ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સરકારે ભારત-નેપાળ સરહદ (India-Nepal Border) પર ગેરકાયદેસર બાંધવામાં આવેલા બાંધકામો સામે કાર્યવાહી કરી છે. અહીં કબજો કરીને બનાવવામાં આવેલા 80થી વધુ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. નેપાળ સરહદે આવેલી મદરેસા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. યોગી સરકારે એક ડઝનથી વધુ મદરેસાઓને સીલ કરી દીધી છે.
અહેવાલો અનુસાર, આ કાર્યવાહી 25 એપ્રિલ, 2025થી 27 એપ્રિલ, 2025 દરમિયાન કરવામાં આવી છે. આમાં નેપાળ સાથે સરહદ ધરાવતા બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર અને લખીમપુર ખેરી જિલ્લાઓમાં કાર્યવાહી કરવામાં આવી છે. ઘણી જગ્યાએ ગેરકાયદેસર બનાવવામાં આવેલી મસ્જિદોની પણ ઓળખ કરવામાં આવી છે.
યોગી સરકારે શ્રાવસ્તી જિલ્લામાં બિનઅધિકૃત રીતે ચાલતી 17 મદરેસાઓને સીલ કરી દીધી છે. આ મદરેસાઓ નેપાળ સાથે જોડાયેલા જમુનહા અને ભિનગા તહેસીલમાં ચાલતી હતી. આ મદરેસાઓ ચલાવનારા મુસ્લિમો પાસે પૂછવા પર કોઈ માન્ય પરવાનગી ન હતી, જેના પછી પ્રશાસને આના પર તાળું મારી દીધું.
બહરાઈચ જિલ્લામાં નેપાળ સરહદના 10 કિલોમીટરના વિસ્તારમાં બનાવવામાં આવેલા 89 ગેરકાયદેસર અતિક્રમણો હટાવવામાં આવ્યા છે. આમાંથી 63 અગાઉ હટાવવામાં આવ્યા હતા, જ્યારે 26ને પાછળથી તોડી પાડવામાં આવ્યા. બહરાઈચમાં આવા અન્ય બાંધકામોની ઓળખ કરવામાં આવી રહી છે, જેના પર આગળ કાર્યવાહી થઈ શકે છે.
અન્ય અતિક્રમણ હટાવવાની કાર્યવાહી ચાલુ
આ ઉપરાંત, નેપાળ સાથે સરહદ ધરાવતા સિદ્ધાર્થનગર જિલ્લામાં પણ પ્રશાસને 5 સ્થળોએ મસ્જિદ-મદરેસાના ગેરકાયદેસર અતિક્રમણો મળ્યા છે. તેમની ઓળખ કરી લેવામાં આવી છે. મહારાજગંજ જિલ્લામાં 19 ગેરકાયદેસર કબજા શોધાયા છે, જેને ખાલી કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાની સરહદ પણ નેપાળ સાથે જોડાયેલી છે. અહીં 67 ગેરકાયદેસર કબજાઓને હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે. પ્રશાસનના ડરથી ઘણા લોકો પોતાના કબજા જાતે હટાવી રહ્યા છે. લખીમપુર ખેરી જિલ્લામાં પણ ગેરકાયદેસર નમાઝ સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી છે.
લખીમપુર ખેરીના પાલિયા તહેસીલમાં એક સ્થળે ગેરકાયદેસર રીતે નમાઝ અદા કરવામાં આવી રહી હતી, જ્યાં મસ્જિદ બનાવવાની તૈયારી હતી. પ્રશાસને તેને ખાલી કરાવી દીધું છે. લખીમપુર ખેરીમાં અન્ય આવી જગ્યાઓની ઓળખ કરવામાં આવી રહી છે, જ્યાં ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે.
ઑપઇન્ડિયાએ આપ્યો હતો વિગતવાર અહેવાલ
નોંધનીય છે કે ઑપઇન્ડિયાએ ઉત્તર પ્રદેશની નેપાળ સાથે જોડાયેલી સરહદ પર ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો અને જણાવ્યું હતું કે અહીં ઈસ્લામ કેવી રીતે પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે અને ડેમોગ્રાફી પણ ઝડપથી બદલાઈ રહી છે. આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે માત્ર બલરામપુર જિલ્લામાં જ નેપાળ સરહદ પર 108 મદરેસાઓ અને 150 મસ્જિદો બની ગઈ હતી.
એ પણ સામે આવ્યું હતું કે નેપાળ સરહદના વિસ્તારોમાં બહારથી પણ પૈસા આવ્યા છે. ઘણી જગ્યાએ મંદિરોની જમીન પર કબજાની વાત પણ સામે આવી હતી. ત્યારબાદ યૂપી સરકારે સરહદી વિસ્તારોમાં કાર્યવાહી પણ કરી હતી. આ કાર્યવાહી તેની જ એક કડી છે.