રમજાન પહેલાં સંભલની કથિત જામા મસ્જિદનું રંગરોગાન કરવાનું હોવાનું કહીને મસ્જિદ સમિતિએ અલાહાબાદ હાઇકોર્ટ સમક્ષ પરવાનગી માંગી હતી, જે મામલાની સુનાવણી ગુરુવારે (27 ફેબ્રુઆરી) હાથ ધરવામાં આવી. કોર્ટે ASIને આદેશ આપીને રંગરોગાનની ખરેખર જરૂર છે કે કેમ તે અંગે જાણકારી મેળવીને રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે.
જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેન્ચે શાહી જામા મસ્જિદ, સંભલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આદેશ આપતાં કહ્યું કે, ASIની ત્રણ સભ્યોની ટીમ મસ્જિદની મુલાકાત લેશે, નિરીક્ષણ કરશે અને આવતીકાલે (28 ફેબ્રુઆરી) સવારે 10 વાગ્યા સુધીમાં કોર્ટમાં રિપોર્ટ જમા કરાવશે. મસ્જિદના રંગરોગાનનું કામ ખરેખર જરૂરી છે કે કેમ, તે નક્કી કરવાનું કામ કોર્ટે ASIને સોંપ્યું છે.
સુનાવણી દરમિયાન ASIના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે ASI ટીમના સભ્યોને સુરક્ષા પૂરી પાડવામાં આવે, પરંતુ કોર્ટે તે માંગ ફગાવી દીધી અને કહ્યું કે તેની કોઈ જરૂર નથી.
અરજીમાં મસ્જિદ સમિતિએ દલીલ કરી હતી કે ASI રંગરોગાનના કામમાં ખોટી રીતે અડચણ ઊભી કરી રહ્યું છે, જ્યારે ખરેખર તો આ તેમનું કામ હોવું જોઈએ. જેના જવાબમાં ASIએ કોર્ટને જણાવ્યું કે અધિકારીઓને મસ્જિદ સમિતિમાં પ્રવેશ પણ આપવામાં આવી રહ્યો નથી.
હિંદુ પક્ષનો વિરોધ
બીજી તરફ, મસ્જિદ સમિતિની માંગનો હિંદુ પક્ષે પણ વિરોધ કર્યો હતો. એડવોકેટ હરિશંકર જૈને કોર્ટને જણાવ્યું કે, રંગરોગાનની આડમાં મસ્જિદમાં જે હિંદુ પ્રતીકો આવેલાં છે તેની સાથે ચેડાં કરવામાં આવી શકે છે. જેની ઉપર કોર્ટે કહ્યું કે, તે બાબતનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.
શું છે સમગ્ર મામલો
મામલાની વધુ વિગતો જોવામાં આવે તો, 1 માર્ચથી રમજાન શરૂ થઈ રહ્યો છે તે પહેલાં સંભલ મસ્જિદની સમિતિએ સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી કે તેઓ પરિસરમાં રંગરોગાન અને અન્ય અમુક મેન્ટેનન્સ કામ કરવા માંગે છે. જેમાં સાફસફાઈ, રિપેરિંગ, લાઇટિંગ વગેરે સામેલ છે.
આ મામલે 11 ફેબ્રુઆરીના રોજ ASPએ એક પત્ર લખીને માંગ ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે મસ્જિદ એક સંરક્ષિત સ્મારક હોવાના કારણે પરવાનગી ફરજિયાત આર્કિયોલૉજિક સરવે ઑફ ઇન્ડિયા પાસેથી લેવાની રહેશે. ત્યારબાદ મસ્જિદ સમિતિ કોર્ટ પહોંચી હતી અને દલીલ કરી હતી કે તે દર વર્ષે આ પ્રકારે મેન્ટેનન્સ કામ કરતા આવ્યા છે અને આ વખતે પણ પરવાનગી આપવામાં આવે.
કોર્ટે આ મામલે હાલ ASIને સરવે કરવાનો આદેશ આપ્યો છે. તેના રિપોર્ટ બાદ કોર્ટ આગળ નિર્ણય લેશે.