બંગાળમાં મુર્શિદાબાદ હિંસા (Murshidabad Violence) દરમિયાન ચાની ચૂસકી લેનારા સાંસદ યુસુફ પઠાણને (Yusuf Pathan) ઑપરેશન સિંદૂરની (Operation Sindoor) પ્રશંસા કરવામાં કોઈ રસ નથી. આ મિશનને વૈશ્વિક પ્લેટફોર્મ પર લઈ જનારા ડેલિગેશનમાં (Delegation) તેમનું નામ સામેલ હતું, પરંતુ હવે સમાચાર છે કે, સાંસદ તે પ્રતિનિધિમંડળનો ભાગ રહેશે નહીં. વધુમાં મમતા બેનર્જીએ (Mamata Banerjee) એ પણ સ્પષ્ટ કર્યું છે કે, યુસુફ પઠાણ કે તેમના પક્ષનો કોઈપણ નેતા આ પ્રતિનિધિમંડળનો ભાગ રહેશે નહીં. દેશહિત માટે દેશનું પ્રતિનિધિત્વ કરવાના શુભ કાર્યમાં TMCએ ન જોડાવાની જાહેરાત ખૂબ ‘ગર્વભેર’ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC) તેમના નેતૃત્વની સલાહ લીધા વિના સાંસદની પસંદગી કરવાના કેન્દ્ર સરકારના પગલાં સાથે સહમત નથી. આ સંદર્ભમાં વાત કરતા પાર્ટીના મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીએ કોલકાતામાં એક નિવેદન બહાર પાડ્યું છે.
તેમણે કહ્યું છે કે, “કેન્દ્ર સરકાર તૃણમૂલના પ્રતિનિધિ વિશે કેવી રીતે નિર્ણય લઈ શકે? તેમણે વિપક્ષ સાથે ચર્ચા કરીને નક્કી કરવું જોઈતું હતું કે કયો પક્ષ કયો પ્રતિનિધિ મોકલશે. તૃણમૂલ કયા પ્રતિનિધિને મોકલવા માંગે છે તે ભાજપ કેવી રીતે નક્કી કરી શકે?” સાંસદે વધુમાં કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ પ્રતિનિધિમંડળનો બહિષ્કાર કરી રહી નથી અને તે એકમાત્ર પાર્ટી છે જેણે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાનું રાજકારણ કર્યું નથી. જોકે, વાસ્તવિકતા શું છે એ આજે વળગીને આંખે આવી રહી છે.
ડેલિગેશનમાં નહીં સામેલ થાય યુસુફ પઠાણ
આ ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણનું નામ ઑપરેશન સિંદૂરને વિશ્વ મંચ પર લાવનાર પ્રતિનિધિમંડળમાં હતું. પરંતુ TMCએ તેમને પ્રવાસ પર જવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. નોંધનીય છે કે, યુસુફ પઠાણને JD(U) સાંસદ સંજય ઝાએ પ્રતિનિધિમંડળમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.
હા.. આ એ જ સાંસદ છે, જેઓ મુર્શિદાબાદ હિંસાના સમયે ચાની ચૂસકી લેવા માટેનો સમય કાઢી શક્યા હતા. પરંતુ ઑપરેશન સિંદૂર પર એક પોસ્ટ કે વાક્ય લખવા વખતે અચાનક ‘બીઝી’ થઈ ગયા હતા અને હવે તો ઑપરેશન સિંદૂરને વિશ્વફલક સુધી પહોંચાડવાના ભગીરથ કાર્યમાં પણ તેઓ સહભાગી નહીં થઈ શકે… બીઝી હશેને.
બીજી તરફ, TMC સાંસદ સુદીપ બંધોપાધ્યાય પણ હવે પ્રતિનિધિમંડળનો ભાગ રહેશે નહીં. તેમણે સ્વાસ્થ્યના કારણોસર પ્રતિનિધિમંડળમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે TMCએ એ પણ સાબિત કરી દીધું છે કે, દેશહિતના કાર્યમાં તેમની શું માનસિકતા રહેશે. ઑપરેશન સિંદૂર દરમિયાન રાજકારણ ન કરવાનો દાવો કરતી પાર્ટી હવે દેશના મહત્વપૂર્ણ કાર્યમાંથી પીછેહટ કરી ગઈ છે.
નોંધવા જેવું છે કે, 22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલામાં 26 હિંદુ પ્રવાસીની હત્યા કરવામાં આવી હતી. તેના જવાબમાં 6 અને 7 મે 2025ના રોજ ભારતે ઑપરેશન સિંદૂર હેઠળ હવાઈ હુમલો કરીને પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાંનો નાશ કર્યો હતો. હવે ભારતે ઑપરેશન સિંદૂરને વૈશ્વિક પ્લેટફોર્મ પર લઈ જવા માટે 59 સભ્યોના 7 પ્રતિનિધિમંડળની રચના કરી છે. તેમાં સામેલ પ્રતિનિધિઓ 33 દેશોમાં ઑપરેશન સિંદૂર વિશે દુનિયાને માહિતી આપશે અને પાકિસ્તાનને બેનકાબ કરશે.