હોય કે ન હોય, પરંતુ તે એ માનસિકતાને દર્શાવે છે જેમાં સંપ્રતિને એવા શાસક તરીકે જોવામાં આવ્યા છે જે માત્ર શાસન સુધી મર્યાદિત નહોતા, પરંતુ ધર્મના વિસ્તારને પોતાનું કર્તવ્ય માનતા હતા. હેમચંદ્રાચાર્ય કૃત ‘પરિશિષ્ટ પર્વ’ અને અન્ય જૈન ગ્રંથોમાં આવી અનેક કથાઓ મળે છે, જેમાં સંપ્રતિની ધર્મનિષ્ઠા, દાનશીલતા અને વ્યૂહાત્મક બુદ્ધિમત્તાનું વર્ણન કરવામાં આવ્યું છે.

મંદિરોના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન

સમ્રાટ સંપ્રતિની સૌથી મોટી ઉપલબ્ધિ જૈન પરંપરાના પ્રચાર-પ્રસારમાં જોવા મળે છે. ઠીક એ જ રીતે જે રીતે અશોકે બૌદ્ધ પંથને વિશ્વ સ્તરે ફેલાવ્યો, તેમ સંપ્રતિએ જૈન મતને ભારતના ખૂણે-ખૂણે પહોંચાડ્યો. જૈન સ્ત્રોતો અનુસાર તેમણે 1,50,000 જૈન મંદિરો (દેરાસર અથવા જિનાલય) બનાવડાવ્યાં, 36,000 જૂના મંદિરોનું જીર્ણોદ્ધાર કરાવ્યું અને 1.25 કરોડથી વધુ જૈન પ્રતિમાઓ સ્થાપિત કરાવી. કેટલીક કથાઓમાં આ સંખ્યા વધુ પણ બતાવવામાં આવી છે.

તેઓ રોજ એક નવા જિનાલયની સ્થાપના કરવાની પ્રતિજ્ઞા લેતા હતા અને ત્યાં સુધી નાસ્તો (નૌકાશી) પણ ન કરતા જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય. તેમણે દક્ષિણ ભારતમાં વિંધ્ય પર્વત સુધી અને પશ્ચિમમાં અરબી સમુદ્ર સુધીના વિસ્તારોમાં જૈન કેન્દ્રો સ્થાપિત કર્યા. જૈન ભિક્ષુઓને વિદેશી ભૂમિઓ જેમ કે ઈરાન, અરબ અને અન્ય ‘બર્બર’ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા હતા જેથી ધર્મનો પ્રસાર થાય. મેવાડ વિસ્તારમાં એકલા 1,500થી વધુ મંદિરો તેમના નામ સાથે જોડાયેલા માનવામાં આવે છે, જેમાં આયાડ, નાગડા અને ડેલવાડા જેવા સ્થળો સામેલ છે.

આ નિર્માણો સાથે તેમણે સોનું, ચાંદી, પથ્થર અને અન્ય ધાતુઓની મૂર્તિઓ પણ બનાવડાવી. જૈન ગ્રંથોમાં તેમનું વર્ણન એક શ્રેષ્ઠ શ્રાવક તરીકે મળે છે જે ધર્મ માટે દરેક શક્ય પ્રયાસ કરતા હતા. અનેક જૈન તીર્થસ્થળો પર આજે પણ એ માન્યતા પ્રચલિત છે કે તેમનું મૂળ નિર્માણ અથવા પુનઃનિર્માણ સંપ્રતિના કાળમાં થયું હતું. એ પણ ઉલ્લેખ મળે છે કે તેમણે માત્ર મંદિરો જ નહીં, પરંતુ ધર્મશાળાઓ, જળ વ્યવસ્થાઓ અને યાત્રીઓ માટેની સુવિધાઓ પણ વિકસાવી હતી, જે જૈન દર્શનના ‘જીવ દયા’ અને સેવાભાવને પ્રતિબિંબિત કરે છે.

