Friday, April 3, 2026
More
    હોમપેજરાજકારણપૂર્વ કમ્યુનિસ્ટ, જેમણે RSSની વિચારધારા અપનાવવા પર ચૂકવવી પડી હતી કિંમત, વામપંથીઓએ...

    પૂર્વ કમ્યુનિસ્ટ, જેમણે RSSની વિચારધારા અપનાવવા પર ચૂકવવી પડી હતી કિંમત, વામપંથીઓએ કાપી નાખ્યા હતા પગ: કોણ છે સદાનંદન માસ્ટર, જેમને રાજ્યસભામાં કરાયા નોમિનેટ

    તેમને શારીરિક બળથી જમીન પર ઢાળી દેવાયા. ત્યારબાદ તે લોકોએ માસ્ટરને માર મારવાનો શરૂ કરી દીધો. આ તમામ લોકો CMI(M)ના ગુંડા હતા અને પોતાને વામપંથી વિચારધારાના પ્રચારક માનતા હતા. તેમણે ન માત્ર માસ્ટરને માર માર્યો, પરંતુ હથિયારોથી તેમમાં બંને પગ પણ કાપી નાખ્યા.

    - Advertisement -

    કેરળના (Kerala) ભાજપ નેતા (BJP Leader) સી. સદાનંદન માસ્ટરનું (Sadanandan Master) નામ ભારતના રાજકીય અને સામાજિક પટલ પર એક નિર્ભીક, સમર્પિત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યું છે. 13 જુલાઈ 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા તેમનું રાજ્યસભામાં નામાંકન એ માત્ર તેમના વ્યક્તિગત સંઘર્ષનું જ નહીં, પરંતુ એક એવા વ્યક્તિની શૌર્યગાથાનું પણ સન્માન છે, જેમણે વૈચારિક પરિવર્તન, રાજકીય હિંસા અને શારીરિક અશક્તતા છતાં પોતાના રાષ્ટ્રવાદી આદર્શોને અડગ રાખ્યા. 

    વડાપ્રધાન મોદીએ પણ X પર પોસ્ટ કરીને સદાનંદન માસ્ટરને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું છે કે, સી. સદાનંદન માસ્ટરનું જીવન સાહસ અને અન્યાય સામે આત્મસમર્પણના ઇનકારનું પ્રતિક છે. હિંસા અને ધમકીઓના પ્રયાસો પણ તેમના રાષ્ટ્રનિર્માણના સંકલ્પને ડગાવી ન શક્યા. તેમણે વધુમાં કહ્યું કે, એક શિક્ષક અને સમાજસેવી તરીકેનું તેમનું યોગદાન પણ સરાહનીય છે. વધુમાં વડાપ્રધાને તેમને સાંસદ તરીકેની તેમની નવી ભૂમિકાને લઈને શુભકામનાઓ પણ આપી છે.

    વામપંથી વિચારધારાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સુધીની તેમની યાત્રા, વામપંથી હિંસાનો ભોગ બનવું, ચૂંટણીઓમાં ભાગીદારી અને સમાજસેવામાં યોગદાન એ તેમના પ્રેરણાદાયી જીવનનો એક ભાગ છે. વામપંથીઓના ગઢ ગણાતા વિસ્તારમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના આદર્શ સાથે જીવવું અને તેમ છતાં વિચારધારાને સમર્પિત રહેવું, તેનું ઉત્તમ ઉદાહરણ સદાનંદન માસ્ટર છે. રાજ્યસભામાં તેમને નોમિનેટ કરવા તે વાસત્વમાં તેમના સંઘર્ષનું સન્માન છે. આ લેખમાં આપણે સદાનંદન માસ્ટરના જીવન વિશે ચર્ચા કરીશું. 

    - Advertisement -

    પ્રારંભિક જીવન

    સદાનંદન માસ્ટરનો જન્મ કેરળના કન્નુર જિલ્લામાં થયો, જે વામપંથી રાજકારણ અને હિંસા માટે જાણીતું છે. નાનપણથી જ તેઓ બુદ્ધિશાળી અને સમાજ પ્રત્યે સંવેદનશીલ હતા. તેમણે શિક્ષણના ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો અને કેરળના મટ્ટનૂર નગરપાલિકાના પરિંચેરી વિસ્તારમાં સ્થિત કુઝિક્કલ લોઅર પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. શિક્ષક તરીકે તેમણે ગરીબ અને વંચિત વર્ગોના બાળકોના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેના કારણે તેઓ સામાજિક કાર્યો તરફ વળ્યા. આ સમયે તેમનું વલણ સામાજિક ન્યાય અને સમાનતા તરફ હતું. તે સમયે તેમને એવું લાગતું હતું કે, આ બધી બાબતો વામપંથી વિચારધારાનો ભાગ છે. 

