પ્રયાગરાજમાં મહાકુંભ (Prayagraj Mahakumbh) ચાલી રહ્યો છે. દેશના અને વિદેશના કરોડો લોકો મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે અને પોતાને ભાગ્યશાળી ગણી રહ્યા છે. તેવામાં એક ગેંગ ખોટા (Fake News) સમાચાર અને ફેક વિડીયો (Fake Video) ફેલાવવામાં વ્યસ્ત છે. આવી ગેંગ વિરુદ્ધ યુપી પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં જ બાંગ્લાદેશનો એક વિડીયો વાયરલ મહાકુંભના નામે વાયરલ કરવામાં આવ્યો હતો. જે બાદ યુપી પોલીસે તે વિડીયોની તપાસ શરૂ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યવાહી બાદ કુંભ મેળા પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે. પોલીસે લખ્યું છે કે, “બાંગ્લાદેશમાં બ્લોગર દ્વારા ‘ટ્રેન સર્ફિંગ’ દરમિયાન બનાવવામાં આવેલા વિડીયોને ભ્રામક રીતે મહાકુંભ જવા માટેનો અંતિમ રસ્તો બતાવીને અફવા ફેલાવનારા 31 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિરુદ્ધ કુંભ મેળા પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી છે. કૃપા કરીને તથ્યોની ચકાસણી કર્યા વગર સોશિયલ મીડિયા પર કોઈ ભ્રામક પોસ્ટ ન કરો.”
#UPPFactCheck
— Kumbh Mela Police UP 2025 (@kumbhMelaPolUP) February 23, 2025
बांग्लादेश में व्लॉगर द्वारा "ट्रेन सर्फिंग" के दौरान बनाए गए वीडियो को भ्रामक रूप से महाकुम्भ जाने का अन्तिम तरीका बताकर अफवाह फैलाने वाले अभी तक चिन्हित 31 सोशल मीडिया अकाउंट के विरुद्ध कुम्भ मेला पुलिस द्वारा FIR पंजीकृत करके वैधानिक कार्यवाही की जा रही है।… pic.twitter.com/1wTx6UMuLb
આ વિડીયોને અનેક સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ કરવામાં આવ્યો હતો અને ભ્રામક દાવા કરીને કુંભ જવા માંગતા અથવા જતાં શ્રદ્ધાળુઓને ભયમાં મૂકવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી વાયરલ થયો હતો. જે બાદ યુપી પોલીસ સુધી પણ આ વિડીયો પહોંચી ગયો હતો.
2024નો બાંગ્લાદેશનો વિડીયો- પોલીસ તપાસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિડીયોમાં એક વ્યક્તિને ચાલતી ટ્રેનમાં સૂતેલી જોઈ શકાય છે. આ વિડીયો એક ભારતીય બ્લોગરે બાંગ્લાદેશમાં રેકોર્ડ કર્યો હતો અને 2024માં તેણે આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શ્રદ્ધાળુઓને મહાકુંભ જવા માટેના છેલ્લા રસ્તા તરીકે ટ્રેનની છત પર યાત્રા કરવી પડે છે. પોલીસને આ વિડીયો વિશે માહિતી મળ્યા બાદ તેમણે તપાસ આદરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તે વિડીયો ભારતનો નથી અને કરવામાં આવેલો દાવો પણ ખોટો છે. જે બાદ તેને વાયરલ કરનારા એકાઉન્ટ્સ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ટ્રેનની છત પર યાત્રા કરવી એક ગુનો બને છે અને તે ખૂબ જોખમી પણ છે. ભારતીય રેલવે દ્વારા ટ્રેનોને વીજળી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા ઓવરહેડ તારમાં 25 KV કરંટ દોડતો હોય છે. આ તાર અને છત વચ્ચે ખૂબ ઓછી જગ્યા રહે છે. તેથી છત પર યાત્રા કરવી ગેરકાયદેસર અને ખૂબ જ જોખમકારક છે.
સાથે એ પણ નોંધવા જેવું છે કે, મહાકુંભને લઈને આવી રીતે ફેક ન્યૂઝ ફેલાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરમાં જ સળગતી ટ્રેનનો વિડીયો વાયરલ થયો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ દુર્ઘટના પ્રયાગરાજમાં થઈ છે અને 300 લોકોના જીવ ગયા છે. ત્યારબાદ પોલીસે 34 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.