યોગી સરકાર અંતર્ગત ઉત્તર પ્રદેશ પોલીસે તાજેતરમાં રાજ્યના ગુનાખોરીને નાથવા માટે એક મોટું અભિયાન હાથ ધર્યું છે, જે ‘ઑપરેશન લંગડા’ (Operation Langda) તરીકે ઓળખાય છે. 27-28 મે, 2025ના રોજ રાજ્યના 10 શહેરોમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલી અથડામણમાં (UP Police Encounters) અનેક ગુનેગારો ઝડપાયા છે. આ શહેરોમાં લખનૌ, હાપુડ, ગાઝિયાબાદ, બલિયા, આગ્રા, ઉન્નાવ, ફિરોઝાબાદ, બાગપત, જલૌન અને શામલીનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ 27-28 મે, 2025ના રોજ ઉત્તર પ્રદેશનાં 10 શહેરોમાં 24 કલાકની અંદર 10 એન્કાઉન્ટર થયાં હોવાનું સામે આવ્યું છે. લખનૌમાં પોલીસે એક બળાત્કારના આરોપીને એન્કાઉન્ટર બાદ ઝડપી પાડ્યો. આ આરોપી લાંબા સમયથી ફરાર હતો અને તેને પકડવા માટે પોલીસે ખાસ ઑપરેશન હાથ ધર્યું હતું. ગાઝિયાબાદમાં એક કોન્સ્ટેબલની હત્યાના આરોપીને પોલીસે એન્કાઉન્ટર દરમિયાન ઝડપી લીધો. આ ઘટનાએ રાજ્યમાં ખળભળાટ મચાવ્યો હતો.
राजपथ: यूपी में 'ऑपरेशन लंगड़ा' जारी है! योगी राज में हिस्ट्रीशीटर कांपे थर-थर#Rajpath #UttarPradesh #CMYogi #Encounter | @ShobhnaYadava pic.twitter.com/mu1AfPZKj8
— Zee News (@ZeeNews) May 28, 2025
બલિયામાં ડબલ એન્કાઉન્ટર થયું, જેમાં બે ગુનેગારો ઝડપાયા. આ ગુનેગારો ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને લાંબા સમયથી ફરાર હતા. આગ્રામાં પોલીસે એક ગુનેગારને એન્કાઉન્ટર દરમિયાન ઝડપ્યો, જે લૂંટફાટના કેસમાં સંડોવાયેલો હતો. ઉન્નાવમાં પણ પોલીસે એક ગુનેગારને પકડવા માટે એન્કાઉન્ટર કર્યું, જેમાં ગુનેગાર ઘાયલ થયો.
ફિરોઝાબાદમાં એક ઈનામી ગુનેગારને પકડવામાં આવ્યો, જેના પર ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયેલો હતો. બાગપતમાં પોલીસે એક ગુનેગારને ઝડપી લીધો, જે લૂંટ અને હત્યાના કેસમાં વૉન્ટેડ હતો. જલૌનમાં એક એન્કાઉન્ટર દરમિયાન ગુનેગારને ઘાયલ કરીને પકડવામાં આવ્યો. શામલીમાં 25,000ના ઈનામી ગુનેગારને એન્કાઉન્ટર બાદ ઝડપી લેવામાં આવ્યો. હાપુડમાં પણ યુપી પોલીસે એક ગુનેગારને ઝડપવા માટે એન્કાઉન્ટર કર્યું, જેમાં ગુનેગાર ઘાયલ થયો.
શું છે ‘ઑપરેશન લંગડા’
‘ઑપરેશન લંગડા’ એ યુપી પોલીસનું એક અઘોષિત અભિયાન છે, જે ભાજપ સરકારના સત્તામાં આવ્યા બાદ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યમાં ગુનાખોરીને નાથવાનો અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો છે. આ ઑપરેશનનું નામ ‘લંગડા’ એટલા માટે પડ્યું કારણ કે પોલીસ ઘણીવાર ગુનેગારોને પકડવા દરમિયાન તેમના પગમાં ગોળી મારીને ઘાયલ કરે છે, જેથી તેઓ ભવિષ્યમાં ગુનાખોરી કરવામાં મુશ્કેલી અનુભવે. 2017થી અત્યાર સુધીમાં યુપી પોલીસે 8,472 એન્કાઉન્ટર્સ કર્યા છે, જેમાં 3,302થી વધુ ગુનેગારો ઘાયલ થયા છે અને 146 ગુનેગારો માર્યા ગયા છે.
ઑપરેશન લંગડા 2017થી શરૂ થયું હતું, જ્યારે યોગી આદિત્યનાથની સરકારે ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હતી. આ અભિયાન હેઠળ ઘણા મોટા ગુનેગારો ઝડપાયા છે, જેમાં ગેંગસ્ટર વિકાસ દુબેનો પણ સમાવેશ થાય છે. વિકાસ દુબે 2020માં બિકરુ ગામના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, જે દરમિયાન 8 પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતા. આ ઑપરેશનને યુપી સરકારે ગુનાખોરી ઘટાડવાની દિશામાં એક મોટી સફળતા ગણાવી છે.