પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધની આડમાં થયેલી હિંસામાં સામેલ એક મુસ્લિમ શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. તે જાફરાબાદમાં માર્યા ગયેલા હિંદુ પિતા અને તેના પુત્રની હત્યામાં સામેલ હતો. ઘટના બાદથી જ તે ફરાર હતો. તાજેતરમાં તેની ધરપકડ કરી લેવામાં આવી. બંગાળ પોલીસના અધિકારીઓએ કાર્યવાહીની પુષ્ટિ કરી છે.
આરોપીની ઓળખ ઝિયાઉલ શેખ તરીકે થઈ છે. તે જાફરાબાદની નજીકના એક ગામનો રહેવાસી છે. 12 એપ્રિલના રોજ વિરોધ પ્રદર્શનના નામે થયેલી હિંસામાં પિતા-પુત્રની હત્યા બાદથી જ તે ફરાર હતો. તાજેતરમાં બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે તેની ધરપકડ કરી. તે ઉત્તર દિનાજપુર જિલ્લાના એક ગામમાં સંતાયો હતો, ત્યાંથી ટાસ્ક ફોર્સ અને SITની ટીમે પકડી પાડ્યો હતો.
પોલીસ અધિકારીએ એજન્સીઓને જણાવ્યું કે, 12 એપ્રિલના રોજ હરગોબિંદ દાસ અને તેમના પુત્ર ચંદન દાસના ઘરે ટોળાંએ તોડફોડ કર્યા બાદ બંનેની હત્યા કરી નાખવામાં આવી હતી, જે કાવતરું ઘડવામાં આ આરોપીની ભૂમિકા મુખ્ય હતી. તેમણે ઉમેર્યું કે, ઘટના સમયે આરોપી સ્થળ પર હતો તે વાતની પુષ્ટિ આપતા અનેક પુરાવાઓ, CCTV ફૂટેજ અને મોબાઇલ ફોન ટાવર લૉકેશન વગેરે પોલીસ પાસે ઉપલબ્ધ છે.
આ પહેલાં પોલીસે આ કેસમાં ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી. જેની સાથે ધરપકડનો આંકડો 4 પર પહોંચ્યો છે. જ્યારે મુર્શિદાબાદ હિંસાના કેસમાં કુલ 100 FIR દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ 276 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલના રોજ શુક્રવારની જુમ્માની નમાજ બાદ બંગાળના મુર્શિદાબાદના સમસેરગંજમાં હિંસા ફાટી નીકળી હતી. વક્ફ એક્ટના વિરોધમાં એકઠાં થયેલાં મુસ્લિમોનાં ટોળાંએ ઉત્પાત મચાવવાનો શરૂ કર્યો અને પોલીસ પર પણ હુમલા કરવાના શરૂ કરી દીધા હતા. આ સિવાય સ્થાનિક હિંદુઓને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા.
અગાઉ અહેવાલોમાં સામે આવી ચૂક્યું છે કે કઈ રીતે હિંદુઓનાં ઘરો પર કાળી સ્યાહીથી અગાઉથી જ નિશાન કરી દેવામાં આવ્યાં હતાં, જેથી હિંસા સમયે તેમને નિશાન બનાવી શકાય. આ ઉપરાંત, હિંદુઓની દુકાનોમાં તોડફોડ, ઘરો પર હુમલા વગેરે ઘટનાઓ પણ બની. આવા જ એક હુમલામાં હિંદુ પિતા-પુત્રની હત્યા કરી નાખવામાં આવી. આ જ કેસમાં ઝિયાઉલ શેખ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે.