હિંદુ દરજી કન્હૈયાલાલ તેલીની ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલી હત્યા પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઈલ્સ’ની (Udaipur Files) રિલીઝ પર રોક લગાવવાના દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે (16 જુલાઈ) સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે સ્ટે ઉઠાવવાનો ઇનકાર કરીને મામલો કેન્દ્ર સરકાર પાસે મોકલી આપ્યો છે. જેથી હાલ પૂરતી રોક યથાવત રહેશે.
ફિલ્મ 11 જુલાઈના રોજ રિલીઝ થનાર હતી, પરંતુ આગલા દિવસે દિલ્હી હાઇકોર્ટે રોક લગાવી દીધી હતી અને CBFC સર્ટિફિકેટ મામલે કેન્દ્ર સરકારને નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિન્દ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, જેની ઉપર જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલા બાગચીની પીઠે સુનાવણી હાથ ધરી હતી.
કોર્ટે કહ્યું કે, “અમે આ મામલાને પેન્ડિંગ રાખી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર દિલ્હી હાઇકોર્ટ સમક્ષ શું મત રજૂ કરે એ પણ અમને જાણવા મળશે. ધારો કે કેન્દ્ર કહે કે કશું ખોટું નથી તો અમે એ પણ ધ્યાને લઈશું. જો તેઓ અમુક કટ માટે નિર્દેશ આપે તો એ પ્રમાણે આગળ વધીશું. જો કેન્દ્ર સરકારે સંજ્ઞાન ન લીધું હોત તો અલગ વાત હતી. અમને જણાવવામાં આવ્યું છે કે આ મામલે એક સમિતિ નીમવામાં આવી છે અને કેન્દ્ર સરકાર તપાસ કરી રહી છે. તો આપણે એક-બે દિવસ રાહ જોવી જોઈએ.”
સરકારે મામલાની આગામી સુનાવણી 21 જુલાઈના રોજ મુકરર કરીને કહ્યું કે, “અમે આશા રાખીએ છીએ કે સમિતિ પુનઃવિચાર અરજીનો કોઈ પણ પ્રકારના વિલંબ વગર નિકાલ કરશે.”
SC: if movie is released.. there will be irreparable damage. If it not then you can be compensated..also don't miss movie culture. More the suspense the more better it does.
— Bar and Bench (@barandbench) July 16, 2025
કોર્ટે કહ્યું કે, “હાઇકોર્ટે ફિલ્મની સામગ્રી પર કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ અરજદારને માત્ર કેન્દ્ર સરકાર સમક્ષ પક્ષ રજૂ કરવા માટે જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર પણ ફિલ્મ પર રોક લગાવવાની સત્તા સરકાર પાસે પણ છે. આ પરિસ્થિતિમાં સુનાવણી ટાળીને કેન્દ્ર સરકાર નિર્મિત સમિતિ શું નિર્ણય કરે છે એ જોવું વધુ યોગ્ય રહેશે.”
જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, ‘બેલેન્સ ઑફ કન્વિનિયન્સ’ ફિલ્મનો વિરોધ કરનારાઓના પક્ષમાં છે. કારણ કે જો ફિલ્મ રિલીઝ થઈ ગઈ તો તેમની અરજીનું કોઈ ઔચિત્ય નહીં રહે. જો વિલંબના કારણે નિર્માતાઓને કોઈ નુકસાન થાય તો તેની ભરપાઈ કરી શકાશે.’ તેમણે એમ પણ કહ્યું કે, “ફિલ્મ જો રિલીઝ થઈ તો તે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન કરશે, પણ જો વિલંબ થયો તો તેનું વળતર મળી શકશે.”
સુપ્રીમ કોર્ટ બે અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. જેમાંથી એક ફિલ્મ નિર્માતાઓ દ્વારા દિલ્હી હાઇકોર્ટના રોક લગાવવાના આદેશને પડકારતી અરજીઓ હતી, જ્યારે અન્ય એક અરજીમાં કન્હૈયાલાલ હત્યા કેસના એક આરોપી મોહમ્મદ જાવેદે દલીલ કરી હતી કે ફિલ્મના કારણે તેની ટ્રાયલને અસર થઈ શકે છે. જાવેદને કોર્ટે થોડા સમય પહેલાં જામીન આપી દીધા હતા.