    તે સિવાય તેમનો આખો પરિવાર પણ કમ્યુનિસ્ટ વિચારધારામાં રચેલો હતો. તેમના પિતા CPI(M)ના સક્રિય સભ્ય હતા અને મોટો ભાઈ વિદ્યાર્થી સંગઠન કહેવાતા SFIમાં જોડાયેલો હતો. સદાનંદન પોતે પણ 1984 સુધી SFIના સક્રિય સભ્ય રહ્યા હતા. જોકે, સ્વતંત્ર બુદ્ધિમત્તાથી તેઓ બાળપણથી RSSના રાષ્ટ્રવાદના વિચારો સાથે પોતાને જોડવા લાગ્યા હતા. બાળપણમાં તેઓ ભારત અને તેના સાંસ્કૃતિક વારસાથી ખૂબ પ્રભાવિત હતા. 

    વામપંથથી રાષ્ટ્રવાદ તરફની યાત્રા

    બાળપણમાં રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રભાવિત હોવા છતાં કોલેજમાં અભ્યાસ દરમિયાન તેઓ વામપંથ તરફ આકર્ષાયા હતા અને તેમને વામપંથી વિચારધારા રણમાં દેખાતા પાણીના મૃગજળ જેવી પ્રભાવશાળી ભાસી રહી હતી. જોકે, સ્વતંત્ર બુદ્ધિ ધરાવતો માણસ તેની નજીક જઈને પારખી શકતો હતો અને બાકીના લોકો ગાડરિયા પ્રવાહની માફક તેમાં ભળતા જતાં હતા. સદાનંદન માસ્ટરના કિસ્સામાં એવું ન થયું, તેમણે વામપંથી વિચારધારાની નજીક જઈને બધુ જાણ્યું અને સમજ્યું. ત્યારબાદ જઈને તેમને વામપંથની વાસ્તવિક ઓળખ થઈ. 

    વામપંથમાં ભળ્યા હોવા છતાં માસ્ટરના મનના RSSની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની અવધારણા ઘર કરી ગઈ હતી. પ્રસિદ્ધ મલયાલમ કવિ અક્કીથમનો લેખ ‘ભારત દર્શનંગલે’ તેમના પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. અહીંથી જ તેઓ સંપૂર્ણપણે સંઘની વિચારધારા તરફ વળ્યા હતા. માસ્ટર એવા નેતા હતા કે, તેઓ સંઘના પરિચયમાં આવ્યા વગર સંઘની વિચારધારાને સમજ્યા હતા અને આગળ જઈને તેમણે તે વિચારધારા અપનાવી પણ હતી. તેઓ સંઘમાં ભળી ગયા અને રાષ્ટ્રવાદની વિચારધારાને વરી ગયા. 

    વામપંથી હિંસાનો બન્યા ભોગ

    એક વામપંથી માણસ વિરોધી વિચારધારામાં ભળે તે કમ્યુનિસ્ટોને સહન ન થઈ શક્યું. તેમણે પહેલાં તો માસ્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાત ન બની તો તેઓ પોતાની પરંપરા અનુસાર હિંસા પર ઉતરી આવ્યા. વાત છે 25 જાન્યુઆરી, 1994ની. સદાનંદન માસ્ટરના બહેનનાં લગ્ન હતાં. તેઓ પોતાના કાકાના ઘરેથી બહેનના લગ્નની તૈયારીની વાતચીત કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. જેવા તેઓ બસમાંથી ઉતર્યા અને ઘર તરફ પગપાળા આગળ વધ્યા કે તરત જ કેટલાક લોકોએ તેમને પાછળથી પકડી લીધા. 

    કેળનું ઝાડ જેમ એકાએક ભોંય પર પડે છે તેમ તેમને શારીરિક બળથી જમીન પર ઢાળી દેવાયા. ત્યારબાદ તે લોકોએ માસ્ટરને માર મારવાનો શરૂ કરી દીધો. આ તમામ લોકો CMI(M)ના ગુંડા હતા અને પોતાને વામપંથી વિચારધારાના પ્રચારક માનતા હતા. તેમણે ન માત્ર માસ્ટરને માર માર્યો, પરંતુ હથિયારોથી તેમમાં બંને પગ પણ કાપી નાખ્યા અને રસ્તા પર ફેંકી દીધા. તેમને આ ‘સજા’ માત્ર એટલા માટે મળી હતી કે, તેઓ હવે વામપંથી વિચારધારાને માનતા ન હતા અને RSSની વિચારધારા સાથે જોડાઈ ગયા હતા. 