જૈન સમુદાયમાં સંપ્રતિનું સ્થાન અત્યંત વિશેષ છે. તેમને માત્ર એક ઐતિહાસિક શાસક તરીકે જ નહીં, પરંતુ ધર્મરક્ષક (Protector of Dharma) તરીકે જોવામાં આવે છે. જૈન સાહિત્યમાં તેમને દાન, અહિંસા અને ધર્મ પ્રચારના આદર્શ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. અનેક સ્થળોએ તેમના જીવનને પ્રેરણાસ્ત્રોત તરીકે વર્ણવવામાં આવે છે, ખાસ કરીને રાજસત્તા અને ધર્મ વચ્ચેના સંતુલનના સંદર્ભમાં. એ પણ ઉલ્લેખનીય છે કે જૈન પરંપરામાં તીર્થંકરો પછી જો કોઈ શાસકનું નામ આટલા સન્માનથી લેવામાં આવે છે તો તે સંપ્રતિ છે. 

પ્રશાસન, નીતિ અને ધાર્મિક સહિષ્ણુતા

સંપ્રતિના શાસનની એક વિશેષતા એ પણ જણાવવામાં આવે છે કે તેમણે ધાર્મિક સહિષ્ણુતાને પ્રોત્સાહન આપ્યું હતું. જૈન પરંપરાના અનુયાયી હોવા છતાં તેમણે અન્ય પરંપરાઓ પ્રત્યે વિરોધ દર્શાવ્યો નહોતો. તેમની નીતિઓમાં અહિંસા, નૈતિકતા અને સામાજિક સંતુલનને મહત્વ આપવામાં આવ્યું હતું. આ જ તત્વો છે જે જૈન દર્શનના મૂળ સિદ્ધાંતો- અહિંસા, અપરિગ્રહ અને સત્ય સાથે મેળ ખાય છે.

જોકે તેમના પ્રશાસનિક માળખા વિશે વિસ્તૃત ઐતિહાસિક અભિલેખો ઉપલબ્ધ નથી, તેમ છતાં જૈન સાહિત્ય તેમને એક ન્યાયપ્રિય અને ધર્મનિષ્ઠ શાસક તરીકે રજૂ કરે છે. સંપ્રતિના જીવનને સમજવામાં સૌથી મોટો પડકાર એ છે કે તેમના વિશેની માહિતી મુખ્યત્વે જૈન ગ્રંથોમાંથી જ મળે છે. આધુનિક ઇતિહાસકારો આ સ્ત્રોતોને મહત્વપૂર્ણ તો માને છે, પરંતુ તેઓ એ પણ સ્વીકારે છે કે તેમાં ધાર્મિક દૃષ્ટિકોણનો પ્રભાવ હોય શકે છે.

આજે જ્યારે ભારત પોતાના સાંસ્કૃતિક મૂળોને ફરીથી શોધવા અને સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે સંપ્રતિ જેવા વ્યક્તિત્વોનું પુનઃસ્મરણ અત્યંત મહત્વનું બની જાય છે. ગુજરાતમાં સ્થાપિત આ સંગ્રહાલય માત્ર એક સ્મારક નથી, પરંતુ એક વૈચારિક હસ્તક્ષેપ પણ છે, જે એ સંકેત આપે છે કે ભારતનો ઇતિહાસ માત્ર કેટલાક પસંદગીના નામો સુધી મર્યાદિત નથી. આ પ્રયાસ તે ઐતિહાસિક વ્યક્તિત્વોને સામે લાવવાનો છે જેણે ભારતીય સભ્યતાને ઊંડી અસર કરી, પરંતુ જેમને મુખ્યધારા ઇતિહાસ લેખનમાં પર્યાપ્ત સ્થાન મળ્યું નથી.

સમ્રાટ સંપ્રતિનું જીવન માત્ર અતીતની એક વાર્તા નથી, પરંતુ તે એવા વિચારનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં સત્તા અને ધર્મનો સંબંધ માત્ર વિસ્તાર સુધી મર્યાદિત નથી, પરંતુ નૈતિકતા અને સમાજ નિર્માણ સાથે જોડાયેલો છે. વડા પ્રધાન મોદી દ્વારા તેમના નામ પર સંગ્રહાલયનું ઉદ્ઘાટન એ વાતનો સંકેત છે કે આધુનિક ભારત પોતાના અતીતના તે અધ્યાયોને ફરીથી વાંચવા માંગે છે જેને લાંબા સમય સુધી અવગણવામાં આવ્યા હતા. આ માત્ર એક ઐતિહાસિક પુનઃસ્મરણ નથી, પરંતુ એક સાંસ્કૃતિક પુનર્જાગરણનો ભાગ પણ છે, જ્યાં ઇતિહાસ, આસ્થા અને રાજકારણ એકસાથે મળીને રાષ્ટ્રનું નિર્માણ કરે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં