મહારાષ્ટ્રની ચૂંટણીઓને લગતા ભ્રામક ડેટા પ્રકાશિત કરવાના આરોપસર લોકનીતિ-CSDSના (સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ) સહ-નિદેશક અને ‘ચૂંટણી વિશ્લેષક’ સંજય કુમાર સામે રાજ્યમાં બે અલગ-અલગ ઠેકાણે FIR નોંધવામાં આવી છે. આ ઉપરાંત, ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદે (ICSSR) CSDSને નોટિસ જારી કરીને તેમની ગ્રાન્ટ-ઈન-એડ રદ કરવાની ચેતવણી આપી છે.
વાસ્તવમાં 17 ઑગસ્ટના 2025ના રોજ સંજય કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની રામટેક અને દેવલાલી વિધાનસભા બેઠકોમાં 2024ની લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી વચ્ચે મતદારોની સંખ્યામાં 36-38%નો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, તેમણે નાસિક વેસ્ટ અને હિંગણા વિધાનસભા બેઠકોમાં મતદારોની સંખ્યામાં અનુક્રમે 47.38% અને 43.08%નો વધારો થયો હોવાનો દાવો કર્યો હતો. આ ડેટાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી, કારણ કે કોંગ્રેસે પછીથી આ જ ડેટાને આધારે ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો.

જોકે, પછીથી સંજય કુમારે આ પોસ્ટ ડિલીટ કરી અને જાહેર માફી માંગી હતી. તેમણે જણાવ્યું કે તેમની ડેટા ટીમે ડેટાને ખોટી રીતે રજૂ કર્યો હતો. જોકે, આ પોસ્ટના કારણે ઘણી ગેરસમજણ ફેલાઈ હતી અને આડકતરી રીતે આ પોસ્ટ રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના દાવાનું સમર્થન કરતી હતી. જોકે, પોસ્ટ ડીલીટ કરવામાં આવી જેનાથી સ્પષ્ટ થાય છે કે આ દાવા ભ્રામક હતા. પરંતુ જે નુકસાન થવાનું હતું એ થઈ ચૂક્યું હતું.
સંજય કુમાર પર FIR
હવે સંજય કુમારની આ પોસ્ટને કારણે નાગપુર અને નાસિકના જિલ્લા ચૂંટણી અધિકારીઓએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે FIR દાખલ કરી હતી. આ FIR ભારતીય ન્યાય સંહિતાની કલમ 175 ચૂંટણી સંબંધિત ખોટી માહિતી, 353(1)(B) (જાહેર શાંતિને ખલેલ પહોંચાડે તેવાં નિવેદનો), 212 (સરકારી કર્મચારીને ખોટી માહિતી આપવી), 340(1)(2) (નકલી દસ્તાવેજો અથવા ઈલેક્ટ્રોનિક રેકોર્ડનો ઉપયોગ) અને 356 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
નાસિક જિલ્લા ચૂંટણી કચેરીએ એક્સ પર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “CSDSના સંજય કુમારે 126-દેવલાલી વિધાનસભા બેઠકના મતદારો વિશે ખોટી માહિતી પોસ્ટ કરી છે. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. નાગરિકોને વિનંતી છે કે તેઓ માત્ર ECIની વેબસાઈટ પરથી જ માહિતી ચકાસે.”
નાગપુરના રામટેક મામલતદારે ફરિયાદ કરી હતી કે સંજય કુમારનો દાવો ખોટો હતો અને તેનાથી મતદારો અને નાગરિકો ગેરમાર્ગે દોરાયા હતા. નાગપુરના (ગ્રામીણ) SP હર્ષ પોદ્દારે ANIને જણાવ્યું, “અમે રામટેક મામલતદારની ફરિયાદના આધારે FIR નોંધી છે. ગુનાની ગંભીરતા જોતાં અમે સંજય કુમારને તપાસ માટે પણ બોલાવીશું.”
ICSSRએ આપી શો-કોઝ નોટિસ
19 ઓગસ્ટે શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત અને CSDSને ભંડોળ પૂરું પાડતી ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદે (ICSSR) CSDSને શો-કોઝ નોટિસ જારી કરી હતી. ICSSRએ આરોપ લગાવ્યો કે CSDSએ ડેટાની હેરફેર કરી અને ચૂંટણી પંચની પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયાસ કર્યો છે. નોટિસમાં CSDSને સાત દિવસમાં ખુલાસો આપવા અને તેમના અભ્યાસના સ્ત્રોત જાહેર કરવા કહેવામાં આવ્યું છે.
It has come to the notice of ICSSR that an individual holding responsible position at CSDS, an ICSSR-funded research institute, has made media statements that had to be retracted subsequently citing glitches in data analysis regarding elections in Maharashtra.
— Indian Council of Social Science Research (ICSSR) (@icssr) August 19, 2025
Futher, the…
ICSSRએ જણાવ્યું કે આ ઘટના ગ્રાન્ટ-ઈન-એડ નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. ICSSRએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, “CSDSના જવાબદાર હોદ્દા પરની વ્યક્તિએ મહારાષ્ટ્ર ચૂંટણીઓ અંગે ખોટા ડેટા પર આધારિત નિવેદનો કર્યાં, જે પછીથી ડેટા ભૂલને કારણે પાછા ખેંચવામાં આવ્યાં. આ ચૂંટણી પંચની પવિત્રતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.”
નોંધનીય છે કે ચૂંટણી પંચે રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપોને ફગાવી દીધા હતા અને તેમને પોતાના દાવાઓની ચકાસણી માટે એફિડેવિટ સબમિટ કરવા અથવા માફી માંગવા જણાવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પણ પ્રેસ કોન્ફરન્સમાં આ આરોપોને નકારી કાઢ્યા હતા. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ પણ સંજય કુમારની માફીનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેમના ખોટા ડેટાનો ઉપયોગ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓ દ્વારા ચૂંટણી પંચની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવવા માટે કરવામાં આવ્યો હતો.