    વામપંથી ઉન્માદીઓનો આ સપષ્ટ સંદેશ હતો કે – જે પણ વ્યક્તિ કમ્યુનિસ્ટ વિચારધારાને છોડવાની હિંમત કરશે, તેઓ હાલ આવો જ થશે. તે સમયે સદાનંદન માસ્ટરની ઉમંર માત્ર 30 વર્ષની હતી. સદાનંદન શિક્ષક હોવાથી માસ્ટર તરીકેના હુલામણા નામથી ઓળખાવવા લાગ્યા હતા. યૌવનમાં તરબતર જુવાનિયો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પોતાના ભીતર ધારણ કરીને ભારત માટે કઈક કરી ગુજરવાની તીવ્ર ઈચ્છા ધરાવતો હતો. પરંતુ આ એક ઘટનાએ તેમના મન-મસ્તિષ્ક પર એવી અસર કરી કે, તેઓ જીવતેજીવ મડદા જેમ નિર્જીવ બની ગયા. 

    ભાજપમાં જોડાઈને ભારતને સશક્ત કરવાના જોયા સ્વપ્ન

    હુમલા બાદ સદાનંદન માસ્ટરે RSSના માધ્યમથી સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું. તેમણે શિક્ષણ, આરોગ્ય અને ગરીબોના ઉત્થાન માટે કામ કર્યું. RSSના સેવાભાવ પર આધારિત કાર્યક્રમોમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓનો વિસ્તાર કરવો સામેલ હતું. તેમની નિર્ભીકતા અને સમર્પણે RSS અને ભાજપના કાર્યકર્તાઓમાં તેમને એક પ્રેરણાસ્ત્રોત બનાવ્યા. ત્યારબાદ સદાનંદન માસ્ટરે ભારતીય જનતા પાર્ટીમાં (ભાજપ) જોડાઈને રાજકીય ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું. ભાજપના રાષ્ટ્રવાદી એજન્ડા અને વિકાસલક્ષી નીતિઓએ તેમને આકર્ષ્યા.

    તેમણે કેરળના કન્નુર અને આસપાસના વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તા તરીકે સંગઠનને મજબૂત કરવામાં યોગદાન આપ્યું. સદાનંદન માસ્ટરે સ્થાનિક ચૂંટણીઓમાં ભાગ લીધો અને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી. જોકે, કેરળના વામપંથી પ્રભાવિત રાજકીય વાતાવરણમાં ભાજપ માટે ચૂંટણી જીતવી સરળ ન હતી. તેમ છતાં તેમની નિષ્ઠા અને સમર્પણે ભાજપના કાર્યકર્તાઓમાં નવું જોમ ભર્યું.

    2016માં સદાનંદન માસ્ટરે ભાજપની ટિકિટ પર કૂથુપરમ્બા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ વિસ્તાર LDFની નેતા કેકે શૈલજા અને વામપંથી હિંસા માટે કુખ્યાત હતો. ભાજપના ઉમેદવાર તરીકે માસ્ટરને પસંદ કરવામાં આવ્યા હતા. તે સમયે વડાપ્રધાન મોદીએ સદાનંદન અને તે તમામ ભાજપ અને RSSના કાર્યકર્તાઓની હિંમતને બિરદાવી હતી, જે કેરળમાં કમ્યુનિસ્ટ હિંસાનો શિકાર થયા હતા અને વામપંથી હિંસાથી કુખ્યાત વિસ્તારોમાં ચૂંટણી લડી રહ્યા હતા. 

    આજે પણ કેરળમાં રાજકીય અસહિષ્ણુતા અને હિંસા ખતમ નથી થઈ. આજે પણ તે વિસ્તારોમાં વૈચારિક અથડામણ ચાલતી રહે છે. ખાસ કરીને જ્યારથી કેરળમાં કમ્યુનિસ્ટ સરકાર આવી છે ત્યારથી ભાજપ અને RSSના કાર્યકર્તાઓની હત્યાની ઘટનાઓ વધતી રહી છે. હાલમાં કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટની (LDF) સરકાર છે, જેનું નેતૃત્વ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) [CPI(M] કરે છે અને મુખ્યમંત્રી તરીકે પીનરાઈ વિજયન છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં