ઉત્તર પ્રદેશ સરકાર (Uttar Pradesh Government) ટૂંક સમયમાં મદરેસા એક્ટમાં સંશોધન (Amend Madrasa Act 2004) કરીને મોટા ફેરફારો કરી શકે છે. આ અંતર્ગત મદરેસાની કેટલીક ડિગ્રીઓને કાયદાની મર્યાદાથી બહાર કાઢવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મદરેસાઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે આપવામાં આવતાં ‘કામિલ’ અને ‘ફાઝિલ’ સર્ટિફિકેટને હવે માન્યતા આપવામાં આવશે નહીં અને મદરેસાઓની સત્તાને ધોરણ 12 સુધી જ સીમિત કરી દેવામાં આવશે.
આ બાબત મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહી છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વર્ષ 2004ના મદરેસા એજ્યુકેશન એક્ટમાં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. મદરેસા અધિનિયમમાં જે સુધારો કરવામાં આવી રહ્યો છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય મદરેસાને માત્ર શૈક્ષણિક સંસ્થાઓ તરીકે મર્યાદિત કરવાનો છે, જેથી તેમનો અભ્યાસક્રમ અને પ્રમાણપત્ર રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીને અનુરૂપ બની શકે. આ પ્રસ્તાવ હેઠળ મદરેસાના શિક્ષણ અને તાલીમને માત્ર 12મા ધોરણ સુધી મર્યાદિત કરવાની યોજના છે. આ માટે સરકાર સ્તરે તૈયારી કરવામાં આવી રહી છે. પ્રસ્તાવ તૈયાર થયા બાદ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે મદરેસા એજ્યુકેશન એક્ટને અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે સુનાવણી બાદ 22 માર્ચે અલ્હાબાદ હાઇકોર્ટે કાયદાને અમાન્ય ઠેરવ્યો હતો. હાઇકોર્ટના આ નિર્ણયને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને એપ્રિલ મહિનામાં સર્વોચ્ચ અદાલતે આ નિર્ણય પર સ્ટે મૂકી દીધો હતો. ત્યારબાદ આ મામલે સુનાવણીને અંતે નવેમ્બરમાં આ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને રદબાતલ ઠેરવ્યો હતો.
5 નવેમ્બર, 2024ના રોજ CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મદરેસા શિક્ષણની તમામ જોગવાઈઓ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન નથી. જોકે, સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ધોરણ 12 પછી મદરેસા દ્વારા આપવામાં આવતી ડીગ્રીને માન્યતા આપી શકાય નહીં.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મદરેસા તરફથી આપવામાં આવતી ડિગ્રીઓ પર પણ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, મદરેસા અધિનિયમ અંતર્ગત આપવામાં આવતી ‘ફાઝિલ’ અને ‘કામિલ’ ડિગ્રી UGC કાયદાની વિરુદ્ધ છે. તેથી આ મામલે તે એક સ્તર સુધી ગેરબંધારણીય પણ છે. મદરેસા બોર્ડની ફાઝિલ ડિગ્રી અનુસ્નાતક સ્તર છે અને કામિલ ડિગ્રી સ્નાતક સ્તર છે જે માત્ર UGC આપી શકે છે.
શું છે મદરેસા એક્ટ 2004
ઉત્તર પ્રદેશમાં મદરેસા શિક્ષણ વ્યવસ્થાને સુવ્યવસ્થિત અને સંરચિત કરવાના ઉદ્દેશ્યથી વર્ષ 2004માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો, જેને ઉત્તર પ્રદેશ મદરેસા બોર્ડ એક્ટ નામે ઓળખવામાં આવે છે. આ જ કાયદા અંતર્ગત ઉત્તર પ્રદેશ મદરેસા બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી, જે રાજ્યોમાં ચાલતી મદરેસાઓની શિક્ષા નિયોજિત કરે છે. મદરેસામાં મુખ્યત્વે ઇસ્લામિક શિક્ષણ જ આપવામાં આવે છે.